પ્રધાનમંત્રીનું કાર્યાલય

કર્ણાટકના હુબલી-ધારવાડમાં વિકાસ કાર્યોના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રીનાં સંબોધનનો મૂળપાઠ

Posted On: 12 MAR 2023 8:07PM by PIB Ahmedabad

ભારત માતા કી જય.

ભારત માતા કી જય

જગદ્‌ગુરુ બસવેશ્વર અવરિગે નન્ના નમસ્કારગલ્લુ.

કલે, સાહિત્ય મત્તૂ સંસ્કૃતિયા ઈ નાડિગે,

કર્નાટક દા એલ્લા સહોદરા સહોદરીયારિગે નન્ના નમસ્કારગલ્લુ.

સાથીઓ,

આ વર્ષની શરૂઆતમાં પણ મને હુબલીની આવવાનું સૌભાગ્ય મળ્યું હતું. હુબલીનાં મારાં વહાલાં ભાઈઓ અને બહેનોએ જે રીતે રસ્તાના કિનારે ઊભા રહીને મને આશીર્વાદ આપ્યાં, એ ક્ષણ હું ક્યારેય ભૂલી શકું નહીં, આટલો પ્રેમ, આટલો આશીર્વાદ. વીતેલા સમયમાં મને કર્ણાટકના ઘણા વિસ્તારોની મુલાકાત લેવાની તક મળી છે. બેંગલુરુથી લઈને બેલાગાવી સુધી, કલબુર્ગીથી લઈને શિમોગા સુધી, મૈસૂરથી લઈને તુમકુરુ સુધી, કન્નડિગા લોકોએ મને જે પ્રકારનો સ્નેહ આપ્યો છે, પોતીકાંપણું આપ્યું છે, એક એકથી ચઢિયાતો આ તમારો પ્રેમ, તમારા આશીર્વાદ અભિભૂત કરનારાં છે. તમારો આ સ્નેહ મારા પર એક બહુ મોટું ઋણ છે, કરજ છે અને હું કર્ણાટકની જનતાની સતત સેવા કરીને આ ઋણ ચૂકવીશ. કર્ણાટકમાં દરેક વ્યક્તિનું જીવન સુખી બને, અહીંના નવયુવાનોને આગળ વધવાની, રોજગારીની નવી તકો સતત મળતી રહે, અહીંની બહેન-દીકરીઓ વધુ સશક્ત બને, એ દિશામાં અમે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભાજપની ડબલ એન્જિનની સરકાર કર્ણાટકના દરેક જિલ્લા, દરેક ગામ અને દરેક નગરના સંપૂર્ણ વિકાસ માટે ઇમાનદારીથી પ્રયાસો કરી રહી છે. આજે ધારવાડની આ ધરા પર વિકાસની એક નવી ધારા નીકળી રહી છે. વિકાસની આ ધારા હુબલી, ધારવાડની સાથે જ સમગ્ર કર્ણાટકનાં ભવિષ્યને સીંચવાનું કામ કરશે, તેને પુષ્પિત અને પલ્લવિત કરવાનું કામ કરશે.

સાથીઓ,

સદીઓથી, આપણું ધારવાડ મલેનાડુ અને બયાલુ સીમે એની વચ્ચે ગેટવે ટાઉન, એટલે પ્રવેશદ્વાર તરીકે જાણીતું રહ્યું છે. આ નગર અલગ-અલગ ક્ષેત્રોમાંથી આવતા યાત્રીઓ માટે એક પડાવ હતું. તેણે દરેકનું દિલ ખોલીને સ્વાગત કર્યું, અને દરેક પાસેથી શીખીને પોતાને સમૃદ્ધ પણ કર્યું. તેથી જ ધારવાડ માત્ર એક ગેટવે જ રહ્યું નથી, પરંતુ તે કર્ણાટક અને ભારતની જીવંતતાનું એક પ્રતિબિંબ બની ગયું. તે કર્ણાટકની સાંસ્કૃતિક રાજધાની તરીકે ઓળખાય છે. ધારવાડની ઓળખ સાહિત્ય સાથે રહી છે, જેણે ડૉ. ડી.આર. બેન્દ્રે જેવા સાહિત્યકારો આપ્યા છે. ધારવાડની ઓળખ સમૃદ્ધ સંગીત સાથે રહી છે, જેણે પંડિત ભીમસેન જોશી, ગંગુભાઈ હંગલ અને બાસવરાજ રાજગુરુ જેવા સંગીતકારો આપ્યા છે. ધારવાડની ધરતીએ પંડિત કુમાર ગંધર્વ, પંડિત મલ્લિકાર્જુન માનસુર જેવાં મહાન રત્નો આપ્યાં છે. અને ધારવાડની ઓળખ અહીંના સ્વાદથી પણ છે. એવું કોણ હશે, જેણે 'ધારવાડ પેડા' એકવાર ચાખ્યા હોય અને પછી ફરી ખાવાનું મન ન થયું હોય. પણ અમારા સાથી પ્રહલાદ જોષી મારી તબિયતનું ખૂબ ધ્યાન રાખે છે, તેથી આજે તેમણે મને પેંડા તો આપ્યા, પણ બંધ બૉક્સમાં આપ્યા.

સાથીઓ,

આજે ધારવાડમાં આઈઆઈટીનાં આ નવાં કૅમ્પસની બેવડી ખુશી છે. અહીં હિન્દી સમજાય છે આ બાજુ. આ કૅમ્પસ ધારવાડની ઓળખને વધુ મજબૂત કરવાનું કામ કરશે.

સાથીઓ,

અહીં આવતા પહેલા હું હમણાં મંડ્યામાં હતો. મંડ્યામાં મને 'બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે' કર્ણાટક અને દેશની જનતાને સમર્પિત કરવાનો લહાવો મળ્યો. આ એક્સપ્રેસ વે કર્ણાટકને વિશ્વના સોફ્ટવેર અને ટેક્નૉલોજી હબ તરીકે વધુ આગળ લઈ જવાનો માર્ગ તૈયાર કરશે. હમણાં થોડા દિવસો પહેલા જ બેલાગાવીમાં અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. શિમોગામાં કુવેમ્પુ એરપોર્ટનું ઉદ્‌ઘાટન પણ કરવામાં આવ્યું હતું. અને, હવે ધારવાડમાં આઈઆઈટીનું આ નવું કૅમ્પસ કર્ણાટકની વિકાસ યાત્રામાં એક નવો અધ્યાય લખી રહ્યું છે. એક સંસ્થા તરીકે, અહીંની ઉચ્ચ તકનીકી સુવિધાઓ IIT-ધારવાડને વિશ્વની શ્રેષ્ઠ સંસ્થાઓની બરાબરી પર પહોંચવા માટે પ્રેરણા આપશે.

સાથીઓ,

આ સંસ્થાન, ભાજપ સરકારના સંકલ્પથી સિદ્ધિનું પણ ઉદાહરણ છે. ચાર વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2019માં મેં આ આધુનિક સંસ્થાનો શિલાન્યાસ કર્યો હતો. વચ્ચે કોરોનાનો સમયગાળો હતો, કામ કરવામાં ઘણી સમસ્યાઓ હતી. પરંતુ તેમ છતાં, મને ખુશી છે કે 4 વર્ષની અંદર અંદર, IIT-ધારવાડ આજે એક ભવિષ્યવાદી સંસ્થા તરીકે તૈયાર થઈ ચૂક્યું છે. શિલાન્યાસથી લઈને ઉદ્‌ઘાટન સુધી, ડબલ એન્જિન સરકાર આ જ ઝડપે કામ કરે છે અને મારો તો સંકલ્પ રહે છે કે અમે જેનો શિલાન્યાસ કરીશું તેનું ઉદ્‌ઘાટન પણ અમે જ કરીશું. એવું થાય છે, હોતી હૈ, ચલતી હૈ, શિલાન્યાસ કરો પથરો મૂકો અને ભૂલી જાવ એ સમય ગયો.

સાથીઓ,

આઝાદી પછીના ઘણા દાયકાઓ સુધી આપણે ત્યાં એ જ વિચારધારા રહી કે જો સારી શૈક્ષણિક સંસ્થાઓનું વિસ્તરણ થશે તો તેની બ્રાન્ડને અસર પડશે. આ જ વિચારસરણીએ દેશના યુવાનોનું ઘણું નુકસાન કર્યું છે. પરંતુ હવે નવું ભારત, યુવા ભારત, આ જૂની વિચારસરણીને પાછળ છોડીને આગળ વધી રહ્યું છે. સારું શિક્ષણ દરેક જગ્યાએ પહોંચવું જોઈએ, દરેકને મળવું જોઈએ. જેટલી વધુ શ્રેષ્ઠ સંસ્થાઓ હશે, તેટલા વધુ લોકોને સારું શિક્ષણ પ્રાપ્ત થશે. આ જ કારણ છે કે છેલ્લાં 9 વર્ષમાં ભારતમાં સારી શૈક્ષણિક સંસ્થાઓની સંખ્યા સતત વધી રહી છે. અમે એઈમ્સની સંખ્યા ત્રણ ગણી કરી છે. આઝાદી પછીના 7 દાયકામાં જ્યાં દેશમાં માત્ર 380 મેડિકલ કૉલેજો હતી ત્યાં છેલ્લાં 9 વર્ષમાં 250 મેડિકલ કૉલેજો ખોલવામાં આવી છે. આ 9 વર્ષોમાં દેશમાં ઘણા નવા IIM અને IIT ખુલ્યા છે. આજનો આ કાર્યક્રમ પણ ભાજપ સરકારની આ જ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે.

સાથીઓ,

21મી સદીનું ભારત તેનાં શહેરોનું આધુનિકીકરણ કરતા આગળ વધી રહ્યું છે. ભાજપ સરકાર દ્વારા સ્માર્ટ સિટી યોજનામાં હુબલી-ધારવાડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આજે અહીં આ અંતર્ગત અનેક સ્માર્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. ટેક્નૉલોજી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ ગવર્નન્સનાં કારણે હુબલી ધારવાડનો આ વિસ્તાર આગામી દિવસોમાં વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચશે.

સાથીઓ,

સમગ્ર કર્ણાટકમાં શ્રી જયદેવ હૉસ્પિટલ ઑફ કાર્ડિયોવાસ્ક્યુલર સાયન્સ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ અત્યંત વિશ્વસનીય છે. તેની સેવાઓ બેંગલુરુ, મૈસુર અને કલબુર્ગીમાં ઉપલબ્ધ છે. આજે હુબલીમાં તેની નવી શાખાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેનાં નિર્માણ બાદ આ વિસ્તારના લોકોને ઘણી સુવિધા મળશે. આ વિસ્તાર પહેલેથી જ હેલ્થ કેર હબ છે. હવે વધુ લોકોને નવી હૉસ્પિટલથી લાભ મળશે.

સાથીઓ,

ધારવાડ અને તેની આસપાસના વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. જલ જીવન મિશન અંતર્ગત અહીં એક હજાર કરોડ રૂપિયાથી વધુની યોજનાનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તેના દ્વારા રેણુકા સાગર જળાશય અને માલાપ્રભા નદીનું પાણી સવા લાખથી વધુ ઘરોમાં નળ દ્વારા પહોંચાડવામાં આવશે. ધારવાડમાં નવો વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ જ્યારે બનીને તૈયાર થશે ત્યારે સમગ્ર જિલ્લાની જનતાને ફાયદો થશે. આજે તુપરીહલ્લા ફ્લડ ડેમેજ કંટ્રોલ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ દ્વારા પૂરથી થતાં નુકસાનને ઘટાડી શકાશે.

સાથીઓ,

આજે હું બીજી એક વાતથી ખૂબ ખુશ છું. કર્ણાટક કનેક્ટિવિટીની બાબતમાં આજે વધુ એક સીમાચિહ્નને સ્પર્શી ગયું છે. અને કર્ણાટકને આ ગૌરવ અપાવવાનું સૌભાગ્ય હુબલીને મળ્યું છે. હવે સિદ્ધરુધા સ્વામીજી સ્ટેશન પર વિશ્વનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. પરંતુ તે માત્ર એક રેકોર્ડ નથી, તે માત્ર એક પ્લેટફોર્મનું વિસ્તરણ નથી. આ એ વિચારનું વિસ્તરણ છે જેમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપીએ છીએ. હોસપેટ-હુબલી-તિનાઇઘાટ સેક્શનનું વિદ્યુતીકરણ અને હોસપેટ સ્ટેશનનું અપગ્રેડેશન અમારાં આ જ વિઝનને બળ આપે છે. આ માર્ગ દ્વારા મોટા પાયે ઉદ્યોગો માટે કોલસાનું પરિવહન થાય છે. આ લાઇનનાં વીજળીકરણ બાદ ડીઝલ પરની નિર્ભરતા ઘટશે અને પર્યાવરણનું રક્ષણ થશે. આ તમામ પ્રયાસોથી પ્રદેશના આર્થિક વિકાસને વેગ મળશે અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે.

ભાઇઓ અને બહેનો,

સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, માત્ર આંખને સારું લાગે એ માટે નથી હોતું, તે જીવનને સરળ બનાવવા માટે હોય છે. તે સપના સાકાર થવાનો માર્ગ મોકળો કરે છે. જ્યારે આપણી પાસે સારા રસ્તા નહોતા, સારી હૉસ્પિટલો ન હતી ત્યારે દરેક વર્ગ, દરેક વયના લોકોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે જ્યારે ન્યૂ ઈન્ડિયામાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે દરેકને તેનો લાભ મળી રહ્યો છે. સારા રસ્તાઓથી યુવાનોને શાળા-કૉલેજ જવાનું સરળ બને છે. આધુનિક ધોરીમાર્ગોથી ખેડૂતો, મજૂરો, વેપારીઓ, ઓફિસ જનારા લોકોને, મધ્યમ વર્ગને, દરેકને લાભ થાય છે. તેથી દરેકને સારું-આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે. અને મને ખુશી છે કે છેલ્લાં 9 વર્ષથી દેશ તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક બનાવવા માટે સતત કામ કરી રહ્યો છે. છેલ્લાં 9 વર્ષમાં પીએમ સડક યોજના દ્વારા દેશનાં ગામડાઓમાં રસ્તાઓનું નેટવર્ક બમણાંથી વધારે થઈ ગયું છે. નેશનલ હાઈવે નેટવર્કમાં 55%થી વધુ વૃદ્ધિ થઈ ચૂકી છે. માત્ર રસ્તાઓ જ નહીં પરંતુ આજે દેશમાં એરપોર્ટ અને રેલવેનું પણ અભૂતપૂર્વ રીતે વિસ્તરણ થઈ રહ્યું છે. છેલ્લાં 9 વર્ષમાં દેશમાં એરપોર્ટ્સની સંખ્યા બમણીથી વધુ થઈ ગઈ છે.

સાથીઓ,

વર્ષ 2014 પહેલા દેશમાં ઈન્ટરનેટની, ભારતની ડિજિટલ તાકાત વિશે બહુ ઓછી ચર્ચા થતી હતી. પરંતુ આજે ભારત વિશ્વની સૌથી શક્તિશાળી ડિજિટલ અર્થવ્યવસ્થાઓમાંની એક છે. આવું એટલા માટે થયું કારણ કે અમે સસ્તું ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવ્યું, ગામેગામ ઈન્ટરનેટ પહોંચાડ્યું. છેલ્લાં 9 વર્ષોમાં, દરરોજ સરેરાશ 2.5 લાખ બ્રોડબેન્ડ કનેક્શન આપવામાં આવ્યા છે, દરરોજ 2.5 લાખ જોડાણો.

ઈન્ફ્રા વિકાસમાં આ ઝડપ એટલા માટે આવી રહી છે કારણ કે આજે દેશ અને દેશવાસીઓની જરૂરિયાતો અનુસાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે. અગાઉ રાજકીય નફા-નુકસાન જોઈને જ રેલ-રોડ એવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરવામાં આવતી હતી. અમે સમગ્ર દેશ માટે પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન લઈને આવ્યા છીએ, જેથી દેશમાં જ્યાં જ્યાં પણ જરૂર હોય ત્યાં ઝડપી ગતિએ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરી શકાય.

સાથીઓ,

આજે દેશમાં સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ અભૂતપૂર્વ કામ થઈ રહ્યું છે. વર્ષ 2014 સુધી દેશની મોટી વસ્તી પાસે પાકું મકાન નહોતું. શૌચાલયના અભાવે આપણી બહેનોને ખૂબ જ તકલીફ વેઠવી પડતી હતી. બહેનોનો પોતાનો બધો સમય લાકડા અને પાણીની વ્યવસ્થા કરવામાં જ ખર્ચાઇ જતો હતો. ગરીબો માટે હૉસ્પિટલનો અભાવ હતો. હૉસ્પિટલમાં સારવાર મોંઘી હતી. અમે એક પછી એક આ સમસ્યાઓ હલ કરી. ગરીબોને પોતાનું પાકું મકાન મળ્યું, વીજળી-ગેસ કનેક્શન મળ્યું, શૌચાલય મળ્યું. હવે દરેક ઘરમાં નળથી પાણીની સુવિધા મળી રહી છે. ઘરો અને ગામ નજીક સારી હૉસ્પિટલો બની રહી છે, સારી કૉલેજો અને યુનિવર્સિટીઓ બની રહી છે. એટલે કે, આજે અમે આપણા યુવાનોને એ દરેક સાધન આપી રહ્યા છીએ, જે તેમને આવનારાં 25 વર્ષના તેમના સંકલ્પોને પૂર્ણ કરવામાં તેમની મદદ કરશે.

સાથીઓ,

આજે જ્યારે હું ભગવાન બસવેશ્વરની ધરતી પર આવ્યો છું ત્યારે હું વધુ ધન્યતા અનુભવું છું. ભગવાન બસવેશ્વરનાં અસંખ્ય યોગદાનમાં, અનુભવ મંડપમની સ્થાપના સૌથી અગ્રણી છે. આ લોકશાહી પ્રણાલીનો સમગ્ર વિશ્વમાં અભ્યાસ કરવામાં આવે છે. અને એવી ઘણી બધી બાબતો છે, જેનાં કારણે આપણે દાવા સાથે કહીએ છીએ કે ભારત માત્ર સૌથી મોટી લોકશાહી નથી, ભારત લોકશાહીની જનની પણ છે. આ મારું સૌભાગ્ય રહ્યું છે કે મને થોડાં વર્ષો પહેલા લંડનમાં ભગવાન બસવેશ્વરની પ્રતિમાનું લોકાર્પણ કરવાનો મોકો મળ્યો. લંડનમાં ભગવાન બસવેશ્વર, લોકશાહીના મજબૂત પાયાનું પ્રતીક અનુભવ મંડપમ. એ ભગવાન બસવેશ્વર, લંડનની ધરતી પર તેમની મૂર્તિ, પરંતુ એ દુર્ભાગ્ય છે કે લંડનમાં જ ભારતની લોકશાહી પર સવાલો ઉઠાવવાનું કામ કરવામાં આવ્યું. ભારતની લોકશાહીનાં મૂળ આપણા સદીઓ જૂના ઈતિહાસથી સિંચાયેલાં છે. વિશ્વની કોઈ પણ તાકાત ભારતની લોકશાહી પરંપરાઓને નુકસાન પહોંચાડી શકે નહીં. આમ છતાં કેટલાક લોકો સતત ભારતનાં લોકતંત્રને પાંજરામાં ઊભું કરી રહ્યા છે. આવા લોકો ભગવાન બસવેશ્વરનું અપમાન કરી રહ્યા છે. આવા લોકો કર્ણાટકના લોકોનું, ભારતની મહાન પરંપરાનું, ભારતના 130 કરોડ જાગૃત નાગરિકોનું અપમાન કરી રહ્યા છે. કર્ણાટકની જનતાએ પણ આવા લોકોથી સાવધાન રહેવાનું છે.

સાથીઓ,

કર્ણાટકે જે રીતે વીતેલાં વર્ષોમાં ભારતને ટેક-ફ્યુચર તરીકે ઓળખ અપાવી છે, તેને આગળ લઈ જવાનો આ સમય છે. કર્ણાટક હાઈટેક ઈન્ડિયાનું એન્જિન છે. આ એન્જિનને ડબલ એન્જિન સરકારનો પાવર મળવો ખૂબ જ જરૂરી છે.

સાથીઓ,

ફરી એકવાર હુબલી-ધારવાડના લોકોને વિકાસની પરિયોજનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન, ઘણી ઘણી શુભેચ્છાઓ. મારી સાથે બોલો – ભારત માતા કી જય. બંને હાથ ઊંચા કરો અને પૂરી તાકાતથી બોલો – ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય.

ખૂબ ખૂબ આભાર.

 

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1906228) Visitor Counter : 188