પ્રધાનમંત્રીનું કાર્યાલય

સરકારી યોજનાઓએ 13.5 કરોડ લોકોને ગરીબીનાં દુષ્ચક્રમાંથી બહાર નીકળવા અને નવા મધ્યમ વર્ગમાં સામેલ થવા સક્ષમ બનાવ્યાં છેઃ પ્રધાનમંત્રી

Posted On: 15 AUG 2023 11:53AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે દેશનાં 77મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની દિવાલો પરથી રાષ્ટ્રજોગ સંબોધન કર્યુ હતું. તેમાં તેમણે યાદ કર્યું હતું કે, વર્ષ 2014માં ભારત દુનિયામાં 10મું સૌથી મોટું અર્થતંત્ર હતું, જે અત્યારે વર્ષ 2023માં દુનિયાનું સૌથી મોટું પાંચમું અર્થતંત્ર બની ગયું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર સામે લડવાથી, સરકારી ફાયદાઓનાં હસ્તાંતરણમાં ભ્રષ્ટાચાર અટકાવવાથી તથા મજબૂત અર્થતંત્રનું સર્જન કરવાથી અને ગરીબોનાં કલ્યાણ માટે સરકારી નાણાંનો ખર્ચ વધવાથી દેશનો વિકાસ થયો છે. તેમણે કહ્યું હતું કે, અત્યારે હું દેશવાસીઓને કહેવા ઇચ્છું છું કે, જ્યારે દેશ આર્થિક રીતે સમૃદ્ધ થાય છે, ત્યારે તેની તિજોરી ભરાવવાની સાથે નાગરિકો અને દેશની ક્ષમતા પણ ઊભી થાય છે. જો કોઈ પણ સરકાર પોતાનાં નાગરિકોનાં કલ્યાણ માટે આ ખજાનાનો પ્રામાણિકપણે ખર્ચ કરવાની પ્રતિજ્ઞા લે, તો જ આ પ્રકારનાં દુર્લભ પ્રગતિકારક પરિણામો હાંસલ થાય છે.

કેન્દ્ર પાસેથી રાજ્યોને પ્રાપ્ત ફંડ રૂ. 30 લાખ કરોડથી વધીને રૂ. 100 લાખ કરોડ થયું

છેલ્લાં 10 વર્ષમાં દેશની પ્રગતિનો હિસાબ આપતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આંકડા દેશમાં પરિવર્તનની ગાથા બયાન કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં મોટા પાયે પરિવર્તન થયું છે અને દેશની પ્રચૂર ક્ષમતા એનો પુરાવો છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, 10 વર્ષ અગાઉ ભારત સરકાર પાસેથી રાજ્યોને 30 લાખ કરોડ રૂપિયા મળતાં હતાં. તેમણે ધ્યાન દોર્યું છે કે, છેલ્લાં 9 વર્ષ દરમિયાન આ આંકડો 100 લાખ કરોડને આંબી ગયો છે. તેમણે કહ્યું હતું કે, અગાઉ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના વિકાસ માટે ભારત સરકારના ખજાનામાંથી 70 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થતો હતો, જેની સરખામણીમાં અત્યારે 3 લાખ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થાય છે.

ગરીબો માટે મકાનોનાં નિર્માણનાં ખર્ચમાં ચારગણો વધારો, ખેડૂતો માટે રૂ. 10 લાખ કરોડની યુરિયા સબસિડી

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને જણાવ્યું હતું કે, અગાઉ 90 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ ગરીબો માટે મકાનોનું નિર્માણ કરવા માટે થયો છે; અત્યારે આ ખર્ચ 4 ગણો વધ્યો છે અને ગરીબો માટે મકાનોનું નિર્માણ કરવા માટે 4 લાખ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થાય છે. પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, દુનિયાનાં કેટલાંક બજારોમાં યુરિયાની થેલીઓનું વેચાણ રૂ. 3,000માં થાય છે, જેની સરખામણીમાં આપણાં દેશનાં ખેડૂતોને ફક્ત રૂ. 300માં મળે છે અને એટલે સરકારે આપણાં ખેડૂતો માટે યુરિયા પર 10 લાખ કરોડ રૂપિયાની સબસિડી પ્રદાન કરી છે.

મુદ્રા યોજનાએ રોજગારદાતાઓ બનવા આશરે 10 કરોડ નાગરિકોને સક્ષમ બનાવ્યાં

પ્રધાનમંત્રીએ સમજાવ્યું હતું કે, મુદ્રા યોજનાએ કરોડો નાગરિકોને ઉદ્યોગસાહસિકો બનવા સક્ષમ બનાવ્યાં છે અને એટલે તેઓ અન્ય લોકો માટે પણ રોજગારીદાતાઓ બન્યાં છે. તેમણે કહ્યું હતું કે, "20 લાખ કરોડ રૂપિયાથી વધારે બજેટ ધરાવતી મુદ્રા યોજનાએ સ્વરોજગારી માટે, વ્યવસાયો માટે અને આપણાં દેશની યુવા પેઢી માટે ઉદ્યોગસાહસો શરૂ કરવા માટેની તકો પ્રદાન કરી છે. આશરે આઠ કરોડ લોકોએ નવા વ્યવસાયો શરૂ કર્યા છે અને આ આઠ કરોડ લોકોએ વ્યવસાયો જ શરૂ કર્યા નથી, પરંતુ સાથે સાથે દરેક ઉદ્યોગસાહસિકે એક કે બે વ્યક્તિઓને રોજગારી પણ પ્રદાન કરી છે. આઠ કરોડ નાગરિકો દ્વારા મુદ્રા યોજનાનો લાભ લેવામાં આવ્યો છે અને જેમનાં દ્વારા 8થી 10 કરોડ નવા લોકોને રોજગારીની તક પ્રદાન કરવાની ક્ષમતા હાંસલ થઈ છે." પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, કોવિડ-19 મહામારી દરમિયાન વ્યવસાયોને ટેકો પણ આપવામાં આવ્યો હતો, જેમાં આશરે 3.5 લાખ કરોડ રૂપિયા સાથે MSMEsને ટેકો આપવામાં આવ્યો હતો અને આ રીતે તેમનું કામગીરી બંધ થવાનું જોખમ ટાળવામાં મદદ કરી હતી અને તેમને ક્ષમતા પૂરી પાડી હતી.

પ્રધાનમંત્રીએ એ પણ યાદ કરાવ્યું હતું કે, "વન રેન્ક વન પેન્શન" પહેલથી કેવી રીતે આપણા સૈનિકોને ભારતનાં ખજાનામાંથી 70,000 કરોડ રૂપિયાનાં ફાયદા મળ્યાં છે, જે તેમના પ્રત્યે દેશની કૃતજ્ઞતા છે. તેમણે કહ્યું હતું કે, આપણાં નિવૃત્ત સૈનિકોનાં પરિવારજનોને આ નાણાં મળી ગયા છે.

પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, આ તો ફક્ત થોડાં ઉદાહરણો છે અને વધારે ઘણી પહેલો છે, જેણે દેશના વિકાસમાં, દેશનાં વિવિધ વિસ્તારોમાં રોજગારીનું સર્જન કરવામાં મહત્વપૂર્ણ પ્રદાન કર્યું છે. પ્રધાનમંત્રીએ દેશવાસીઓને યાદ અપાવ્યું હતું કે, અગાઉનાં વર્ષોની સરખામણીમાં દેશનાં બજેટમાં તમામ કેટેગરીઓમાં અનેકગણો વધારો થયો છે.

“13.5 કરોડ લોકો ગરીબીનાં દુષ્ચક્રમાંથી બહાર નીકળ્યાં છે અને મધ્યમ વર્ગમાં પ્રવેશ કર્યો છે

પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, આ તમામ પ્રયાસોનાં પરિણામે 13.5 કરોડ લોકો ગરીબીનાં દુષ્ચક્રમાંથી બહાર નીકળી ગયા છે અને સરકારનાં પાંચ વર્ષનાં શાસનકાળ દરમિયાન મધ્યમ વર્ગમાં પ્રવેશ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આનાથી વધારે જીવનમાં વધારે સંતોષ કોઈ બાબતનો હોઈ ન શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, મકાન યોજનાઓ, પીએમ સ્વનિધિ યોજના મારફતે ફેરિયાઓને રૂ. 50,000 કરોડની જોગવાઈ તથા આ પ્રકારની અન્ય ઘણી યોજનાઓ સહિત વિવિધ પ્રકારની કલ્યાણકારક સરકારી યોજનાઓએ 13.5 કરોડ લોકોને ગરીબીની હાડામારીઓમાંથી બહાર લાવવામાં મદદ કરી છે.

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1948870) Visitor Counter : 142