પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કોચીમાં રૂ. 4500 કરોડથી વધારેની કિંમતની કોચી મેટ્રો અને ભારતીય રેલવેની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું


"વિકસિત ભારતના આ રોડમેપમાં આધુનિક માળખાગત સુવિધાઓની મોટી ભૂમિકા છે"

"અમે ભારતીય રેલવેની સંપૂર્ણ કાયાપલટ કરી રહ્યા છીએ. આજે દેશનાં રેલવે સ્ટેશનોને પણ એરપોર્ટની જેમ વિકસિત કરવામાં આવી રહ્યાં છે"

"કૃષિથી માંડીને ઉદ્યોગો સુધી, આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેરળમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે"

"અમૃત કાળમાં પર્યટનનો વિકાસ દેશના વિકાસમાં મોટી મદદ કરશે"

"કેરળમાં મુદ્રા લોન યોજનાના ભાગરૂપે લાખો નાના ઉદ્યોગસાહસિકોને રૂ. 70 હજાર કરોડથી વધારે રકમ આપવામાં આવી છે"

Posted On: 01 SEP 2022 8:24PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોચીમાં કોચી મેટ્રો અને ભારતીય રેલવેની આશરે રૂ. 4500 કરોડનાં મૂલ્યની વિવિધ પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ આજે પ્રધાનમંત્રીએ કોચીમાં કલાડી ગામમાં શ્રી આદિ શંકરા જન્મભૂમિ ક્ષેત્રમની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કેરળનો દરેક ખૂણો અને શેરીઓ ઓણમના પવિત્ર તહેવારના આનંદથી ભરેલા છે. તેમણે દરેકને આ પ્રોજેક્ટ્સ માટે અભિનંદન પાઠવ્યાં હતાં, જે ઈઝ ઑફ લિવિંગ- જીવનની સરળતા અને ઈઝ ઑફ ડુઈંગ બિઝનેસ- વેપાર-વાણિજ્યની સરળતાને વધારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ શુભ પ્રસંગે કેરળને રૂ. 4600 કરોડથી વધારેનાં મૂલ્યનાં કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સની ભેટ મળી છે."

આઝાદી કા અમૃત કાલ પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીયોએ આગામી 25 વર્ષમાં એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે પ્રચંડ સંકલ્પ લીધો છે. તેમણે ઉમેર્યું હતું કે, "વિકસિત ભારતના આ રોડમેપમાં આધુનિક માળખાગત સુવિધાઓની મોટી ભૂમિકા છે." પ્રધાનમંત્રીએ યાદ કર્યું હતું કે, વર્ષ 2017માં તેમને કોચી મેટ્રોનું ઉદ્ઘાટન કરવાનું સન્માન મળ્યું હતું. આજે કોચી મેટ્રોનાં પ્રથમ તબક્કાનાં વિસ્તરણનું ઉદઘાટન થઈ રહ્યું છે અને કોચી મેટ્રોનાં બીજા તબક્કાનો શિલાન્યાસ પણ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોચી મેટ્રોનો બીજો તબક્કો યુવાનો અને વ્યાવસાયિકો માટે વરદાનરૂપ બનશે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "જ્યારે પરિવહન અને શહેરી વિકાસની વાત આવે છે, ત્યારે સમગ્ર દેશમાં પ્રોત્સાહનની આગેવાની હેઠળનો વિકાસ થઈ રહ્યો છે."

કોચીમાં યુનિફાઇડ મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીનાં અમલીકરણ પર ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ઓથોરિટી મેટ્રો, બસ, વોટરવે વગેરે પરિવહનનાં તમામ માધ્યમોને સંકલિત કરવા કામ કરશે. "મલ્ટિમોડલ કનેક્ટિવિટીનાં આ મોડલ સાથે કોચી શહેરને ત્રણ સીધા ફાયદા થશે. તેનાથી શહેરના લોકોનો પ્રવાસનો સમય ઘટશે, રસ્તાઓ પરનો ટ્રાફિક ઘટશે અને શહેરમાં પ્રદૂષણમાં ઘટાડો થશે. પર્યાવરણની રક્ષા માટે ભારતે નેટ ઝીરોનો પ્રચંડ સંકલ્પ લીધો છે, તેનાથી પણ તેમાં મદદ મળશે. તેનાથી કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો થશે” એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, છેલ્લાં આઠ વર્ષમાં કેન્દ્ર સરકારે મેટ્રોને શહેરી પરિવહનનું સૌથી અગ્રણી માધ્યમ બનાવવા સતત કામ કર્યું છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકારે રાજ્યનાં અન્ય મોટાં શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કર્યું છે અને તે માત્ર રાજધાની પૂરતું મર્યાદિત નથી. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આપણાં દેશમાં પ્રથમ મેટ્રો આશરે 40 વર્ષ અગાઉ દોડતી હતી અને આગામી 30 વર્ષમાં ફક્ત 250 કિલોમીટરનાં મેટ્રો રુટનો ઉમેરો થયો હતો. પ્રધાનમંત્રીએ છેલ્લાં 8 વર્ષમાં થયેલી કામગીરી પર ભાર મૂકતાં કહ્યું હતું કે, દેશમાં 500 કિલોમીટરથી વધારે મેટ્રો રુટનું નિર્માણ થયું છે અને 1000 કિમીથી વધારે લંબાઈ ધરાવતાં નવા રૂટ પર ઝડપથી કામ થઈ રહ્યું છે. "અમે ભારતીય રેલવેની સંપૂર્ણ કાયાપલટ કરી રહ્યા છીએ. અત્યારે દેશમાં રેલવે સ્ટેશનોને પણ એરપોર્ટની જેમ વિકસાવવામાં આવી રહ્યાં છે”, એમ પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું.

લાખો શ્રદ્ધાળુઓની લાંબા સમયથી માગ પર ટિપ્પણી કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ દેશ અને દુનિયાનાં સબરીમાલાનાં શ્રદ્ધાળુઓ માટે આનંદદાયક પ્રસંગ છે, જેઓ આ મંદિરની મુલાકાત લેવા ઇચ્છે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "એટ્ટુમનૂર-ચિંગવનમ-કોટ્ટાયમ ટ્રેકને બમણો કરવાથી ભગવાન અયપ્પાનાં દર્શનમાં ઘણી સરળતા રહેશે."

કેરળમાં ચાલી રહેલી કામગીરી પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આપણે વાત કરીએ છીએ ત્યારે રૂ. 1 લાખ કરોડનાં મૂલ્યનાં વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સ થઈ રહ્યાં છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કૃષિથી માંડીને ઉદ્યોગો સુધી, આ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેરળમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે. કેન્દ્ર સરકાર કેરળની કનેક્ટિવિટી પર ઘણો ભાર આપી રહી છે. અમારી સરકાર કેરળની જીવાદોરી સમાન એનએચ 66ને પણ 6 લેનમાં પરિવર્તિત કરી રહી છે. આ માટે 55,000 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે”, એમ પ્રધાનમંત્રીએ કહ્યું હતું.

તેના ફાયદાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવાસન અને વેપાર આધુનિક અને શ્રેષ્ઠ કનેક્ટિવિટીનો મહત્તમ લાભ ઉઠાવે છે. પર્યટન એક એવો ઉદ્યોગ છે, જેમાં ગરીબ, મધ્યમ વર્ગ, ગામ, શહેર, દરેક જોડાય છે, દરેક વ્યક્તિ કમાય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, "અમૃત કાલમાં પ્રવાસનનો વિકાસ દેશના વિકાસમાં મોટી મદદ કરશે."

કેન્દ્ર સરકારની ભૂમિકા પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રમાં ઉદ્યોગસાહસિકતા માટે વિવિધ પ્રોત્સાહનો પ્રદાન કરવામાં આવી રહ્યાં છે. તેમણે કહ્યું કે મુદ્રા યોજના જરૂરિયાતમંદોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં મદદ કરી રહી છે અને તે પણ ગૅરન્ટી વગર. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કેરળમાં આ યોજના અંતર્ગત લાખો નાનાં ઉદ્યોગસાહસિકોને મદદના હાથ તરીકે રૂ. 70 હજાર કરોડથી વધારે રકમ આપવામાં આવી છે."

કેરળની વિશેષતા પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, લોકોની કાળજી અને ચિંતા સમાજનાં જીવનનો હિસ્સો છે. તેમણે કહ્યું, "થોડા દિવસો પહેલા મને હરિયાણામાં મા અમૃતાનંદમયીજીની અમૃતા હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાની તક મળી. કરુણાથી ભરેલા અમૃતાનંદમયી અમ્માનાં આશીર્વાદ મેળવીને મને ધન્યતા પણ મળી. આજે હું કેરળની ધરતી પરથી ફરી એકવાર આભાર વ્યક્ત કરું છું."

પ્રધાનમંત્રીએ સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મૂળ મંત્ર પર ભાર મૂકીને પોતાના સંબોધનનું સમાપન કર્યું હતું અને સરકાર આ સિદ્ધાંતોના આધારે દેશનો વિકાસ કરી રહી છે. પ્રધાનમંત્રીએ અમૃત કાલમાં વિકસિત ભારતનો માર્ગ મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાઈ વિજયન, કેરળના રાજ્યપાલ શ્રી આરિફ મોહમ્મદ ખાન, કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી શ્રી વી મુરલીધરન, રાજ્યમંત્રીઓ શ્રી પી. રાજીવ અને એડ એન્થની રાજુ, સાંસદ શ્રી હિબી ઈડન અને કોચી કોર્પોરેશનના મેયર એડવો. એમ.અનિલકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રોજેક્ટ્સની વિગતો

પ્રધાનમંત્રીએ કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટના પેટ્ટાથી એસએન જંકશન સુધી પ્રથમ તબક્કાનાં વિસ્તરણનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટની કુલ કિંમત ૭૦૦ કરોડ રૂપિયાથી વધુ છે. કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટ દેશમાં સૌથી વધુ ટકાઉ મેટ્રો પ્રોજેક્ટ્સમાંનો એક હશે, જેની ઊર્જાની લગભગ 55 ટકા જરૂરિયાતો સૌર ઊર્જા દ્વારા પૂર્ણ કરવામાં આવશે. પ્રધાનમંત્રીએ જેએલએન સ્ટેડિયમથી ઇન્ફોપાર્ક સુધી કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાના પટ્ટાનો શિલાન્યાસ કર્યો હતો, જેની લંબાઈ 11.2 કિલોમીટર છે અને 11 સ્ટેશનો આવરી લેશે. આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 1,950 કરોડ છે. કોચી મેટ્રો રેલ પ્રોજેક્ટનો બીજા તબક્કાનો પ્રસ્તાવિત કોરિડોર કોચી શહેરની વધતી જતી પરિવહન જરૂરિયાતો પૂર્ણ કરવાનો છે અને તેનું આયોજન એ રીતે કરવામાં આવ્યું છે કે, તે શહેરનાં જિલ્લા મુખ્યાલયો, વિશેષ આર્થિક ઝોન અને આઇટી કેન્દ્રને હાલનાં મેટ્રો રેલ નેટવર્ક સાથે જોડે. આ કામ પૂર્ણ થયા બાદ સંયુક્ત ફેઝ-1 અને ફેઝ-2 મેટ્રો નેટવર્ક શહેરનાં મુખ્ય રહેણાંક અને વાણિજ્યિક કેન્દ્રોને રેલવે સ્ટેશનો અને બસ સ્ટેન્ડ્સ જેવા મુખ્ય પરિવહન કેન્દ્રો સાથે જોડશે, જેથી મલ્ટિ-મોડલ ઇન્ટિગ્રેશન અને લાસ્ટ-માઇલ કનેક્ટિવિટીની વિભાવનાને મજબૂત કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ કુરુપ્પનથારા-કોટ્ટાયમ-ચિંગવનમ રેલવે સેક્શનને ડબલ કરવાની કામગીરી પણ રાષ્ટ્રને સમર્પિત કરી હતી, જેનું નિર્માણ કાર્ય આશરે રૂ.750 કરોડનાં ખર્ચે પૂર્ણ થયું હતું. આ સાથે તિરુવનંતપુરમથી મેંગલુરુ સુધીનો સંપૂર્ણ માર્ગ સંપૂર્ણપણે બમણો થઈ ગયો છે, જે ઝડપી અને સાતત્યપૂર્ણ કનેક્ટિવિટીનું વચન આપે છે. નોંધપાત્ર વાત એ છે કે, સબરીમાલા ભગવાન અયપ્પા મંદિર તરફ જતા લાખો શ્રદ્ધાળુઓ ડબલ કરાયેલા સેક્શનમાં કોટ્ટાયમ અથવા ચેંગનુર રેલ્વે સ્ટેશન પર સરળતાથી ઉતરી શકે છે અને પંબા સુધી સડક માર્ગે આગળ વધી શકે છે. પ્રધાનમંત્રીએ કોલ્લમ-પુનાલુર વચ્ચે નવા વિદ્યુતીકૃત રેલવે વિભાગને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કેરળમાં ત્રણ રેલવે સ્ટેશનો – એર્નાકુલમ જંકશન, એર્નાકુલમ ટાઉન અને કોલ્લમનાં પુનર્વિકાસ માટે શિલારોપણ પણ કર્યું હતું. આ સ્ટેશન પુનર્વિકાસ પ્રોજેક્ટ્સનો કુલ અંદાજિત ખર્ચ આશરે રૂ. 1050 કરોડ છે. આ રેલવે સ્ટેશનો અત્યાધુનિક સુવિધાઓ અને સમર્પિત આગમન/પ્રસ્થાન કોરિડોર, સ્કાયવોક, સોલર પેનલ્સ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, ઊર્જા-કાર્યક્ષમ લાઇટિંગ, વરસાદી પાણીનો સંગ્રહ અને ઇન્ટરમોડલ પરિવહન સુવિધાઓ જેવી વિશ્વ કક્ષાની સુવિધાઓથી સજ્જ હશે.

YP/GP/JD

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1856166) Visitor Counter : 252