પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

Posted On: 25 OCT 2020 11:31AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 27 ઓક્ટોબર 2020ના રોજ સાંજે 4.45 કલાકે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સતર્કતા અને ભ્રષ્ટાચાર વિરોધ અંગેની રાષ્ટ્રીય પરિષદ ‘સતર્ક ભારત, સમૃદ્ધ ભારત’નું ઉદ્ઘાટન કરશે.

આ પરિષદના ઉદ્ઘાટન સમારોહનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે અને અહીં આપેલ લિંક પર તેને નિહાળી શકાશે.

https://pmindiawebcast.nic.in/

પૃષ્ઠભૂમિ:

ભારતમાં કેન્દ્રીય અન્વેષણ બ્યૂરોના ઉપક્રમે દર વર્ષે 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન ઉજવાતા ‘સતર્કતા જાગૃતિ સપ્તાહ’ના ઉપલક્ષમાં રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવે છે. આ પરિષદમાં યોજવામાં આવતી પ્રવૃત્તિઓમાં સતર્કતા સંબંધિત મુદ્દાઓ કેન્દ્ર સ્થાને હોય છે જેનો ઉદ્દેશ લોકોમાં જાગૃત્તિનો પ્રસાર કરવાનો અને લોકભાગીદારી દ્વારા સાર્વજનિક જીવનમાં અખંડતા અને પ્રામાણિકતાને પ્રોત્સાહન આપવાની ભારતની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કરવાનો હોય છે.

આ ત્રણ દિવસીય પરિષદમાં વિદેશી ન્યાયક્ષેત્રોમાં તપાસ સંબંધિત પડકારો; ભ્રષ્ટાચાર વિરુદ્ધ પદ્ધતિસર અંકુશ માટે નિવારાત્મક સતર્કતા; આર્થિક સમાવેશિતા માટે પદ્ધતિસર સુધારા અને બેંકોના કૌભાંડો રોકવા; વિકાસના એન્જિન તરીકે અસરકારક ઓડિટ; ભ્રષ્ટાચાર વિરોધી લડતને વેગ આપવા માટે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમમાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારા; ક્ષમતા નિર્માણ અને તાલીમ; ઝડપી અને વધુ અસરકારક તપાસ સક્ષમકર્તા તરીકે બહુવિધ એજન્સી સંકલન; આર્થિક ગુનાખોરીમાં ઉભરતા વલણો, સાઇબર ગુના અને આંતરરાષ્ટ્રીય સુનિયોજિત ગુનાખોરી-નિયંત્રણમાં લેવાના પગલાં અને ગુના અન્વેષણ એજન્સીઓ વચ્ચે શ્રેષ્ઠ કામગીરીઓનું આદાનપ્રદાન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

આ પરિષદમાં નીતિ ઘડનારાઓ અને પ્રેક્ટિશનરો એક સહિયારા મંચ પર આવશે અને પદ્ધતિસર સુધારા તેમજ નિવારાત્મક સતર્કતા પગલાંઓ દ્વારા ભ્રષ્ટાચાર નાથવાના સક્ષમકર્તાઓ તરીકે કામ કરશે જેથી સારા સુશાસન અને જવાબદારીપૂર્ણ પ્રશાસનની શરૂઆત થઇ શકે. ભારતમાં ઇઝ ઓફ ડુઇંગને સક્ષમ કરવા માટે આ નોંધપાત્ર યોગદાનકર્તા પરિબળ છે.

કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર), પૂર્વોત્તર પ્રદેશ વિકાસ (DoNER), MoS PMO, કાર્મિક, જાહેર ફરિયાદ, અણુ ઉર્જા અને અવકાશ, ડૉ. જીતેન્દ્રસિંહ આ પ્રસંગે પ્રારંભિક સત્રમાં સંબોધન આપશે.

આ પરિષદમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો, સતર્કતા બ્યૂરો, આર્થિક ગુનાખોરી શાખા/CIDના વડાઓ; COV, CBIના અધિકારીઓ અને વિવિધ કેન્દ્રીય એજન્સીઓના પ્રતિનિધિઓ ભાગ લેશે. ઉદ્ઘાટન સત્રમાં રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો અને DGsP પણ ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT



(Release ID: 1667458) Visitor Counter : 281