પ્રધાનમંત્રીનું કાર્યાલય
કોવિડ-19 સામે જાહેર આરોગ્યનાં વળતાં પગલાંની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી
પ્રધાનમંત્રીએ રાજ્યવાર અને જિલ્લાવાર કોવિડની સ્થિતિની સમીક્ષા કરી
આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા અગ્રણી સૂચકાંકો વિશે રાજ્યોને મદદ અને માર્ગદર્શન આપવા પ્રધાનમંત્રીનો નિર્દેશ
દવાઓની ઉપલબ્ધતાની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી
પ્રધાનમંત્રીએ ભારતની રસીકરણ ઝુંબેશની સમીક્ષા કરી
રસીકરણની ઝડપ ઘટવી ન જોઇએ એવું રાજ્યોને સચેત કરવાની જરૂર: પ્રધાનમંત્રી
પોસ્ટેડ ઓન:
06 MAY 2021 2:51PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી મોદીએ આજે દેશમાં કોવિડ-19 સંબંધી સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. વિવિધ રાજ્યો અને જિલ્લાઓમાં કોવિડ મહામારી અંગે એમને વિગતે ચિત્ર અપાયું હતું. તેમને માહિતી આપવામાં આબી હતી કે 12 રાજ્યો એવા છે જ્યાં સક્રિય કેસો એક લાખથી વધારે છે. જે જિલ્લાઓમાં આ રોગના વધારે કેસો છે એવા જિલ્લાઓ વિશે પણ એમને માહિતી આપવામાં આવી હતી.
રાજ્યો દ્વારા આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા વિશે પ્રધાનમંત્રીને માહિતગાર કરાયા હતા. પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યો કે આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા માટે અગ્રણી સૂચકાંકો વિશે રાજ્યોને મદદ અને માર્ગદર્શન આપવામાં આવે.
ઝડપી અને સાકલ્યવાદી કન્ટેનમેન્ટ પગલાં સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ નોંધ્યું કે રાજ્યોને એક માર્ગદર્શિકા મોકલાઇ હતી જેમાં, જ્યાં કેસ પૉઝિટિવિટી 10% કરતા વધારે છે અથવા ઑક્સિજન સપોર્ટેડ કે આઇસીયુ બેડ્સની બેડ ઑક્યુપન્સી 60% કરતા વધારે છે એવા ચિંતાજનક જિલ્લાઓ ઓળખી કાઢવામાં આવે.
પ્રધાનમંત્રીએ દવાઓની ઉપલબ્ધતાની પણ સમીક્ષા કરી હતી. રેમડેસિવિર સહિતની દવાઓના ઉત્પાદનના ઝડપી વધારા વિશે તેમને માહિતગાર કરવામાં આવ્યા હતા.
રસીકરણની પ્રગતિ અને આગામી જૂજ મહિનાઓમાં રસીઓનું ઉત્પાદન વધારવા માટેના રોડમેપની પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી. તેમને માહિતી આપવામાં આવી હતી કે રાજ્યોને 17.7 કરોડ રસીઓ પૂરી પડાઈ છે. રસીના બગાડ અંગે રાજ્યવાર પ્રવાહની પણ પ્રધાનમંત્રીએ સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીને માહિતગાર કરાયા કે 45 વર્ષથી વધુની વયના પાત્રતા ધરાવતી આશરે 31% વસ્તીને ઓછામાં ઓછો રસીનો એક ડૉઝ અપાયો છે. રસીકરણની ઝડપ ઘટવી ન જોઇએ એવું રાજ્યોને સચેત કરવાની જરૂર વિશે પ્રધાનમંત્રી બોલ્યા હતા. લૉકડાઉન છતાં પણ નાગરિકોને રસીકરણ માટેની સુવિધા મળવી જોઇએ અને રસીકરણમાં સંકળાયેલા આરોગ્ય સેવાના કર્મચારીઓને અન્ય ફરજોમાં લગાડવાના રહેશે નહીં.
શ્રી રાજનાથ સિંહ, શ્રી અમિત શાહ, શ્રીમતી નિર્મલા સીતારમણ, ડૉ. હર્ષ વર્ધન, શ્રી પિયુષ ગોયલ, શ્રી મનસુખભાઇ માંડવિયા અને અન્ય પ્રધાનો અને ટોચના અધિકારીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1716495)
મુલાકાતી સંખ્યા : 358
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam