નાણા મંત્રાલય
2026-27ના કેન્દ્રીય બજેટમાં બાયોફાર્મા શક્તિ (જ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા દ્વારા આરોગ્ય સંભાળને આગળ વધારવા માટેની વ્યૂહરચના) નો પ્રસ્તાવ છે
આગામી પાંચ વર્ષમાં હાલની સાથી આરોગ્ય વ્યાવસાયિકો (AHPs) સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે અને 100,000 નવા AHPs ઉમેરવામાં આવશે
વૃદ્ધો અને સંબંધિત સંભાળ સેવાઓ માટે એક સંભાળ ઇકોસિસ્ટમ બનાવવામાં આવશે, જેમાં આગામી વર્ષોમાં 1.5 લાખ સંભાળ રાખનારાઓને તાલીમ આપવામાં આવશે
ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારીમાં પાંચ પ્રાદેશિક તબીબી કેન્દ્રો સ્થાપિત કરવામાં રાજ્યોને ટેકો આપવાની યોજના પ્રસ્તાવિત છે
ત્રણ નવા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ સ્થાપિત કરવામાં આવશે
આયુષ ફાર્મસીઓ અને ડ્રગ પરીક્ષણ પ્રયોગશાળાઓને અપગ્રેડ કરવામાં આવશે
જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરને અપગ્રેડ કરવામાં આવશે
રાંચી અને તેજપુરમાં રાષ્ટ્રીય માનસિક આરોગ્ય સંસ્થાઓને પ્રાદેશિક ટોચની સંસ્થાઓમાં અપગ્રેડ કરવામાં આવશે
જિલ્લા હોસ્પિટલોની કટોકટી ક્ષમતા ૫૦% વધારવા માટે કટોકટી અને ટ્રોમા કેર સેન્ટરોની સ્થાપના કરવામાં આવશે
પોસ્ટેડ ઓન:
01 FEB 2026 1:03PM by PIB Ahmedabad
કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું. તેમના ભાષણમાં, નાણાં મંત્રીએ જણાવ્યું કે સરકાર ત્રણ ઉદ્દેશ્યો દ્વારા સંચાલિત છે: (1) આર્થિક વિકાસને વેગ આપવો અને ટકાઉ બનાવવો; (2) લોકોની આકાંક્ષાઓ પૂર્ણ કરવી અને તેમની ક્ષમતાઓનું નિર્માણ કરવું; અને (3) દરેક પરિવાર, સમુદાય, પ્રદેશ અને ક્ષેત્રને સંસાધનોની સુલભતા મળે તે સુનિશ્ચિત કરવું. કેન્દ્રીય બજેટમાં આરોગ્ય આ ત્રણ ઉદ્દેશ્યોના એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ઉભરી આવ્યું છે.
ભારતને વૈશ્વિક બાયોફાર્માસ્યુટિકલ ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે, કેન્દ્રીય બજેટમાં આગામી પાંચ વર્ષમાં ₹10,000 કરોડના ખર્ચ સાથે બાયોફાર્મા શક્તિ (જ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા દ્વારા આરોગ્ય સંભાળ પ્રગતિ માટેની વ્યૂહરચના)નો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ બાયોલોજિક્સ અને બાયોસિમિલર્સના સ્થાનિક ઉત્પાદન માટે એક ઇકોસિસ્ટમ બનાવશે.

યુવાનો માટે કુશળ કારકિર્દીના નવા માર્ગો ઊભા કરવા નાણામંત્રીએ આરોગ્ય ક્ષેત્ર સહિત અનેક ક્ષેત્રોમાં પગલાં લેવાનો પ્રસ્તાવ મૂક્યો. આ નીચે મુજબ છે:
એલાઈડ હેલ્થ પ્રોફેશનલ્સ (AHPs) માટેની હાલની સંસ્થાઓને અપગ્રેડ કરવામાં આવશે અને ખાનગી તથા સરકારી ક્ષેત્રોમાં નવી AHP સંસ્થાઓ સ્થાપવામાં આવશે. ઓપ્ટોમેટ્રી, રેડિયોલોજી, એનેસ્થેસિયા, ઓપરેશન થિયેટર ટેકનોલોજી, એપ્લાઇડ સાયકોલોજી અને બિહેવિયરલ હેલ્થ સહિતના 10 પસંદગીના વિષયોને આ યોજના આવરી લેશે, અને આગામી 5 વર્ષમાં 100,000 એલાઇડ હેલ્થ પ્રોફેશનલ્સ (AHPs)નો ઉમેરો કરશે.
નાણા મંત્રીએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે વૃદ્ધો અને સંબંધિત સંભાળ સેવાઓને આવરી લેતી એક મજબૂત સંભાળ ઇકોસિસ્ટમ વિકસાવવામાં આવશે. એનએસક્યુએફ-સુસંગત વિવિધ કાર્યક્રમો બહુ-કુશળ સંભાળ રાખનારાઓને તાલીમ આપવા માટે વિકસાવવામાં આવશે, જે મુખ્ય સંભાળ અને સુખાકારી, યોગ, તથા તબીબી અને સહાયક ઉપકરણોના સંચાલન જેવા આનુષંગિક કૌશલ્યોનો સમન્વય કરશે. વધુમાં, આગામી વર્ષમાં, દોઢ લાખ સંભાળ રાખનારાઓને તાલીમ આપવામાં આવશે.
ભારતને મેડિકલ ટુરિઝમ સેવાઓ માટેના હબ તરીકે પ્રોત્સાહિત કરવા માટે, કેન્દ્રીય બજેટમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી સાથે પાંચ પ્રાદેશિક મેડિકલ હબની સ્થાપનામાં રાજ્યોને સહાય આપવા માટે એક યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રો સંકલિત આરોગ્યસંભાળ સંકુલો તરીકે કાર્ય કરશે, જેમાં તબીબી, શૈક્ષણિક તથા સંશોધન સુવિધાઓનો સમાવેશ થશે. આ હબોમાં આયુષ કેન્દ્રો, મેડિકલ ટુરિઝમ સુવિધા કેન્દ્રો તેમજ નિદાન, સારવાર પછીની સંભાળ અને પુનર્વસન માટેની આધુનિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત, આ મેડિકલ હબો ડોકટરો, સહાયક આરોગ્ય વ્યાવસાયિકો સહિત આરોગ્ય સંભાળ ક્ષેત્રના વિવિધ વ્યાવસાયિકો માટે વ્યાપક રોજગારીની તકો સર્જશે.

નાણામંત્રીએ તેમના ભાષણમાં નોંધ્યું હતું કે વિશ્વના કેટલાક ભાગોમાં પહેલેથી જ માન્યતા પામેલા પ્રાચીન ભારતીય યોગને, માનનીય પ્રધાનમંત્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્રોમાં રજૂ કર્યા બાદ, મોટા પાયે વૈશ્વિક ઓળખ પ્રાપ્ત થઈ હતી. ઉપરાંત, કોવિડ બાદ આયુર્વેદે પણ વૈશ્વિક સ્તરે સમાન સ્વીકૃતિ અને ઓળખ મેળવી છે. આ વધતી જતી વૈશ્વિક માંગને ધ્યાનમાં રાખીને, તેને પહોંચી વળવા માટે કેટલાક વધારાના પગલાંની જાહેરાત કરવામાં આવી હતી.
નાણામંત્રીએ નીચેની ત્રણ બાબતોની દરખાસ્ત કરી: આયુર્વેદની ત્રણ નવી અખિલ ભારતીય સંસ્થાઓ સ્થાપિત કરવી, પ્રમાણપત્ર ઇકોસિસ્ટમ માટે ઉચ્ચ ધોરણો સુનિશ્ચિત કરવા આયુષ ફાર્મસીઓ અને ડ્રગ ટેસ્ટિંગ લેબ્સનું સ્તર સુધારવું અને વધુ કુશળ કર્મચારીઓને ઉપલબ્ધ કરાવવા, અને પરંપરાગત ઔષધિ માટે પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને જાગૃતિને મજબૂત કરવા જામનગરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પરંપરાગત ઔષધિ કેન્દ્રનું સ્તર સુધારવું.
નાણામંત્રીએ ઉત્તર ભારતમાં માનસિક સ્વાસ્થ્ય સંભાળ માટેની રાષ્ટ્રીય સંસ્થાઓના અભાવની પણ નોંધ લીધી હતી તેથી, કેન્દ્રીય બજેટમાં NIMHANS-2 ની રચના અને રાંચી અને તેજપુરમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાઓને પ્રાદેશિક ટોચની સંસ્થાઓમાં અપગ્રેડ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. વધુમાં, જિલ્લા હોસ્પિટલોની કટોકટી ક્ષમતાને મજબૂત બનાવવામાં આવશે અને કટોકટી અને ટ્રોમા કેર સેન્ટરો બનાવીને 50% સુધી વધારવામાં આવશે.
SM/IJ/GP/DK/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2221518)
મુલાકાતી સંખ્યા : 82
આ રીલીઝ વાંચો:
Urdu
,
Malayalam
,
Bengali
,
Bengali-TR
,
English
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada