પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી દ્વારા કેરળમાં ઉર્જા અને શહેરી ક્ષેત્રની મુખ્ય પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ


આજથી પ્રારંભ થઇ રહેલા વિકાસના કાર્યો સમગ્ર કેરળમાં પ્રસરેલા છે અને વ્યાપક શ્રેણીમાં વિવિધ ક્ષેત્રોને આવરી લે છે: પ્રધાનમંત્રી

ભારતની સૌર ઉર્જા ક્ષમતામાં છેલ્લા છ વર્ષમાં 13 ગણો વધારો થયો છે: પ્રધાનમંત્રી

આપણા અન્નદાતાઓને ઉર્જાદાતા બનાવવા માટે સૌર ક્ષેત્ર સાથે ખેડૂતોને જોડવામાં આવી રહ્યાં છે: પ્રધાનમંત્રી

વિકાસ અને સારા સુશાસનને કોઇ જ્ઞાતિ, જાતિ, વંશ, લિંગ, ધર્મ કે ભાષાની ખબર નથી પડતી: પ્રધાનમંત્રી

Posted On: 19 FEB 2021 6:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેરળમાં પુગલુર – થ્રીસૂર ઉર્જા પરિવહન પરિયોજના, કસારાગોડ સૌર ઉર્જા પરિયોજના અને  વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આ કાર્યક્રમ દરમિયાન તિરુવનંતપુરમમાં એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્ર તેમજ સ્માર્ટ માર્ગ પરિયોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.
કેરળના મુખ્યમંત્રી શ્રી પિનારાયી વિજયન તેમજ કેન્દ્રીય ઉર્જા, નવી અને અક્ષય ઉર્જા રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી રાજકુમાર સિંહ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપસિંહ સુરી આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રસંગે સંબોધન આપતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજના દિવસથી શરૂ થઇ રહેલા વિકાસના કાર્યો સમગ્ર કેરળના તમામ ભાગોમાં ફેલાયેલા છે અને વ્યાપક શ્રેણીમાં વિવિધ ક્ષેત્રોને તેમાં આવરી લેવામાં આવ્યા છે. તે કાર્યો ભારતની પ્રગતીમાં ખૂબ જ યોગદાન આપી રહેલા આ સુંદર કેરળ રાજ્યના લોકોને ઉર્જા આપશે સશક્ત બનાવશે.
તેમણે જણાવ્યું હતું કે, આજે ઉદ્ઘાટન કરવામાં આવેલી 2000 મેગાવૉટની પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પુગલુર –થ્રીસૂર હાઇ વોલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ સિસ્ટમ રાષ્ટ્રીય ગ્રીડ સાથે કેરળનું પ્રથમ HVDC આંતરજોડાણ છે અને તેનાથી રાજ્યમાં ઉર્જાની મોટાપાયે વધી રહેલી માંગને પૂરી કરવા માટે વિપુલ પ્રમાણમાં ઉર્જાનું વહન કરવાની સુવિધા પ્રાપ્ત થશે. આ ઉપરાંત આ પરિયોજના દ્વારા દેશમાં પ્રથમ વખત પરિવહન માટે VSC કન્વર્ટર ટેકનોલોજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, કેરળ તેના આંતરિક ઉર્જા ઉત્પાદનની મોસમી પ્રકૃતિના કારણે ઉર્જાની આયાત માટે રાષ્ટ્રીય ગ્રીડ પર ઘણી નિર્ભરતા રાખે છે અને HVDC પ્રણાલી આ અંતરાલને દૂર કરવામાં મદદ કરે છે. તેમણે ખૂશી વ્યક્ત કરી હતી કે, જે HVDC ઉપકરણનો ઉપયોગ આ પરિયોજનામાં કરવામાં આવ્યો છે તેનું નિર્માણ ભારતમાં જ થયું છે અને તેના કારણે આત્મનિર્ભર ભારત ચળવળને મજબૂતી મળી રહી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સૌર ઉર્જા ક્ષેત્રમાં આપણી વૃદ્ધિ આબોહવા પરિવર્તન સામેની આપણી લડતને વધુ મજબૂત કરવાનું સુનિશ્ચિત કરે છે અને આપણા ઉદ્યોગ સાહસિકોને તેનાથી વેગ મળે છે. તેમણે કહ્યું હતું કે, આપણા અન્નદાતાઓને ઉર્જાદાતા બનાવવા માટે ખેડૂતોને પણ સૌર ક્ષેત્ર સાથે જોડવામાં આવી રહ્યાં છે. PM-KUSUM યોજના અંતર્ગત, છેલ્લા છ વર્ષમાં ભારતની સૌર ઉર્જા ક્ષમતામાં 13 ગણો વધારો થયો છે. ભારતે આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન દ્વારા દુનિયાને એકજૂથ કરવાનું કામ પણ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, આપણા શહેરો વિકાસના એન્જિન છે અને આવિષ્કારના પાવરહાઉસ છે. આપણા શહેરોમાં ત્રણ પ્રોત્સાહક વલણો જોવા મળી રહ્યાં છે જે: ટેકનોલોજીનો વિકાસ, અનુકૂળ વસ્તીવિષયક લાભાંશ અને વધતી સ્થાનિક માંગ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટી મિશન હેઠળ એકીકૃત આદેશ અને નિયંત્રણ કેન્દ્રો શહેરોને વધુ સારું શહેરી આયોજન અને વ્યવસ્થાપન કરવામાં મદદ કરે છે. તેમણે જાહેરાત કરી હતી કે, 54 આદેશ કેન્દ્ર પરિયોજનાઓ કાર્યાન્વિત થઇ છે અને આવી 30 પરિયોજનાઓ અમલીકરણના વિવિધ તબક્કે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ કેન્દ્રો ખાસ કરીને મહામારીના દિવસોમાં ખૂબ જ ઉપયોગી નીવડ્યા હતાં. સ્માર્ટ સિટી મિશન અંતર્ગત, બે કેરળ સ્માર્ટ સિટી- કોચી અને તિરુવનંતપુરમમાં નોંધનીય પ્રગતી થઇ છે. રૂપિયા 773 કરોડની કિંમતની 27 પરિયોજનાઓ પૂરી કરવામાં આવી છે અને રૂપિયા 2000 કરોડની કિંમતની 68 પરિયોજનાઓ પાઇપલાઇનમાં છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃતના કારણે શહેરોને તેમના નકામા પાણીની ટ્રીટમેન્ટ માળખાગત સુવિધાઓનું વિસ્તરણ કરવામાં અને અપગ્રેડ કરવામાં મદદ મળી રહી છે. કેરળમાં અમૃત હેઠળ રૂપિયા 1100 કરોડથી વધુના ખર્ચે પાણી પૂરવઠાની 175 પરિયોજનાઓ હાથ ધરવામાં આવી રહી છે. 9 અમૃત શહેરોમાં સાર્વત્રિક કવરેજ પૂરું પાડવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આજે ઉદ્ઘાટન કરવામાં આવેલા અરુવિક્કાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને રૂપાય 70 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી અંદાજે 13 લાખ શહેરીજનોના જીવનમાં સુધારો આવશે અને તિરુવનંતપુરમમાં હાલમાં માથાદીઠ દૈનિક ધોરણે 100 લીટર પાણીનો પૂરવઠો આપવામાં આવે છે જે વધીને 150 લીટર થઇ જશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છત્રપતી શિવાજી મહારાજનું જીવન સમગ્ર ભારતના લોકોને પ્રેરણા આપે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, શિવાજીએ એવા સ્વરાજ્ય પર ભાર મૂક્યો હતો, જ્યાં વિકાસના ફળો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે. તેમણે કહ્યું હતું કે, શિવાજીએ મજબૂત નૌકાદળનું નિર્માણ કર્યું હતું અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ તેમજ માછીમારોના કલ્યાણ માટે ખૂબ જ મહેનત કરી હતી તેમજ સરકાર તેમની આ દૂરંદેશીને આગળ ધપાવી રહી છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ભારત સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સંરક્ષણ અને અવકાશક્ષેત્રમાં નવતર સુધારા કરવામાં આવ્યા છે. આ પ્રયાસો સંખ્યાબંધ કૌશલ્યવાન ભારતીય યુવાનો માટે નવી તકોનું સર્જન કરશે. તેમણે કહ્યું હતું કે, ભારત બ્લ્યુ ઇકોનોમીમાં રોકાણ કરી રહ્યું છે. માછીમાર સમુદાય માટેના અમારા પ્રયાસો: વધુ ધિરાણ, વધારેલી ટેકનોલોજી, ટોચની ગુણવત્તાની માળખાગત સુવિધા અને સહાયક સરકારી નીતિઓ આધારિત છે. તેમણે કહ્યું કે, સરકારી નીતિઓ ભારતને નિશ્ચિતપણે સી-ફુડની નિકાસનું કેન્દ્ર બનાવશે.
મહાન મલયાલમ કવિ કુમારન આશાનની કવિતા,
“હું નથી પૂછતો 
તમારી જ્ઞાતિ બહેન,
હું પૂછું છુ પાણી માટે,
હું તરસ્યો છુ”
ટાંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિકાસ અને સારા સુશાસનને કોઇ જ્ઞાતિ, જાતિ, વંશ, લિંગ, ધર્મ કે ભાષાની ખબર પડતી નથી. વિકાસ સૌના માટે હોય છે અને સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસનો મૂળ વિચાર આ જ છે. પ્રધાનમંત્રીએ સંગાથ અને વિકાસની આ સહિયારી દૂરંદેશીને આગળ વધારવા અને સાર્થક કરવા માટે કેરળના લોકોનો સહકાર માંગ્યો હતો.
***



(Release ID: 1699514) Visitor Counter : 225