ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે નવી માર્ગદર્શિકા બહાર પાડી


અનલોક 4માં નિયંત્રણ ઝોનની બહાર વધારે પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી આપવામાં આવી

નિયંત્રણ ઝોનની અંદર 30 સપ્ટેમ્બર, 2020 સુધી લોકડાઉનનું કડક પાલન થશે

Posted On: 29 AUG 2020 8:05PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ આજે નિયંત્રણ ઝોનની બહારના વિસ્તારોમાં વધારે પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. 1 સપ્ટેમ્બર, 2020થી અનલોક 4નો અમલ થશે. આ તબક્કામાં પ્રવૃત્તિઓ તબક્કાવારી રીતે ફરી હાથ ધરવાની પ્રક્રિયાને વધારવામાં આવી છે. આજે બહાર પડેલી નવી માર્ગદર્શિકા રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો પાસેથી પ્રાપ્ત થયેલા પ્રતિભાવોને આધારે તેમજ સંબંધિત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગો સાથે વિસ્તૃત ચર્ચા કરીને બહાર પાડવામાં આવી છે.

નવી માર્ગદર્શિકાની મુખ્ય બાબતો

  • કેન્દ્રીય આવાસ અને શહેરી મંત્રાલય (એમઓએચયુએ)/રેલવે મંત્રાલય દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ) સાથે ચર્ચા કરીને તબક્કાવાર રીતે 7 સપ્ટેમ્બર, 2020થી મેટ્રો રેલને ચાલુ કરવાની મંજૂરી આપશે. આ સંબંધમાં એમઓએચયુએ દ્વારા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર (એસઓપી – પ્રમાણભૂત સંચાલન પ્રક્રિયા) ઇશ્યૂ થશે.
  • સામાજિક/શૈક્ષણિક/રમતગમત/મનોરંજન/સાંસ્કૃતિક/ધાર્મિક/રાજકીય કાર્યક્રમો તથા અન્ય સમારંભો કે મેળાવડાઓને મંજૂરી આપવામાં આવશે, જેમાં મહત્તમ 100 વ્યક્તિઓ સામેલ થઈ શકશે. આ પ્રકારની મંજૂરી 21મી સપ્ટેમ્બર, 2020થી મળશે. જોકે મર્યાદિત વ્યક્તિઓ સાથે આ પ્રકારના કાર્યક્રમોમાં ફેસ માસ્ક પહેરવા, સોશિયલ ડિસન્ટન્સિંગ જાળવવું, થર્મલ સ્કેનિંગ જોગવાઈ કરવી અને હાથ ધોવા કે સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનું ફરજિયાત રહેશે.
  • 21મી સપ્ટેમ્બર, 2020થી ઓપન એર થિયેટર્સને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવશે.
  • રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, શાળાઓ, કોલેજો, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ 30 સપ્ટેમ્બર, 2020 સુધી વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે તેમજ નિયમિત વર્ગ હાથ ધરવાની પ્રવૃત્તિ પણ બંધ રહેશે. ઓનલાઇન/ડિસ્ટન્સ (દૂરસ્થ) શિક્ષણને ચાલુ રાખવાની મંજૂરી જળવાઈ રહેશે અને એને પ્રોત્સાહન આપવામાં આવશે. જોકે 21 સપ્ટેમ્બર, 2020થી નિયંત્રણ ઝોનની બહારના વિસ્તારોમાં જ નીચેની પ્રવૃત્તિઓ મંજૂરી આપવામાં આવશે, જે માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (એમઓએચએફડબલ્યુ) દ્વારા એસઓપી જાહેર થશે.
    1. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને ઓનલાઇન શિક્ષણ/ટેલી-કાઉન્સેલિંગ તથા સંબંધિત કામગીરી માટે શાળામાં 50 ટકા સુધી શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને બોલાવવાની મંજૂરી આપી શકાશે.
    2. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને તેમની શાળાની મુલાકાત લેવાની મંજૂરી આપી શકાશે. જોકે આ પ્રકારની શાળાઓ નિયંત્રણ ઝોનની બહારના વિસ્તારમાં હોવી જોઈએ. વળી આ પ્રકારની મુલાકાત ફરિજયાત નહીં હોય, પણ મરજિયાત હશે અને શિક્ષકો પાસેથી માર્ગદર્શન લેવા માટેની હશે. આ મંજૂરી વિદ્યાર્થીઓના માતાપિતાઓ/સંરક્ષકોની લેખિત મંજૂરીને આધિન રહેશે.
    3. રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓ, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઇઆઇટી), રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ કે પ્રાદેશિક કૌશલ્ય વિકાસ અભિયાનો કે ભારત સરકાર કે રાજ્ય સરકારનાં અન્ય મંત્રાલયોમાં નોંધણી પામેલા ટૂંકા ગાળાના તાલીમ કેન્દ્રોમાં કૌશલ્ય કે ઉદ્યોગસાહસિકતાની તાલીમને મંજૂરી આપવામાં આવશે.

રાષ્ટ્રીય ઉદ્યોગસાહસિકતા અને લઘુ વ્યવસાય વિકાસ માટે સંસ્થા (એનઆઇઇએસબીયુડી), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આંત્રપ્રિન્યોરશિપ (આઇઆઇઇ) અને તેમના તાલીમાર્થી વિદ્યાર્થીઓને મંજૂરી આપવામાં આવશે.

  • સંશોધન કરતા વિદ્યાર્થીઓ (પીએચ.ડી) માટે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તથા ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમોના અનુસ્નાતકની પદવી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પ્રયોગશાળા/અનુભવજન્ય કામની જરૂર છે. એની મંજૂરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે ચર્ચા કરીને ઉચ્ચ શિક્ષણ વિભાગ (ડીએચઇ) સ્થિતિસંજોગોની આકારણીને આધારે તેમજ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના કેસને ધ્યાનમાં રાખીને આપશે.
  • નીચે ઉલ્લેખ કર્યા સિવાયની તમામ પ્રવૃત્તિઓને નિયંત્રણ ઝોનોની બહાર મંજૂરી આપવામાં આવશેઃ
  1. સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર (ઓપન એર થિયેટર સિવાય) અને આ પ્રકારના સ્થળો.
  2. પેસેન્જરોની આંતરરાષ્ટ્રીય હવાઈ સફર, સિવાય કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી હોય.
  • નિયંત્રણ ઝોનમાં લોકડાઉનનો અમલ 30 સપ્ટેમ્બર, 2020 સુધી કડકપણે ચાલુ રહેશે.
  • રોગચાળાની સાંકળ અસરકારક રીતે તોડવાના ઉદ્દેશ સાથે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW)ની માર્ગદર્શિકાઓને ધ્યાનમાં લીધા પછી પાયાના સ્તરે નિયંત્રણ ઝોનનું સીમાંકન જિલ્લા વહીવટીતંત્ર કરશે. આ નિયંત્રણ ઝોનમાં નિયંત્રણ માટેના કડક પગલાં લાગુ કરવામાં આવશે અને આવશ્યક પ્રવૃત્તિઓ હાથ ધરવાની જ મંજૂરી આપવામાં આવશે.
  • નિયંત્રણ ઝોનની હદની અંદર કડક નિયંત્રણ જાળવવામાં આવશે અને ફક્ત આવશ્યક પ્રવૃત્તિઓ હાથ ધરવાની મંજૂરી જ આપવામાં આવશે.
  • આ નિયંત્રણ ઝોનની યાદી સંબંધિત જિલ્લા કલેક્ટરોની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે તથા રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા આપવામાં આવશે તથા આ માહિતી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MOHFW)ને આપવામાં આવશે.

રાજ્ય સરકારો નિયંત્રણ ઝોનની બહાર કોઈ પણ પ્રકારે લોકડાઉન લાદશે નહીં

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો કેન્દ્ર સરકાર સાથે ચર્ચા કર્યા વિના નિયંત્રણ ઝોનની બહાર કોઈ પણ પ્રકારનું લોકડાઉન (રાજ્ય/જિલ્લા/તાલુકા/શહેર/ગ્રામીણ સ્તરે) લાદશે નહીં.

 

આંતરરાજ્ય અને રાજ્યની અંદર અવરજવર પર કોઈ નિયંત્રણ નહીં

  • વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં અને રાજ્યની વિવિધ કેન્દ્રો વચ્ચે અવરજવર પર કોઈ નિયંત્રણ લાગુ નહીં પડે. આ પ્રકારની અવરજવર માટે અલગથી કોઈ મંજૂરી/સંમતિ/ઇ-પરમિટ લેવાની જરૂર નહીં પડે.

કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સ્તરની સૂચનાઓ

  • કોવિડ-19ના વ્યવસ્થાપન માટે રાષ્ટ્રીય સ્તરની સૂચનાઓ દેશભરમાં અનુસરવાનું ચાલુ રાખવું પડશે, જેનો ઉદ્દેશ સોશિયલ ડિસ્ટન્સિંગને સુનિશ્ચિત કરવાનો છે. દુકાનો પર ગ્રાહકો વચ્ચે પર્યાપ્ત શારીરિક અંતર જાળવવાની જરૂર રહેશે. ગૃહ મંત્રાલય રાષ્ટ્રીય સૂચનાઓના અસરકારક અમલ પર નજર રાખશે.

વરિષ્ઠ અને વધારે જોખમ ધરાવતા નાગરિકો માટે સુરક્ષા

  • વધારે જોખમ ધરાવતી વ્યક્તિઓ એટલે કે 65 વર્ષથી વધારે વય ધરાવતી વ્યક્તિઓ, અન્ય બિમારીઓ ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોને ઘરે રહેવાની સલાહ આપવામાં આવે છે, સિવાય કે આવશ્યક મીટિંગમાં ઉપસ્થિત રહેવાની જરૂર ન હોય અને સ્વાસ્થ્ય સંબંધિત ઉદ્દેશો માટે બહાર જવાની જરૂર ઊભી ન થાય.

આરોગ્ય સેતુનો ઉપયોગ

  • આરોગ્ય સેતુ મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગને પ્રોત્સાહન આપવાનું જાળવી રાખવામાં આવશે.


(Release ID: 1649659) Visitor Counter : 332