પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વ. શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ પર આયોજીત કાર્યક્રમમાં સંબોધન આપ્યું


“ભારતની લોકશાહી માટે આજનો દિવસ ખૂબ જ મોટો દિવસ છે કારણ કે, આદિવાસી સમુદાયની એક મહિલાએ દેશના સર્વોચ્ચ પદનો કાર્યભાર સંભાળ્યો છે”

“શ્રી હરમોહન સિંહ યાદવે પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન ડૉ. રામ મનોહર લોહિયાના વિચારોને આગળ ધપાવ્યા હતા”

“હરમોહન સિંહ યાદવજીએ માત્ર શીખ હત્યાકાંડ સામે રાજકીય વલણ ન હતું અપનાવ્યું, પરંતુ તેઓ પોતે આગળ આવ્યા હતા અને શીખ ભાઇઓ તેમજ બહેનોની સુરક્ષા માટે લડ્યા હતા”

“તાજેતરના સમયમાં, સમાજ અને દેશના હિત કરતાં વૈચારિક અથવા રાજકીય હિતોને ઉપર રાખવાનું વલણ જોવા મળી રહ્યું છે”

“કોઇ પક્ષ કે વ્યક્તિનો વિરોધ દેશના વિરોધમાં ન પરિવર્તિત થઇ જાય, તે જવાબદારી દરેક રાજકીય પક્ષની છે”

"ડૉ. લોહિયાએ રામાયણ મેળાઓનું આયોજન કરીને અને ગંગાની સંભાળ રાખીને દેશની સાંસ્કૃતિક શક્તિને મજબૂત કરવાનું કામ કર્યું હતું”

“સામાજિક ન્યાયનો અર્થ એ છે કે, સમાજના દરેક વર્ગને સમાન તકો મળવી જોઇએ અને કોઇપણ વ્યક્તિ જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત ન રહેવી જોઇએ”

Posted On: 25 JUL 2022 5:56PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ભૂતપૂર્વ સાંસદ, MLC, ધારાસભ્ય અને શૌર્ય ચક્ર પુરસ્કાર વિજેતા તેમજ યાદવ સમુદાયની એક મહાન હસ્તી અને નેતા સ્વ. શ્રી હરમોહન સિંહ યાદવની 10મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન આપ્યું હતું.

એકત્રિત થયેલા લોકોને સંબોધન આપતા પ્રધાનમંત્રીએ સ્વ. શ્રી હરમોહન સિંહ યાદવને તેમની 10મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે એ પણ નોંધ લીધી હતી કે, આઝાદી પછી આજે પ્રથમ વખત આદિવાસી સમુદાયની કોઇ મહિલાએ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યું છે. તેમણે આ બાબતને ભારતની લોકશાહી માટે એક મોટો દિવસ ગણાવ્યો.

પ્રધાનમંત્રીએ ઉત્તરપ્રદેશના મહાન નેતાઓના કિર્તીમાન વારસાને યાદ કર્યો હતો અને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, હરમોહન સિંહ યાદવજીએ ઉત્તરપ્રદેશ અને કાનપુરની ધરતી પરથી તેમની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન ડૉ. રામ મનોહર લોહિયાજીના વિચારોને આગળ ધપાવ્યા હતા. રાજ્ય અને દેશની રાજનીતિમાં તેમણે આપેલું યોગદાન, સમાજ માટે તેમણે કરેલું કાર્ય આજે પણ પેઢીઓને માર્ગદર્શન આપી રહ્યા છે.” પ્રધાનમંત્રીએ તેમની ગ્રામસભાથી રાજ્યસભાસુધીની લાંબી અને વિશિષ્ટ સફરમાં સમાજ તેમજ સમુદાય પ્રત્યેના તેમના સમર્પણની ભાવનાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

પ્રધાનમંત્રીએ શ્રી હરમોહન સિંહ યાદવની અનુકરણીય હિંમતની નોંધ લીધી અને જણાવ્યું હતું કે. હરમોહન સિંહ યાદવજીએ માત્ર શીખ હત્યાકાંડ સામે માત્ર રાજકીય વલણ અપનાવ્યું ન હતું, પરંતુ તેઓ સ્વયં આગળ આવ્યા અને શીખ ભાઇઓ તેમજ બહેનોની સુરક્ષા માટે લડ્યા હતા. પોતાના જીવની પરવા કર્યા વગર તેમણે અનેક નિર્દોષ શીખ પરિવારોના જીવ બચાવ્યા હતા. દેશ દ્વારા પણ તેમના નેતૃત્વને બિરદાવવામાં આવ્યું છે અને તેમને શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

શ્રી અટલ બિહારી વાજપેયીના શબ્દોને યાદ કરતા પ્રધાનમંત્રીએ પક્ષો વચ્ચે થતી રાજનીતિથી ઉપર દેશ પ્રાધાન્યતાએ હોવાની બાબતને રેખાંકિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “પક્ષોનું અસ્તિત્વ લોકશાહીને કારણે છે અને લોકશાહીનું અસ્તિત્વ દેશના કારણે છે. આપણા દેશના મોટા ભાગના પક્ષો, જેમાં ખાસ કરીને તમામ બિન-કોંગ્રેસી પક્ષો પણ આ વિચારધારા અને દેશ માટે સહકાર અને સંકલનના આદર્શને અનુસર્યા છે.” તેમણે દેશ માટે સંયુક્ત મોરચે બનાવવા માટેની રાજકીય પક્ષોની લાગણી અંગે સમજાવવા માટે 1971ના યુદ્ધ, અણુ પરીક્ષણ અને ઇમરજન્સી સામેની લડાઇના ઉદાહરણો ટાંક્યા હતા. તેમણે કહ્યું હતુ કે, જ્યારે કટોકટી દરમિયાન દેશની લોકશાહીને કચડી નાંખવામાં આવી હતી, ત્યારે તમામ મુખ્ય પક્ષો, આપણે સૌ એકજૂથ થયા હતા અને બંધારણને બચાવવા માટે લડ્યા હતા. એ સંઘર્ષમાં ચૌધરી હરમોહન સિંહ યાદવજી પણ એક બહાદુર સૈનિક હતા. એ જ, આપણા દેશનું હિત છે અને સમાજ હંમેશા વિચારધારાઓ કરતા મોટો હોય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, “જો કે, તાજેતરના સમયમાં, સમાજ અને દેશના હિત કરતાં વૈચારિક અથવા રાજકીય હિતોને ઉપર રાખવાનું વલણ જોવા મળી રહ્યું છે. ઘણી વખત, કેટલાક વિપક્ષી દળો સરકારના કામમાં માત્ર એટલા માટે અવરોધો ઉભા કરે છે કારણ કે જ્યારે તેઓ સત્તામાં હતા, ત્યારે તેઓ પોતાની જાતે નિર્ણયો લાગુ કરી શકતા ન હતા.” પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની જનતાને આવું બધું નથી ગમતું. તેમણે કહ્યું હતું કે, કોઇ પક્ષ કે વ્યક્તિનો વિરોધ દેશના વિરોધમાં ન પરિવર્તિત થઇ જાય, તે જવાબદારી દરેક રાજકીય પક્ષની છે. વિચારધારાઓ અને રાજકીય મહત્વાકાંક્ષાનું પોતાનું એક અલગ સ્થાન છે અને હોવું પણ જોઇએ. પરંતુ, દેશ, સમાજ અને રાષ્ટ્ર સૌથી ઉપર આવે છે.

ડૉ. લોહિયાના સાંસ્કૃતિક શક્તિના ખ્યાલ પર પ્રધાનમંત્રીએ સૌનું ધ્યાન દોર્યું હતું. શ્રી મોદીએ કહ્યું હતું, કે મૂળ ભારતીય વિચારધારામાં સમાજ એ કોઇ વિવાદ કે ચર્ચાનો મુદ્દો નથી અને તેને એકતા તેમજ સામૂહિકતાના માળખા તરીકે જોવામાં આવે છે. તેમણે એ વાત પણ યાદ કરી હતી કે, ડૉ. લોહિયાએ રામાયણ મેળાઓનું આયોજન કરીને તેમજ ગંગાની સંભાળ રાખીને દેશની સાંસ્કૃતિક શક્તિને મજબૂત કરવાનું કામ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત નમામી ગંગે, સમાજના સાંસ્કૃતિક પ્રતીકોને પુનર્જીવિત કરવાની કામગીરી અને અધિકારોને સુનિશ્ચિત કરવા સાથે ફરજના મહત્વ પર ભાર મૂકવા જેવી પહેલ દ્વારા આ સપનાંઓને સાકાર કરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ એ બાબત પર ભાર મૂક્યો હતો કે સમાજની સેવા માટે, આપણે સામાજિક ન્યાયની ભાવનાને સ્વીકારીએ અને તેને અપનાવીએ તે પણ જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે, આજે જ્યારે દેશ પોતાની આઝાદીના 75 વર્ષ નિમિત્તે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે ત્યારે આ વાત સમજવામાં આવે અને આ દિશામાં આગળ વધવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સામાજિક ન્યાયનો અર્થ એ છે કે સમાજના દરેક વર્ગને સમાન તકો મળવી જોઇએ અને કોઇપણ વ્યક્તિ જીવનની મૂળભૂત જરૂરિયાતોથી વંચિત ન રહેવી જોઇએ. દલિત, પછાત, આદિવાસી, મહિલા, દિવ્યાંગ જ્યારે આગળ આવશે, તો જ દેશ આગળ વધશે. હર મોહનજીએ આ પરિવર્તન માટે શિક્ષણને સૌથી વધારે મહત્વપૂર્ણ માન્યું હતું. શિક્ષણ ક્ષેત્રે તેમણે કરેલું કાર્ય પ્રેરણાદાયી છે. બેટી બચાઓ, બેટી પઢાવો, આદિવાસી વિસ્તારો માટે એકલવ્ય શાળાઓ, માતૃભાષામાં શિક્ષણને પ્રોત્સાહન જેવી પહેલોના માધ્યમથી દેશ આ માર્ગ પર આગળ વધી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશ શિક્ષણ દ્વારા સશક્તિકરણના મંત્ર પર આગળ વધી રહ્યો છે અને શિક્ષણ પોતે જ સશક્તિકરણ છે.

 

શ્રી હરમોહન સિંહ યાદવ (18 ઓક્ટોબર 1921 - 25 જુલાઇ 2012)

શ્રી હરમોહન સિંહ યાદવ (18 ઓક્ટોબર 1921 - 25 જુલાઇ 2012) એક મહાન હસ્તી અને યાદવ સમુદાયના નેતા હતા. ખેડૂતો, પછાત વર્ગો અને સમાજના અન્ય વર્ગો માટે દિવંગત નેતાઓ દ્વારા આપવામાં આવેલા યોગદાનને બિરદાવવાના ભાગરૂપે પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

શ્રી હરમોહન સિંહ યાદવે લાંબા સમય સુધી રાજનીતિમાં સક્રિય રીતે સેવા આપી હતી અને MLC, ધારાસભ્ય, રાજ્યસભાના સાંસદ તેમજ અખિલ ભારતીય યાદવ મહાસભાના અધ્યક્ષ તરીકે વિવિધ પદો પર સેવા આપી હતી. તેમણે તેમના પુત્ર શ્રી સુખરામ સિંહની મદદથી કાનપુર અને તેની આસપાસના વિસ્તારોમાં સંખ્યાબંધ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરવામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

1984માં થયેલા શીખ વિરોધી રમખાણો દરમિયાન અનેક શીખોના જીવનનું રક્ષણ કરવામાં બહાદુરી દર્શાવવા બદલ શ્રી હરમોહન સિંહ યાદવને 1991માં શૌર્ય ચક્ર એનાયત કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1844771) Visitor Counter : 210