નાણા મંત્રાલય

આવકવેરાના રિટર્ન અને હિસાબ-તપાસણી અહેવાલો રજૂ કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી

Posted On: 24 OCT 2020 2:27PM by PIB Ahmedabad

કોવિડ-19 રોગચાળાને કારણે કાયદેસર અને નિયમનકારી નીતિનિયમોનું પાલન કરવામાં કરદાતાઓને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે 31 માર્ચ, 2020ના રોજ કરવેરા અને અન્ય કાયદાઓ (ચોક્કસ જોગવાઈઓની છૂટછાટ) વટહુકમ, 2020 (વટહુકમ) બહાર પાડ્યો હતો, જે અંતર્ગત વિવિધ સમયમર્યાદાઓ લંબાવવામાં આવી હતી. ત્યારથી આ વટહુકમે કરવેરા અને અન્ય કાયદાઓ (ચોક્કસ જોગવાઈમાં છૂટછાટ અને સુધારા) ધારાનું સ્થાન લીધું છે.

સરકારે 24 જૂન, 2020ના રોજ વટહુકમ અંતર્ગત એક અધિસૂચના બહાર પાડી હતી, જે અંતર્ગત નાણાકીય વર્ષ 2019-20 (આકારણી વર્ષ 2020-21) માટે આવકવેરના તમામ રિટર્ન ભરવા માટેની તારીખ 30 નવેમ્બર, 2020 સુધી લંબાવી હતી. એટલે 31 જુલાઈ, 2020 સુધી અને 31 ઓક્ટોબર, 2020 સુધી ભરવા જરૂરી આવકવેરાના રિટર્ન 30 નવેમ્બર, 2020 સુધી ભરવાની જરૂર છે. એના પરિણામ સ્વરૂપે આવકવેરા ધારા, 1961 (ધારા) અંતર્ગત કરવેરાના હિસાબી અહેવાલ સહિત વિવિધ હિસાબી અહેવાલો રજૂ કરવા માટેની તારીખ પણ 31 ઓક્ટોબર, 2020 સુધી લંબાવવામાં આવી છે.

આવકવેરાના રિટર્ન રજૂ કરવા માટે કરદાતાઓને વધારે સમય પ્રદાન કરવા આવકવેરાના રિટર્ન ભરવા માટેની તારીખ લંબાવીને નીચે મુજબ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છેઃ

 () જેમને તેમના ખાતાઓનો હિસાબ કરવાનો જરૂરી છે એવા કરદાતાઓ માટે (તેમના પાર્ટનર સહિત) આવકવેરાના રિટર્ન ભરવા માટેની તારીખ [જેમના માટે છેલ્લી તારીખ (એટલે કે કથિત અધિસૂચના દ્વારા લંબાવ્યા અગાઉ) કાયદા મુજબ 31 ઓક્ટોબર, 2020 હતી] લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.

(બી) આંતરરાષ્ટ્રીય/ચોક્કસ સ્થાનિક નાણાકીય વ્યવહારોના સંબંધમાં અહેવાલ રજૂ કરવા જરૂરી હોય એવા કરદાતાઓ માટે આવકવેરાના રિટર્ન ભરવાની તારીખ [જેમના માટે છેલ્લી તારીખ (એટલે કે કથિત અધિસૂચના દ્વારા લંબાવ્યા અગાઉ) કાયદા મુજબ 30 નવેમ્બર, 2020 હતી] લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે.

 (સી) અન્ય કરદાતાઓ માટે આવકવેરાના રિટર્ન ભરવાની તારીખ [જેમના માટે છેલ્લી તારીખ (એટલે કે કથિત અધિસૂચના દ્વારા લંબાવ્યા અગાઉ) કાયદા મુજબ 31 જુલાઈ, 2020 હતી] લંબાવીને 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી છે.

પરિણામે કાયદા અંતર્ગત આંતરરાષ્ટ્રીય/ચોક્કસ સ્થાનિક નાણાકીય વ્યવહારના સંબંધમાં અહેવાલ અને કરવેરાના હિસાબનો અહેવાલ સહિત વિવિધ હિસાબી અહેવાલો રજૂ કરવાની તારીખ પણ આગળ વધારીને 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી છે.

ઉપરાંત નાનાં અને મધ્યમ વર્ગના કરદાતાઓને રાહત આપવા માટે 24 જૂન, 2020ની તારીખે બહાર પાડેલી કથિત અધિસૂચનામાં પણ સ્વયં-આકારણી કરીને રૂ. 1 લાખ સુધીની કરવેરાની જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે સ્વયં-આકારણી કરીને કરવેરાની ચુકવણી માટેની તારીખ  પણ લંબાવવામાં આવી હતી. એ મુજબ, પોતાના ખાતાઓની હિસાબ તપાસણી કરવાની જરૂરિયાત ન ધરાવતા કરદાતાઓ માટે સ્વયં-આકારણી કરીને ચુકવણી કરવાની તારીખ 31 જુલાઈ, 2020થી લંબાવીને 30 નવેમ્બર, 2020 કરવામાં આવી છે અને હિસાબકિતાબને પાત્ર કિસ્સામાં આ તારીખ 31 ઓક્ટોબર, 2020થી લંબાવીને 30 નવેમ્બર, 2020 કરવામાં આવી છે.

સ્વયં-આકારણી કરીને કરવેરાની ચુકવણીની બાબતમાં નાનાં અને મધ્યમ વર્ગના કરદાતાઓને બીજી વાર રાહત આપવા સ્વયં-આકારણી કરીને કરવેરાની ચુકવણી કરવાની તારીખ અહીં એક વાર ફરી લંબાવવામાં આવી છે. એ મુજબ, સ્વયં-આકારણી કરીને રૂ. 1 લાખ સુધીની કરવેરાની જવાબદારી ધરાવતા કરદાતાઓ માટે, સ્વયં-આકારણી કરીને કરવેરાની ચુકવણી કરવાની છેલ્લી તારીખ લંબાવીને 31 જાન્યુઆરી, 2021 કરવામાં આવી છે, જેમનો ઉલ્લેખ ફકરા 3() અને ફકરા 3(બી)માં કરવામાં આવ્યો છે તથા ફકરા 3(સી)માં ઉલ્લેખ કરવામાં આવેલા કરદાતાઓ માટે છેલ્લી તારીખ 31 ડિસેમ્બર, 2020 કરવામાં આવી છે.

આ સંબંધમાં જરૂરી જાહેરનામું હવે પછી બહાર પાડવામાં આવશે.

 

SD/GP/BT



(Release ID: 1667317) Visitor Counter : 328