પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુજરાતમાં કચ્છ ખાતે ગુરૂદ્વારા લખપત સાહિબમાં ગુરૂ પૂરબ ઉજવણી પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 25 DEC 2021 2:52PM by PIB Ahmedabad

વાહે ગુરૂજી કી ખાલસા, વાહે ગુરૂજી કી ફત્તેહ!!!

ગુરૂ પૂરબના આ પવિત્ર કાર્યક્રમમાં અમારી સાથે જોડાયેલા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, ગુજરાત વિધાનસભાના સ્પીકર બહેન નીમા આચાર્યજી, રાષ્ટ્રીય અલ્પ સંખ્યક આયોગના અધ્યક્ષ શ્રીમાન ઈકબાલ સિંહજી, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, લખપત ગુરૂદ્વારા પ્રબંધક સમિતિના પ્રેસિડેન્ટ રાજુભાઈ, શ્રી જગતાલસિંહ ગીલજી, અહીંયા ઉપસ્થિત અન્ય તમામ મહાનુભવો, તમામ લોકપ્રતિનિધિ ગણ અને તમામ શ્રધ્ધાળુ સાથીઓ.

મારૂં એ સૌભાગ્ય છે કે આજના આ પવિત્ર દિવસે મને લખપત સાહિબની આશીર્વાદ લેવાની તક મળી છે. હું આ કૃપા માટે ગુરૂ નાનક દેવજી અને તમામ ગુરૂઓના ચરણોમાં નમન કરૂં છું.

સાથીઓ,

ગુરૂદ્વારા લખપત સાહિબ સમયની તમામ ગતિના સાક્ષી રહ્યા છે. આજે જ્યારે આપણે આ પવિત્ર સ્થળ સાથે જોડાઈ રહ્યા છીએ ત્યારે તો મને યાદ આવે છે કે લખપત સાહિબે કેવા કેવા ઝંઝાવાતો જોયા હતા. એક એવો સમય હતો કે જ્યારે આ સ્થળ અન્ય દેશોમાં જવા માટે, વેપાર માટે, એક મહત્વનું કેન્દ્ર હતું અને એટલા માટે જ તો ગુરૂ નાનક દેવજીના ચરણ અહીંયા પડ્યા હતા. ચોથી ઉદાસી દરમ્યાન ગુરૂ નાનક દેવજી, થોડાક દિવસ માટે અહીંયા રોકાયા હતા, પરંતુ સમય જતાં આ શહેર ઉજ્જડ થઈ ગયું. સમુદ્ર તેને છોડીને ચાલ્યો ગયો. સિંધ દરિયાએ પણ પોતાનું મુખ ફેરવી લીધું. 1988માં દરિયાઈ તોફાનને કારણે આ જગ્યાએ ગુરૂદ્વારા લખપત સાહિબને ઘણું નુકશાન થયું હતું અને વર્ષ 2001ના ભૂકંપને તો કોણ ભૂલી શકે તેમ છે? તે ભૂકંપે તો ગુરૂદ્વારા સાહેબની 200 વર્ષ જૂની ઈમારતને ઘણું નુકશાન કર્યું હતું, તેમ છતાં પણ આજે આપણું ગુરૂદ્વારા લખપત સાહિબ એવા જ ગૌરવ સાથે ઉભુ છે.

મારી તો ઘણી અણમોલ યાદો આ ગુરૂદ્વારા સાથે જોડાયેલી છે. વર્ષ 2001માં ભૂકંપ પછી મને ગુરૂ કૃપાથી મને આ પવિત્ર સ્થળની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મને યાદ છે કે તે સમયે દેશના અલગ અલગ ભાગોમાંથી આવેલા શિલ્પીઓએ આ સ્થળના મૂળ ગૌરવનું રક્ષણ કર્યું હતું. પ્રાચીન લેખન શૈલી વડે અહીંની દિવાલો પર ગુરૂવાણી અંકિત કરવામાં આવી. તે સમયે આ પ્રોજેક્ટનું યુનેસ્કોએ પણ સન્માન કર્યું હતું.

સાથીઓ,

ગુજરાતથી અહીં દિલ્હી આવ્યા પછી પણ મને પોતાના ગુરૂની સતત સેવા કરવાની  તક મળતી રહી છે. વર્ષ 2016-17માં ગુરૂ ગોવિંદ સિંહજીના પ્રકાશ ઉત્સવમાં 350 વર્ષનું પુણ્ય વર્ષ હતું. આપણે તેની સંપૂર્ણ શ્રધ્ધા સાથે દેશ- વિદેશમાં ઉજવણી કરી હતી. વર્ષ 2019માં ગુરૂ નાનક દેવજીના પ્રકાશ પર્વને 550 વર્ષ પૂરા થતાં ભારત સરકાર સંપૂર્ણ ઉત્સાહ સાથે આ આયોજનમાં જોડાઈ હતી અને ગુરૂ નાનક દેવજીનો સંદેશ સમગ્ર દુનિયા સુધી નવી ઊર્જા સાથે પહોંચાડ્યો હતો. આ માટે દરેક સ્તરે પ્રયાસ કરવામાં આવ્યા હતા. દાયકાઓથી જે કરતારપુર સાહિબની પ્રતિક્ષા હતી તેને વર્ષ 2019માં અમારી સરકારે તેનું નિર્માણ કામ પૂરૂ કર્યું અને હવે 2021માં ગુરૂ તેગ બહાદુરજીના પ્રકાશ ઉત્સવના 400 વર્ષ મનાવી રહ્યા છીએ. તમે જરૂર જોયું હશે કે હજુ હમણાં જ આપણે અફઘાનિસ્તાનમાંથી સન્માન સાથે ગુરૂ ગ્રંથ સાહિબની સ્વરૂપો ભારત લાવવામાં સફળ રહ્યા છીએ. ગુરૂ કૃપાથી તેના કરતાં મોટો અનુભવ કયો હોઈ શકે છે !

હજુ થોડાંક જ મહિના પહેલાં જયારે હું અમેરિકા ગયો હતો ત્યારે ત્યાં અમેરિકામાં ભારતની 150થી વધુ ઐતિહાસિક અમાનતો  હતી કે જેને કોઈ ચોરીને લઈ ગયું હતું તે 150 કરતાં વધુ ઐતિહાસિક વસ્તુઓ પરત લાવવામાં આપણે સફળ થયા છીએ. એમાં એક- પેશકબ્જ એટલે કે નાની તલવાર પણ છે, જેની ઉપર ફારસીમાં ગુરૂ ગોવિંદસિંહજીનું નામ લખેલું છે. આનો અર્થ કે તેને પરત લાવવાનું સૌભાગ્ય પણ અમારી સરકારને જ મળ્યું છે.

મને યાદ છે કે જામનગરમાં બે વર્ષ પહેલાં 700 પથારીની એક આધુનિક હોસ્પિટલ બનાવવામાં આવી હતી તે પણ  ગુરૂ ગોવિંદ સિંહજીના નામ પર છે અને હમણાં આપણાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ તેનું વિસ્તારપૂર્વક વર્ણન પણ કરી રહ્યા હતા.

એક રીતે કહીએ તો ગુજરાત માટે એ ગૌરવની વાત છે કે ખાલસા પંથની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવનારા પંજપ્યારામાંથી ચોથા ગુરૂ શીખ ભાઈ મોહકમ સિંહજી પણ ગુજરાતના જ હતા. દેવભૂમિ દ્વારકામાં તેમની સ્મૃતિમાં ગુરૂદ્વારા બેટ દ્વારકા ભાઈ મોહકમ સિંઘની સાધના કરવામાં આવી હતી. મને કહેવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર, લખપત સાહિબ ગુરૂદ્વારા બેટ દ્વારકાના વિકાસ કાર્યોમાં વૃધ્ધિ કરવામાં પણ સંપૂર્ણ  સહયોગ આપી રહી છે, આર્થિક સહયોગ પણ પૂરો પાડી રહી છે.

સાથીઓ,

ગુરૂ નાનક દેવજીએ પોતાના શબ્દોમાં કહ્યું હતું કે-

ગુરૂ પરસાદી રતનુ હરિ લાભૈ,

મિટે અગિયાન હોઈ ઉજિયારા.

