પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓક્સીજનના પુરવઠા અને ઉપલબ્ધતા વિશે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી

Posted On: 22 APR 2021 3:59PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દેશમાં ઓક્સીજનના પુરવઠા અને ઉપલબ્ધતા અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી જેમાં ઓક્સીજનની ઉપલબ્ધતાને વધુ વેગવાન બનાવવા માટેની રીતો અને માધ્યમો વિશે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ છેલ્લા કેટલાક અઠવાડિયામાં ઓક્સીજનના પુરવઠામાં સુધારો લાવવા માટે હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રયાસો વિશે તેમને માહિતગાર કર્યા હતા.

પ્રધાનમંત્રીએ બહુવિધ પરિબળો પર ઘણી ઝડપથી કામ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી: જેમાં ઓક્સીજનના ઉત્પાદનમાં વધારો, વિતરણની ગતિમાં વૃદ્ધિ અને આરોગ્ય સુવિધાઓને ઓક્સીજન સપોર્ટ પૂરો પાડવા માટે આવિષ્કારી રીતોનો ઉપયોગ કરવા જેવી બાબતો સમાવી લીધી હતી.

પ્રધાનમંત્રીને જાણ કરવામાં આવી હતી કે, રાજ્યોમાં ઓક્સીજનની માંગ પારખવા માટે અને તદઅનુસાર પૂરતા પ્રમાણમાં પુરવઠો સુનિશ્ચિત કરવા માટે તેમની સાથે સહકારપૂર્ણ રીતે વિસ્તૃત કવાયત કરવામાં આવી છે. કેવી રીતે રાજ્યોમાં એકધારો ઓક્સીજનનો પુરવઠો વધારવામાં આવી રહ્યો છે તે વિશે પણ પ્રધાનમંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. હાલમાં 20 રાજ્યોમાં 6,785 MT/ દિવસની પ્રવાહી મેડિકલ ઓક્સીજનની વર્તમાન માંગની સામે ભારત સરકારે 21 એપ્રિલથી તે રાજ્યોને 6,822 MT/ દિવસના ધોરણે જથ્થો ફાળવવાનું શરૂ કરી દીધું છે. 

અહીં નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસમાં, પ્રવાહી મેડિકલ ઓક્સીજનની ઉપલબ્ધતામાં અંદાજે 3,300 MT/ દિવસનો વધારો થયો છે જેમાં ખાનગી અને જાહેક ક્ષેત્રના સ્ટીલ પ્લાન્ટ્સ, ઉદ્યોગો, ઓક્સીજન ઉત્પાદકોનું યોગદાન છે તેમજ બિન-આવશ્યક ઉદ્યોગોને ઓક્સીજનનો પૂરવઠો આપવા પર મૂકાયેલા પ્રતિબંધથી પણ ઉપલબ્ધતા વધી છે.
અધિકારીઓએ પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, માન્યતા આપવામાં આવેલા PSA ઓક્સીજનના પ્લાન્ટ્સ શક્ય હોય એટલી વહેલી તકે કાર્યાન્વિત કરવા માટે તેઓ રાજ્યો સાથે મળીને કામ કરી રહ્યાં છે. 

પ્રધાનમંત્રીએ અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા કે, વિવિધ રાજ્યોમાં ઓક્સીજનનો પુરવઠો સરળતાતી અને કોઇપણ પ્રકારના અવરોધ વગર પહોંચે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. તેમણે કોઇપણ અવરોધોની સ્થિતિમાં સ્થાનિક પ્રશાસન સાથે મળીને જવાબદારી નિર્ધારિત કરવાની જરૂરિયાત વિશે પણ વાત કરી હતી. તેમણે મંત્રાલયોને પણ કહ્યું હતું કે, તેઓ ઓક્સીજનના ઉત્પાદન અને પુરવઠામાં વધારો કરવા માટે વિવિધ આવિષ્કારી રીતોનું અન્વેષણ કરે.

નાઇટ્રોજન અને એર્ગોન ટેન્કરોના રૂપાંતરણ દ્વારા ક્રાયોજેનિક ટેન્કરોની ઉપલબ્ધતા ઝડપથી વધારવા માટે, ટેન્કરોની આયાત અને એરલિફ્ટિંગ માટે તેમજ તેના વિનિર્માણ માટે પણ વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે.

પ્રધાનમંત્રીએ રાજ્યોમાં ઓક્સીજનનું ઝડપી પરિવહન સુનિશ્ચિત કરવા પર પણ વિશેષ ભાર મૂક્યો હતો. લાંબા અંતરમાં ટેન્કરોના ઝડપી અને નોન-સ્ટોપ પરિવહન માટે રેલવેનો ઉપયોગ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. 105 MT પ્રવાહી મેડિકલ ઓક્સીજનનો પ્રથમ રેકનો જથ્થો મુંબઇથી વિઝાગ પહોંચી ગયો છે. તેવી જ રીતે, ઓક્સીજનના ખાલી ટેન્કરો પણ ઓક્સીજન સપ્લાયરો સુધી એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે જેથી ઓક્સીજનના પૂરવઠા માટે એકતરફી મુસાફરીનો સમય ઘટાડી શકાય.

મેડિકલ સમુદાયના પ્રતિનિધિઓએ પણ ઓક્સીજનના ઉચિત ઉપયોગ વિશે ચર્ચા કરી હતી અને કેવી રીતે કેટલાક રાજ્યોમાં ઓડિટના કારણે ઓક્સીનની માંગ દર્દીઓની સ્થિતિ પર અસર પડ્યા વગર ઘટી તેના વિશે પણ વાત કરી હતી.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક કહ્યું હતું કે, રાજ્યોએ સંગ્રહખોરી દૂર કરવાની ખાસ જરૂર છે.

આ બેઠકમાં કેબિનેટ સચિવ, પ્રધાનમંત્રીના અગ્ર સચિવ, ગૃહ સચિવ, આરોગ્ય સચિવ તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય, માર્ગ પરિવહન મંત્રાલય, ફાર્માસ્યુટિકલ્સ, નીતી આયોગના સચિવો પણ ઉપસ્થિત રહ્યાં હતા.
 

 

 

 

**************************

SD/GP/JD/PC 



(Release ID: 1713415) Visitor Counter : 305