સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં એક જ દિવસમાં પરીક્ષણની સંખ્યા 7,19,364ની નવી ઊંચાઇએ પહોંચી


દેશમાં આજદિન સુધીમાં કુલ 2,41,06,535 પરીક્ષણો કરવામાં આવ્યા

Posted On: 09 AUG 2020 3:16PM by PIB Ahmedabad

ભારત પરીક્ષણોની એક દિવસીય સંખ્યા નવી ઊંચાઇએ પહોંચીને એક જ દિવસમાં 7 લાખ કરતાં વધુ પરીક્ષણોની ક્ષમતા પ્રાપ્ત કરી છે. છેલ્લા કેટલાક દિવસથી 6 લાખ કરતા વધુ દૈનિક પરીક્ષણોનો સિલસિલો જાળવી રાખીને, ભારતે પરીક્ષણની ક્ષમતામાં ધરખમ વધારો નોંધાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 7,19,364 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

આ સ્તરે થઇ રહેલા પરીક્ષણોના કારણે દૈનિક પોઝિટીવ કેસોની સંખ્યામાં પણ ઘણો વધારો નોંધાયો છે. જોકે, રાજ્યોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ કેન્દ્રના નેતૃત્ત્વ હેઠળ તૈયાર કરવામાં આવેલી ટેસ્ટ, ટ્રેક, ટ્રીટ વ્યૂહનીતિનું પાલન કરીને વ્યાપક ટ્રેકિંગ, ત્વરિત આઇસોલેશન અને અસરકારક સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે. જ્યાં મોટા પ્રમાણમાં મૃત્યુદર નોંધાઇ રહ્યો છે, તેવા રાજ્યો સાથે જોડાણમાં રહેવા માટે ગત અઠવાડિયે કેટલીક બેઠકો યોજવામાં આવી હતી.

આવા અભિગમના પરિણામો હવે દેખાવા લાગ્યા છે અને સાજા થનારા દર્દીઓની સંખ્યામાં તીવ્ર તેમજ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ભારતમાં ગઇકાલે માત્ર એક જ દિવસમાં 53,879 દર્દીઓ કોવિડમાંથી સાજા થયા હોવાનું નોંધાયું હતું. આ આંકડો દેશમાં આજદિન સુધીમાં એક દિવસમાં સૌથી વધુ સંખ્યામાં સાજા થયેલા દર્દીઓ બતાવે છે. આ સાથે, દેશમાં કોવિડમાંથી સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા આજે 14,80,884 સુધી પહોંચી ગઇ છે. સક્રિય કેસો (આજે 6,28,747)ની સરખામણીએ સાજા થયેલાની સંખ્યા બેગણાથી પણ વધારે છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા નવી ઊંચાઇએ પહોંચીને સક્રિય દર્દીઓ કરતા 2.36 ગણી વધુ નોંધાઇ છે. હાલમાં તમામ સક્રિય કેસોને હોમ આઇસોલેશન અથવા હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી આજે દર્દીઓ સાજા થવાનો દર પણ વધીને 68.78% પહોંચી ગયો છે.

સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસોની સંખ્યામાં વધી રહેલો તફાવત હોસ્પિટલમાં અથવા આઇસોલેશનમાં રાખવામાં આવેલા દર્દીઓની સરખામણીએ સાજા થનારાની સંખ્યા વધુ હોવાનું સૂચવે છે. આજે 8,52,137 દર્દીઓનો તફાવત નોંધાયો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા પોતાના તબીબી સારવાર પ્રોટોકોલમાં આપવામાં આવેલી સલાહ અનુસાર દેખરેખના ધોરણોના આધારે ગુણવત્તાપૂર્ણ તબીબી સંભાળ પૂરી પાડવાના ઉદ્દેશથી હોસ્પિટલ અને તબીબી વ્યવસ્થાપન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિ કરવાની દિશામાં કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવતા વિવિધ પગલાંના યોગ્ય અમલીકરણના પરિણામે સાજા થનારાની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. આ પ્રયાસોના પરિણામે, મૃત્યુદરમાં વધુ ઘટાડો થયો છે અને આજે મૃત્યુદર ઘટીને 2.01% સુધી પહોંચી ગયો છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT



(Release ID: 1644598) Visitor Counter : 204