આનો અર્થ એવો થાય છે કે ગુરૂ પ્રસાદથી જ હરિ લાભ થાય છે એટલે કે ઈશ્વરની પ્રાપ્તિ થાય છે અને અહમનો નાશ થઈને પ્રકાશ ફેલાતો હોય છે. આપણાં શીખ ગુરૂઓએ ભારતીય સમાજને હંમેશા આ પ્રકાશથી ભરવાનું કામ કર્યું છે. તમે કલ્પના કરો, જ્યારે આપણાં દેશમાં ગુરૂ નાનક દેવજીએ અવતાર લીધો હતો ત્યારે સમાજ તમામ વિપરીત પરિસ્થિતિઓ અને રૂઢિઓ સામે ઝઝૂમી રહ્યો હતો. તે સમયે કેવી સ્થિતિ હતી? બહારના હુમલા અને અત્યાચાર તે સમયે ભારતનું મનોબળ તોડી રહ્યા હતા, તે સમયે જે ભારત વિશ્વને માર્ગદર્શન આપી રહ્યું હતું અને તે ખુદ સંકટમાં હતું. જ્યારે આ પરિસ્થિતિઓને જોઈએ છીએ ત્યારે આપણે વિચારીએ છીએ કે તે સમયે જો ગુરૂ નાનક દેવજીએ પોતાનો પ્રકાશ ફેલાવ્યો ન હોત તો શું થયું હોત? ગુરૂ નાનક દેવજી અને તે સમય પછી આપણાં અલગ અલગ ગુરૂઓએ ભારતની ચેતનાને પ્રજવલ્લિત રાખી જ છે અને ભારતને પણ સુરક્ષિત કરવાનો માર્ગ બતાવ્યો છે. તમે જુઓ, જ્યારે દેશ જાતિવાદ અને મતમતાંતરના નામે કમજોર બની રહ્યો હતો ત્યારે ગુરૂ નાનક દેવજીએ કહ્યું હતું કે-

'જાણહુ જોતિ ન પૂછહુ આતિ,' '

આગે જાત નહે.

આનો અર્થ એવો થાય છે કે તમામ લોકોમાં ભગવાનના પ્રકાશને જુઓ, તેને ઓળખો, કોઈને પણ જાતિ પૂછશો નહીં, કારણ કે જાતિથી કોઈની ઓળખ થતી નથી. જીવન પછીના યાત્રામાં પણ કોઈની કોઈ જાતિ હોતી નથી. એવી જ રીતે ગુરૂ અર્જૂન દેવજીએ સમગ્ર દેશમાં સંતોને સદ્દવિચારમાં પરોવ્યા હતા અને સમગ્ર દેશને એકતાના સૂત્ર સાથે જોડી દીદો હતો.

ગુરૂ હરકિશનજીએ શ્રધ્ધાને ભારતની ઓળખ સાથે જોડી, દિલ્હીના ગુરૂદ્વારા બંગલા સાહિબમાં તેમણે દુઃખી લોકોના રોગ નિવારણ માટે માનવતાનો જે માર્ગ દર્શાવ્યો હતો તે આજે પણ દરેક શિખ અને ભારતવાસી માટે પ્રેરણારૂપ છે.

કોરોનાના કઠીન સમયમાં આપણાં ગુરૂદ્વારાઓએ જે રીતે સેવાની જવાબદારી ઉઠાવી હતી તે ગુરૂ સાહેબની કૃપા અને તેમના આદર્શોનું જ પ્રતિક છે, એટલે કે એક રીતે કહીએ તો ગુરૂએ પોતાના સમયમાં દેશને જેવી જરૂર હતી તેવું નેતૃત્વ પૂરૂ પાડ્યું હતું. આપણી પેઢીઓને માર્ગ દર્શાવ્યો હતો.

સાથીઓ,

આપણાં ગુરૂઓનું યોગદાન માત્ર સમાજ અને અધ્યાત્મ સુધી જ સિમિત ન હતું, પણ આપણું રાષ્ટ્ર, રાષ્ટ્રનું ચિંતન, રાષ્ટ્રની આસ્થા અને અખંડિતતા જો આજે સુરક્ષિત હોય તો તેના મૂળમાં ગુરૂઓની મહાન તપસ્યા છે. તમે જુઓ, ગુરૂ નાનક દેવજીના સમયથી જ જ્યારે વિદેશી આતંકીઓ તલવારના જોરે ભારતની સત્તા અને સંપત્તિ પડાવી લેવામાં લાગ્યા હતા ત્યારે ગુરૂ નાનક દેવજીએ કહ્યું હતું કે-

પાપ કી જઝ લૈ કાબલહુ ધાઈઆ, જોરી મંગે દાનુ વૈ  લાલો.

નો અર્થ એવો થાય છે કે પાપ અને જુલમની તલવાર લઈને બાબર કાબુલથી આવ્યો હતો અને જોરજુલમથી ભારતની હકુમતનું કન્યાદાન માંગી રહ્યો હતો. ગુરૂ નાનક દેવજીની સ્પષ્ટતા હતી, દ્રષ્ટિ હતી, તેમણે એવું પણ કહ્યું હતું કે-

ખુરાસન ખસમાના કીઆ હિંદુસ્તાન ડરાઈઆ.

આનો અર્થ એ થાય છે કે ખુરાસન પર કબજો કર્યા પછી બાબર ભારતને ડરાવી રહ્યો છે. આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે-

એતી માર પઈ કરલાણે તૈ કી દરદુ ન આઈયા.

આનો અર્થ એ થાય છે કે તે સમયે એટલો અત્યાચાર થઈ રહ્યો હતો કે લોકો ચીસો પોકારી રહ્યા હતા. એટલા માટે ગુરૂ નાનક દેવજી પછી આવેલા આપણાં શીખ ગુરૂઓએ દેશ અને ધર્મ માટે પ્રાણની બાજી લગાવી દેવામાં પણ સંકોચ રાખ્યો ન હતો. તે સમયે દેશ ગુરૂ તેગ બહાદુરજીનો 400મો પ્રકાશ ઉત્સવ મનાવી રહ્યો હતો. તેમનું સમગ્ર જીવન પણ 'રાષ્ટ્ર પ્રથમ' ના સંકલ્પનું જ ઉદાહરણ છે. જે રીતે ગુરૂ તેગ બહાદુરજી માનવ જાત પ્રત્યેના પોતાના વિચારોમાં અડગ રહ્યા તે આપણને ભારતના આત્માનું દર્શન કરાવે છે. જે રીતે દેશે તેમને 'હિન્દ કી ચાદર'ની પદવી આપી તે આપણને શીખ પરંપરા તરફ દરેક ભારતવાસીનું જોડાણ બતાવે છે. ઔરંગઝેબની વિરૂધ્ધ ગુરૂ તેગબહાદુરજીના પરાક્રમ અને તેમનું બલિદાન આપણને શિખવે છે કે આતંક અને ધાર્મિક કટ્ટરતા સામે દેશ કેવી રીતે લડતો હતો.

આવી રીતે દસમા ગુરૂ, ગુરૂ ગોવિંદસિંહજી સાહિબ પણ દરેક પગલે તપ અને બલિદાનનું એક જીવતું જાગતું ઉદાહરણ છે. રાષ્ટ્ર માટે, રાષ્ટ્રના મૂળ વિચારો માટે દસમા ગુરૂએ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. તેમના બે સાહિબ જાદા જોરાવર સિંહ અને ફતેહ સિંહને આતંકીઓએ દિવાલમા જીવતા ચણી દીધા હતા, પણ ગુરૂ ગોવિંદ સિંહજીએ પોતાના દેશની આન, બાન અને શાનને ઝૂકવા દીધી ન હતી. ચારેય ચાર સાહિબ જાદાઓના બલિદાનની યાદમાં આપણે આજે પણ શહીદી સપ્તાહ મનાવી રહ્યા છીએ અને તે સમયથી ચાલી આવી રહ્યું છે.

સાથીઓ,

દસમા ગુરૂ પછી પણ ત્યાગ અને બલિદાનનો આ સિલસિલો અટક્યો ન હતો. વીર બાબા બંદા સિંહ બહાદુરે પણ પોતાના સમયમાં શક્તિશાળી હકુમતના મૂળિયાં હલાવી દીધા હતા. શીખ લોકોએ નાદિર શાહ અને અહમદ શાહ અબ્દાલી જેવાના આક્રમણને રોકવા માટે હજારોની સંખ્યામાં બલિદાન આપ્યા હતા. મહારાજા રણજીત સિંહે પંજાબથી બનારસ સુધી જે રીતે દેશના સામર્થ્ય અને વારસાને જીવતો રાખ્યો છે તે ઈતિહાસના પાના  ઉપર લખાયેલું છે.

અંગ્રેજોના શાસનમાં પણ આપણાં શીખ ભાઈઓ બહેનોએ જે વીરતા સાથે દેશની આઝાદી માટે સંઘર્ષ કર્યો, આપણો આઝાદીનો સંગ્રામ જલિયાંવાલા બાગની એ ધરતી આજે પણ તે બલિદાનોની સાક્ષી છે. આ એવી પરંપરા છે કે જેમાં સદીઓ પહેલાં આપણાં ગુરૂઓએ પ્રાણ ફૂંક્યો હતો અને આજે પણ તે એટલી જ જાગૃત છે. એટલી જ ચેતનવંતી છે.

