સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કેન્દ્રએ કોવિડ સામે પ્રતિક્રિયા અને વ્યવસ્થાપન માટે હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરપ્રદેશમાં સહકાર માટે ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો મોકલવાનો નિર્ણય લીધો


કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ ઘટીને 4.85% નોંધાયું

સાજા થવાનો દર વધીને 93.69% થયો

Posted On: 22 NOV 2020 11:24AM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારે ઉત્તરપ્રદેશ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં કોવિડ સામેની પ્રતિક્રિયા અને વ્યવસ્થાપનમાં મદદરૂપ થવા માટે ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય ટીમો મોકલવાનો નિર્ણય લીધો છે. આ રાજ્યોમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અથવા હોમ આઇસોલેશન તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવેલા સક્રિય દર્દીઓની સંખ્યામાં ખૂબ વધારો નોંધાઇ રહ્યો છે અથવા તો દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે.

ત્રણ સભ્યોની ટીમો આ રાજ્યોમાં એવા જિલ્લાઓની મુલાકાત લેશે જ્યાં કોવિડના કેસની સંખ્યા ઘણી વધારે છે અને ચુસ્ત કન્ટેઇન્મેન્ટ, સર્વેલન્સ, પરીક્ષણ અને સંક્રમણ નિવારણ તેમજ નિયંત્રણના પગલાં અને પોઝિટીવ દર્દીઓના અસરકારક તબીબી વ્યવસ્થાપન માટે રાજ્ય સરકારના પ્રયાસોમાં જરૂરી સહકાર આપશે. કેન્દ્રીય ટીમો સમયસર નિદાન અને ફોલોઅપ સંબંધિત પડકારોનું અસરકારક રીતે વ્યવસ્થાપન કરવા માટે પણ માર્ગદર્શન આપશે.

અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મણીપુર તેમજ છત્તીસગઢમાં આવી ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી છે.

ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસનું ભારણ (4,40,962) વધુ ઘટીને 4.85% થઇ ગયું છે અને 5%ના સીમાચિહ્ન આંકડાથી સતત નીચે જળવાઇ રહ્યું છે. સાજા થવાના દરમાં પણ એકધારો સુધારો આવી રહ્યો હોવાથી છેલ્લા 24 કલાકમાં વધુ 43,493 નવા દર્દીઓ સાજા થયા હોવાથી આજે સાજા થવાનો દર વધીને 93.69% થઇ ગયો છે. આ સાથે, દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 85,21,617 થઇ ગઇ છે.

સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે અને આ આંકડો વધીને હવે 80,80,655 સુધી પહોંચી ગયો છે.

તાજેતરમાં 26 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં કુલ સક્રિય કેસની સંખ્યા 20,000 કરતાં ઓછી છે.

7 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેસોમાં સક્રિય કેસની સંખ્યા 20,000 થી 50,000ની વચ્ચે છે જ્યારે મહારાષ્ટ્ર અને કેરળમાં કુલ સક્રિય કેસનું ભારત 50,000 કરતાં વધારે છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 77.68% કેસ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે.

દિલ્હીમાં એક જ દિવસમાં કોવિડમાંથી 6,963 દર્દીઓ સાજા થયા છે. ત્યારબાદ કેરળ અને મહારાષ્ટ્રમાં અનુક્રમે નવા 6,719 અને 4,088 દર્દી સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 76.81% દર્દીઓ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી છે. છેલ્લા 24 કલાકમાં કુલ 45,209 દર્દીઓ કોવિડથી સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5,879 નવા પોઝિટીવ કેસ નોંધાયા છે. ગઇકાલે કેરળમાં દૈનિક ધોરણે નવા 5,772 કેસ નોંધાયા હતા જ્યારે મહારાષ્ટ્રમાં 5,760 કેસ નોંધાયા હતા.

15 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી નોંધાઇ છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડથી વધુ 501 દર્દીઓ મૃત્યુ પામ્યા છે જેમાંથી 76.45% મૃત્યુ દસ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નોંધાયા છે.

કુલ નવા મૃત્યુ પામેલા દર્દીઓમાંથી 111 મૃત્યુ સાથે સૌથી વધુ 22.16% દર્દીઓ દિલ્હીમાંથી છે જ્યારે મહારાષ્ટ્રમાં વધુ 62 અને પશ્ચિમ બંગાળમાં 53 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશેમાં રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુદર (1.46%) કરતાં વધારે મૃત્યુદર નોંધાયો છે.

જ્યારે, 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુ (96) કરતાં ઓછા મૃત્યુ નોંધાયા છે.

14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ રાષ્ટ્રીય સરેરાશ મૃત્યુ (96) કરતાં વધુ મૃત્યુ નોંધાયા છે.

SD/GP/BT

 


(Release ID: 1674875)