સહકાર મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે NAFEDના ઈ-ઑક્શન પોર્ટલ NAFEX.inનો શુભારંભ કરાવ્યો


કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે NAFEDનું ઈ-ઓક્શન પોર્ટલ NAFEX.in લોન્ચ કર્યું

દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપનાર ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી

વર્ષ 2014માં બંધ થવાના આરે પહોંચેલી NAFED આજે મોદી સરકાર હેઠળ ₹500 કરોડના નફા સાથે 74 લાખ ખેડૂતોની સેવા કરી રહી છે

વચેટિયા નાબૂદ થશે; ખેડૂતોની મહેનતની કમાણી 48 કલાકની અંદર સીધી તેમના બેંક ખાતામાં પહોંચશે

આગામી બે વર્ષમાં, NCCF અને NAFED કઠોળના એક-એક દાણાની સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરશે

ખેડૂતોના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીના વિકાસ માટે નાફેડ સ્કોલરશિપ શરૂ કરાઈ; નફાનો એક ભાગ ખેડૂત પરિવારોને આપવામાં આવશે

प्रविष्टि तिथि: 23 JUN 2026 4:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (NAFED)ના ઈ-ઑક્શન પોર્ટલ NAFEX.inનો શુભારંભ કરાવ્યો હતો. આ અવસરે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ, સહકાર રાજ્ય મંત્રી શ્રી કૃષ્ણ પાલ ગુર્જર, સહકાર મંત્રાલયના સચિવ ડૉ. આશિષ કુમાર ભુતાની, નાફેડના અધ્યક્ષ શ્રી જેઠાભાઈ આહીર અને અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે નાફેડ (NAFED) દ્વારા આજે ચાર મોટી પહેલ શરૂ કરવામાં આવી છે, જેમાં NAFEX.in, દ્રષ્ટિ (DRISHTI), ઈઆરપી (ERP) અને નાફેડ કલ્યાણ (NAFED Kalyan)નો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે NAFEX.in અને અન્ય પહેલો અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે વર્ષ 2014માં નાફેડ બંધ થવાના આરે હતું, પરંતુ આ પ્રયાસોને કારણે આજે નાફેડ ₹30,000 કરોડના ટર્નઓવર અને ₹500 કરોડના નફા સાથે દેશના 74 લાખથી વધુ ખેડૂતોની સેવા કરી રહ્યું છે. શ્રી શાહે જણાવ્યું હતું કે જ્યારે NAFED ભારે નાણાકીય કટોકટીમાં હતું, ત્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ તેને સંપૂર્ણ પારદર્શિતા સાથે ચલાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું કે ભારત સરકારે નાણાકીય સહાય પૂરી પાડી અને નાફેડને ફરી એકવાર મજબૂત પાયા પર લાવી દીધું.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે નાફેડે ઉત્પાદન અને ખરીદી બંનેમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. દેશને કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટે, NCCF અને NAFED એ કઠોળના એક-એક દાણાની સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરવા માટે વધુ ઝડપથી આગળ વધવું પડશે. આનાથી ખેડૂતોને વાજબી અને લાભદાયી ભાવો મળવાની ખાતરી થશે, કઠોળના વાવેતર હેઠળનો વિસ્તાર આપોઆપ વધશે અને દેશ કઠોળ ક્ષેત્રે આત્મનિર્ભર બનશે.

કેન્દ્રીય સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં કઠોળ, મકાઈ અને અન્ય પેદાશોની સીધી ખરીદી માટે જરૂરી માળખાગત સુવિધાઓ તૈયાર કરવામાં આવ્યું છે. હવે આ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ જવાનું છે. શ્રી શાહે કહ્યું કે નાફેડ અને એનસીસીએફ (NCCF)એ સંપૂર્ણ સંકલ્પ અને પારદર્શિતા સાથે કામ કરવું પડશે, તો જ પરિણામો પ્રાપ્ત થશે. તેમણે કહ્યું કે એ સુનિશ્ચિત કરવામાં આવશે કે આગામી બે વર્ષમાં તમામ ખેડૂતો આ બંને સંસ્થાઓને સીધા જ કઠોળ વેચી શકશે અને તેમની ચૂકવણી સીધી તેમના બેંક ખાતામાં મેળવી શકશે.

શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે આજે નાફેડ માત્ર કૃષિ પેદાશોની ખરીદી પૂરતું મર્યાદિત નથી રહ્યું. છેલ્લા ત્રણ વર્ષમાં, નાફેડે ઓર્ગેનિક ખેતી, બિયારણ ઉત્પાદન, રિટેલ વ્યવસાય, બાયો-ફર્ટિલાઇઝર ઉત્પાદન, ખાદ્ય સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય વેપાર જેવા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે, જેણે નાફેડની સુસંગતતા અને નફાકારકતા બંનેમાં વધારો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યારે સહકાર મંત્રાલયની રચના કરવામાં આવી ત્યારે નાફેડનું ટર્નઓવર ₹20,000 કરોડ હતું, જે હવે વધીને ₹30,000 કરોડ થયું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી બે વર્ષમાં આ ટર્નઓવર ₹50,000 કરોડને પાર કરી જશે. શ્રી શાહે જણાવ્યું હતું કે નાફેડનો ચોખ્ખો નફો ₹139 કરોડથી વધીને ₹405 કરોડ થયો છે અને તેની નેટવર્થ ₹358 કરોડથી વધીને ₹2,050 કરોડ થઈ છે. તેમણે કહ્યું કે નાફેડ આજે એક મજબૂત, નાણાકીય રીતે સક્ષમ અને આત્મનિર્ભર સંસ્થા તરીકે ઉભરી આવ્યું છે. હવે નાફેડ અને NCCF માટે કઠોળ અને અન્ય પાકોના એક-એક દાણાની સંપૂર્ણ પારદર્શિતા સાથે સીધી ખેડૂતો પાસેથી ખરીદી કરવાનો, વચેટિયાઓના સમગ્ર નેટવર્કને નાબૂદ કરવાનો અને ખેડૂતોના હકનો નફો તેમના સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો સમય આવી ગયો છે.

સહકારિતા મંત્રીએ જણાવ્યું હતું કે નાફેડે તેના નફાના 1% ભાગને ખેડૂત પરિવારોના બાળકોના ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીના વિકાસ માટેની સ્કોલરશિપ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે. આ વ્યવસ્થા ખેડૂતોના બાળકોને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં અને તેમની કારકિર્દી બનાવવામાં પડતી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરશે.

પોતાના સંબોધનની શરૂઆતમાં, કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમના બલિદાન દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રી શાહે જણાવ્યું હતું કે આજના જ દિવસે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ એક દેશ, એક બંધારણ, એક પ્રધાનના સિદ્ધાંતને સાકાર કરવા અને દેશને અખંડ રાખવા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. તેમણે કહ્યું કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ગણના આ દેશના મહાન નેતાઓમાં થાય છે. તેમણે જીવનમાં ક્યારેય ખ્યાતિ માટે કંઈ નથી કર્યું, અને તેમણે જે કંઈ પણ કર્યું તેના દેશ માટે દૂરગામી અને સકારાત્મક પરિણામો આવ્યા. શ્રી શાહે જણાવ્યું હતું કે ભારતના ભાગલા સમયે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ બ્રિટિશરો સામે લડત આપી હતી અને પશ્ચિમ બંગાળ ભારત સાથે જ રહે તે સુનિશ્ચિત કર્યું હતું. આના કારણે જ પશ્ચિમ બંગાળ આજે પણ ભારતનો અભિન્ન ભાગ છે.

ગૃહ મંત્રીએ કહ્યું કે આઝાદી પછી કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવામાં આવી હતી, જેના કારણે કાશ્મીરનો અલગ ધ્વજ અને અલગ બંધારણ હતું. શ્રી શાહે કહ્યું કે આ વિચાર ભારતની એકતા અને અખંડિતતા માટે અત્યંત જોખમી હતો. તે સમયે, ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ એક આંદોલન શરૂ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે એક દેશમાં બે બંધારણ, બે ધ્વજ અને બે પ્રધાન ન હોઈ શકે. આ માટે તેમણે દિલ્હીથી કાશ્મીર સુધી કૂચ કરી અને જાહેરાત કરી કે કાશ્મીર ભારતનો જ એક ભાગ છે. તેમણે કાશ્મીરમાં પ્રવેશવા માટે કોઈ પરમિટ લેવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે શ્યામા પ્રસાદ મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી. કાશ્મીરની જેલમાં શંકાસ્પદ સંજોગોમાં ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું અવસાન થયું હતું. શ્રી શાહે જણાવ્યું હતું કે કાશ્મીરના મુદ્દે જ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ તે સમયની સરકારમાં ઉદ્યોગ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ગૃહ મંત્રીએ કહ્યું કે આજે ડૉ. શ્યામા પ્રસાદજીનું સ્વપ્ન સાકાર થયું છે. કલમ 370 નાબૂદ કરવામાં આવી છે અને તેમણે સ્થાપેલી પાર્ટીની સરકાર બંગાળમાં ગંગોત્રીથી ગંગાસાગર સુધી સત્તા પર છે. તેમણે કહ્યું કે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને ભારતીય સંસ્કૃતિના પ્રખર હિમાયતી હતા.

SM/BS/JD


(रिलीज़ आईडी: 2277070) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil , Kannada , Malayalam