રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ 12મા રાષ્ટ્રીય હસ્તવણાટ દિવસની ઉજવણીની શોભા વધારી અને સંત કબીર હસ્તવણાટ એવોર્ડ્સ તથા નેશનલ હેન્ડલૂમ એવોર્ડ્સ 2025 એનાયત કર્યા


હસ્તવણાટ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે નવી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અનિવાર્ય છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

યુવા ઉદ્યોગસાહસિકો, ડિઝાઇનરો અને સ્ટાર્ટઅપ્સ પરંપરાગત હસ્તકળાને આધુનિક પ્રવાહો, બ્રાન્ડ્સ અને વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓ (ગ્લોબલ વેલ્યુ ચેઇન) સાથે જોડીને આ ક્ષેત્રમાં નવી તકો ઊભી કરી શકે છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

प्रविष्टि तिथि: 07 AUG 2026 4:27PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (8 ઓગસ્ટ, 2026) રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટર, નવી દિલ્હી ખાતે 12મા રાષ્ટ્રીય હસ્તવણાટ દિવસની ઉજવણીની શોભા વધારી હતી અને સંત કબીર હસ્તવણાટ એવોર્ડ્સ તથા નેશનલ હેન્ડલૂમ એવોર્ડ્સ 2025 એનાયત કર્યા હતા. આ પ્રસંગે ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તવણાટ પરંપરાઓની ઉજવણી કરતી ચાર યાદગાર ટપાલ ટિકિટો પણ બહાર પાડવામાં આવી હતી.

સભાને સંબોધતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે હસ્તવણાટ સદીઓથી ભારતની સભ્યતાની ઉત્ક્રાંતિ યાત્રાનો એક અભિન્ન ભાગ રહ્યો છે. તે આપણા રાષ્ટ્રની અસાધારણ વિવિધતાને પ્રતિબિંબિત કરે છે અને આપણી પ્રાદેશિક વિશિષ્ટતાને જાળવી રાખી છે. હસ્તવણાટ ક્ષેત્ર રોજગારી, મહિલા સશક્તિકરણ, કળા અને સંસ્કૃતિ તથા પ્રકૃતિ પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપે છે. હસ્તવણાટ ભારત સંગ્રામ અને આત્મનિર્ભરતાની ભાવના સાથે પણ જોડાયેલો રહ્યો છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વદેશી ચળવળની બ્લૂ પ્રિન્ટ 7 ઓગસ્ટ, 1905ના રોજ ઔપચારિક રીતે શરૂ કરવામાં આવી હતી. બંગાળના ભાગલાના વિરોધમાં શરૂ થયેલી આ ચળવળનો ઉદ્દેશ્ય દેશી સામાન, સ્થાનિક ઉદ્યોગો અને ખાસ કરીને દેશના હસ્તવણાટ વણકરોને પ્રોત્સાહન આપવાનો હતો. આ ઐતિહાસિક ઘટનાના સન્માનમાં, ભારત સરકાર 2015થી 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હસ્તવણાટ દિવસ તરીકે ઉજવી રહી છે. તેમણે રાષ્ટ્રીય હસ્તવણાટ દિવસ પર હસ્તવણાટ ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે આ કાર્યક્રમ દેશની સાંસ્કૃતિક એકતાને વ્યાખ્યાયિત કરતી વિવિધતાની ઉજવણી છે. સરકાર અને વણકર સમુદાયના સહિયારા પ્રયાસોની પ્રશંસા કરવાનો આ એક અવસર છે જે ભારતના હસ્તવણાટ ક્ષેત્ર માટે પ્રીમિયમ ગુણવત્તાવાળી છબી સ્થાપિત કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આપણા હસ્તવણાટ ક્ષેત્રમાં ભારતની ગ્રામીણ પ્રીમિયમ અર્થવ્યવસ્થાના એક મુખ્ય, માનવ-કેન્દ્રીત ઉદાહરણ તરીકે ઉભરી આવવાની ક્ષમતા નોંધપાત્ર રીતે મજબૂત થઈ છે. મુખ્ય હસ્તવણાટ ક્લસ્ટરોને આધુનિક ટેકનોલોજી અને સમકાલીન તાલીમ પદ્ધતિઓ સાથે જોડવામાં આવી રહ્યા છે. વણકરોની આવક વધારવા માટે સરકાર વિવિધ પગલાં અમલમાં મૂકી રહી છે. તેમણે એ નોંધતા આનંદ વ્યક્ત કર્યો હતો કે ભારતીય હસ્તવણાટ ક્ષેત્રને વેરિફાઇડ કલ્ચરલ ઇકોનોમીમાં રૂપાંતરિત કરવાના સરકારના પ્રયાસોથી આ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય છબી સુધરી રહી છે.

રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે ટેકનોલોજી અને નવીન ડિઝાઇનોથી સજ્જ ઘણા પ્રતિભાશાળી યુવા ઉદ્યોગસાહસિકો આ ક્ષેત્રમાં પ્રવેશ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકારી યોજનાઓ અને સંસ્થાઓ દ્વારા યુવાનોને સક્રિયપણે પ્રોત્સાહન મળવું જોઈએ જેથી કરીને તેમનો ઉત્સાહ અને કૌશલ્ય આ ક્ષેત્રની લાંબા ગાળાની, બહુભાષી સફળતા સુનિશ્ચિત કરી શકે. યુવા ઉદ્યોગસાહસિકો, ડિઝાઇનરો અને સ્ટાર્ટઅપ્સ પરંપરાગત હસ્તકળાને આધુનિક પ્રવાહો, બ્રાન્ડ્સ અને વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓ સાથે જોડીને આ ક્ષેત્રમાં નવી તકો ઊભી કરી શકે છે. તેમણે એ નોંધતા આનંદ વ્યક્ત કર્યો હતો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલૂમ ટેકનોલોજી અને વિવર્સ સર્વિસ સેન્ટર્સના નેજા હેઠળના ડિઝાઇન રિસોર્સ સેન્ટર્સ આ ક્ષેત્રમાં યુવાનોને જોડવા માટે મહત્વપૂર્ણ કામ કરી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આ ક્ષેત્રના ટકાઉ વિકાસ માટે નવી ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ અનિવાર્ય છે. આધુનિક ડિજિટલ સોલ્યુશન્સ દ્વારા બજાર સુધીની પહોંચને વધુ અસરકારક બનાવી શકાય છે. આ ઉપરાંત, ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા વૈશ્વિક બજારોમાં ભારતીય હસ્તવણાટ ઉત્પાદનોની પહોંચને નોંધપાત્ર રીતે મજબૂત કરી શકાય છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હસ્તવણાટ ક્ષેત્ર દેશના સમાવેશી વિકાસ અને આત્મનિર્ભરતા માટે મજબૂત પાયા તરીકે કામ કરશે.

સંત કબીર હસ્તવણાટ એવોર્ડ એ હસ્તવણાટ વણકરો માટે દેશનો સર્વોચ્ચ પુરસ્કાર છે, જે તેમની અસાધારણ કારીગરી, આજીવન સમર્પણ અને ભારતની વણાટ પરંપરાઓને જાળવી રાખવા અને પ્રોત્સાહિત કરવા માટેના સતત યોગદાનની કદર કરે છે. રાષ્ટ્રીય હસ્તવણાટ એવોર્ડ એવા હસ્તવણાટ વણકરો અને અન્ય હિસ્સેદારોનું સન્માન કરે છે જેમણે પરંપરાગત કૌશલ્યોને જાળવી રાખીને અને આધુનિક તકનીકોને અપનાવીને ઉત્કૃષ્ટ સર્જનાત્મકતા, ગુણવત્તા, નવીનતા અને શ્રેષ્ઠતા દર્શાવી છે.

રાષ્ટ્રપતિનું સંબોધન જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો

SM/BS/JD


(रिलीज़ आईडी: 2296132) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Kannada