પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ નવી દિલ્હીનાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું


"સ્થાનિક કલ્યાણ માટે વૈશ્વિક સહકાર એ અમારી હાકલ છે"

"કાયદાની અમલબજવણી આપણી પાસે જે નથી તે પ્રાપ્ત કરવામાં, આપણી પાસે જે છે તેનું રક્ષણ કરવામાં, આપણે જે સુરક્ષિત રાખ્યું છે તેને વધારવામાં અને સૌથી વધુ લાયક લોકોને તેનું વિતરણ કરવામાં મદદ કરે છે"

"આપણાં પોલીસ દળો માત્ર લોકોનું જ રક્ષણ નથી કરતાં, પરંતુ આપણી લોકશાહીની પણ સેવા કરે છે"

"જ્યારે ધમકીઓ વૈશ્વિક હોય છે, ત્યારે પ્રતિસાદ ફક્ત સ્થાનિક ન હોઈ શકે! હવે સમય પાકી ગયો છે કે દુનિયા આ ધમકીઓને હરાવવા માટે એકસાથે આવે"

"સલામત આશ્રયસ્થાનોને દૂર કરવાં માટે વૈશ્વિક સમુદાયે વધુ ઝડપથી કામ કરવાની જરૂર છે"

સંચાર, સહકાર્ય અને સહકારને અપરાધ, ભ્રષ્ટાચાર અને આતંકવાદને હરાવવા દો"

Posted On: 18 OCT 2022 3:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીને સંબોધન કર્યું હતું.

સમારોહને સંબોધતા પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાં 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીના પ્રસંગે તમામ મહાનુભવોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત તેની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે, જે લોકો અને સંસ્કૃતિઓની ઉજવણી છે. પ્રધાનમંત્રીએ એવી પણ માહિતી આપી હતી કે, ઇન્ટરપોલ વર્ષ 2023માં તેની સ્થાપનાનાં 100 વર્ષની ઉજવણી કરશે. તેમણે ટિપ્પણી કરી કે આ પશ્ચાદ દર્શનનો સમય છે તેમજ ભવિષ્ય નક્કી કરવાનો સમય છે. શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે, આનંદ અને ચિંતન કરવાનો, પીછેહઠમાંથી શીખવાનો અને ભવિષ્યને આશા સાથે જોવાનો આ શ્રેષ્ઠ સમય છે.

પ્રધાનમંત્રીએ ભારતીય સંસ્કૃતિ સાથે ઇન્ટરપોલની ફિલસૂફીનાં જોડાણ પર પ્રકાશ પાડ્યો હતો અને ઇન્ટરપોલનાં 'સલામત વિશ્વ સાથે પોલીસનું જોડાણ'નાં સૂત્ર અને વેદની એ ઉક્તિ વચ્ચે સમાનતા પર ભાર મૂક્યો હતો, જેમાં વેદોમાંથી ટાંકવામાં આવ્યું હતું કે, 'આ નો ભદ્રા: ક્રતવો યન્તુ વિશ્વતાહ' એટલે કે તમામ દિશાઓમાંથી ઉમદા વિચારો આવવા દો, જેને તેમણે વિસ્તૃતપણે સમજાવ્યું હતું કે, વિશ્વને વધુ સારું સ્થળ બનાવવા માટે સાર્વત્રિક સહકાર માટે આમાં આહવાન કરવામાં આવ્યું છે. ભારતના વિશિષ્ટ વૈશ્વિક દ્રષ્ટિકોણ પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષક અભિયાનોમાં વીર પુરુષો અને મહિલાઓને મોકલવામાં ભારત ટોચનાં યોગદાદાનકર્તાઓમાંનું એક છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, "ભારતને આઝાદી મળી એ અગાઉ પણ આપણે દુનિયાને વધુ સારી જગ્યા બનાવવા માટે બલિદાન આપ્યું હતું." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વ યુદ્ધોમાં હજારો ભારતીયોએ પોતાનાં જીવનનું બલિદાન આપ્યું છે. કોવિડ રસીઓ અને આબોહવા લક્ષ્યો વિશે વાત કરતા, પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ભારતે કોઈપણ પ્રકારનાં સંકટમાં આગેવાની લેવાની તૈયારી દર્શાવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે જ્યારે દેશો અને સમાજો આંતરિક દૃષ્ટિ ધરાવતાં થઈ રહ્યાં છે, ત્યારે ભારત વધારે આંતરરાષ્ટ્રીય સહકાર માટે અપીલ કરે છે. સ્થાનિક કલ્યાણ માટે વૈશ્વિક સહકાર એ અમારી હાકલ છે,” એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, દુનિયાભરમાં પોલીસ દળો માત્ર લોકોનું રક્ષણ જ નથી કરી રહ્યાં, પણ સામાજિક કલ્યાણને પણ આગળ વધારી રહ્યાં છે. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે, "તેઓ કોઈ પણ કટોકટી સામે સમાજની પ્રતિક્રિયામાં મોખરે છે." પ્રધાનમંત્રીએ કોવિડ કટોકટીનું ઉદાહરણ આપ્યું હતું અને ધ્યાન દોર્યું હતું કે પોલીસ કર્મચારીઓ લોકોને મદદ કરવા માટે તેમનાં પોતાનાં જીવનને જોખમમાં મૂકે છે. તેમણે જણાવ્યું હતું કે, "તેમાંના ઘણાએ લોકોની સેવામાં અંતિમ બલિદાન પણ આપ્યું હતું."

