સંરક્ષણ મંત્રાલય
સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે કોવિડ-19ના નમૂનાના પરીક્ષણ માટે DRDOએ વિકસાવેલી મોબાઇલ લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યુ
પોસ્ટેડ ઓન:
23 APR 2020 4:14PM by PIB Ahmedabad
સંરક્ષણ શ્રી રાજનાથ સિંહે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા DRDO દ્વારા હૈદરાબાદ ખાતે આવેલી ESIC હોસ્પિટલ અને ખાનગી ઉદ્યોગોના સહકારથી DRDO દ્વારા વિકસાવેલી મોબાઇલ વાઇરોલોજી રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (MVRDL)નું ઉદ્ઘાટન કર્યુ હતું.
આ પ્રસંગે જાણકારી આપતાં સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે અનેક સમયસર નિર્ણયો લીધા છે, જેના કારણે દેશમાં કોવિડ-19નો ફેલાવો વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ખૂબ જ ઓછો છે.
શ્રી રાજનાથ સિંહે વિક્રમજનક 15 દિવસના સમયગાળામાં જૈવ-સલામતી સ્તર 2 અને સ્તર 3 લેબનું નિર્માણ કરવાની કામગીરીની પ્રસંશા કરી હતી, જેના માટે સામાન્ય રીતે આશરે છ મહિના જેટલો સમય લાગતો હોય છે. તેમણે જણાવ્યું હતું કે દિવસમાં 1,000થી વધારે નમૂના ઉપર પ્રક્રિયા હાથ ધરી શકતાં પરીક્ષણ એકમો કોવિડ-19 સામેની લડાઇમાં દેશની ક્ષમતામાં વધારો કરશે.
તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે લડત આપવા માટે સૈન્ય દળો અનેક રીતે પોતાનું યોગદાન આપી રહ્યાં છે– જેમ કે ક્વૉરેન્ટાઇન સેન્ટરની સ્થાપના કરવી, આરોગ્ય સંભાળની સુવિધાઓ પુરી પાડવી, અન્ય દેશોમાંથી ભારતીય નાગરિકોની બચાવ કામગીરી કરવી વગેરે અને આ પ્રયત્નો આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગૃહ બાબતોના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન શ્રી જી.કિશન રેડ્ડી, રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર મંત્રી શ્રી સંતોષ કુમાર ગંગવાર, તેલંગણા સરકારના IT ઉદ્યોગ, મ્યુનિસિપલ વહીવટી તંત્ર અને શહેરી વિકાસના પ્રધાન શ્રી કે.ટી.રામા રાઓ, DDR&Dના સચિવ અને DRDOના અધ્યક્ષ ડૉ. જી.સતિશ રેડ્ડીએ પણ હાજરી આપી હતી.
આ પ્રકારની પ્રથમ મોબાઇલ વાયરલ રીસર્ચ લેબ DRDOના હૈદરાબાદ સ્થિત રિસર્ચ સેન્ટર ઇમરાત (RCI) દ્વારા હૈદરાબાદની ESIC હોસ્પિટલના પરામર્શમાં વિકસાવવામાં આવી હતી, જેના કારણે કોવિડ-19ના પરીક્ષણ અને તેની સાથે સંબંધિત સંશોધન અને વિકાસ પ્રવૃતિઓમાં ઝડપ આવશે.
મોબાઇલ વાયરલ રીસર્ચ લેબ આ પ્રકારની પ્રવૃતિઓ હાથ ધરવા માટે આવશ્યક BSL 3 લેબ અને BSL 2 લેબનું સંયોજન છે. આ લેબનું નિર્માણ આંતરરાષ્ટ્રીય ધારાધોરણો અનુસાર WHO અને ICMRના જૈવ-સુરક્ષા માપદંડોનું પાલન કરીને કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાની અંદર ઇલેક્ટ્રિકલ કંટ્રોલ, LAN, ટેલિફોન કેબલિંગ અને CCTVનો સમાવેશ થાય છે.
આ મોબાઇલ લેબનો ઉપયગો કોવિડ-19નું નિદાન હાથ ધરવા માટે જરૂરી વિવિધ પ્રવૃતિઓ માટે કરવામાં આવશે, જેમાં દવાના પરીક્ષણ માટે વાયરસનો ઉછેર, કોન્વાલેશન્ટ પ્લાઝમા આધારિત ઉપચાર પદ્ધતિ, ભારતીય વસ્તીને વિશેષ ધ્યાનમાં રાખતાં વહેલા તબીબી પરીક્ષણ હાથ ધરીને વેક્સિન વિકસાવવા કોવિડ-19 દર્દીઓની સર્વગ્રાહી ઇમ્યુન પ્રોફાઇલિંગ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ લેબ પ્રતિ દિન 1000-2000 સેમ્પલનું પરીક્ષણ હાથ ધરે છે. આ લેબને જરૂરિયાત અનુસાર દેશમાં કોઇપણ સ્થાને ઊભી કરી શકાય છે.
DRDOએ કન્ટેઇનર પૂરું પાડવા માટે મેસર્સ આઇકોમ, મર્યાદિત સમયમાં BSL2 અને BSL3 લેબના નિર્માણ અને ડિઝાઇન માટે મેસર્સ આઇક્લિન અને બેઝ ફ્રેમ પુરી પાડવા માટે મેસર્સ હાઇટેક હાઇડ્રોલિક્સે આપેલા યોગદાન બદલ આભાર વ્યક્ત કર્યો છે.
GP/DS
(રીલીઝ આઈડી: 1617496)
મુલાકાતી સંખ્યા : 372
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada