ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ હરિયાળી, સ્વચ્છ પૃથ્વીનું નિર્માણ કરવા અપીલ કરી


50માં આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસની પૂર્વસંધ્યા પર ઉપરાષ્ટ્રપતિએ આપણી ઉપભોગતાવાદી જીવનશૈલીને બદલવા તથા વિકાસની અવધારણાઓ અંગે પુનઃવિચાર કરવા કહ્યું

ઉજ્જવળ ભવિષ્ય માટે આગામી માર્ગ આબોહવાને અનુકૂળ નીતિઓ અપનાવીને,ટકાઉ પૃથ્વીનું નિર્માણ કરવાનો રહેશેઃ ઉપરાષ્ટ્રપતિ

નવીનીકરણ ઊર્જા, ગ્રીન બિલ્ડિંગની વિભાવના, સ્વચ્છ ટેકનોલોજીઓ અને ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાની જરૂર પડશેઃ ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિએ સમુદાયોને પાયાના સ્તરે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઘટાડવા, એનો પુનઃઉપયોગ કરવા અને એનું રિસાઇકલિંગ કરવાના મંત્રને અપનાવવા જણાવ્યું

Posted On: 21 APR 2020 6:15PM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયા નાયડુએ તમામ નાગરિકોને પૃથ્વીને હરિયાળી બનાવવા અને સ્વચ્છ બનાવવા સહિયારો પ્રયાસ કરવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણનું સંરક્ષણ કરવું તમામ નાગરિકોની પવિત્ર ફરજ છે.

આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસની પૂર્વસંધ્યા પર આજે સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે, ચાલો આપણે ધરતી માતાનું સંરક્ષણ કરવાનું મહત્ત્વ સમજીએ, આપણા વિકાસ મોડલોનો પર્યાવરણને અનુકૂળ બનાવીએ અને ઉપભોગ-સંચાલિત જીવનશૈલીનો ત્યાગ કરીએ.

ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાને પગલે આપણે આપણા વિકાસની રીતો પર અને આર્થિક વ્યૂહરચનાઓ પર ફરી વિચાર કરવો પડશે અને એને પર્યાવરણને અનુકૂળ બનાવવી પડશે.

કોવિડ-19 રોગચાળાને કારણે ઊભી થયેલા સ્વાસ્થ્ય સાથે સંબંધિત અભૂતપૂર્વ કટોકટી પર ધ્યાન દોરીને તેમણે કહ્યું હતું કે, લોકડાઉનને કારણે દુનિયા લગભગ થંભી ગઈ છે, પ્રદૂષણના સ્તરમાં અકલ્પનિય ઘટાડો થયો છે અને હવાની ગુણવત્તામાં સુધારો થયો છે, જેનાથી આપણને સમજાયું છે કે, માનવજાતે પારિસ્થિતિ સંતુલનમાં કેટલી હદે વિક્ષેપ પેદા કર્યો છે.

આંતરરાષ્ટ્રીય પૃથ્વી દિવસ 2020નો વિષય ક્લાઇમેટ એક્શન એટલે કે આબોહવામાં સકારાત્મક પરિવર્તનના સંદર્ભમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણે આપણા ઇતિહાસમાંથી શીખવું પડશે તથા મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચે સાંમજસ્ય સહઅસ્તિત્વના મહત્ત્વને સમજવું પડશે. આપણે એકબીજા સાથે જોડાયેલી, એકબીજા પર નિર્ભર દુનિયામાં જીવી રહ્યાં છીએ તથા વિકાસ અને આધુનિકીકરણની લાલસામાં પર્યાવરણને નુકસાન કરે એવા અભિગમને ચલાવી શકીએ, કારણ કે દરેક કાર્યની અસર પર્યાવરણ પર થાય છે.

તેમણે લોકોને પ્રકૃતિના રક્ષણમાં સક્રિય પ્રદાન કરવાની અપીલ કરી હતી.

ઉજ્જવળ અને પર્યાવરણને અનુકૂળ ભવિષ્યનું નિર્માણ કરવા વિવિધ ક્ષેત્રોમાં આબોહવાને અનુકૂળ નીતિઓ અપનાવવી જરૂરી છે એવું અવલોકન કરીને શ્રી નાયડુએ કહ્યું હતું કે, યુએનડીપીના કહેવા મુજબ, 1990ના દાયકાની સરખામણીમાં અત્યારે ગ્રીનહાઉસ વાયુઓનું ઉત્સર્જન 50 ટકા વધારે છે. તેમણે યુએનડીપીની ધારણાનો સંદર્ભ ટાંકીને જણાવ્યું હતું કે, વર્ષ 2030માં આબોહવાને અનુકૂળ કામગીરી કરવાથી 26 ટ્રિલિયન અમેરિકન ડોલરની બચત થઈ શકશે અને ટકાઉ ઊર્જા પર ધ્યાન કેન્દ્રિત કરીને વર્ષ 2030 સુધીમાં એકલા ઊર્જા ક્ષેત્રમાં 18 મિલિયન રોજગારીનું સર્જન કરી શકાશે.

દર વર્ષે હવાના પ્રદૂષણથી સાત મિલિયન (70 લાખ) લોકોનું મૃત્યુ થાય છે એવો અહેવાલ ટાંકીને તેમણે જણાવ્યું હતું કે, અત્યારે નવીનીકરણ ઊર્જા, ગ્રીન બિલ્ડિંગની વિભાવના, સ્વચ્છ ટેકનોલોજીઓ અને ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ તરફ વધુને વધુ વળવાની જરૂર છે.

પાયાના સ્તરે સમુદાયોએ મોટા પાયે વૃક્ષારોપાણ જેવા પ્રોજેક્ટ હાથ ધરવાની તથા કુદરતી સંસાધનોનું રક્ષણ કરવા એમાં ઘટાડો કરવા, એનો પુનઃઉપયોગ કરવા અને એનું રિસાઇકલિંગ કરવાના મંત્રે અપનાવવાની અપીલ કરીને તેમણે કહ્યું હતું કે, એક સમાજ તરીકે આપણે જીવનને વધુ સ્થાયી બનાવવાની રીતો તરફ વળવું જોઈએ. ઉપરાષ્ટ્રપતિએ ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રકૃતિ અને સંસ્કૃતિનું રક્ષણ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો  હતો.

GP/DS



(Release ID: 1616885) Visitor Counter : 335