સાથીઓ,

આ સમય આઝાદીના અમૃત મહોત્સવનો છે. આજે દેશ જ્યારે આઝાદીના સંગ્રામમાંથી, પોતાના ભૂતકાળમાંથી પ્રેરણા લઈ રહ્યો છે તો આપણા ગુરૂઓના આદર્શ આપણાં માટે વધુ મહત્વના બની રહે છે. આજે દેશ જે પ્રયાસ કરી રહ્યો છે, જે સંકલ્પો લઈ રહ્યો છે તે બધામાં એવા સપનાં છે જે સદીઓથી પૂરા થાય તેવું દેશ ઈચ્છી રહ્યો હતો. જે રીતે ગુરૂ નાનક દેવજીએ 'માનવ જાત'નો પાઠ આપણને શિખવ્યો છે તેની પર ચાલતા ચાલતા દેશ આજે 'સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસ' ના મંત્ર ઉપર આગળ ધપી રહ્યો છે. આ મંત્ર સાથે આજે દેશ 'સબ કા પ્રયાસ' ને પોતાની તાકાત પૂરી પાડી રહ્યો છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી, કચ્છથી કોહિમા સુધી સમગ્ર દેશ એક સાથે સપનાં જોઈ રહ્યો છે. એક સાથે તેની સિધ્ધિ માટે પ્રયાસ કરી રહ્યો છે. આજે દેશનો મંત્ર છે-

'એક ભારત, શ્રેષ્ઠ ભારત'

આજે દેશનું લક્ષ્ય છે એક નવા સમર્થ ભારતનો ફરીથી ઉદય કરવાનો. આજે દેશની નીતિ છે- દરેક ગરીબની સેવા, દરેક વંચિતને અગ્રતા. કોરોનાના આટલા મુશ્કેલ સમય આવ્યો પણ દેશે પ્રયાસ કર્યો કે કોઈ ગરીબ ભૂખ્યા પેટા ના સૂએ. દરેક યોજનાનો લાભ દેશના તમામ ભાગમાં સમાન રીતે પ્રાપ્ત થઈ રહ્યો છે. આ પ્રયાસોની સિધ્ધિ સમરસ ભારતને મજબૂત, ગુરૂ નાનક દેવજીના બોધપાઠને ચરિતાર્થ કરશે. એટલા માટે આપણાં સૌની જવાબદારી છે કે આવા મહત્વપૂર્ણ સમયમાં કોઈ આપણાં સપનાં ઉપર, દેશની એકતા ઉપર આંચ લાવી શકે નહીં. આપણાં ગુરૂ જે સપનાંઓ માટે જીવ્યા, જે સપનાંઓ માટે તેમણે પોતાનો જીવ આપી દીધો, તેને પરિપૂર્ણ કરવા માટે આપણે સૌએ સંગઠિત થઈને આગળ ધપવાનું છે. આપણી વચ્ચે એકતા ખૂબ જ અનિવાર્ય છે. આપણાં ગુરૂ જે જોખમોની દેશને આગાહી કરી રહ્યા હતા તે આજે પણ એવા જ છે. એટલા માટે આપણે સૌએ સતર્ક પણ રહેવાનું છે અને દેશની સુરક્ષા પણ કરવાની છે. મને ખાત્રી છે કે ગુરૂ નાનક દેવજીના આશીર્વાદથી આપણે સૌ આ સંકલ્પોને જરૂર પરિપૂર્ણ કરીશું અને દેશને નવી ઉંચાઈ સુધી પહોંચાડીશું. છેલ્લે હું લખપત સાહિબના દર્શન કરીને આવેલા શ્રધ્ધાળુઓને એક વિનંતી પણ કરવા માંગુ છું કે  આ સમયે દેશમાં રણ ઉત્સવ ચાલી રહયો છે. તમે પણ સમય કાઢીને રણ ઉત્સવમાં જરૂર જાવ.

