PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 07 JUL 2020 6:24PM by PIB Ahmedabad

 

 

 

Coat of arms of India PNG images free download

 

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન                         

 
 

 

Date: 07.07.2020

 

 

 

(છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ્સ: સમગ્ર દુનિયામાં ભારત પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કોવિડ-19ના કેસો ધરાવનાર દેશોમાં; સાજા થયેલા કેસની સંખ્યા 4.4 લાખની નજીક પહોંચી, સક્રિય કેસો કરતાં સાજા થયેલાની સંખ્યા 1.8 લાખથી વધુ; રાષ્ટ્રીય સાજા થવાનો દર 61%થી વધી ગયો

WHO દ્વારા 6 જુલાઇ 2020ના રોજ બહાર પાડવામાં આવેલા 168મા પરિસ્થિતિ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે, સમગ્ર દુનિયામાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડ-19ના સૌથી ઓછા કેસો ધરાવનારા દેશોમાંથી એક ભારત છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડ-19ના સરેરાશ 505.37 કેસ નોંધાયા છે જ્યારે વૈશ્વિક સરેરાશ 1453.25 છે.

WhatsApp Image 2020-07-07 at 13.33.41.jpeg

પરિસ્થિતિ રિપોર્ટમાં એવું પણ બતાવવામાં આવ્યું છે કે, પ્રત્યેક દસ લાખની વસ્તીએ કોવિડના કારણે સૌથી ઓછો મૃત્યુદર નોંધાયેલા દેશોમાંથી એક ભારત પણ છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ 14.27 લોકો કોવિડના કારણે મૃત્યુ પામ્યા છે જ્યારે વૈશ્વિક સરેરાશ ભારતની સરખામણીએ ચાર ગણાથી વધુ 68.29 નોંધાઇ છે.

 

WhatsApp Image 2020-07-07 at 13.24.01.jpeg

દેશમાં 1201 કોવિડ સમર્પિત હોસ્પિટલ છે જ્યારે 2611 કોવિડ સમર્પિત આરોગ્ય સંભાળ કેન્દ્રો અને 9909 કોવિડ સમર્પિત સંભાળ કેન્દ્રો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જેથી કોવિડના દર્દીઓની સારવાર થઇ શકે. છેલ્લા 24 કલાકમાં કુલ 15,515 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. આથી દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,39,947 દર્દીઓ કોવિડ-19ની બીમારીમાંથી સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે. દેશમાં કોવિડ-19ના સક્રિય કેસની સરખામણીએ સાજા થઇ ગયેલા કેસોની સંખ્યા 1,80,390 વધારે નોંધાઇ છે. હાલમાં દેશમાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થવાનો દર વધીને 61.13% થઇ ગયો છે. હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,59,557 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,41,430 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 1,02,11,092 સુધી પહોંચી ગયો છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 793 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 322 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1115 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે.

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636994

 

ગૃહમંત્રાલયે વિશ્વ વિદ્યાલયો અને સંસ્થાઓ દ્વારા પરીક્ષા યોજવા માટે મંજૂરી આપી

ગૃહમંત્રાલયે કેન્દ્રીય ઉચ્ચ શિક્ષા સચિવને આજે પત્ર લખીને વિશ્વવિદ્યાલયો અને સંસ્થાઓમાં પરીક્ષા આયોજીત  કરવા માટે મંજૂરી આપી છે. પરીક્ષાઓ માટે UGCની ગાઈડલાઈન મુજબ અને વિશ્વવિદ્યાલયો માટે શૈક્ષણિક કૅલેન્ડર તેમજ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા માન્ય સંચાલન પ્રક્રિયા (SOP) મુજબ છેલ્લા સત્ર (Final Term)ની પરીક્ષાઓનું આયોજન કરવું ફરજીયાત છે.

 

વધુ વિગતો માટે: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636891

 

કેન્દ્રીય HRD મંત્રીએ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ માટે UGC પરીક્ષાની સુધારેલી માર્ગદર્શિકા અને શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડ્યા

કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસ મંત્રી શ્રી રમેશ પોખરિયાલનિશંકેનવી દિલ્હીમાં 6 જુલાઇ 2020ના રોજ કોવિડ-19 મહામારીને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીઓ માટે UGC પરીક્ષા માટેની સુધારેલી માર્ગદર્શિકા અને શૈક્ષણિક કૅલેન્ડર બહાર પાડ્યા હતા. શ્રી પોખરિયાલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે આરોગ્ય, સલામતી, નિષ્પક્ષ અને સમાન તકોના સિદ્ધાંતો પર નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે, શૈક્ષણિક વિશ્વસનિયતા જળવાય, કારકિર્દીની તકો મળે અને વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓની ભાવિ પ્રગતી થાય તે પણ ખૂબ મહત્વનું છે. તેમણે કોવિડ-19 મહામારીના મુશ્કેલ સમયમાં શિક્ષણ, અભ્યાસ, પરીક્ષાઓ, શૈક્ષણિક કૅલેન્ડર વગેરે સંબંધ વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે UGC દ્વારા સતત કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636963

 

મહામારી આપણને રોકી ના શકે”; ડૉ. હર્ષવર્ધને કોવિડ-19 મહામારીની પૃષ્ઠભૂમિમાં સ્વીડિશ આરોગ્યમંત્રી સાથે દ્વિપક્ષીય આરોગ્ય સહકાર અંગે ચર્ચા કરી

સ્વિડનના આરોગ્ય અને સામાજિક બાબતોના મંત્રી સુશ્રી લેના હેલેન્ગ્રેને આજે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનને ડિજિટલ માધ્યમથી કૉલ કર્યો હતો અને તેમની સાથે આરોગ્ય તેમજ દવાના ક્ષેત્ર સંબંધે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. બંને દેશોના આરોગ્ય મંત્રીએ પોતાના દેશોમાં કોવિડ-19ના નિયંત્રણ માટે લેવામાં આવેલા પગલાં અને વર્તમાન સ્થિતિ અંગે વિગતે વાત કરી હતી અને બીમારીને અંકુશમાં લેવા માટે ભાવિ યોજના અંગે પણ ચર્ચા કરી હતી. કોવિડ-19 મહામારીમાંથી ભારતે જે બોધપાઠ મેળવ્યા તે અંગે ડૉ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, “ભારતમાં 1.35 અજબની વિશાળ જનવસ્તી હોવા છતાં દર્દીઓ સાજા થવાનો દર 61% કરતા વધારે થઇ ગયો છે અને મૃત્યુદર 2.78% જેટલો ઓછો છે. ચાર મહિના પહેલાં દેશમાં પરીક્ષણ માટે માત્ર એક લેબોરેટરી ઉપલબ્ધ હતી જ્યારે હવે દેશમાં કોવિડ-19ના નિદાન માટે 1100થી વધારે લેબોરેટરીનું વિશાળ નેટવર્ક છે.” ડૉ. હર્ષવર્ધને વધુમાં જણાવ્યું હતું કે, ભારતે નોવલ કોરોના વાયરસ મહામારીનો એક તકના રૂપમાં ઉપયોગ કર્યો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637000

 

વિશ્વ બેંક ગંગાના પુનરોદ્ધાર માટે 400 મિલિયન ડૉલરની આર્થિક સહાય પૂરી પાડશે

વર્લ્ડ બેંક અને ભારત સરકારે આજે નમામી ગંગે કાર્યક્રમ માટે વધુ આર્થિક સહાય મેળવવાના આશય સાથે લોન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. સહાય ગંગા નદીના પુનરોદ્ધાર માટે ઉપયોગમાં લેવામાં આવશે. બીજી રાષ્ટ્રીય ગંગા નદી બેઝિન પરિયોજના (SNBGRB)થી આઇકોનિક નદીમાં પ્રદૂષણ ઘટાડવામાં અને નદીના 500 મિલિયનથી વધુ લોકોના ઘર સમાન બેઝિન પ્રદેશના વ્યવસ્થાપનમાં મદદ મળશે. 400 મિલિયન ડૉલરના પરિચાલનમાં 381 મિલિયન ડૉલરની લોન અને 19 મિલિયન ડૉલર સુધીની પ્રસ્તાવિક બાંયધરી છે. SNBGRB દ્વારા પસંદગીના શહેરી વિસ્તારોમાં સફાઇ નેટવર્ક અને ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ માટે આર્થિક ભંડોળ આપવામાં આવશે જેથી પ્રદૂષણ નિકાલો પર નિયંત્રણ લાવી શકાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ અને તેનાથી ઉભી થનારી નોકરીથી ભારતને કોવિડ-19 કટોકટીના સમયમાં આર્થિક રીતે ફરી બેઠાં થવામાં મદદ મળશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636999

 

રાષ્ટ્રીય મેડિકલ પ્લાન્ટ્સ બોર્ડ અને ICAR- રાષ્ટ્રીય પ્લાન્ટ જિનેટિક સંસાધન બ્યૂરો વચ્ચે MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા

આયુષ મંત્રાલય અંતર્ગત આવતા રાષ્ટ્રીય મેડિકલ પ્લાન્ટ્સ બોર્ડ (NMPB) અને કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ અંતર્ગત આવતા ICAR – રાષ્ટ્રીય પ્લાન્ટ જિનેટિક સંસાધન બ્યૂરો (NBPGR) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. MoU પર હસ્તાક્ષર કરવાનો ઉદ્દેશ રાષ્ટ્રીય જનીન બેંક અથવા ખાતે લાંબા સમય (ઉપલબ્ધતા અનુસાર) સુધી સંગ્રહ મોડ્યૂલમાં અથવા પ્રાદેશિક સ્ટેશન ખાતે ટૂંકા સમય સુદી સંગ્રહ મોડ્યૂલમાં ICAR-NBPGR દ્વારા નિયુક્ત કરવામાં આવેલી જગ્યામાં મેડિકલ અને એરોમેટિક પ્લાન્ટ્સ જિનેટિક સંસાધનો (MAPGR)ને સંરક્ષિત કરવા માટે અને NMPBના કાર્યકારી સમૂહને  પ્લાન્ટ જર્મપ્લાઝ્મ સંરક્ષણની ટેકનિકો માટે તાલીમ પૂરી પાડવાનો છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636964

 

ઉત્તરપ્રદેશમાં કોવિડ-19નો સામનો કરવા માટે BSIP રાજ્ય સરકાર સાથે હાથ મિલાવ્યા

ભારત સરકાર કોવિડ-19ના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે તમામ રાજ્યોની સરકારો સાથે મળીને અવિરત પ્રયાસો કરી રહી છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) અંતર્ગત કાર્યરત સ્વાયત્ત સંસ્થા બીરબલ સહાની ઇન્સ્ટિટ્યુટ ઓફ પાલેઓ સાયન્સિસ (BSIP) ઉત્તરપ્રદેશમાં કોવિડ-19નો સામનો કરવા માટે રાજ્ય સરકાર સાથે હાથ મિલાવ્યા છે. BSIP કોવિડ-19ના પરીક્ષણ માટે લેબોરેટરીઓ શરૂ કરવાની દિશામાં પગલાં લેવાનું શરૂ કર્યું છે. સંસ્થામાં ઉપલબ્ધ પ્રાચીન DNA BSL-2A લેબોરેટરીની ઉપબલ્ધતાના કારણે પરીક્ષણ માટે તેને તાત્કાલિક તૈયાર કરવાનું શક્ય બન્યું છે. લેબોરેટરીમાં 24X7 ધોરણે પરીક્ષણ ચાલી રહ્યું છે અને નોડલ અધિકારીઓએ લીધેલા નિર્ણય અનુસાર દરરોજ ઉત્તરપ્રદેશના વિવિધ જિલ્લામાંથી આવતા અંદાજે 400 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવે છે. આજદિન સુધીમાં અહીં 12,000થી વધુ સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1636948

 

15મા નાણાં પંચે વિશ્વ બેંક અને તેના HLG સાથે આરોગ્ય ક્ષેત્ર બાબતે બેઠક યોજી

ભારતના આરોગ્ય ક્ષેત્રની રૂપરેખાને વધુ સારી રીતે સમજવા માટે અને કેન્દ્ર સરકારની તેમના આરોગ્ય ક્ષેત્ર ખર્ચ કરવાના માટે પુનઃપ્રાથમિકતાની જરૂરિયાત અને ઇચ્છાને ધ્યાનમાં રાખીને 15મા નાણાં પંચે વર્લ્ડ બેંક, નીતિ આયોગના પ્રતિનિધીઓ અને પંચના ઉચ્ચ સ્તરીય સમૂહ (HLG)ના સભ્યો સાથે દેશના આરોગ્ય ક્ષેત્ર સંબંધે ચર્ચા માટે બેઠક યોજી હતી. પંચના અધ્યક્ષે જણાવ્યું હતું કે, પંચ પહેલી વખત તેમનું સંપૂર્ણ ચેપ્ટર આરોગ્ય માટે ભંડોળ આપવામાં સમર્પિત કરશે.

વધુ વિગતો માટે: https://www.pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1637002

 

PIB ફિલ્ડ ઓફિસના ઇનપુટ્સ

  • ચંદીગઢઃ કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના પ્રશાસકે શહેરમાં પ્રવેશ કરી રહેલા અને વધુમાં તેમના રોકાણ સ્થળોએ રાજ્ય બહારથી દાખલ થતા લોકોની વધુ સઘન સંપર્ક તપાસ અને દેખરેખની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. તેમણે ડૉક્ટરો અને નગરપાલિકાના સત્તાધિકારીઓને ચોમાસા સાથે સંકળાયેલો રોગચાળો ન ફાટે તે સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યાં હતા. વધુમાં પ્રશાસકે આદેશ કર્યો હતો કે કેન્ટિન અથવા કચેરીમાં કર્મચારીઓની ભેગા મળીને ટિફિન ખાવાની પ્રણાલી બંધ કરવી જોઇએ અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જોઇએ. ચા પીવા માટેની રિશેષ દરમિયાન પણ કર્મચારીઓએ માસ્ક પહેરવો જોઇએ અને સામાજિક અંતરના નિયમોનું પાલન કરવું જોઇએ.
  • પંજાબઃ પંજાબમાં રાજ્યમાં દાખલ થતા પ્રવાસીઓ માટે ઇ-રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ફરજિયાત બનાવવામાં આવી છે. મુસાફરો સરકારે બહાર પાડેલા દિશા-નિર્દેશો અનુસાર પોતાના ઘરેથી જ સુવિધાજનક રીતે ઑનલાઇન નોંધણી કરાવી શકે છે અને પોતાની મુસાફરીને ઝંઝટમુક્ત બનાવી શકે છે. -રજિસ્ટ્રેશનનો હેતુ મુસાફરોને ભીડ ભેગી થવાના કારણે પડતી અસુવિધા રોકવાનો અને સરહદ પર કરેલી નાકાબંધી દરમિયાન લાંબી કતારો અટકાવવાનો છે.
  • હરિયાણાઃ કોવિડ-19ના કારણે રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ઊભી થયેલી મુશ્કેલીઓમાં રાહત પગલાંઓની જાહેરાત કરતાં હરિયાણા સરકારે CLU, પરવાનેદાર વગેરેના તમામ પ્રવર્તમાન પ્રોજેક્ટો માટે 1 માર્ચ, 2020થી 30 સપ્ટેમ્બર, 2020 સુધી સાત મહિના માટે નાણાકીય રાહત અને વ્યાજની ચૂકવણીમાંથી રાહત આપવાનો નિર્ણય કર્યો છે. આ નાણાકીય રાહતનો સમયગાળો એવી રીતે લાગુ થશે જેથી 1 માર્ચ, 2020થી 30 સપ્ટેમ્બર, 2020 દરમિયાનના આ સમયગાળાને શૂન્ય સમયગાળા તરીકે ગણવામાં આવશે.
  • હિમાચલ પ્રદેશઃ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારીના સમયગાળા દરમિયાન પણ રાજ્યમાં આવેલો ફાર્મા ઉદ્યોગ કાર્યરત રહ્યો હતો અને રાજ્યના ફાર્મા એકમોમાં ઉત્પાદિત થતી દવાઓને વિદેશમાં પણ નિકાસ કરવામાં આવતી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ કટોકટીના સમયગાળાને અવસરમાં તબદિલ કરવાના પ્રયત્નો હાથ ધરવા જોઇએ કારણ કે મોટાભાગના રાજ્યો કોવિડ-19થી ગંભીર રીતે પ્રભાવિત થયા છે, જોકે આ પરિસ્થિતિમાં હિમાચલ પ્રદેશની સ્થિતિ ઘણી સારી છે.
  • કેરળઃ રાજ્યમાં વધુ એક કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાતા કુલ મૃત્યુઆંક 28 ઉપર પહોંચી ગયો છે. ગઇકાલે અખાતી દેશમાંથી પરત ફરેલા કોલ્લમ જિલ્લાના એક 24 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું. તે હોમ ક્વૉરેન્ટાઇનમાં હતો અને તેના પરીક્ષણનું પરિણામ આજે પોઝિટીવ આવ્યું હતું. કોઝિકોડેમાં એક રહેણાંક પરિસરમાં વધુ છ રહેવાસીઓનો ટેસ્ટ પોઝિટીવ આવતાં કુલ સંખ્યા 11 પર પહોંચી ગઇ છે. આ ઘટના બાદ, રહેવાસીઓ કોવિડ-19ના નિયમોનું પાલન ન કરતાં હોવાની બાબત સામે આવતાં જિલ્લા પ્રશાસને નવા નિર્દેશો બહાર પાડ્યાં છે. રાજ્યની બહાર વધુ ત્રણ કેરળવાસીઓના કોરોના વાયરસના કારણે મૃત્યુ નીપજ્યાં છે. એક વ્યક્તિનું કુવૈતમાં અને બે વ્યક્તિના મુંબઇમાં મૃત્યુ થયા છે. મુંબઇમાં મલયાલી લોકોના મૃત્યુનો આંક ચાળીસ પર પહોંચી ગયો છે. ગઇકાલે કેરળમાં કોવિડ-19ના 193 નવા કેસોની પુષ્ટી થઇ હતી. અત્યારે 2,252 લોકો સારવાર લઇ રહ્યાં છે અને 1.83 લાખ લોકો ક્વૉરેન્ટાઇનમાં છે.
  • તામિલનાડુઃ પુડુચેરીમાં કોવિડ-19 સંભાળ માટે ખાનગી મેડિકલ કોલેજોને સરકારના નિયંત્રણ હેઠળ લાવવામાં આવશે. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે બૃહદ ચેન્નઇ નિગમ (GCC)ને 15મી જુલાઇ સુધી કોવિડ-19 મહામારી દરમિયાન થયેલા મૃત્યુની સર્વગ્રાહી માહિતી મોકલવા નિર્દેશો આપ્યાં છે. IIT-મદ્રાસના સંશોધકોએ નાઇલોન-આધારિત નેનો-કોટેડ ફિલ્ટર વિકસાવ્યું છે, જેનો કોવિડ-19 દર્દીઓની સારવાર કરી રહેલા આરોગ્ય સંભાળ કર્મચારીઓના રક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે. આ પ્રોજેક્ટને DRDO દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ગઇકાલે 3,827 નવા કેસો નોંધાયા હતા, 3,793 લોકો સાજા થયા હતા અને 61 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ચેન્નઇ 1,747 કેસો નોંધાયા હતા. અત્યાર સુધી કુલ કેસોની સંખ્યા 1,14,978 છે, જેમાંથી 46,833 કેસો સક્રિય છે અને 1,571 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. ચેન્નઇના સક્રિય કેસોની સંખ્યા 24,082 છે.
  • કર્ણાટકઃ મુખ્યમંત્રીએ રાજ્યના કોવિડ-19 આર્થિક રાહત પેકેજના ભાગરૂપે હાથવણાટ કારીગરો માટે પ્રત્યક્ષ લાભ હસ્તાંતરણ - 'નેકારાસમ્માનયોજના' શરૂ કરી છે. રાજ્ય સરકાર MBBS અને નર્સિંગ કોર્ષના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની નિમણૂંક કોવિડ સંભાળ કેન્દ્રોમાં કરશે. સમગ્ર કર્ણાટકમાં મહામારી સામે લડાઇ લડવામાં અગ્રીમ હરોળમાં રહેલા ASHA કામદારો રાજ્ય સરકારે તેમની માગણી પૂરી કરવામાં નિષ્ફળ રહેતા 10 જુલાઇથી કામનો બહિષ્કાર કરશે. ગઇકાલે 1,843 નવા કેસો નોંધાયા હતા, 680 લોકોને રજા આપવામાં આવી હતી, 30 લોકોના મૃત્યુ થયા હતા. કુલ પોઝિટીવ કેસોની સંખ્યા 24,317 છે, જેમાંથી 14,385 કેસો સક્રિય છે, 401 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 10,527 લોકોને રજા આપવામાં આવી છે.
  • આંધ્રપ્રદેશઃ રાજ્ય સરકાર નિયમોના ચુસ્ત પાલન સાથે એન્જિનિયરિંગ અને મેડિસિન પ્રવેશ પરીક્ષા (EAMCET) યોજવા વ્યવસ્થા ગોઠવી રહી છે. કમ્પ્યૂટર સોસાયટી ઓફ ઇન્ડિયાની મદદથી 19 જુલાઇના રોજ મોક ટેસ્ટ હાથ ધરવામાં આવશે. નેલ્લોરમાં તાજેતરમાં કોવિડ-19 કારણે બે કર્મચારીઓના મૃત્યુ નીપજતાં અને નવા કેસો નોંધાતા કોવિડ-19 પરિસ્થિતિ અંગે ભય વ્યક્ત કરીને મંગળવારે APSRTCના કર્મચારીઓએ ફરજનો બહિષ્કાર કર્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન 16,238 નમૂનાઓનું પરીક્ષણ કર્યા બાદ 1,178 નવા કેસો નોંધાયા હતા, 762 લોકોને રજા આપવામાં આવી હતી અને 13 વ્યક્તિઓના મૃત્યુ નીપજ્યાં હતા. 1,178 કેસોમાંથી 22 કેસો આંતર-રાજ્ય અને વિદેશથી આવેલા મુસાફરો છે. કુલ કેસોની સંખ્યા 21,197 છે, જેમાંથી 11,200 કેસો સક્રિય છે, 252 લોકોના મૃત્યુ થયા છે અને 9,745 લોકોને રજા આપવામાં આવી છે.
  • તેલંગણાઃ હૈદરાબાદમાં ખાનગી મેડિકલ કોલેજો કોવિડ દર્દીઓની સારવાર અને તેમના ખર્ચ અંગે વધુ સ્પષ્ટતા મળવાની રાહ જોઇ રહી છે. કોવિડ-19 કેસોમાં થઇ રહેલા વધારાની સાથે તેલંગણા સરકાર હવે ઇ-ઓફિસ વ્યવસ્થાનો અમલ કરવાનો પ્રયત્ન કરી રહી છે, જેનું અમલીકરણ લાંબા સમયથી પડતર છે. ગઇકાલ સુધીની સ્થિતિ અનુસાર કુલ 25,733 કેસોમાંથી 10,646 કેસો સક્રિય છે, 306 લોકોના મૃત્યુ નીપજ્યાં છે અને 14,781 લોકોને રજા આપવામાં આવી છે.
  • આસામઃ આસામમાં 250થી પણ વધારે પોલીસ કર્મચારીઓ કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા છે અને તેમાંથી 80 ટકા જેટલા ગુવાહાટીમાંથી છે. આસામના પોલીસ મહાનિદેશક શ્રી ભાસ્કર જ્યોતિ મહંતાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.
  • મણિપુરઃ મણિપુર પોલીસે માસ્ક ન પહેરવા બદલ અને જાહેર સ્થળો પર સામાજિક અંતરના નિયમોના ઉલ્લંઘન બદલ લૉકડાઉનના 442 ઉલ્લંઘનકર્તાઓની અટકાયત કરી છે. ઉપરાંત 265 વાહનો પણ જપ્ત કરાયા છે. નિયમોના ઉલ્લંઘન બદલ લોકો પાસેથી કુલ રૂ. 57,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.
  • મિઝોરમઃ મિઝોરમમાં આજે કોવિડ-19ના સાજા થયેલા છ દર્દીઓને રજા આપવામાં આવી છે, હવે સક્રિય કેસોની સંખ્યા 58 છે જ્યારે અત્યાર સુધી કુલ 139 લોકો સાજા થયા છે.