પ્રધાનમંત્રીએ ભારતની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિવિધતા પર ભાર મૂક્યો હતો તથા ભારતનાં કદ અને વિશાળતા વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે "ભારતીય પોલીસ", "સંઘીય અને રાજ્ય સ્તરે, 900થી વધુ રાષ્ટ્રીય અને લગભગ દસ હજાર રાજ્ય કાયદાઓને અમલમાં મૂકવા માટે સહકાર આપે છે." "આપણાં પોલીસ દળો વિવિધતા અને બંધારણ દ્વારા વચન આપવામાં આવેલા અધિકારોનો આદર કરીને કામ કરે છે. તેઓ માત્ર લોકોનું જ રક્ષણ નથી કરતા પરંતુ આપણાં લોકતંત્રની પણ સેવા કરે છે." ઇન્ટરપોલની સફળતાઓ વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ઇન્ટરપોલે છેલ્લાં 99 વર્ષથી 195 દેશોમાં વૈશ્વિક સ્તરે પોલીસ સંગઠનોને જોડ્યાં છે અને આ ગૌરવશાળી પ્રસંગની ઉજવણી કરવા માટે ભારત સરકાર સ્મારક સ્ટેમ્પ અને સિક્કો બહાર પાડી રહી છે.

પ્રધાનમંત્રીએ આતંકવાદ, ભ્રષ્ટાચાર, નશીલા દ્રવ્યોની દાણચોરી, શિકાર અને સંગઠિત અપરાધો જેવા વિશ્વનાં અનેક હાનિકારક જોખમોની યાદ અપાવી હતી. "આ જોખમોનાં પરિવર્તનની ગતિ અગાઉ કરતાં વધુ ઝડપી છે. જ્યારે ધમકીઓ વૈશ્વિક હોય, ત્યારે પ્રતિભાવ માત્ર સ્થાનિક ન હોઈ શકે! હવે સમય પાકી ગયો છે કે દુનિયા આ ધમકીઓને હરાવવા માટે એકજૂથ થાય," એમ તેમણે કહ્યું હતું.

બહુરાષ્ટ્રીય આતંકવાદનાં અનિષ્ટો પર પ્રકાશ ફેંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દુનિયાએ તેને સ્વીકાર્યું એ અગાઉ પણ ભારત ઘણાં દાયકાઓથી તેનો સામનો કરી રહ્યું છે. "અમે સુરક્ષા અને સલામતીની કિંમત જાણતા હતા. આપણા હજારો લોકોએ આ લડાઈમાં અંતિમ બલિદાન આપ્યું છે, " એમ શ્રી મોદીએ ઉમેર્યું. પ્રધાનમંત્રીએ વિસ્તૃત પણે જણાવ્યું હતું કે, આતંકવાદ હવે માત્ર ભૌતિક અવકાશમાં જ લડાઈ લડતો નથી, પણ ઓનલાઇન કટ્ટરવાદ અને સાયબર જોખમો મારફતે ઝડપથી ફેલાઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, ફક્ત એક બટન દબાવીને જ હુમલો કરી શકાય છે અથવા તો સિસ્ટમને ઘૂંટણિયે પાડી શકાય છે. આંતરરાષ્ટ્રીય વ્યૂહરચનાઓને વધારે વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "દરેક રાષ્ટ્ર તેમની સામે વ્યૂહરચનાઓ પર કામ કરે છે. પરંતુ આપણે આપણી સરહદોની અંદર જે કરીએ છીએ તે હવે પૂરતું રહ્યું નથી." વધુમાં તેમણે વહેલાસર શોધ અને ચેતવણી પ્રણાલીની સ્થાપના, પરિવહન સેવાઓનું રક્ષણ, સંચાર માળખાગત સુવિધા માટે સુરક્ષા, મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સુરક્ષા, ટેકનિકલ અને ટેકનોલોજિકલ સહાય, ગુપ્તચર વિનિમય અને અન્ય વિવિધ બાબતોને નવાં સ્તરે લઈ જવાનું સૂચન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભ્રષ્ટાચારનાં જોખમો વિશે વિસ્તૃત વર્ણન કર્યું હતું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગુનાઓએ ઘણા દેશોના નાગરિકોનાં કલ્યાણને નુકસાન પહોંચાડ્યું છે. "ભ્રષ્ટ", તેમણે આગળ કહ્યું, "ગુનાની આવકને વિશ્વના જુદા જુદા ભાગોમાં પાર્ક કરવાનો માર્ગ શોધી કાઢે છે. આ નાણાં એ દેશના નાગરિકોના છે, જ્યાંથી તેમને લેવામાં આવ્યાં છે." ઘણીવાર, આ વિશ્વના કેટલાક સૌથી ગરીબ લોકો પાસેથી લેવામાં આવે છે. તદુપરાંત, નાણાં ઘણા હાનિકારક ઉપયોગમાં મૂકવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક સમુદાયે સલામત આશ્રયસ્થાનોને નાબૂદ કરવાં વધારે ઝડપથી કામ કરવાની જરૂર છે. "ભ્રષ્ટ, આતંકવાદીઓ, ડ્રગ કાર્ટેલ્સ, શિકાર કરતી ટોળકીઓ અથવા સંગઠિત ગુનાઓ માટે કોઈ સલામત આશ્રયસ્થાનો હોઈ શકે નહીં. તેમણે ઉમેર્યું હતું કે, એક સ્થળે લોકો સામે આ પ્રકારના અપરાધો એ દરેક વ્યક્તિ સામેના અપરાધો છે, માનવતા વિરુદ્ધના અપરાધો છે." પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, "પોલીસ અને કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓએ સહકાર વધારવા માટે પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ્સ ઘડવાની જરૂર છે. ઇન્ટરપોલ ભાગેડુ અપરાધીઓ માટે રેડ કોર્નર નોટિસને ઝડપી બનાવીને મદદ કરી શકે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, "સુરક્ષિત અને સલામત વિશ્વ આપણી સહિયારી જવાબદારી છે. જ્યારે સારાનાં પરિબળો સહકાર આપે છે, ત્યારે ગુનાનાં પરિબળો કામ કરી શકતાં નથી."