મુંજા કચ્છી ભા ભેણ કીં અયો ? હેવર સી કચ્છમે દિલ્હી, પંજાબ જેડો પોંધો હુધો ? ખાસો ખાસો સી મે આંજો અને આજે કુંટુંબજો ખ્યાલ રખજા ભલે પણ કચ્છ અને કચ્છી માડુ મુંજે ધિલ મેં વસેતા તડે આઉ કેડા પણ વાં- જેડા પણ વેના કચ્છકે જાધ કરે વગર રહીં નતો સગાજે પણ આજોં પ્રેમ આય ખાસો ખાસો જડે પણ આંઉ કચ્છમેં અચીધોસ મણી કે મેલધોસ આ મેડી કે મુંજા જેજા જેજા રામ રામ....ધ્યાન રખીજા.

સાથીઓ,

રણ ઉત્સવ દરમ્યાન છેલ્લા એક દોઢ મહિનામાં એક લાખથી વધુ પ્રવાસીઓ કચ્છના મનોરમ દ્રશ્યોને માણવા, ખૂલ્લા આકાશનો આનંદ લેવા માટે અહીંયા આવી ચૂક્યા છે. જ્યારે ઈચ્છાશક્તિ હોય, લોકોનો પ્રયાસ હોય તો કેવી રીતે ધરતીનો કાયાકલ્પ થઈ શકે છે તે મારા કચ્છના મહેનતુ લોકોએ કરી બતાવ્યું છે. એક સમય એવો પણ હતો કે જ્યારે કચ્છના લોકો રોજી રોટી માટે સમગ્ર દુનિયામાં જતા હતા. આજે સમગ્ર દુનિયામાંથી લોકો કચ્છમાં આવે છે. આજે દુનિયાભરના લોકો કચ્છ તરફ આકર્ષણ ધરાવી રહ્યા છે. હજુ થોડાંક જ દિવસ પહેલાં યુનેસ્કોએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરી છે તે કારણે ત્યાં પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે. ગુજરાત સરકારે હવે ત્યાં એક ભવ્ય ટેન્ટ  સિટીનું નિર્માણ કર્યું છે તેનાથી પ્રવાસીઓની સગવડમાં ભારે વૃધ્ધિ થશે. હવે ધોરડોથી સીધા રણની વચ્ચે ધોળાવીરા જવા માટે નવી સડક બનાવવાનું કામ પણ ઝડપી ગતિથી ચાલી રહ્યું છે. આવનારા સમયમાં ભૂજ અને પશ્ચિમ કચ્છથી ખદીર અને ધોળાવીરા વિસ્તારમાં આવવાનું ખૂબ જ સરળ બની રહેશે. તેનો લાભ કચ્છના લોકોને મળશે. ઉદ્યોગકારોને મળશે, પર્યટકોને મળશે. ખાવડામાં રિન્યુએબલ એનર્જી પાર્કનું નિર્માણ પણ ઝડપભેર હાથ ધરાયું છે. અગાઉ પશ્ચિમ કચ્છ અને ભૂજથી ધોળાવીરા જવા માટે ભચાઉ- રાપર થઈને જવું પડતું હતું. હવે સીધા ખાવડાથી ધોળાવીરા જઈ શકાશે. પ્રવાસન પ્રવૃત્તિને વેગ આપવા માટે નારાયણ સરોવર, કોટેશ્વર, માતાનો મઢ, હાજી પીર, ધોરડો ટેન્ટ સિટી, અને ધોળાવીરા આ નવો માર્ગ બનવાથી આ તમામ સ્થળોએ આવવા- જવાનું આસાન થઈ જશે.

આજે આપણાં શ્રધ્ધેય અટલજીની જન્મ જયંતિ પણ છે. અટલજીનો કચ્છ સાથે વિશેષ સ્નેહ હતો. ભૂકંપ પછી અહીંયા થયેલા વિકાસ કાર્યોમાં અટલજી ગુજરાત સાથે ખભેથી ખભો મિલાવીને ઉભા હતા. તેમની સરકાર ખડેપગે રહી હતી. આજે કચ્છ જે પ્રગતિના પંથે છે તેને જોઈને અટલજી જ્યાં પણ હશે ત્યાં જરૂરથી સંતુષ્ટ બન્યા હશે, ખુશ થતા હશે. મને વિશ્વાસ છે કે કચ્છ ઉપર આપણાં તમામ મહાનુભાવો, તમામ શ્રધ્ધેય લોકોના આશીર્વાદ આવી જ રીતે મળતા રહેશે.

આપ સૌને ફરી એક વખત ગુરૂ પરબના હાર્દિક અભિનંદન.

ખૂબ ખૂબ શુભેચ્છાઓ!

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1785157) Visitor Counter : 292