  • નાગાલેન્ડઃ રાજ્યમાં પરત ફરનારા 500 લોકો સાથેની બેંગલોરથી શરૂ થયેલી એક વિશેષ ટ્રેન 9 જુલાઇ, 2020ના રોજ દીમાપુર પહોંચે તેવી ધારણાં છે. નાગાલેન્ડમાં કોવિડ-19ના નવા 11 પોઝિટીવ કેસો નોંધાયા છે. રાજ્યમાં પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 636 છે, જેમાંથી 363 કેસો સક્રિય છે અને 243 લોકો સાજા થયા છે.
  • મહારાષ્ટ્રઃ રાજ્ય સરકાર 'મિશન બિગન અગેઇન'ના 5મા તબક્કા અંતર્ગત તબક્કાવાર રીતે નિયંત્રણો હટાવી રહી છે. ચેપગ્રસ્ત વિસ્તારોની બહાર હોટેલ, રેસ્ટોરન્ટ અને અતિથિ ગૃહો માટે નવા આદેશો બહાર પાડવામાં આવ્યાં છે, જે આવતીકાલથી તેમની 33% ક્ષમતા પર કાર્ય કરશે. મહારાષ્ટ્રમાં 5,368 નવા કોરોના વાયરસના પોઝિટીવ કેસો નોંધાયા હતા, જે સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 2,11,987 પર પહોંચી ગઇ છે. સોમવારે 3,522 લોકો સાજા થયા હતા અને તેમના રજા અપાતા કુલ સાજા થયેલા લોકોની સંખ્યા 1,15,262 પર પહોંચી ગઇ છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 87,681 છે.
  • ગુજરાતઃ ગુજરાતમાં 735 નવા કેસો નોંધાતાની સાથે કુલ કેસોની સંખ્યા 36,858 ઉપર પહોંચી ગઇ છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે 700થી વધારે સંખ્યામાં પોઝિટીવ કેસો નોંધાયા હતા. વધુમાં 17 લોકોના મૃત્યુ પણ નીપજ્યાં છે, જે સાથે રાજ્યનો મૃત્યુઆંક 1,962 પર પહોંચી ગયો છે. સૌથી વધારે 201 કેસો સુરતમાંથી અને ત્યારબાદ અમદાવાદમાંથી 168 નવા કેસો નોંધાયા હતા.
  • રાજસ્થાનઃ આજે સવારે 234 નવા કેસો નોંધાતા રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 20,922 પર પહોંચી ગઇ છે. કુલ સક્રિય કેસોની સંખ્યા 3,949 છે. કુલ સાજા થયેલા લોકોની સંખ્યા પણ વધીને 16,320 પર પહોંચી ગઇ છે.
  • મધ્યપ્રદેશઃ રાજ્ય સરકારની કિલ કોરોના ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 56 લાખથી વધારે આવાસોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું છે, જેમાં અંદાજિત 2.9 કરોડ લોકોને આવરી લેવાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 354 નવા પોઝિટીવ કેસો નોંધાતા કુલ કેસોની સંખ્યા વધીને 15,284 પર પહોંચી ગઇ છે. જ્યારે સોમવારે રાજ્યની હોસ્પિટલોમાંથી 168 દર્દીઓને રજા અપાતાં કુલ સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 11,579 થઇ છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

FACTCHECK

A stamp with the words factually incorrect on a  report published by The Wire which claims that ncpcr has seen 8 fold increase in complaints post outbreak

 



(Release ID: 1637063) Visitor Counter : 255