પ્રધાનમંત્રીએ તમામ મહાનુભવોને નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક અને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લેવા વિચારણા કરવા તથા ભારતને સુરક્ષિત રાખવા માટે પોતાનાં જીવનનું બલિદાન આપનારા નાયકોને શ્રદ્ધાંજલિ આપવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ એવી પણ આશા વ્યક્ત કરી હતી કે, 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલી અપરાધ, ભ્રષ્ટાચાર અને આતંકવાદનો સામનો કરવા માટે એક અસરકારક અને સફળ મંચ સાબિત થશે. પ્રધાનમંત્રીએ અંતમાં જણાવ્યું હતું કે, "સંચાર, સહકાર્ય અને સહકારને અપરાધ, ભ્રષ્ટાચાર અને આતંકવાદને હરાવવા દો."

કાર્યક્રમનાં સ્થળે પહોંચ્યા બાદ ઇન્ટરપોલના પ્રમુખે પ્રધાનમંત્રીને એક્ઝિક્યુટીવ કમિટિ સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ ગ્રૂપ ફોટોગ્રાફ માટે પોઝ આપ્યો હતો અને ઇન્ટરપોલ સેન્ટીનરી સ્ટેન્ડ જોયું હતું. આ પછી, પ્રધાનમંત્રીએ રિબન કાપીને નેશનલ પોલીસ હેરિટેજ ડિસ્પ્લેનું ઉદ્ઘાટન કર્યું હતું, અને તે સ્થળે ચાલીને જઈ નિહાળ્યું હતું.

મંચ પર પહોંચતાં જ પ્રધાનમંત્રીએ આઇટીબીપીની ટુકડીની માર્ચ પાસ્ટ- એન્ટ્રન્સ ઑફ ધ કલર્સ નિહાળી હતી. આ પછી ભારતનું રાષ્ટ્રગીત અને ઇન્ટરપોલ એન્થમ ગાવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીને ઇન્ટરપોલના પ્રમુખે બૉન્સાઇ પ્લાન્ટ ભેટ આપ્યો હતો. ત્યારબાદ પ્રધાનમંત્રીએ 90મી ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીની ઉજવણી કરવા માટે એક સ્મારક પોસ્ટલ સ્ટેમ્પ અને રૂ. 100નો સિક્કો બહાર પાડ્યો હતો.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ, ઇન્ટરપોલના પ્રમુખ શ્રી અહમદ નાસીર અલ રઇસ, ઇન્ટરપોલના મહાસચિવ શ્રી જુર્જન સ્ટોક અને સીબીઆઇના ડાયરેક્ટર શ્રી સુબોધકુમાર જયસ્વાલ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

ઇન્ટરપોલની 90મી જનરલ એસેમ્બલી 18થી 21 ઑક્ટોબર દરમિયાન યોજાઇ રહી છે. આ બેઠકમાં ઇન્ટરપોલના 195 સભ્ય દેશોનાં પ્રતિનિધિમંડળો ભાગ લઈ રહ્યાં છે, જેમાં મંત્રીઓ, દેશોના પોલીસ વડાઓ, રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરોના વડાઓ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. જનરલ એસેમ્બલી ઇન્ટરપોલની સર્વોચ્ચ સંચાલક મંડળ છે અને તેની કામગીરીથી સંબંધિત મુખ્ય નિર્ણયો લેવા માટે વર્ષમાં એકવાર મળે છે.

ઇન્ટરપોલ જનરલ એસેમ્બલીની બેઠક ભારતમાં લગભગ 25 વર્ષ પછી થઈ રહી છે - તે છેલ્લે 1997માં યોજાઇ હતી. ભારતની આઝાદીનાં 75મા વર્ષની ઉજવણીના અનુસંધાને 2022માં નવી દિલ્હી ખાતે ઇન્ટરપોલની જનરલ એસેમ્બલીનું આયોજન કરવાના ભારતના પ્રસ્તાવને જનરલ એસેમ્બલીએ પ્રચંડ બહુમતી સાથે સ્વીકારી લીધો હતો. આ કાર્યક્રમ ભારતની કાયદો અને વ્યવસ્થાની સિસ્ટમની શ્રેષ્ઠ પદ્ધતિઓને સમગ્ર વિશ્વ સમક્ષ પ્રદર્શિત કરવાની તક પ્રદાન કરે છે.


YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1868873) Visitor Counter : 230