પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ફ્રાન્સમાં G7 સમિટમાં “નવી ભાગીદારી ઘડવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું” વિષય પરના સત્રને સંબોધિત કર્યું
प्रविष्टि तिथि:
16 JUN 2026 10:07PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફ્રાન્સના એવિયન ખાતે G7 સમિટમાં “નવી ભાગીદારી ઘડવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ કરવું” (ફોર્જિંગ ન્યૂ પાર્ટનરશિપ્સ એન્ડ રિબિલ્ડીંગ ઈન્ટરનેશનલ સોલિડરિટી) વિષય પરના આઉટરીચ સત્રને સંબોધિત કર્યું હતું.
પોતાના વક્તવ્યમાં પ્રધાનમંત્રીએ રેખાંકિત કર્યું હતું કે, પરસ્પર જોડાયેલી આ દુનિયામાં, જ્યાં ઊર્જા, ખાદ્ય, આરોગ્ય, સાયબર અને આર્થિક સુરક્ષા એકબીજા સાથે વણાયેલી છે, ત્યાં માનવતાની પ્રગતિ અને સમૃદ્ધિ માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારીનું નિર્માણ કરવું એક અનિવાર્યતા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અનિશ્ચિતતાથી ભરેલી દુનિયામાં, વેપાર અને ટેકનોલોજીનો સંકુચિત હિતો માટે દુરુપયોગ થઈ રહ્યો છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વાસની ભારે કટોકટી (ટ્રસ્ટ ડેફિસિટ) ઊભી થઈ છે. કોવિડ (COVID) મહામારીના પાઠોનો ઉલ્લેખ કરતા તેમણે રાષ્ટ્રોને વૈશ્વિક ભાગીદારીમાં વિશ્વાસ અને પારદર્શિતાના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું હતું.
આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રત્યે ભારતના અભિગમને શેર કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે હંમેશા “માનવતા પ્રથમ”ના સિદ્ધાંતનું પાલન કર્યું છે, અને આ વિચાર જ ભારતના પ્રયાસોના કેન્દ્રમાં રહ્યો છે, પછી ભલે તે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ (આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન), કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્લોબલ બાયો-ફ્યુઅલ એલાયન્સ, મિશન લાઇફ (Mission LiFE) અથવા ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળની કાર્યવાહી હોય. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, આ સર્વસમાવેશક અભિગમને કારણે જ જ્યારે પણ વિશ્વના વિવિધ ભાગોમાં કુદરતી આપત્તિઓ આવી છે ત્યારે ભારત સૌથી પહેલા મદદ પહોંચાડનાર (ફર્સ્ટ રિસ્પોન્ડર) બન્યું છે – પછી ભલે તે શ્રીલંકામાં ચક્રવાત હોય, અફઘાનિસ્તાનમાં ભૂકંપ હોય, મોઝામ્બિકમાં પૂર હોય કે જમૈકામાં વાવાઝોડું હોય.
ભારતના સર્વસમાવેશક અને ટકાઉ વિકાસ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ વિગતવાર જણાવ્યું હતું કે, ભારતના “સર્વ જન હિતાય, સર્વ જન સુખાય” ના મંત્રે નાણાકીય સમાવેશીકરણ, આરોગ્ય સુરક્ષા, ડિજિટલ ઓળખ, ટેકનોલોજી આધારિત લોકોનું સશક્તિકરણ અને મહિલા સંચાલિત વિકાસને પ્રોત્સાહન આપવામાં પ્રશંસનીય પરિણામો આપ્યા છે.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાગીદારીએ દાતા-ગ્રહણકર્તાના માળખાથી ઉપર ઉઠીને એકતા અને સમાન માલિકીના દ્રષ્ટિકોણ તરફ આગળ વધવું જોઈએ. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય કાયદા પ્રત્યે આદરનો અભાવ એ આંતરરાષ્ટ્રીય એકતાના નિર્માણમાં સૌથી મોટો અવરોધ છે, અને તેને પ્રાથમિકતાના ધોરણે ઉકેલવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ભાગીદારી માટે શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા સંવાદ અને રાજદ્વારી પ્રયાસોને (ડાયલોગ એન્ડ ડિપ્લોમસી) પ્રાથમિકતા આપવી જરૂરી છે.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2273808)
आगंतुक पटल : 23
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam