નાણા મંત્રાલય

ભારત છેલ્લા દાયકામાં સરેરાશ વાર્ષિક વન વિસ્તારમાં ચોખ્ખી વૃદ્ધી મેળવનારો ત્રીજા ક્રમનો દેશઃ આર્થિક સર્વેક્ષણ 2022-23


ભારતમાં 75 રામસર સ્થળો; મેન્ગ્રૂવના આવરણમાં 364 ચોરસ કિ.મીનો વધારો થયો

નવીનીકરણ ઉર્જા માટે ભારત સૌથી પસંદગીનું સ્થળ બની રહ્યું છે; 7 વર્ષોમાં રોકાણ 78.1 બિલિયનનું રોકાણ થયું

ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે રૂ.19.744 કરોડના અંદાજ સાથે રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન શરૂ કરાયું

હરિત પરિયોજનાઓમાં મૂડીના પ્રવાહને ઉત્તેજન આપવા માટે ઇકોસિસ્ટમનું સર્જન કરવા સોવરેન ગ્રીન બોન્ડ્સ

ભારતે બિન-અશ્મિભૂત બળતણનો વપરાશ 50% સુધી લઇ જવા માટે સ્થાપિત ઉર્જા ક્ષમતાની પ્રાપ્તિના લક્ષ્યાંકમાં પૂનઃમૂલ્યાંકન કર્યુ

Posted On: 31 JAN 2023 1:18PM by PIB Ahmedabad

ભારત વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી સ્વચ્છ ઉર્જા પરિવર્તનનું નેતૃત્વ કરવા જઇ રહ્યું છે અને જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા માટે કટિબદ્ધતાપૂર્વક નક્કર પગલાં ભરી રહ્યું છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2022-23માં રેખાંકિત કરવામાં આવ્યું છે કે ભારતનો જળવાયુ અભિગમ આંતરિક રીતે તેના વિકાસની દૂરંદેશિતા સાથે સંલગ્ન છે, જે ગરીબી નાબૂદીના લક્ષ્યાંક ઉપર આધારિત છે અને તેના તમામ નાગરિકોની મૂળભૂત સુખાકારીની બાંહેધરી આપે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0026PL4.jpg

ભારતની જળવાયુ કાર્યવાહીમાં પ્રગતિ

ભારતે ટકાઉ વિકાસને ઉત્તેજન આપવામાં મહત્વાકાંક્ષી જળવાયુ કાર્યવાહી લક્ષ્યાંકો સાથે તેના વિકાસ લક્ષ્યાંકોનો સમન્વય કરીને નોંધપાત્ર પ્રગતિ કરી છે.

1. ભારતનું વન આવરણ

2010 અને 2020ના સમયગાળાની વચ્ચે સરેરાશ વાર્ષિક વન આવરણમાં ચોખ્ખી વૃદ્ધી મેળવવાના સંબંધમાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. સર્વેક્ષણ આ બાબત કેન્દ્ર અને રાજ્ય સરકારોના મજબૂત માળખા અને નીતિઓને આભારી માને છે, જેમાં ગ્રીન ઇન્ડિયા મિશન (GIM), વળતરયુક્ત વનીકરણ ભંડોળ સંચાલન અને આયોજન સત્તામંડળ (CAMPA) વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં રાજ્યોની અંદર અરૂણાચલ પ્રદેશ જંગલોમાં સૌથી વધારે કાર્બન જથ્થો ધરાવે છે અને જમ્મુ અને કાશ્મીર 173.41 ટનનો પ્રતિ હેક્ટર સૌથી વધારે કાર્બન સ્ટોકનું યોગદાન આપે છે.

2. પારિસ્થિતિકતંત્રનું સંરક્ષણ

પારિસ્થિતિકતંત્રની જાળવણી માટે સમર્પિત પ્રયત્નોના ભાગરૂપે ભારત હવે 13.3 લાખ હેક્ટરનો વિસ્તાર આવરી લેતા વેટલેન્ડ માટે 75 રામસર સ્થળો ધરાવે છે. આર્થિક સર્વેક્ષણ વધુમાં મેન્ગ્રૂવના રક્ષણ અને જાળવણી માટે વિવિધ નિયમનકારી અને પ્રોત્સાહનજનક પગલાંના પરિણામે 2021માં 364 ચોરસ કિ.મી.ના મેન્ગ્રૂવ આવરણમાં વધારાને રેખાંકિત કરે છે.

3. નવીનીકરણ ઉર્જા તરફ આગેકૂચ

ભારત પ્રગતિશીલ રીતે નવીનીકરણ ઉર્જામાં રોકાણ માટે પસંદગીનું સ્થળ બની રહ્યું છે. 2014-2021ના સમયગાળા દરમિયાન ભારતમાં નવીનીકરણ ઉર્જા માટે કુલ 78.1 અબજનું કુલ રોકાણ કરવામાં આવ્યું હતું.

આર્થિક સર્વેક્ષણ ઉલ્લેખ કરે છે કે વર્ષ 2029-30ના અંત સુધીમાં સ્થાપિત ક્ષમતા વધીને 800 ગીગાવૉટ કરતાં પણ વધી જવાની સંભાવના છે, જેમાં બિન-અશ્મિભૂત બળતણોનું યોગદાન 500 ગીગાવૉટ જેટલું રહેશે, જે 2014-15ની સરખામણીમાં 2029-20 સુધી સરેરાશ ઉત્સર્જન દરમાં આશરે 29 ટકાના ઘટાડામાં પરિણમશે.

આ સર્વેક્ષણ ભારતને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર રાષ્ટ્ર બનાવવા માટે રૂ.19,744 કરોડના ખર્ચે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા રાષ્ટ્રીય ગ્રીન હાઇડ્રોજન મિશન અને જટિલ ક્ષેત્રોને કાર્બનરહિત બનાવવાની પણ નોંધ લે છે, જે 2050 સુધીમાં એકંદર CO2 ઉત્સર્જનમાં 3.6 ગીગા ટનના ઘટાડામાં પરિણમશે.

ટકાઉ વિકાસ માટે ધીરાણ

જળવાયુ કાર્યવાહી લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે આવશ્યક પગલાં તરીકે ધીરાણને સ્વીકૃતિ આપતાં સર્વેક્ષણ ખાનગી મૂડીને સંચાલિત કરવા પ્રત્યે હાથ ધરાયેલા ભારતના પ્રયત્નો ઉપર પ્રકાશ ફેંકે છે.

1. ગ્રીન બોન્ડ

સોવરેન ગ્રીન બોન્ડ જારી કરવાથી સરકારને અર્થતંત્રમાં કાર્બન તીવ્રતાનો ઘટાડો કરવા માટે લક્ષિત જાહેર ક્ષેત્રની પરિયોજનાઓનો અમલ કરવા માટે સંભિવત રોકાણકારો તરફથી જરૂરી ભંડોળ મેળવવામાં સરકારને મદદ કરશે. સર્વેક્ષણ દર્શાવે છે કે આ અંગે આંતરરાષ્ટ્રીય મૂડી બજાર સંગઠન (ICMA) ગ્રીન બોન્ડ સિદ્ધાંતો (2021) સાથે સુસંગત રીતે આ સંબંધમાં માળખું જારી કરવામાં આવ્યું છે. સોવરેન ગ્રીન બોન્ડ ઉપર દેખરેખ રાખવા અને તેને જારી કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણયોને માન્યતા આપવા માટે ગ્રીન ફાઇનાન્સ કાર્યકારી સમિતિની સ્થાપના પણ કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેન્કે કુલ રૂ.16,000 કરોડના ખર્ચે નાણાકીય વર્ષ 2022-23માં સોવરેન ગ્રીન બોન્ડ જારી કરવા માટે સૂચક કેલેન્ડર બહાર પાડ્યું છે.

2. વ્યવસાય જવાબદારીતા અને ટકાઉપણા અહેવાલ (BRSR)

સેબીએ વ્યવસાય જવાબદારીતા અને ટકાઉપણા અહેવાલ (BRSR)ની જરૂરિયાત મુજબ નવો ટકાઉપણા સંબંધિત અહેવાલ જારી કર્યો છે, જે 'જવાબદાર વ્યવસાય આચરણ અંગે રાષ્ટ્રીય માર્ગદર્શિતા'માં નિર્ધારિત સિદ્ધાંતોને અનુરૂપ પરિમાણપાત્ર મેટ્રિક્સ સાથે વધારે સુસંગત છે. સર્વેક્ષણમાં ઉલ્લેખ કરાયો છે કે BRSR 2022-23થી 1000 સૂચીબદ્ધ એકમો (બજાર મૂડીની દ્રષ્ટીએ) માટે ફરજિયાત બનાવવામાં આવ્યું હતું.

COP 27માં ભારત

ભારતે 2030 પહેલાં બિન-અશ્મિભૂત ઇંધણમાંથી સ્થાપિત ઇલેક્ટ્રિક ક્ષમતાનું પોતાનું લક્ષ્ય 50% સુધી આગળ વધારીને તેના રાષ્ટ્રીય નિર્ધારિત યોગદાન (NDCs)ને અપડેટ કર્યું છે. સર્વેમાં ભારતની લાંબા ગાળાની લૉ કાર્બન ડેવલપમેન્ટ વ્યૂહનીતિ (LT-LEDS)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ઉર્જા સુરક્ષાના સંદર્ભમાં રાષ્ટ્રીય સંસાધનોના તર્કસંગત ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ વ્યૂહરચના, LiFE - પર્યાવરણ માટે જીવનશૈલીની દૂંરદેશીને અનુરૂપ છે, જેમાં સમગ્ર દુનિયાને વિનાશક વપરાશની માનસિકતા દૂર કરીને અર્થપૂર્ણ અને ઇરાદાપૂર્વકના ઉપયોગ તરફ જવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

અન્ય પર્યાવરણીય મુદ્દાઓ સંબંધિત પહેલ

ભારત અને નેપાળે ઑગસ્ટ 2022માં જૈવવિવિધતા સંરક્ષણ પર એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર જંગલો અને વન્યજીવનના ક્ષેત્રમાં સંકલન અને સહકારને મજબૂત કરવા અને તેમાં વૃદ્ધિ કરવા અંગેનો છે.

આ સર્વેક્ષણ 2022ના લક્ષ્યાંકિત વર્ષ કરતાં ચાર વર્ષ વહેલાં, એટલે કે 2018માં વાઘની સંખ્યા બમણી કરવામાં ભારતની સિદ્ધિને દર્શાવે છે. એશિયાટિક સિંહોની વસ્તીમાં પણ એકધારો વધારો થતો જોવા મળ્યો છે, જેમાં ભારતમાં 2020માં 674ની વસ્તી હતી, જે 2015માં 523 સિંહો કરતાં વધુ છે.

નવા બૅટરી વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, 2022, અને ઇ-વેસ્ટ (મેનેજમેન્ટ) રૂલ્સ, 2022, પણ પરિપત્ર અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે સૂચિત કરવામાં આવ્યા છે.

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1894954) Visitor Counter : 332