મંત્રીમંડળ સચિવાલય

કેબિનેટ સચિવે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત 13 શહેરોમાં કોવિડની પરિસ્થિતિની સમીક્ષા કરી

Posted On: 28 MAY 2020 3:50PM by PIB Ahmedabad

કેબિનેટ સચિવે દેશમાં સૌથી વધુ અસરગ્રસ્ત 13 શહેરોના મ્યુનિસિપલ કમિશનરો અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સાથે બેઠક યોજીને કોવિડ-19ની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં તમામ સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક ખૂબ મહત્વની હતી કારણ કે, તેમાં સમાવવામાં આવેલા 13 શહેરોમાં કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો આવેલા છે અને દેશમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ કેસોમાંથી અંદાજે 70 ટકા કેસો ત્યાં નોંધાયેલા છે.

મુંબઇ, ચેન્નઇ, દિલ્હી/ નવી દિલ્હી, અમદાવાદ, થાણે, પૂણે, હૈદરાબાદ, કોલકાતા/ હાવરા, ઇન્દોર (મધ્યપ્રદેશ), જયપુર, જોધપુર, ચેંગલપટ્ટુ અને તિરુવલ્લુર (તામિલનાડુ) 13 શહેરોમાં સૌથી વધુ ધ્યાન આપવામાં આવ્યું છે.

બેઠકમાં તમામ 13 શહેરોમાં કોવિડ-19ના કેસોના વ્યવસ્થાપન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાંની સમીક્ષા કરવામાં આવી હતી.

કેન્દ્ર સરકારે પહેલાંથી શહેરી વસાહતોમાં કોવિડ-19ના વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકાઓ બહાર પાડી દીધી છે.

વ્યૂહનીતિના મુખ્ય મુદ્દામાં સૌથી વધુ જોખમી પરિબળો જેમકે કેસોની પુષ્ટિ થવાનો દર, કેસો બમણા થવાનો દર, પ્રત્યેક દસ લાખ વ્યક્તિએ પરીક્ષણોની સંખ્યા વગેરે પર કામ કરવાનો મુદ્દો પણ સામેલ છે.

કેન્દ્ર સરકાર દ્વારા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે, કન્ટેઇન્મેન્ટ ઝોન કેસો અને તેના સંપર્કોના મેપિંગ તેમજ તેમના ભૌગોલિક ફેલાવા જેવા વિવિધ પરિબળોના આધારે ભૌગોલિક રીતે નિર્ધારિત કરવા જોઇએ. આનાથી સારી રીતે પરિભાષિત માપદંડો નક્કી કરી શકાશે અને લૉકડાઉનનો ચુસ્ત અમલ પણ કરી શકાશે.

રહેણાંક કોલોનીઓ, મહોલ્લા, મ્યુનિસિપલ વૉર્ડ્સ અથવા પોલીસ સ્ટેશન વિસ્તારો, મ્યુનિસિપલ ઝોન, શહેરને જરૂરિયાત અનુસાર કન્ટેઇન્મેન્ટ ઝોન તરીકે નક્કી કરવાનો નિર્ણય મ્યુનિસિપલ કોર્પોરેશનો પોતાની રીતે કરી શકે છે.

તમામ શહેરોને સલાહ આપવામાં આવી હતી કે, જિલ્લા વહીવટીતંત્ર અને સ્થાનિક શહેરી સંગઠન દ્વારા સ્થાનિક સ્તરે ટેકનિકલ ઇનપુટ્સની મદદ લઇને આવા વિસ્તારો યોગ્ય રીતે નિર્ધારિત કરવા જોઇએ.

 

GP/DS



(Release ID: 1627443) Visitor Counter : 318