પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ કર્ણાટકનાં માંડ્યામાં મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું


બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યો

મૈસુરુ-કુશલનગર 4-લેન હાઇવે માટે શિલારોપણ કર્યું

"કર્ણાટકમાં આજે જે અત્યાધુનિક રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ શરૂ થઈ રહ્યા છે, તે રાજ્યભરમાં કનેક્ટિવિટીને વેગ આપશે અને આર્થિક વૃદ્ધિને મજબૂત કરશે"

"'ભારતમાલા' અને 'સાગરમાલા' જેવી પહેલ ભારતનાં પરિદ્રશ્યની કાયાપલટ કરી રહી છે

"આ વર્ષનાં બજેટમાં દેશમાં માળખાગત વિકાસ માટે 10 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે"

"સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર 'ઈઝ ઑફ લિવિંગ'ને વધારે છે. તે પ્રગતિ માટે નવી તકો ઊભી કરે છે"

"માંડ્યા ક્ષેત્રનાં 2.75 લાખથી વધારે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં કેન્દ્ર સરકાર દ્વારા 600 કરોડ પ્રદાન કરવામાં આવ્યા છે"

"દેશમાં દાયકાઓથી વિલંબિત સિંચાઈ યોજનાઓ ઝડપથી પૂર્ણ કરવામાં આવી રહી છે"

"ઇથેનોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી શેરડીના ખેડૂતોને મદદ મળશે"

Posted On: 12 MAR 2023 2:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટકનાં માંડ્યામાં મુખ્ય વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સમાં બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવેને રાષ્ટ્રને સમર્પિત કરવા અને મૈસુરુ-કુશલનગર 4-લેન હાઇવેનો શિલાન્યાસ સામેલ છે.

જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ દેવી ભુવનેશ્વરી અને આદિચુંચનાગિરી તથા મેલુકોટેના ગુરુઓને નમન કરીને શરૂઆત કરી હતી. પ્રધાનમંત્રીએ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કર્ણાટકના લોકો વચ્ચે ઉપસ્થિત રહેવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી તથા તેમના પર આ આશીર્વાદ વરસાવવા બદલ તમામનો આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ ખાસ કરીને માંડ્યાના લોકો દ્વારા સ્વાગત પ્રસંગે ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે, તેમનાં આશીર્વાદ મીઠાશમાં ભીંજાયેલા છે. રાજ્યના લોકોના પ્રેમ અને લાગણી પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ડબલ એન્જિન ધરાવતી સરકાર ઝડપી વિકાસ સાથે દરેક નાગરિકની માગણીઓ પૂર્ણ કરવા આતુર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, અત્યારે હજારો કરોડનાં મૂલ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ ડબલ એન્જિન ધરાવતી સરકાર દ્વારા કર્ણાટકના લોકો પ્રત્યેનાં આ પ્રકારનાં પ્રયાસોનો એક ભાગ છે.

બેંગાલુરુ-મૈસુરુ એક્સપ્રેસવેને લઈને રાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી ચર્ચાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશના યુવાનો આ પ્રકારના આધુનિક અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત એક્સપ્રેસવે પર ગર્વની લાગણી અનુભવી રહ્યાં છે. તેમણે માહિતી આપી કે આ એક્સપ્રેસ વેથી મૈસુરુ અને બેંગલુરુ વચ્ચેનો મુસાફરીનો સમય અડધો ઓછો થઈ ગયો છે. તેમણે મૈસૂર-કુશલનગર 4-લેન હાઇવે માટે શિલારોપણ પર પણ પ્રકાશ પાડ્યો હતો અને કહ્યું હતું કે, આ વિવિધ પ્રોજેક્ટ્સ 'સબ કા વિકાસ'ની ભાવનાને વધારશે અને સમૃદ્ધિના દ્વાર ખોલશે. પ્રધાનમંત્રીએ આ યોજનાઓ માટે કર્ણાટકના લોકોને અભિનંદન આપ્યાં હતાં.

પ્રધાનમંત્રીએ ભારતમાં માળખાગત વિકાસના સંદર્ભમાં બે મહાન વિભૂતિઓને યાદ કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "કર્ણાટકના મહાન સપૂત કૃષ્ણરાજા વાડિયાર અને સર એમ. વિશ્વેશ્વરૈયાએ દેશને એક નવું વિઝન અને શક્તિ આપી. આ મહાનુભાવોએ આપત્તિને અવસરમાં પરિવર્તિત કરી દીધી અને માળખાગત સુવિધાનું મહત્ત્વ સમજ્યું અને વર્તમાન પેઢી તેમના પ્રયાસોનો લાભ લેવા માટે ભાગ્યશાળી છે," એમ પ્રધાનમંત્રીએ કહ્યું. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, દેશમાં અત્યાધુનિક માળખાગત પ્રોજેક્ટ્સનો વિકાસ તેમનાં પગલે ચાલીને થઈ રહ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતમાલા અને સાગરમાલા યોજના આજે ભારત અને કર્ણાટકનાં પરિદ્રશ્યની કાયાપલટ કરી રહી છે." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું, ત્યારે પણ દેશમાં માળખાગત બજેટમાં અનેકગણો વધારો કરવામાં આવ્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આ વર્ષનાં બજેટમાં દેશમાં માળખાગત વિકાસ માટે 10 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે. સરળતા ઉપરાંત, પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, માળખાગત સુવિધા રોજગારી, રોકાણ અને આવકની તકો પણ સાથે લાવે છે. તેમણે માહિતી આપી હતી કે, એકલાં કર્ણાટકમાં સરકારે તાજેતરનાં વર્ષોમાં રાજમાર્ગ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સમાં 1 લાખ કરોડથી વધારેનું રોકાણ કર્યું છે.

કર્ણાટકનાં મુખ્ય શહેરો તરીકે બેંગલુરુ અને મૈસુરુનાં મહત્ત્વ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ટેક્નૉલોજી અને પરંપરાનાં આ બે કેન્દ્રો વચ્ચેનું જોડાણ ઘણાં દ્રષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ છે. તેમણે જણાવ્યું હતું કે આ બંને શહેરો વચ્ચે મુસાફરી કરતી વખતે લોકો અવારનવાર ભારે ટ્રાફિક અંગે ફરિયાદ કરતા હતા અને તેમણે માહિતી આપી હતી કે એક્સપ્રેસવેથી આ બંને શહેરો વચ્ચેનો સમય ઘટીને દોઢ કલાક થઈ જશે અને આ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિને વેગ મળશે.

બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવે રામનગર અને માંડ્યા જેવાં હેરિટેજ નગરોમાંથી પસાર થાય છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રવાસનની સંભવિતતાને પ્રોત્સાહન મળવાની સાથે-સાથે મા કાવેરીનાં જન્મસ્થળ સુધી પહોંચવાની ક્ષમતા પણ શક્ય બનશે. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, બેંગલુરુ-મેંગલુરુ હાઇવે જે ચોમાસા દરમિયાન હંમેશા ભૂસ્ખલનથી અસરગ્રસ્ત રહ્યો છે, જે આ વિસ્તારમાં બંદર જોડાણને અસર કરે છે, તેને બેંગલુરુ-મેંગલુરુ હાઇવેને પહોળો કરવાથી સંબોધિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, આ ક્ષેત્રના ઉદ્યોગો પણ વધેલી કનેક્ટિવિટી સાથે વિકસિત થવા લાગશે.

પ્રધાનમંત્રીએ અગાઉની સરકારોના ઉદાસીન અભિગમની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, ગરીબોના વિકાસ માટે ફાળવવામાં આવેલાં મોટા ભાગનાં નાણાંની ચોરી થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે, વર્ષ 2014માં ગરીબોની એક સંવેદનશીલ સરકાર સત્તામાં આવી હતી, જેણે ગરીબ વર્ગોની પીડાને સમજી હતી. સરકારે ગરીબોની સેવા કરવા માટે સતત કામ કર્યું છે અને આવાસ, પાઇપ દ્વારા પાણી, ઉજ્જવલા ગેસ કનેક્શન, વીજળી, રસ્તાઓ, હૉસ્પિટલો અને ગરીબોની તબીબી સારવારની ચિંતામાં ઘટાડો કરવાની અગ્રતા સુનિશ્ચિત કરી છે. તેમણે કહ્યું હતું કે, છેલ્લાં 9 વર્ષમાં સરકારે ગરીબોનાં ઘરઆંગણે જઈને તેમનાં ઈઝ ઑફ લિવિંગ- જીવનને સરળ બનાવવાનું સુનિશ્ચિત કર્યું છે અને મિશન મોડમાં સંતૃપ્તિ હાંસલ થઈ રહી છે.

લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાના સરકારના અભિગમ પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, છેલ્લાં 9 વર્ષમાં 3 કરોડથી વધારે ઘરોનું નિર્માણ થયું છે, જેમાંથી કર્ણાટકમાં લાખો મકાનોનું નિર્માણ થયું છે અને 40 લાખ નવાં કુટુંબોને જળ જીવન મિશન હેઠળ પાઇપ મારફતે પાણી મળ્યું છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વર્ષે બજેટમાં અપર ભદ્રા પ્રોજેક્ટ માટે રૂ. 5,300 કરોડની ફાળવણી કરવામાં આવી છે, ત્યારે દાયકાઓથી અટવાયેલી સિંચાઈ યોજનાઓ પણ ઝડપથી પૂર્ણ થઈ રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ વિસ્તારના લોકો જે સિંચાઈની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે, તેનું સમાધાન આ સાથે થશે. કર્ણાટકના ખેડૂતોની નાની-નાની સમસ્યાઓનું સમાધાન કરવા ઉપરાંત પ્રધાનમંત્રીએ જાણકારી આપી હતી કે, સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના મારફતે કર્ણાટકના ખેડૂતોનાં બૅન્ક ખાતાઓમાં 12,000 કરોડ રૂપિયા સીધા હસ્તાંતરિત કર્યા છે, જેમાં માંડ્યા ક્ષેત્રના 2.75 લાખથી વધારે ખેડૂતોને માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જ 600 કરોડ પ્રદાન કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિના 6000 રૂપિયાનાં હપ્તામાં 4000 રૂપિયા ઉમેરવા માટે કર્ણાટક સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, "ડબલ એન્જિન સરકારમાં કિસાનને બમણો લાભ મળી રહ્યો છે."

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, પાકની અનિશ્ચિતતાને કારણે શેરડીના ખેડૂતોની સુગર મિલોમાં લાંબા સમયથી બાકી નીકળતી રકમ બાકી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇથેનોલની રજૂઆતથી આ સમસ્યાનું સમાધાન મહદ્ અંશે થશે. બમ્પર પાકના કિસ્સામાં, વધારાની શેરડી ઇથેનોલનું ઉત્પાદન કરશે જે ખેડૂતો માટે સ્થિર આવકની ખાતરી આપશે. તેમણે માહિતી આપી હતી કે, ગયાં વર્ષે દેશની ખાંડ મિલોએ ઓઇલ કંપનીઓને 20 હજાર કરોડ રૂપિયાનું ઇથેનોલ વેચ્યું છે, જેણે શેરડીના ખેડૂતોને સમયસર ચુકવણી કરવામાં મદદ કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, વર્ષ 2013-14થી અત્યાર સુધીમાં ખાંડની મિલો પાસેથી 70 હજાર કરોડનાં મૂલ્યનાં ઇથેનોલની ખરીદી થઈ છે અને ખેડૂતો સુધી આ નાણાં પહોંચ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, આ વખતનાં બજેટમાં પણ શેરડીનાં ખેડૂતો માટે ઘણી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમ કે ખાંડ સહકારી મંડળીઓ માટે રૂ. 10,000 કરોડની સહાય અને કરવેરામાં છૂટથી આ ખેડૂતોને લાભ થશે. 

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, ભારત તકોની ભૂમિ છે અને સમગ્ર વિશ્વના લોકો દેશમાં રસ દાખવી રહ્યાં છે. તેમણે માહિતી આપી હતી કે, ભારતને વર્ષ 2022માં વિક્રમજનક વિદેશી રોકાણ મળ્યું હતું અને કર્ણાટકને સૌથી વધુ લાભ થયો હતો, જેને 4 લાખ કરોડથી વધારેનું રોકાણ મળ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ વિક્રમી રોકાણ ડબલ એન્જિન ધરાવતી સરકારના પ્રયાસોને પ્રદર્શિત કરે છે." આઇટી ઉપરાંત પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બાયોટેકનોલોજી, સંરક્ષણ ઉત્પાદન અને ઇવી ઉત્પાદન જેવા ઉદ્યોગોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે એરોસ્પેસ અને સ્પેસ જેવા ઉદ્યોગોમાં અભૂતપૂર્વ રોકાણ જોવા મળી રહ્યું છે.

ડબલ-એન્જિન સરકારના પ્રયાસોથી અભૂતપૂર્વ વિકાસ થઈ રહ્યો છે, ત્યારે પ્રધાનમંત્રીએ કેટલાક રાજકીય પક્ષોની પ્રવૃત્તિઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેઓ જ્યારે મોદી બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસ વેના વિકાસ કાર્યોથી ઘેરાયેલા છે અને ગરીબોનાં જીવનને સરળ બનાવે છે ત્યારે મોદીની કબર ખોદવાનાં સપનામાં વ્યસ્ત છે. તેમણે તેમના વિરોધીઓને ચેતવણી આપી હતી કે કરોડો માતાઓ, બહેનો અને પુત્રીઓ અને ભારતના લોકોના આશીર્વાદ તેમની રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કરે છે. આ સંબોધનનું સમાપન કરતાં પ્રધાનમંત્રીએ કર્ણાટકના લોકોને આજની પરિયોજનાઓ માટે અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે, "કર્ણાટકના ઝડપી વિકાસ માટે ડબલ એન્જિનની સરકાર અતિ આવશ્યક છે."

આ પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી શ્રી બસવરા બોમ્મઈ, કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરી અને સંસદીય બાબતોના કેન્દ્રીય મંત્રી શ્રી પ્રહલાદ જોશી, માંડ્યાનાં સાંસદ શ્રીમતી સુમાલથા અંબરીશ અને કર્ણાટક સરકારના મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

પશ્ચાદભૂમિકા

માળખાગત પ્રોજેક્ટ્સના વિકાસની ઝડપી ગતિ એ સમગ્ર દેશમાં વૈશ્વિક કક્ષાની કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવાનાં પ્રધાનમંત્રીનાં વિઝનનો પુરાવો છે. આ પ્રયાસમાં પ્રધાનમંત્રીએ બેંગલુરુ-મૈસુરુ એક્સપ્રેસવે દેશને સમર્પિત કર્યો હતો. આ પરિયોજનામાં એનએચ-275ના બેંગલુરુ-નિદાઘાટ્ટા-મૈસુરુ સેક્શનને 6-લેનમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. ૧૧૮ કિલોમીટર લાંબો આ પ્રોજેક્ટ આશરે ૮૪૮૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. તે બેંગલુરુ અને મૈસુરુ વચ્ચેની મુસાફરીનો સમય લગભગ ૩ કલાકથી ઘટાડીને લગભગ ૭૫ મિનિટ કરશે. તે આ ક્ષેત્રમાં સામાજિક આર્થિક વિકાસ માટે ઉત્પ્રેરક તરીકે કાર્ય કરશે.

પ્રધાનમંત્રીએ મૈસુરુ-કુશલનગર 4-લેન હાઇવેનો શિલાન્યાસ પણ કર્યો હતો. 92 કિલોમીટરમાં પથરાયેલા આ પ્રોજેક્ટને આશરે રૂ. 4130 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે અને બેંગલુરુ સાથે કુશલનગરની કનેક્ટિવિટી વધારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મુસાફરીનો સમય લગભગ ૫ કલાકથી ઘટાડીને માત્ર ૨.૫ કલાક કરવામાં આવશે.

YP/GP/JD



(Release ID: 1906106) Visitor Counter : 185