પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું


"આપણે આગામી આરોગ્ય કટોકટીને રોકવા, તેના માટે તૈયાર રહેવાઅને પ્રતિસાદ આપવા માટે સજ્જ રહેવું જોઈએ"

"આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક ઉજવણી સમગ્રતયા સ્વાસ્થ્ય માટેની સાર્વત્રિક ઇચ્છાનો પુરાવો છે"

"અમે વર્ષ 2030ના વૈશ્વિક લક્ષ્યાંકથી ઘણી આગળ ટીબી નાબૂદી હાંસલ કરવાનાં અમારાં માર્ગે અગ્રેસર છીએ"

"ચાલો આપણે જાહેર હિત માટે આપણી નવીનતાઓ ખોલીએ. ચાલો આપણે ભંડોળના ડુપ્લિકેશનને ટાળીએ. ચાલો આપણે ટેકનોલોજીની સમાન ઉપલબ્ધતાની સુવિધા આપીએ"

Posted On: 18 AUG 2023 3:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ મારફતે ગુજરાતનાં ગાંધીનગરમાં આયોજિત જી20 સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકને સંબોધન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ભારતમાં હેલ્થકેર ક્ષેત્ર સાથે સંકળાયેલા 2.1 મિલિયન ડૉક્ટર્સ, 35 લાખ નર્સો, 1.3 મિલિયન પેરામેડિક્સ, 1.6 મિલિયન ફાર્માસિસ્ટ્સ અને લાખો અન્ય લોકો વતી મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

રાષ્ટ્રપિતાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ગાંધીજી સ્વાસ્થ્યને એટલો મહત્વપૂર્ણ મુદ્દો માનતા હતા કે તેમણે આ વિષય પર 'સ્વાસ્થ્યની ચાવી' નામનું પુસ્તક લખ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સ્વસ્થ રહેવું એટલે વ્યક્તિનાં મન અને શરીરને સંવાદિતા અને સમતોલનની સ્થિતિમાં રાખવું, એટલે કે સ્વાસ્થ્ય એ જ જીવનનો પાયો છે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃતમાં એક શ્લોકનું પઠન પણ કર્યું હતું, જેનો અર્થ હતો: 'સ્વાસ્થ્ય એ અંતિમ સંપત્તિ છે અને સારા સ્વાસ્થ્ય સાથે દરેક કાર્ય પૂર્ણ થઈ શકે છે.'

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોવિડ-19 રોગચાળાએ આપણને યાદ અપાવ્યું છે કે આપણા નિર્ણયોના કેન્દ્રમાં આરોગ્ય હોવું જોઈએ. તેમણે કહ્યું હતું કે, સમય આપણને આંતરરાષ્ટ્રીય સહકારનું મૂલ્ય પણ દર્શાવે છે, પછી ભલે તે દવા અને રસીની ડિલિવરીમાં હોય કે પછી આપણાં લોકોને સ્વદેશ પરત લાવવામાં હોય.

વિશ્વને કોવિડ-19ની રસી પ્રદાન કરવાની ભારત સરકારની માનવતાવાદી પહેલનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, રસી મૈત્રી પહેલ હેઠળ ભારતે 100થી વધારે દેશોને 300 મિલિયન રસીનાં ડોઝ આપ્યાં હતાં, જેમાં વૈશ્વિક દક્ષિણનાં ઘણાં ડોઝ સામેલ છે.

રોગચાળા દરમિયાન સ્થિતિસ્થાપકતાને સૌથી મોટા પાઠોમાંનો એક ગણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વૈશ્વિક સ્વાસ્થ્ય વ્યવસ્થા સ્થિતિસ્થાપક હોવી જોઈએ. આપણે આગામી આરોગ્ય કટોકટીને રોકવા, તૈયારી કરવા અને પ્રતિસાદ આપવા માટે તૈયાર રહેવું જોઈએ. આજની એકબીજા સાથે જોડાયેલી દુનિયામાં આ ખાસ કરીને મહત્વપૂર્ણ છે. જેમ કે આપણે રોગચાળા દરમિયાન જોયું, વિશ્વના એક ભાગમાં આરોગ્યની સમસ્યાઓ ખૂબ જ ટૂંકા સમયમાં વિશ્વના અન્ય ભાગોને અસર કરી શકે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતમાં અમે સંપૂર્ણ અને સર્વસમાવેશક અભિગમને અનુસરી રહ્યા છીએ." તેમણે કહ્યું હતું કે, અમે સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓનું વિસ્તરણ કરી રહ્યાં છીએ, ચિકિત્સાની પરંપરાગત પદ્ધતિઓને પ્રોત્સાહન આપી રહ્યાં છીએ અને તમામને વાજબી ખર્ચે હેલ્થકેર પ્રદાન કરી રહ્યાં છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વૈશ્વિક ઉજવણી સમગ્રતયા આરોગ્ય માટેની સાર્વત્રિક ઇચ્છાનો પુરાવો છે. આ વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. બાજરી અથવા 'શ્રી અન્ના' ભારતમાં જાણીતા છે, તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, અમે માનીએ છીએ કે સંપૂર્ણ સ્વાસ્થ્ય અને સુખાકારી દરેકની લવચિકતા વધારવામાં મદદરૂપ થઈ શકે છે. ગુજરાતમાં જામનગરમાં ડબ્લ્યુએચઓ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અને જી20 આરોગ્ય મંત્રીઓની બેઠકની સાથે પરંપરાગત ચિકિત્સા પર ડબ્લ્યુએચઓ ગ્લોબલ સમિટનું આયોજન તેની સંભવિતતાનો ઉપયોગ કરવાના પ્રયાસોને વધુ તીવ્ર બનાવશે. પરંપરાગત દવાઓનો વૈશ્વિક ભંડાર બનાવવાનો આ આપણો સંયુક્ત પ્રયાસ હોવો જોઈએ.

સ્વાસ્થ્ય અને પર્યાવરણ સજીવ રીતે જોડાયેલાં છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સ્વચ્છ હવા, પીવાનું સુરક્ષિત પાણી, પર્યાપ્ત પોષણ અને સુરક્ષિત આશ્રય સ્વાસ્થ્યનાં મુખ્ય પરિબળો છે. તેમણે ક્લાઇમેટ એન્ડ હેલ્થ ઇનિશિયેટિવ શરૂ કરવાની દિશામાં હાથ ધરેલા પગલાં બદલ મહાનુભાવોને અભિનંદન પાઠવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, એન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (એએમઆર)નાં જોખમને પહોંચી વળવા માટે લેવામાં આવેલાં પગલાં પણ પ્રશંસનીય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, એએમઆર વૈશ્વિક સ્તરે જાહેર સ્વાસ્થ્ય અને અત્યાર સુધી ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે થયેલી તમામ પ્રગતિઓ માટે ગંભીર જોખમ છે. તેમણે જી-20 હેલ્થ વર્કિંગ ગ્રૂપે ''એક સ્વાસ્થ્ય''ને પ્રાથમિકતા આપી છે એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી. અમારી ''એક પૃથ્વી, એક આરોગ્ય''ની દ્રષ્ટિ છે, જે સમગ્ર ઇકોસિસ્ટમ - મનુષ્યો, પ્રાણીઓ, વનસ્પતિઓ અને પર્યાવરણ માટે સારા સ્વાસ્થ્યની કલ્પના કરે છે. તેમણે કહ્યું હતું કે, આ સુગ્રથિત દ્રષ્ટિકોણથી કોઈને પણ પાછળ ન છોડવાનો ગાંધીજીનો સંદેશો છે.

આરોગ્યલક્ષી પહેલોની સફળતામાં મુખ્ય પરિબળ તરીકે જનભાગીદારીનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણાં રક્તપિત્ત નાબૂદી અભિયાનની સફળતાનું આ એક મુખ્ય કારણ છે. તેમણે કહ્યું હતું કે, ટીબી નાબૂદી પર અમારો મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમ જનભાગીદારીને પણ પ્રોત્સાહન આપે છે. તેમણે કહ્યું હતું કે, અમે દેશનાં લોકોને 'નિ-ક્ષય મિત્ર' અથવા 'ટીબી નાબૂદી માટે મિત્રો' બનવા અપીલ કરી છે, જે અંતર્ગત આશરે 10 લાખ દર્દીઓને નાગરિકોએ દત્તક લીધા છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "હવે આપણે વર્ષ 2030ના વૈશ્વિક લક્ષ્યાંકથી ઘણી આગળ ટીબી નાબૂદી હાંસલ કરવાનાં માર્ગે અગ્રેસર છીએ."

તમામ માટે હેલ્થકેરની સુલભતામાં ડિજિટલ સોલ્યુશન્સ અને નવીનતાની ભૂમિકા પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણાં પ્રયાસોને સમાન અને સર્વસમાવેશક બનાવવા માટે આ એક ઉપયોગી માધ્યમ છે, કારણ કે દૂર-દૂરનાં દર્દીઓ ટેલિ-મેડિસિન મારફતે ગુણવત્તાયુક્ત સારસંભાળ મેળવી શકે છે. તેમણે ભારતનાં રાષ્ટ્રીય મંચ ઇ-સંજીવનીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, તેનાથી અત્યાર સુધીમાં 140 મિલિયન ટેલિ-હેલ્થ કન્સલ્ટેશનની સુવિધા મળી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતનાં કોવિન પ્લેટફોર્મે માનવ ઇતિહાસમાં સૌથી મોટા રસીકરણ અભિયાનની સફળતાપૂર્વક સુવિધા પ્રદાન કરી છે. તેમણે જણાવ્યું હતું કે, તે બે અબજથી વધુ રસીના ડોઝની ડિલિવરી અને વૈશ્વિક સ્તરે ચકાસી શકાય તેવા રસીકરણ પ્રમાણપત્રોની વાસ્તવિક-સમયની ઉપલબ્ધતાનું સંચાલન કરે છે. ડિજિટલ હેલ્થ પર વૈશ્વિક પહેલ વિવિધ ડિજિટલ સ્વાસ્થ્ય પહેલોને એક જ મંચ પર લાવશે.

"ચાલો આપણે જાહેર હિત માટે આપણી નવીનતાઓ ખોલીએ. ચાલો આપણે ભંડોળના ડુપ્લિકેશનને ટાળીએ. ચાલો આપણે ટેકનોલોજીની સમાન ઉપલબ્ધતાને સરળ બનાવીએ," પ્રધાનમંત્રીએ એક સ્પષ્ટ કોલ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ પહેલથી વૈશ્વિક દક્ષિણનાં દેશો હેલ્થકેર ડિલિવરીમાં રહેલી ખામીઓ દૂર કરી શકશે અને અમને સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ હાંસલ કરવાનાં અમારાં લક્ષ્યાંકથી એક પગલું નજીક લઈ જશે.

પ્રધાનમંત્રીએ સંસ્કૃતમાં માનવતા માટેની પ્રાચીન ભારતીય ઇચ્છા સાથે તેમના ભાષણનું સમાપન કર્યું હતું, જેનો અર્થ થાય છે, 'બધા ખુશ રહે, બધા માંદગીથી મુક્ત રહે'. હું તમને તમારા વિચાર-વિમર્શમાં સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું.'

CB/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1950100) Visitor Counter : 281