નાણા મંત્રાલય

યુનિયન બજેટ 2022-23નો સાર

Posted On: 01 FEB 2022 1:19PM by PIB Ahmedabad

ભારતનો આર્થિક વિકાસદર ચાલુ નાણાકીય વર્ષમાં 9.2 ટકા રહેવાની ધારણા છે, જે દુનિયાનાં તમામ મોટા અર્થતંત્રોમાં સૌથી વધુ છે. દેશનું અર્થતંત્ર મહામારીની પ્રતિકૂળ અસરોમાંથી બહાર આવીને જે રીતે સંપૂર્ણ સ્વરૂપે મોટી તેજી સાથે સુધારાના માર્ગે અગ્રેસર છે, તે આપણા દેશની દમદાર તાકાતને દર્શાવે છે. આ વાત કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2022-23 રજૂ કરતાં કહી હતી.

Budget-at-a-Glance-English.jpg

 

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ભારત આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે અને આ સાથે આપણો દેશ હવે અમૃત કાળમાં પ્રવેશ કરી ગયો છે, India@100 સુધી પહોંચવાની 25 વર્ષની લાંબી સફરને દર્શાવે છે. સરકારે સ્વતંત્રતા દિવસના પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કરેલા વિઝનને સાકાર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે અને આ નીચે મુજબ છેઃ

  • વિસ્તૃત આર્થિક સ્તરે વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે સાથે સૂક્ષ્મ અર્થતંત્રના સ્તરે સર્વસમાવેશક કલ્યાણ પર ધ્યાન કેન્દ્રિત કરવું
  • ડિજિટલ અર્થતંત્ર અને ફિનટેક, ટેકનોલોજી સક્ષમ વિકાસ, ઊર્જા પરિવર્તન અને આબોહવાલક્ષી કામગીરીને પ્રોત્સાહન આપવું તથા
  • ખાનગી મૂડીથી શરૂ થનાર લાભપ્રદ આર્થિક ચક્ર પર વિશ્વાસ કરવો અને એની સાથે સરકારી મૂડીગત રોકાણના બળે ખાનગી રોકાણ મેળવવામાં મદદ મળવી.

વર્ષ 2014થી સરકાર દેશના નાગરિકો, ખાસ કરીને ગરીબો અને વંચિત લોકોનું ઉત્થાન કરવા પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેની સાથે સાથે લોકોને મકાન, વીજળી, રાંધણ ગેસ ઉપલબ્ધ કરાવવા તેમજ જળ સુધી પહોંચ સુનિશ્ચિત કરવા માટે વિવિધ પગલાં ઉઠાવી રહી છે. એટલું જ નહીં સરકારે નાણાકીય સર્વસમાવેશકતા અને પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ સુનિશ્ચિત કરવા માટે અનેક કાર્યક્રમો શરૂ કર્યા છે અને તેની સાથે સરકારે સંપૂર્ણ તકોનો ઉપયોગ કરવામાં ગરીબોની ક્ષમતા વધારવા માટે પોતાની નક્કર પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

નાણાં મંત્રીએ જાણકારી આપી હતી કે, આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવા માટે 14 ક્ષેત્રોમાં આપવામાં આપતાં ઉત્પાદકતા આધારિત પ્રોત્સાહન પર વ્યાપક અનુકૂળ પ્રતિક્રિયા મળી છે, જેમાં 60 લાખ નવી રોજગારીનું સર્જન કરવાની સાથે આગામી પાંચ વર્ષ દરમિયાન 30 લાખ કરોડ રૂપિયાનું વધારાનું ઉત્પાદન થવાની ક્ષમતા છે. નવી સરકારી ક્ષેત્ર ઉદ્યોગ નીતિના અમલના મુદ્દા પર વિસ્તારપૂર્વક જાણકારી આપીને નાણાં મંત્રીએ કહ્યું હતું કે, એર ઇન્ડિયાની માલિકીના વ્યૂહાત્મક હસ્તાંતરણનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે, એનઆઈએનએલ (નીલાંચલ ઇસ્પાત નિગમ લિમટિડ) માટે વ્યૂહાત્મક ભાગીદારીની પસંદગી થઈ ગઈ છે, એલઆઇસીનો પબ્લિક ઇશ્યૂ કે આઇપીઓ ટૂંક સમયમાં આવશે એવી અપેક્ષા છે અને વર્ષ 2022-23 માટે અન્ય દરખાસ્તો પર પણ પ્રક્રિયા ચાલુ છે.

 

Quote Covers_M1.jpg

 

શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ બજેટ વિકાસને સતત નવી ગતિ આપી રહ્યું છે. તેમાં આ સમાંતર પથનો ઉલ્લેખ કરવામાં આવ્યો છેઃ (1) અમૃત કાળ માટે યોજના કે રૂપરેખા, જે અદ્યતન અને સર્વસમાવેશક હોય, તથા જેનાથી આપણા યુવાનો, મહિલાઓ, ખેડૂતો, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓને સીધો ફાયદો થશે. અને (2) અદ્યતન માળખાગત સુવિધાઓના નિર્માણ માટે મોટા પાયે સરકારી રોકાણ, જે ભારતને આઝાદીના 100મા વર્ષ માટે તૈયાર કરશે અને આ માટે પીએમ ગતિશક્તિ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે તેમજ આ મલ્ટિ-મોડલ અભિગમમાં સામંજસ્યનો લાભ મળશે. આ સમાંતર પથ પર અગ્રેસર થઈને નાણાં મંત્રીએ ચાર પ્રાથમિકતાઓની રૂપરેખા વ્યક્ત કરીઃ

  • પીએમ ગતિશક્તિ
  • સર્વસમાવેશક વિકાસ
  • ઉત્પાદકતા સંવર્ધન અને રોકાણ, નવી તકો, ઊર્જામાં પરિવર્તન અને આબોહવાલક્ષી કામગીરી
  • રોકાણનું ધિરાણ

નાણાં મંત્રીએ પીએમ ગતિશક્તિ વિશે વિસ્તારપૂર્વક જાણકારી આપતાં કહ્યું હતું કે, આ આર્થિક વિકાસ સતત વિકાસ માટે એક પરિવર્તનકારક અભિગમ છે. આ દ્રષ્ટિકોણ સાત એન્જિનો એટલે કે માર્ગો, રેલવે, એરપોર્ટ, બંદર, જન પરિવહન, જળમાર્ગ અને લોજિસ્ટિક્સ સંબંધિત માળખાગત સુવિધાઓને ઝડપથી ગતિ મળી રહી છે. તમામ સાત એન્જિન પરસ્પર મળીને દેશના અર્થતંત્રને વૃદ્ધિના માર્ગે અગ્રેસર કરશે. આ એન્જિનને ઊર્જા ટ્રાન્સમિશન, આઇટી સંચાર, વ્યાપક જળ અને સુએજ તથા સામાજિક માળખાગત સુવિધાની પૂરક ભૂમિકાઓનો આવશ્યક સહયોગ મળી રહ્યો છે. છેલ્લે આ દ્રષ્ટિકોણમાં સ્વચ્છ ઊર્જા અને સબ કા પ્રયાસ એટલે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્રના પ્રયાસોથી નવી ગતિ મળી રહી છે, જેનાથી તમામ, ખાસ કરીને યુવાનોને વ્યાપક સ્તરે  રોજગાર અને ઉદ્યોગસાહસિકતાની તકો પ્રાપ્ત થઈ રહી છે.

2 . PM Gatishakti.jpg

 

એ જ રીતે વર્ષ 2022-23માં એક્સપ્રેસવે માટે પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે, જેથી લોકો અને ચીજવસ્તુઓની ત્વરિત અવરજવર શક્ય બને. વર્ષ 2022-23માં રાષ્ટ્રીય રાજમાર્ગ નેટવર્કમાં 25,000 કિલોમીટરનો વધારો કરવામાં આવશે અને સરકારી સંસાધનોના પૂરક સ્વરૂપે ધિરાણની નવીન રીતો દ્વારા રૂ. 20,000 કરોડનું ભંડોળ ઊભું કરવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, પીપીપી (સરકારી ખાનગી ભાગીદારી)ની પદ્ધતિ દ્વારા ચાર સ્થાનો પર મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક બનાવવા માટે વર્ષ 2022-23માં કોન્ટ્રાક્ટ આપવામાં આવશે.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, રેલવેમાં એક સ્ટેશન-એક ઉત્પાદનની વિભાવના લોકપ્રિય બનાવવામાં આવશે, જેથી સ્થાનિક વેપારવાણિજ્ય અને પુરવઠાની સાંકળને મદદ મળશે. ઉપરાંત આત્મનિર્ભર ભારતના ભાગરૂપે કવચ અંતર્ગત 2,000 કિલોમીટરનું નેટવર્ક લાવવામાં આવશે. કવચ વર્ષ 2022-23માં સલામતી અને ક્ષમતા સંવર્ધન માટે સ્વદેશી વૈશ્વિક કક્ષાની ટેકનોલોજી છે. તેમણે એવી જાણકારી પણ આપી હતી કે, આગામી ત્રણ વર્ષમાં ચારસો (400) અદ્યતન વંદે ભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે, જે પ્રવાસીઓને પ્રવાસનો શ્રેષ્ઠ અનુભવ આપશે અને શ્રેષ્ઠ ઊર્જાદક્ષતા ધરાવતી હશે. સાથે સાથે મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ સુવિધાઓ માટે 100 પીએમ ગતિશક્તિ કાર્ગો ટર્મિનલ સ્થાપિત કરવામાં આવશે.

નાણાં મંત્રીએ કૃષિ ક્ષેત્રનો ઉલ્લેખ કરીને જાણકારી આપી હતી કે, દેશભરમાં રસાયણમુક્ત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે, જે અંતર્ગત પ્રથમ તબક્કામાં ગંગા નદીના કિનારે પાંચ કિલોમીટર પહોળા કોરિડોરમાં સ્થિત ખેડૂતોની જમીન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પાકનું આકલન, જમીનના રેકોર્ડનું ડિજિટલાઇઝેશન તથા કીટનાશકો અને પોષક દ્રવ્યોના છંટકાવ માટે કિસાન ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાણાં મંત્રીએ કહ્યું હતું કે, તેલીબિયાની આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે એક તર્કસંગત અને વ્યાપક યોજના લાગુ કરવામાં આવશે, જેથી દેશમાં તેલીબિયાનું ઉત્પાદન વધી શકે.

Agriculture and food processing.jpg

વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ જાહેર કરવામાં આવ્યું છે એ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે લણણી પછી મૂલ્ય સંવર્ધનની સાથે સ્થાનિક વપરાશને વધારવા, દેશવિદેશમાં બાજરાના ઉત્પાદનોની બ્રાન્ડિંગ કરવા માટે સંપૂર્ણ સાથસહકાર આપવાની જાહેરાત કરી હતી.

શ્રીમતી નિર્મલા સીતારામને કહ્યું હતું કે, રૂ. 44,606 કરોડનો અંદાજિત ખર્ચ ધરાવતી કેન-બેતવા સંપર્ક યોજનાનો અમલ કરવામાં આવશે, જેનો ઉદ્દેશ ખેડૂતોની 9.08 લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધાઓ, 62 લાખ લોકોને પીવાના પાણીનો પુરવઠો પૂરો પાડવાનો, 103 મેગાવોટ જળવિદ્યુત પેદા કરવાનો અને 27 મેગાવોટ સૌર ઊર્જા ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના માટે સંશોધિત અંદાજિત બજેટ વર્ષ 2021-22માં રૂ. 4,300 કરોડ અને વર્ષ 2022-23માં રૂ. 1,400 કરોડ ફાળવવામાં આવ્યું છે. આ ઉપરાંત પાંચ નદીને જોડવા એટલે દમણગંગા-પિંજાલ, પાર-તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણા, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરીના ડીપીઆરની રૂપરેખાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે તેમજ લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ હોવાની સાથે કેન્દ્ર સરકાર એનો અમલ કરવા માટે જરૂરી સહાયતા આપશે.

નાણાં મંત્રીએ આ વાત પર ભાર મૂક્યો હતો કે, ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ઇસીએલજીએસ) 130 લાખથી વધારે એમએસએમઇને અતિ જરૂરી વધારાનું ધિરાણ પ્રદાન કરવામાં આવ્યું છે, જેથી તેમને મહામારીની માઠી અસરોને ઘટાડવામાં મદદ મળશે. જોકે તેમણે ઉમેર્યું હતું કે, ખાસ કરીને સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવતી આતિથ્ય અને સંબંધિત સેવાઓનો કુલ વ્યવસાય હજુ સુધી પોતાના મહામારી પૂર્વેના સ્તર સુધી પહોંચી શક્યો નથી. આ પાસાંઓ પર વિચાર કર્યા પછી ઇસીએલજીએસનો ગાળો માર્ચ, 2023 સુધી વધારવામાં આવશે. તેમણે જાણકારી આપી હતી કે, એનાં ગેરન્ટી કવપરને 50,000 કરોડ રૂપિયાથી વધારીને કુલ 5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવશે. આ અંતર્ગત વધારાની રકમને ખાસ કરીને આતિથ્ય અને સંબંધિત ઉદ્યોગસાહસો માટે ખાસ અંકિત કરવામાં આવે છે.

7. Accelerating Growth of MSME.jpg

એ જ રીતે આવશ્યક નાણાં ઉપલબ્ધ કરાવીને સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગસાહસો માટે ઋણ ગેરન્ટી ટ્રસ્ટ (સીજીટીએમએસઇ) યોજનામાં સુધારાવધારા કરવામાં આવશે. એનાથી સૂક્ષ્મ અને લઘુ ઉદ્યોગસાહસોને 2 લાખ કરોડ રૂપિયા સુધી વધારાનું ઋણ સુલભ થશે અને રોજગારીની તકો વધશે. તેમણે જણાવ્યુ હતું કે, આગામી પાંચ વર્ષોમાં 6000 કરોડ રૂપિયાના ખર્ચ સાથે એમએસએમઇની કામગીરી વધારવા અને વેગ આપવા (આરએએમપી-રેમ્પ) કાર્યક્રમ શરૂ કરવામાં આવશે, જેથી એમએસએમઇ ક્ષેત્રને વધારે મજબૂત, સ્પર્ધાત્મક અને પ્રભાવશાળી બનાવી શકાય.

ઉદ્યમ, ઈ-શ્રમ, એનસીએસ અને અસીમ પોર્ટલોને પરસ્પર જોડવામાં આવશે અને તેમની કામગીરી વધારવામાં આવશે.

કૌશલ્ય વિકાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ વિષય પર વિસ્તારપૂર્વક જાણકારી આપતા નાણાં મંત્રીએ કહ્યું હતું કે, વિવિધ ઉપયોગિતાઓ દ્વારા ડ્રોન શક્તિને સુવિધાજનક બનાવવાની સાથેસાથે એક સેવા સ્વરૂપે ડ્રોન (ડીઆરએએએસ) માટે સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવશે. તમામ રાજ્યોમાં સ્થિત પસંદગીની આઇટીઆઈમાં કૌશલ્ય વધારવા માટે જરૂરી અભ્યાસક્રમ શરૂ કરવામાં આવશે. વ્યવસાયિક અભ્યાસક્રમોમાં જરૂરી ચિંતન-મનનને પ્રોત્સાહન આપવા જરૂરી કૌશલ્યને પ્રોત્સાહન આપવા, રચનાત્મકતાની ગુંજાશ માટે વિજ્ઞાન અને ગણતિમાં 750 વર્ચ્ચુઅલ પ્રયોગશાળાઓ અને વિકસિત શૈક્ષણિક વાતાવરણ માટે 75 કૌશલ્ય ઇ-લેબ વર્ષ 2022-23માં સ્થાપિત કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, મહામારીને કારણે શાળાઓ બંધ કરી દેવાથી, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના બાળકો અને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ તેમજ અન્ય પછાત વર્ગોના બાળકોને લગભગ 2 વર્ષનાં ઔપચારિક શિક્ષણનું નુકસાન થયું છે. તેમાં વધારે બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. નાણાં મંત્રીએ જાણકારી આપી હતી કે, આ બાબતને ધ્યાનમાં રાખીને પીએમ ઇ-વિદ્યાના એક વર્ગ-એક ટીવી ચેનલ કાર્યક્રમનો વિસ્તાર 12 ટીવી ચેનલોથી વધારીને 200 ટીવી ચેનલ સુધી કરવામાં આવશે અને એનાથી તમામ રાજ્ય ધોરણ 1થી ધોરણ 12 સુધી પ્રાદેશિક ભાષાઓમાં પૂરક શિક્ષણ પ્રદાન કરવામાં સક્ષમ બની જશે.

દેશભરના વિદ્યાર્થીઓને તેમના ઘરઆંગણે વ્યક્તિગત રીતે સુવિધા પ્રદાન કરવા ઉદ્દેશ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાયુક્ત સર્વસુલભ શિક્ષણ આપવા માટે એક ડિજિટલ વિશ્વવિદ્યાલય સ્થાપિત કરવામાં આવશે. આ વિવિધ ભારતીય ભાષાઓ અને આઇસીટી સ્વરૂપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ વિશ્વવિદ્યાલવય નેટવર્ક આધારિત હબ-સ્પોક મોડલ પર બનાવવામાં આવશે, જેમાં આ કેન્દ્રનું મકાન અદ્યતન આઇસીટી વિશેષતા સાથે સંપન્ન હશે. દેશની શ્રેષ્ઠ સરકારી વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓ હબ-સ્પોક નેટવર્ક સ્વરૂપે સહયોગ આપશે.

 

4. Education.jpg

 

આયુષ્માન ભારત ડિજિટલ અભિયાન અંતર્ગત નેશનલ ડિજિટલ હેલ્થ ઇકોસિસ્ટમ માટે એક ઓપન પ્લેટફોર્મ શરૂ કરવામાં આવશે. તેમાં ચિકિત્સાકર્મીઓ અને સ્વાસ્થ્ય સુવિધાઓ, વિશિષ્ટ સ્વાસ્થ્ય ઓળખ, સંમતિ માળખું અને તમામ માટે સ્વાસ્થ્યલક્ષી સુવિધાઓ ઉપલબ્ધતાને ડિજિટલ સ્વરૂપનો દરજ્જો આપવામાં આવશે.

નાણાં મંત્રીએ કહ્યું હતું કે, આ મહામારીએ તમામ ઉંમરના વર્ગના લોકોમાં માનસિક સ્વાસ્થ્યની સમસ્યામાં વધારો કર્યો છે. ગુણવતત્તાયુક્ત માનસિક સ્વાસ્થ્ય સલાહ અને દેખભાળ સેવાઓ સુધી શ્રેષ્ઠ પહોંચ સ્થાપિત કરવા માટે એક નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે. એમાં 23 ઉત્કૃષ્ટ ટેલીમેન્ટલ હેલ્થ સેન્ટરનું એક નેટવર્ક હશે, જેમાં એનઆઇએમએચએએનએસ એક નોડલ સેન્ટર સ્વરૂપે કામ કરશે અને ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી – બેંગલોર (આઇઆઇઆઇટીબી) ટેકનિકલ સહાયતા પ્રદાન કરશે.

 

HEALTH_M1.jpg

 

શ્રીમતી નિર્મલા સીતારમણે હર ઘર, નલ સે જલ માટે વર્ષ 2022-23માં 3.8 કરોડ પરિવારોને આવરી લેવા માટે રૂ. 60,000 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. અત્યારે 8.7 કરોડ પરિવારોને સામેલ કરવામાં આવ્યાં છે અને તેમાંથી 5.5 કરોડ પરિવારોને છેલ્લાં 2 વર્ષોમાં નળનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે.

આ જ પ્રકારે વર્ષ 2022-23માં ગ્રામીણ અને શહેરી, બંને વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઓળખ કરાયેલા અને લાયકાત ધરાવતા લાભાર્થીઓ માટે 80 લાખ મકાન બનાવવામાં આવશે. આ માટે 48,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ઉત્તર-પૂર્વ પરિષદના માધ્યમથી ઉત્તરપૂર્વ પ્રધાનમંત્રી વિકાસ પહેલ નામની એક યોજના શરૂ કરવામાં આવશે. આ પીએમ ગતિશક્તિની ભાવનાને અનુરૂપ ઉત્તર-પૂર્વની જરૂરિયાતો મુજબ, માળખાગત સુવિધાઓ અને સામાજિક વિકાસની યોજનાઓ માટે ફંડ પૂરું પાડવામાં આવશે. આ માટે 1,500 કરોડ રૂપિયાની પ્રારંભિક ફાળવણી કરવામાં આવશે, જે વિવિધ ક્ષેત્રોમાં ખામીઓની ભરપાઈ કરીને યુવાનો અને મહિલાઓ માટે આજીવિકા સાથે જોડાયેલી કામગીરીઓ હાથ ધરવામાં આવશે.

17. PM's Development Initiative for North East Region (PM-DevINE).jpg

વર્ષ 2022માં 100 ટકા 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં કોર બેંકિંગ વ્યવસ્થા શરૂ થઈ જશે, જેથી નાણાકીય સર્વસમાવેશકતા શક્ય બનશે અને 11 નેટ બેંકિંગ, મોબાઇલ બેંકિંગ, એટીએમના માધ્યમથી પોતાના ખાતાને જોઈ શકાશે અને પોસ્ટ ઓફિસના ખાતામાંથી બેંક ખાતા વચ્ચે ઓનલાઇન નાણાં હસ્તાંતરણની સુવિધા પણ પ્રદાન કરવામાં આવશે. ખાસ કરીને આનાથી ગ્રામીણ વિસ્તારમાં રહેતા ખેડૂતો અને વરિષ્ઠ નાગરિકોને આંતરકાર્યક્ષમતા અને નાણાકીય સર્વસમાવેશકતા માટે સક્ષમ બનાવશે.

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવા માટે સરકારે અનુસૂચિત વાણિજ્યિક બેંકો દ્વારા દેશના 75 જિલ્લાઓમાં 75 ડિજિટલ બેંકિંગ યુનિટોની સ્થાપનાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે, ઉપભોક્તા અનુકૂળ રીતે દેશના તમામ વિસ્તારો સુધી ડિજિટલ બેંકિંગની પહોંચ સ્થાપિત થાય.

નાગરિકો અને તેમની વિદેશ સફરમાં સરળતા વધારવાના ઉદ્દેશ સાથે વર્ષ 2022-23માં એમ્બેડેડ ચિપ તથા ભવિષ્યની ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ-પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં આવશે.

 

Productivity enhancement and investment (Ease of Doing Business 2.0)_M2.jpg

નાણાં મંત્રીએ જાહેરાત કરી હતી કે, શહેરી આયોજન અને ડિઝાઇનમાં ભારતનું વિશિષ્ટ જ્ઞાન વિકસાવવા અને આ ક્ષેત્રોમાં પ્રમાણભૂત તાલીમ પ્રદાન કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં હાલ પાંચ શૈક્ષણિક સંસ્થાઓને ઉત્કૃષ્ટતાના કેન્દ્રો સ્વરૂપે નિયુક્ત કરવામાં આવશે. આ દરેક કેન્દ્રને રૂ. 250 કરોડનું એન્ડોવમેન્ટ ફંડ આપવામાં આવશે.

એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક (એવીજીસી) ક્ષેત્ર યુવાનો માટે રોજગારીની મોટી સંભાવના પ્રદાન કરે છે. એક એવીજીસી સંવર્ધન ટાસ્ક ફોર્સ તમામ હિતધારકોની સાથે એને સાકાર કરવા અને આપણા બજારો અને વૈશ્વિક માંગને પૂરી કરવા માટે સ્થાનિક ક્ષમતા નિર્માણ માટેની રીતોની ભલામણ કરવા સ્થાપિત કરવામાં આવશે.

Productivity enhancement and investment (Ease of Doing Business 2.0)_M1.jpg

શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે દૂરસંચાર અને ખાસ કરીને 5જી ટેકનોલોજી ટેકનોલોજી, પ્રગતિ અને રોજગારીની તકો પ્રદાન કરવામાં સમર્થન બનાવી શકે છે. તેમણે જાણકારી આપી હતી કે, ખાનગી દૂરસંચાર સેવા પ્રદાતાઓ દ્વારા 2022-23ની અંદર 5જી મોબાઇલ સેવાઓની શરૂઆતને સરળ બનાવવા માટે 2022માં અપેક્ષિત સ્પેક્ટ્રમની હરાજીઓને હાથ ધરવામાં આવશે. ડિઝાઇન આધારિત ઉત્પાદન માટે એક યોજના ઉત્પાદન સાથે સંલગ્ન પ્રોત્સાહન યોજનાના ભાગ સ્વરૂપે 5જી માટે એક મજબૂત વ્યવસ્થા બનાવવા માટે શરૂઆત કરવામાં આવશે.

સંરક્ષણ ક્ષેત્રના મોરચે આપણી સરકાર આયાતને ઘટાડવા અને કટિબદ્ધ છે અને સૈન્ય દળો માટે ઉપકરણમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. મૂડીગત ખરીદી બજેટ 2021-22માં 58 ટકાથી વધારીને વર્ષ 2022-23માં સ્થાનિક ઉદ્યોગ માટે 68 ટકા સુધી બજેટની જોગવાઈ કરવામાં આવશે. સંરક્ષણ ક્ષેત્રમાં સંશોધન અને વિકાસ (આરએન્ડડી) બજેટનો 25 ટકા હિસ્સો ઉદ્યોગ, સ્ટાર્ટઅપ્સ અને શિક્ષા જગત માટે ખોલવામાં આવશે.

નવી વિકસતી તકોના સંદર્ભમાં નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જીયોસ્પેટિઅલ સિસ્ટમ્સ અને ડ્રોન્સ, સેમિકંડક્ટર અને એની વ્યવસ્થા, અંતરિક્ષ અર્થતંત્ર, જેનોમિક્સ અને ફાર્માસ્યુટિકલ્સ, ગ્રીન એનર્જી (પર્યાવરણ અનુકૂળ ઊર્જા) અને અવરજવરની સ્વચ્છ વ્યવસ્થાઓ મોટા પાયા પર વિકાસમાં સહાયતા કરવા અને દેશને આધુનિક બનાવવામાં વ્યાપક સંભાવના ધરાવે છે. આ યુવાનો માટે રોજગારી પ્રદાન કરે છે અને ભારતીય ઉદ્યોગજગતને વધારે પ્રભાવશાળી અને સ્પર્ધાત્મક બનાવે છે.

વર્ષ 2030 સુધી સંસ્થાપિત સૌર ક્ષમતા 280 ગીગાવોટના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક માટે સ્થાનિક ઉત્પાદનની સુવિધા પ્રદાન કરવા માટે સૌર પીવી મોડ્યુલ્સ માટે પોલીસિલિકોનથી સંપૂર્ણ કાર્યદક્ષ ઉત્પાદન એકમો માટે પ્રાથમિકતા સાથે ઉચ્ચ અસરકારક મોડ્યુલોના ઉત્પાદન સાથે જોડાયેલા પ્રોત્સાહન આપવા 19,500 કરોડ રૂપિયાની વધારાની ફાળવણી કરવામાં આવશે.

Transition to Carbon Neutral.jpg

 

 

નાણાં મંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, સરકારી રોકાણને આગળ વધારવાની જરૂર છે અને વર્ષ 2022-23માં ખાનગી રોકાણ અને માંગને વધારવાની પણ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એક વાર ફરી કેન્દ્રીય બજેટમાં મૂડીગત ખર્ચમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અત્યારે આ ચાલુ વર્ષમાં 5.54 લાખ કરોડ રૂપિયા છે, જેમાં 35.4 ટકા વધારો કરીને વર્ષ 2022-23માં 7.5 લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે. આ નાણાકીય વર્ષ 2019-20માં ખર્ચથી 2.2 ગણાથી પણ વધારે છે અને વર્ષ 2022-23માં આ ખર્ચ જીડીપીના 2.9 ટકા હશે. આ રોકાણની સાથે કેન્દ્ર સરકારનો અસરકારક મૂડીગત ખર્ચ અંદાજે 10.68 લાખ કરોડ રૂપિયા થઈ જશે, જે જીડીપીના લગભગ 4.1 ટકા હશે.

વર્ષ 2022-23માં સરકાર દ્વારા લેવામાં આવનાર તમામ પ્રકારના બજાર ઋણના ક્રમમાં સોવેરિયન ગ્રીન બોન્ડ ઇશ્યૂ કરવામાં આવશે, જેમાંથી પર્યાવરણને અનુકૂળ માળખાગત સુવિધા ઊભી કરવામાં આવશે. તેમાંથી પ્રાપ્ત નાણાંને સરકારી ક્ષેત્રની એવી યોજનાઓમાં લગાવવામાં આવશે, જે અર્થતંત્રમાં કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સહાયક હોય.

સરકારે બ્લોક ચેન અને અન્ય ટેકનોલોજીના ઉપયોગથી ડિજિટલ રૂપિયાની શરૂઆત કરવાની દરખાસ્ત રજૂ કરી છે, જેને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇશ્યૂ કરવામાં આવશે અને તેની શરૂઆત વર્ષ 2022-23થી થશે.

 

Central Bank Digital Currency.jpg

 

 

સહકારી સંઘવાદની સાચી ભાવનાને જાહેર કરીને કેન્દ્ર સરકારે રાજ્યોને નાણાકીય સહાયતા માટે મૂડીરોકાણ યોજનાના ખર્ચને 10,000 કરોડ રૂપિયાથી વધારીને ચાલુ વર્ષના સંશોધિત અંદાજમાં 15,000 કરોડ રૂપિયા કરી દીધી છે. આ ઉપરાંત વર્ષ 2022-23 માટે અર્થતંત્રમાં તમામ રોકાણને પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે રાજ્યોની મદદ કરવા માટે 1 લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. આ 50 વર્ષ માટે વ્યાજમુક્ત ઋણ રાજ્યોને આપવામાં આવતા સામાન્ય ઋણ ઉપરાંતનું છે. આ પ્રકારની ફાળવણીનો ઉપયોગ પીએમ ગતિશક્તિ સાથે જોડાયેલા રોકાણો અને રાજ્યોની અન્ય ઉત્પાદક મૂડી રોકાણમાં કરવામાં આવશે.

શ્રીમતી નિર્મલા સીતારમણે એવી જાહેરાત પણ કરી હતી કે, વર્ષ 2022-23માં 15માં નાણાકીય પંચની ભલામણો અનુસાર રાજ્યોને જીએસડીપીના 4 ટકા સુધી રાજકોષીય ખાધની છૂટ આપશે, જેમાંથી 0.5 ટકા વીજળી ક્ષેત્રમાં સુધારા સાથે સંબંધિત હશે આ શરતો વિશે વર્ષ 2021-22માં જ જાણકારી આપવામાં આવી છે.

 

13. Providing Greater Fiscal Space to States.jpg

 

પોતાના બજેટ ભાષણના ભાગ એને પૂરો કરતાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં સંશોધિત રાજકોષીય ખાધ જીડીપીનાની અંદાજે 6.9 ટકા રહી છે, જ્યારે બજેટમાં અઆનો અંદાજ 6.8 ટકા છે. વર્ષ 2022-23માં રાજકોષીય ખાધ જીડીપીની અંદાજે 6.4 ટકા છે, જે રાજકોષીય મજબૂતીના એ માર્ગને અનરૂપ પણ છે, જેની ગયા વર્ષે જાહેરાત કરવામાં આવી હતી કે, વર્ષ 2025-26 સુધી રાજકોષીય ખાધને 4.5 ટકાના નીચલા સ્તરે લઈ જવામાં આવશે. વર્ષ 2022-23ની રાજકોષીય ખાધના સ્તરને નિર્ધારિત કરવાના સમયે તેમણે મજબૂતી અને ટકાઉપણા માટે સરકારી રોકઆણના માધ્યમથી પ્રગતિને વેગ આપવાની, પ્રોત્સાહન આપવાની અને તેને જાળવી રાખવાની અપીલ કરી હતી.

 

Trends-in-Deficit-English.jpg

 

જ્યારે યુનિયન બજેટ 2022-23માં દરખાસ્તનો અભિપ્રાય સ્થિર અને અંદાજિત કરવેરાની વ્યવસ્થાને આપણી જાહેર નીતિને જાળવી રાખીને અને એમાં વધુ સુધારા કરવાનો છે, જે એક વિશ્વસનિય કર વ્યવસ્થા સ્થાપિત કરવાની આપણી સંકલ્પનાને આગળ વધારી શકે. શ્રીમતી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ કરવેરાની વ્યવસ્થા વધારે સરળ બનવાશે, કરદાતાઓનાં સ્વૈચ્છિક પાલન માટે પ્રોત્સાહન આપશે અને કાયદાકીય કેસોમાં ઘટાડો કરશે.

પ્રત્યક્ષ કરવેરાના મોરચે બજેટમાં કરદાતાઓને ખામીઓ સુધારવા માટે 2 વર્ષની અંદર આવકવેરાનું અપડેટ કરેલું રિટર્ન ભરવાની સુવિધા આપવામાં આવી છે. આ દિવ્યાંગજનોને પણ કરવેરામાં રાહત પ્રદાન કરે છે. બજેટમાં વૈકલ્પિક લઘુતમ કરવેરાના દર અને સહકારી મંડળીઓ માટે સરચાર્જમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે. સ્ટાર્ટઅપ્સ માટે પ્રોત્સાહન આપવા માટે લાયકાત ધરાવતા સ્ટાર્ટઅપ્સની રચનાના ગાળાને વધુ એક વર્ષ લંબાવવામાં આવ્યો છે. બજેટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓની સાથે રાજ્ય સરકારના કર્મચારીઓ વચ્ચે સમાનતા લાવવાના ઉદ્દેશ સાથે એનપીએસ ખાતામાં કંપનીના યોગદાન પર કરમુક્તિની મર્યાદા વધારવાની પણ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નવા ઉત્પાદન એકમોને પણ છૂટછાટની કરવેરા વ્યવસ્થા અંતર્ગત પ્રોત્સાહન આપવામાં આવશે. વર્ચ્યુઅલ સંપત્તિના હસ્તાંતરણમાંથી આવક પર 30 ટકા કરવેરો લાગુ થશે. બજેટમાં વારંવાર અપીલથી બચવા માટે શ્રેષ્ઠ કાયદાકીય વ્યવસ્થા સ્થાપિત કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

 

Tax Proposals 2.jpg

 

પરોક્ષ કરવેરાની બાબતમાં યુનિયન બજેટ અનુસાર વિશેષ આર્થિક ક્ષેત્રોમાં કસ્ટમ વેરાનો વહીવટ સંપૂર્ણપણે આઇટી સક્ષમ બનાવવામાં આવશે. આ મૂડીગત ચીજવસ્તુઓ અને પ્રોજેક્ટલક્ષી આયાતોમાં છૂટછાટના દરો તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે અને 7.5 ટકાના સાધારણ વેરો લાગુ થશે. બજેટમાં કસ્ટમમાં છૂટછાટ અને કરવેરાના માળખાનું સરળીકરણ કરવાની સમીક્ષાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેમાં 350થી વધારે છૂટછાટોને તબક્કાવાર રીતે દૂર કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. બજેટમાં કસ્ટમ ડ્યુટીના દરોને સ્થાનિક ઇલેક્ટ્રોનિક ઉત્પાદનને સુવિધા પ્રદાન કરવા માટે એક ક્રમબદ્ધ રીતે તૈયાર કરવામાં આવશે. ભારતમાં નિર્મિત કૃષિ ક્ષેત્ર માટે અમલીકરણ અને ઉપકરણો પર છૂટછાટને તર્કસંગત બનાવવામાં આવશે. સ્ટીલ સ્ક્રેપ માટે કસ્ટમ ડ્યુટીને વધારવામાં આવશે. મિશ્રણ રહિત ઇંધણ પર વધારાનો ઉત્પાદન વેરો લાગુ થશે.

આ બજેટમાં એક નવી જોગવાઈ કરીને વધારાના કરવેરાની ચુકવણી કરીને અપડેટે કરેલું રિટર્ન ભરવા માટે કરદાતાઓને સુવિધા પ્રદાન કરે છે. આ અપડેટ કરેલું રિટર્ન પ્રસ્તુત આકારણી વર્ષના અંતથી બે વર્ષની અંદર ફાઇલ કરી શકાશે. શ્રીમતી સીતારમણે કહ્યું હતું કે, આ દરખાસ્ત સાથે કરદાતાઓમાં ભરોસો જાગશે, જેથી કરદાતાઓ અગાઉ રિટર્ન ભરતી વેળાએ દર્શાવવાનું ભૂલી ગયા હોય એવી આવક જાહેર કરવા સક્ષમ બનશે. આ કરવેરાના સ્વૈચ્છિક પાલનની દિશામાં એક એક સકારાત્મક પગલું છે.

સહકારી મંડળીઓ અને કંપનીઓ વચ્ચે સમાનતા લાવવા માટે આ બજેટમાં સહકારી મંડળીઓ માટે વૈકલ્પિક લઘુતમ કરવેરાના દરને ઘટાડીને 15 ટકા કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નાણાં મંત્રીએ આ પ્રકારની સહકારી મંડળીઓ પર સરચાર્જને હાલ 12 ટકાથી ઘટાડીને 7 ટકા કરવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમની કુલ આવક રૂ. 1 કરોડથી વધારે અને રૂ. 10 કરોડ સુધી હોય.

નાણાં મંત્રીએ કહ્યું કે દિવ્યાંગ વ્યક્તિના માતાપિતા કે સંરક્ષણ આવી વ્યક્તિ માટે વીમાની યોજના લઈ શકે છે. હાલ કાયદામાં માતાપિતા કે સંરક્ષકને કરમુક્તિનો લાભ તો જ મળે છે, જો દિવ્યાંગ વ્યક્તિ માટે વીમો ઉતારવનાર માતાપિતા કે સંરક્ષકનું મૃત્યુ થવાથી લમ્પ-સમ રકમ કે એન્યૂઇટીની સુવિધા ઉપલબ્ધ થાય છે. આ બજેટમાં માતાપિતા/સંરક્ષકના જીવનકાળ દરમિયાન પણ એટલે કે માતાપિતા/સંરક્ષકની ઉંમર 60 વર્ષ થવા પર એન્યૂઇટી અને લમ્પસમ રકમની ચુકવણી કરવાની મંજૂરી આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય પેન્શન વ્યવસ્થા (એનપીએસ) ટિઅર-1માં પોતાના કર્મચારીઓના પગારમાં 14 ટકાના યોગદાનને સ્વીકારે છે. આને કર્મચારીની આવકની ગણતરી કરવામાં કરમુક્તિ સ્વરૂપે સ્વીકારવામાં આવી છે. જોકે રાજ્ય સરકારના કર્મચારીઓની બાબતમાં આ પ્રકારની કરમુક્તિને પગારના 10 ટકાની હદ સુધી સ્વીકૃતિ આપવામાં આવી છે. બજેટમાં કેન્દ્ર અને રાજ્ય એમ બંને સરકારોના કર્મચારીઓ પ્રત્યે સમાન વ્યવહાર કરવા માટે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ એનપીએસના ખાતામાં કંપનીના પ્રદાન પર કરમુક્તિની મર્યાદા 10 ટકાથી વધારીને 14 ટકા રાખવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

31.03.2022 અગાઉ સ્થાપિત અને લાયકાત ધરાવતા સ્ટાર્ટઅપ્સને સ્થાપનાના દસ વર્ષોમાંથી સતત ત્રણ વર્ષો માટે કર પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને બજેટમાં કરવેરાનું પ્રોત્સાહન આપવા માટે લાયકાત ધરાવતા સ્ટાર્ટઅપ્સની રચનાનો ગાળો વધુ એક વર્ષ એટલે કે 31.03.2023 સુધી લંબાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

સ્થાનિક કંપનીઓ માટે વૈશ્વિક સ્વરૂપે સ્પર્ધાત્મક વેપારવાણિજ્યના વાતાવરણમાં અગ્રેસર કરવા માટે સરકાર દ્વારા નવરચિત સ્થાનિક ઉત્પાદક કંપનીઓ માટે 15 ટકાની કરવેરાની છૂટછાટની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. યુનિયન બજેટમાં કલમ 115બીએબી અંતર્ગત ઉત્પાદનની શરૂઆત કરવાની અંતિમ તારીખ એક વર્ષ એટલે કે 31 માર્ચ, 2023થી 31 માર્ચ, 2024 સુધી લંબાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓમાં હસ્તાંતરણમાં કરવેરા માટે અસાધારણ વધારો થયો છે. આ હસ્તાંતરણોના પરિમાણ અને વારંવારતાને કારણે આ જરૂરી થઈ ગયું છ કે, આ માટે વિશિષ્ટ કરવેરા વ્યવસ્થા ઊભી કરવામાં આવે. એને અનુરૂપ વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓની કરવેરા વ્યવસ્થા માટે બજેટમાં વિશિષ્ટ કરવેરા વ્યવસ્થાની પેટાજોગવાઈ કરવામાં આવી છે. આ માટે કોઈ પણ વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિના હસ્તાંતરણથી થતી કોઈ પણ આવક પર 30 ટકાના દરે કરવેરો લેવામાં આવશે. અધિગ્રહણના ખર્ચ સિવાય આ પ્રકારની આવકનું આકલન કરતા સમયે કોઈ પણ ખર્ચ કે ભથ્થાનાં સંદર્ભમાં કોઈ પણ પ્રકારના કાપની છૂટ આપવામાં નહીં આવે. આ ઉપરાંત વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિના હસ્તાંતરણથી થયેલા નુકસાન કોઈ અન્ય આવક સામે સરભર કરવામાં નહીં આવે. વળી હસ્તાંતરણની વિગતો મેળવવા માટે વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિના હસ્તાંતરણના સંબંધમાં થયેલી ચુકવણી પર ઉપરોક્ત નાણાકીય મર્યાદાનો વિચાર કરીને 1 ટકાના દરે ટીડીએસ લેવાની દરખાસ્ત  રજૂ કરવામાં આવી છે. વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિની ભેટ સ્વીકારતા પ્રાપ્યકર્તાને કરવેરો ચુકવવો પડશે.

કેસનો ત્વરિત નિકાલ કરવાની નીતિને આગળ વધારીને બજેટમાં આ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે, જો કોઈ કરદાતાના કેસમાં કાયદાનો એક પ્રશ્ર, કોઈ પણ કેસમાં અધિકાર ધરાવતી હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ સમક્ષ લંબિત કાયદાના પ્રશ્ર સાથે સંબંધિત છે, તો વિભાગ દ્વારા આ નિર્ધારિત કેસમાં આગળ અપીલ દાખલ કરવી ત્યાં સુધી અટકાવી દેવામાં આવશે, જ્યાં સુધી આ પ્રકારના કાયદાના પ્રશ્ર પર અધિકાર ધરાવતી હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ ચુકાદો ન આપે.

બજેટમાં એવો પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો છે કે, વિદેશમાં ડેરિવેટિવ માધ્યમમાંથી વિદેશમાં રહેતા બિનરહેવાસીની આવક કે વિદેશી બેંકિંગ યુનિટ દ્વારા ઇશ્યૂ થયેલા ઓવર ધ કાઉન્ટર ડેરિવેટિવની આવક રૉયલ્ટીની આવક અને જહાજને ભાડાપટ્ટા પર આપવાના વ્યાજ અને આઇએફએસસીમાં પોર્ટફોલિયો મેનેજમેન્ટ સેવાઓમાંથી પ્રાપ્ત આવક, વિશિષ્ટ શરતોને આધિન કરમુક્ત હશે.

બજેટમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, વેપારવાણિજ્યના ખર્ચ સ્વરૂપે આવક અને લાભો પર કોઈ વેરો નહીં લેવામાં આવે.

કરવેરાની ચુકવણી ન કરતા લોકોના સંબંધમાં નાણાં મંત્રીએ પ્રસ્તાવ રજૂ કર્યો છે કે, તપાસ કે દરોડા અભિયાન દરમિયાન કોઈ જાહેર કરેલી આવક વિશે જાણકારી મળશે તો તેને કોઈ પણ પ્રકારના નુકસાન કે નુકસાની સ્વરૂપે માન્યતા નહીં આપવામાં આવે.

બજેટ મુજબ, વિશેષ આર્થિક ક્ષેત્રોના કસ્ટમ વહીવટમાં સુધારા હાથ ધરવામાં આવશે અને આ સંપૂર્ણપણે આઇટી સંચાલિત હશે અને જોખમ આધારિત તપાસ સાથે વધારે સુવિધા પર ધ્યાન આપવાની સાથે આ કસ્ટમ નેશનલ પોર્ટલ પર સંચાલિત હશે. આ સુધારો 30 સપ્ટેમ્બર, 2022થી અમલમાં આવશે.

બજેટમાં મૂડીગત ચીજવસ્તુઓ અને પ્રોજેક્ટ આયાતોમાં છૂટછાટના દરોને તબક્કાવાર રીતે દૂર કરવાની તથા 7.5 ટકાનો મધ્યમ વેરો લગાવવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. દેશની અંદર ઉત્પાદન ન થતી હોય એવી અદ્યતન મશીનરીઓ માટે ચોક્કસ પ્રકારની છૂટછાટો જળવાઈ રહેશે. કાચા માલ પર થોડી કરમુક્તિ પ્રસ્તુત કરવામાં આવી છે, જેમાં સ્પેશ્યલાઇઝ કાસ્ટિંગ, બોલ સ્ક્રૂ અને લિનીયર મોશન ગાઇડ સામેલ છે, જેથી મૂડીગત ચીજવસ્તુઓના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળે.

 

350થી વધારે કરમુક્તિઓને તબક્કાવાર રીતે દૂર કરવામાં આવશે. એમાં ચોક્ક્સ કૃષિ ઉત્પાદન, રસાયણો, ફેબ્રિક્સ, તબીબી ઉપકરણો તથા દવાઓ અને ઔષધિઓ સામેલ છે, જે હાલની સ્થાનિક માગને પૂર્ણ કરવાની પર્યાપ્ત ક્ષમતા ધરાવે છે. ઉપરાંત છૂટછાટનાં કેટલાંક દરોને વિવિધ જાહેરનામા દ્વારા સૂચિત કરવાને બદલે કસ્ટમ્સ ટેરિફના શીડ્યુલમાં સામેલ કરવામાં આવ્યાં છે.

 

ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં ધારણ કરી શકાય એવા ઉપકરણો, સાંભળી શકાય એવા ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક સ્માર્ટ મીટરના સ્થાનિ ઉત્પાદનની સુવિધા આપવા ગ્રેડેડ દરનું માળખું પ્રદાન કરવા કસ્ટમ ડ્યુટીના વિવિધ દર વધારવામાં આવ્યાં છે. મોબાઇલ ફોનના ચાર્જર્સના ટ્રાન્સફોર્મરના ભાગો તથા મોબાઇલ કેમેરા મોડ્યુલના કેમેરા લેન્સ અને અન્ય ચોક્કસ ચીજવસ્તુઓને ડ્યુટીમાં છૂટછાટ પણ આપવામાં આવી છે.

 

જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રને પ્રોત્સાહન આપવા કટ અને પોલિશ કરેલા ડાયમન્ડ તથા કિંમતી રત્નો પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. ઇ-કોમર્સ દ્વારા જ્વેલરીની નિકાસને વેગ આપવા સરળ નિયમનકારી માળખાનો અમલ ચાલુ વર્ષે જૂન સુધીમાં થશે. ઓછું મૂલ્ય ધરાવતી ઇમિટેશન જ્વેલરીની આયાતને મર્યાદિત કરવા ઇમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી એ રીતે સૂચિત કરવામાં આવી છે કે, એની આયાત પર કિલોગ્રામ દીઠ ઓછામાં ઓછા રૂ. 400ની ડ્યુટી ચુકવવામાં આવે.

 

જ્યારે ચોક્કસ મહત્વપૂર્ણ રસાયણો, જેમ કે મિથેનોલ, એસિટિક એસિડ અને પેટ્રોલિયમ રિફાઇનિંગ માટે ભારે ફીડ સ્ટોક પર કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી છે, ત્યારે સોડિયમ સાયનાઇડ પર ડ્યુટી વધારવામાં આવી છે, જે હાલની સ્થાનિક ક્ષમતા માટે પર્યાપ્ત છે.

 

છત્રીઓ પર વેરાને વધારીને 20 ટકા કરવામાં આવ્યો છે. છત્રીઓના વિવિધ ભાગોને કરમુક્તિ પાછી ખેંચવામાં આવી છે. કૃષિ ક્ષેત્ર માટે ભારતમાં ઉત્પાદન થતાં હોય એવા ઉપકરણો અને સાધનસામગ્રીઓ પર કરમુક્તિને તર્કબદ્ધ પણ કરવામાં આવી છે. ગયા વર્ષે સ્ટીલના સ્ક્રેપ કે ભંગારને કસ્ટમ ડ્યુટી (આબકારી જકાત)માંથી છૂટ આપવામાં આવી હતી, જેને વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવી છે. સ્ટેનલેસ સ્ટીલ અને કોટેડ સ્ટીલ ફ્લેટ ઉત્પાદનો, એલોય સ્ટીલના બાર અને હાઈ-સ્પીડ સ્ટીલ પર ચોક્કસ એન્ટિ-ડમ્પિંગ અને સીવીડી દૂર કરવામાં આવી છે.

 

વિવિધ ચીજવસ્તુઓની નિકાસને વેગ આપવા શણગાર માટેની ચીજવસ્તુઓ, ટ્રિમિંગ, ફાસ્નર્સ, બટન, ઝિપર, અસ્તરની સામગ્રી, ચોક્કસ પ્રકારનું ચામડું, ફર્નિચર ફિટિંગ્સ અને પેકેજિંગ બોક્ષ જેવી ચીજવસ્તુઓ પર કરમુક્તિ પ્રદાન કરવામાં આવી છે, જેની જરૂર હસ્તકળા, ટેક્સટાઇલ અને લેધર ગાર્મેન્ટ, લેધર ફૂટવેર અને અન્ય ચીજવસ્તુઓના વાસ્તવિક નિકાસકારોને પડી શકે છે. ઝીંગા માછલીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે ચોક્કસ પ્રકારની કાચી સામગ્રી પર વેરો ઘટાડવામાં આવ્યો છે.

આ સરકારની પ્રાથમિકતા છે – ઇંધણનું મિશ્રણ. ઇંધણના મિશ્રણ માટેના વિવિધ પ્રયાસોને પ્રોત્સાહન આપવા અમિશ્રિત ઇંધણ પર 1 ઓક્ટોબર, 2022થી લિટરદીઠ રૂ. 2ની વધારાનો વિભેદક ઉત્પાદન વેરો લાગશે.

SD/GP/JD

 



(Release ID: 1794472) Visitor Counter : 3574