પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશ્વ શાંતિ માટે કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તનને સંબોધન કર્યું


"કૃષ્ણગુરુજીએ જ્ઞાન, સેવા અને માનવતાની પ્રાચીન ભારતીય પરંપરાઓનો પ્રચાર કર્યો"
"એકનામ અખંડ કીર્તન પૂર્વોત્તરના વારસા અને આધ્યાત્મિક ચેતનાથી દુનિયાને પરિચિત કરાવી રહ્યું છે"

"દર 12 વર્ષે આવા કાર્યક્રમોનું આયોજન કરવાની પ્રાચીન પરંપરા રહી છે"
"વંચિતો માટે અગ્રતા એ આજે આપણા માટે મુખ્ય માર્ગદર્શક બળ છે"

"વિશેષ અભિયાન દ્વારા 50 પર્યટન સ્થળનો વિકાસ કરવામાં આવશે"

"છેલ્લાં 8-9 વર્ષમાં દેશમાં ગામોસાનું આકર્ષણ અને માગ વધી છે"

"મહિલાઓની આવકને તેમનાં સશક્તીકરણનું સાધન બનાવવા માટે , 'મહિલા સન્માન બચત પ્રમાણપત્ર' યોજના પણ શરૂ કરવામાં આવી છે"
"દેશની કલ્યાણકારી યોજનાઓનું જીવનબળ સામાજિક ઊર્જા અને જનભાગીદારી છે"

"બરછટ અનાજને હવે નવી ઓળખ આપવામાં આવી છે - શ્રી અન્ન"

Posted On: 03 FEB 2023 6:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે આસામનાં બારપેટામાં કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે આયોજિત કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસને સંબોધન કર્યું હતું. કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસ એક મહિના સુધી ચાલનારું કીર્તન છે, જેનું આયોજન 6 જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે કરવામાં આવ્યું છે.

અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન એક મહિનાથી ચાલી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રાચીન ભારતમાં જ્ઞાન, સેવા અને માનવતાની પરંપરા, જેનો પ્રચાર કૃષ્ણ ગુરુજીએ કર્યો હતો, તે આજે પણ શાશ્વત ગતિમાં છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ ભવ્ય પ્રસંગે ગુરુ કૃષ્ણ પ્રેમાનંદ પ્રભુજીનાં યોગદાનની દિવ્યતા અને તેમના શિષ્યોના પ્રયાસો સ્પષ્ટપણે જોઈ શકાય છે. આજે તેમજ અગાઉના પ્રસંગોએ આ ભવ્ય સભામાં રૂબરૂ જોડાવાની ઇચ્છા વ્યક્ત કરતા પ્રધાનમંત્રીએ કૃષ્ણ ગુરુનાં આશીર્વાદ લીધાં હતાં જેથી તેમને નજીકનાં ભવિષ્યમાં સેવાશ્રમની મુલાકાત લેવાની તક મળે.

કૃષ્ણગુરુજીની દર બાર વર્ષે અખંડ એકનામ જાપની પરંપરાનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવાની ભારતીય પરંપરાની નોંધ લીધી હતી, જેમાં મુખ્ય વિચાર તરીકે ફરજ સાથે આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. "આ કાર્યક્રમો વ્યક્તિ અને સમાજમાં કર્તવ્યની ભાવનાને ફરીથી જીવંત કરે છે. લોકો છેલ્લાં 12 વર્ષમાં થયેલી ઘટનાઓની ચર્ચા કરવા અને તેનું વિશ્લેષણ કરવા, વર્તમાનનું મૂલ્યાંકન કરવા અને ભવિષ્ય માટે રૂપરેખા તૈયાર કરવા એકઠા થતા હતા," એમ પ્રધાનમંત્રીએ કહ્યું. પ્રધાનમંત્રીએ બાર વર્ષમાં એક વખત યોજાતી મુખ્ય ઘટનાઓ તરીકે કુંભ, બ્રહ્મપુત્રા નદીમાં પુષ્કરમની ઉજવણી, તમિલનાડુમાં કુમ્બાકોનમ ખાતે મહામહમ, ભગવાન બાહુબલીનો મહામસ્તકાભિષેક, નીલકુરિનજી ફૂલો ખીલવવાનાં ઉદાહરણો ટાંક્યાં હતાં. તેમણે ઉમેર્યું હતું કે, એકનામ અખંડ કીર્તન પણ આવી જ શક્તિશાળી પરંપરા સ્થાપિત કરી રહ્યું છે અને દુનિયાને પૂર્વોત્તરના વારસા અને આધ્યાત્મિક ચેતનાથી પરિચિત કરાવી રહ્યું છે. 

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અપવાદરૂપ પ્રતિભા, આધ્યાત્મિક સાક્ષાત્કાર અને કૃષ્ણગુરુનાં જીવન સાથે સંબંધિત અસાધારણ ઘટનાઓ આપણા દરેક માટે પ્રેરણાસ્રોત તરીકે કામ કરે છે. તેમના ઉપદેશો પર ભાર મૂકતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, કોઈ પણ કાર્ય કે વ્યક્તિ નાનું કે મોટું હોતું નથી. એ જ રીતે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશે સંપૂર્ણ સમર્પણ સાથે દરેકનાં વિકાસ (સબ કા વિકાસ) માટે દરેકને સાથે લઈને ચાલવાની (સબ કા સાથ) ભાવના સાથે પોતાનાં લોકોનાં ઉત્થાન માટે કામ કર્યું છે. અત્યાર સુધી વંચિત અને ઉપેક્ષિત રહેલા લોકોને દેશ ટોચની પ્રાથમિકતા આપે છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વંચિતોને પ્રાથમિકતા" આસામ અને ઉત્તરપૂર્વનાં રાજ્યોનાં ઉદાહરણો ટાંકીને પ્રધાનમંત્રીએ નિરીક્ષણ કર્યું હતું કે, જ્યારે વિકાસ અને કનેક્ટિવિટીની વાત આવે છે, ત્યારે આ વિસ્તારોની દાયકાઓથી અવગણના કરવામાં આવી, પણ અત્યારે તેમને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. 

આ વર્ષનાં બજેટનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ વંચિતોને મુખ્ય માર્ગદર્શક ભાવના તરીકે એ જ પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો. પૂર્વોત્તરનાં અર્થતંત્રમાં પ્રવાસનની મુખ્ય ભૂમિકાની નોંધ લઈને પ્રધાનમંત્રીએ આ વર્ષનાં બજેટમાં 50 પ્રવાસન સ્થળોના વિકાસ અને અપગ્રેડેશનની જોગવાઈનો ઉલ્લેખ કર્યો હતો, જેનાથી આ વિસ્તારને ઘણો લાભ થશે. પ્રધાનમંત્રીએ ગંગા વિલાસ ક્રૂઝ વિશે પણ વાત કરી હતી જે ટૂંક સમયમાં આસામ પહોંચશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતીય વારસાનો સૌથી મૂલ્યવાન ખજાનો નદીકિનારે સ્થિત છે.

પ્રધાનમંત્રીએ કૃષ્ણગુરુ સેવાશ્રમનાં પરંપરાગત કૌશલ્યમાં કારીગરો માટે કરેલી કામગીરીનો પણ ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, દેશે છેલ્લાં થોડાં વર્ષોમાં પરંપરાગત કૌશલ્યો વિકસાવવામાં અને છેલ્લાં થોડાં વર્ષોમાં વૈશ્વિક બજારો સાથે કારીગરોને જોડવામાં ઐતિહાસિક કામગીરી કરી છે. તેમણે વાંસ વિશેના કાયદામાં ફેરફાર કરવા અને તેની શ્રેણીને વૃક્ષમાંથી ઘાસમાં બદલવા વિશે પણ માહિતી આપી હતી, જેણે વાંસના વ્યવસાયના માર્ગો ખોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, બજેટમાં પ્રસ્તાવિત 'યુનિટી મૉલ્સ' આસામના ખેડૂતો, શિલ્પકારો અને યુવાનોને તેમનાં ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં મદદરૂપ થશે. આ ઉત્પાદનોને અન્ય રાજ્યોના યુનિટી મૉલ્સ અને મોટાં પર્યટન સ્થળોમાં પ્રદર્શિત કરવામાં આવશે.  પ્રધાનમંત્રીએ ગમોસા પ્રત્યેના તેમના લગાવ વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, તેમાં આસામની મહિલાઓની સખત મહેનત અને કૌશલ્યોનો સમાવેશ થાય છે. તેમણે ગમોસાની વધતી જતી માગની અને આ વધતી માગને પહોંચી વળવા માટે સ્વ-સહાય જૂથો ઉભરી આવ્યા છે એની નોંધ લીધી હતી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, બજેટમાં આ સ્વસહાય જૂથો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. "મહિલાઓની આવકને તેમનાં સશક્તીકરણનું સાધન બનાવવા માટે, 'મહિલા સન્માન બચત પ્રમાણપત્ર' યોજના પણ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને મહિલાઓને બચત પર વધુ વ્યાજનો લાભ મળશે, એમ તેમણે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે, પીએમ આવાસ યોજનાની ફાળવણી વધારીને 70 હજાર કરોડ કરવામાં આવી છે અને આ યોજના હેઠળ બાંધવામાં આવેલાં મોટાભાગનાં મકાનો ઘરની મહિલાઓનાં નામે છે. તેમણે ઉમેર્યું હતું કે, "આ બજેટમાં આવી ઘણી જોગવાઈઓ છે, જેમાંથી પૂર્વોત્તરનાં રાજ્યો જેવા કે આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલયની મહિલાઓને વ્યાપક લાભ થશે, તેમના માટે નવી તકો ઊભી થશે."

કૃષ્ણગુરૂના ઉપદેશોને ટાંકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વ્યક્તિએ ભક્તિનાં દૈનિક કાર્યોમાં વિશ્વાસ રાખીને હંમેશાં પોતાના આત્માની સેવા કરવી જોઈએ. દેશના વિકાસ માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓની જીવાદોરી સમાજની શક્તિ અને જનભાગીદારી માટે છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે આયોજિત આ સેવા યજ્ઞની જેમ આ સેવા યજ્ઞો દેશની મહાન તાકાત બની રહ્યા છે. સ્વચ્છ ભારત, ડિજિટલ ઇન્ડિયા અને જનભાગીદારીથી સફળ થયેલી અન્ય વિવિધ યોજનાઓનાં ઉદાહરણો ટાંકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, બેટી બચાઓ, બેટી પઢાઓ, પોષણ અભિયાન, ખેલો ઇન્ડિયા, ફિટ ઇન્ડિયા, યોગ અને આયુર્વેદ જેવી યોજનાઓને આગળ વધારવામાં કૃષ્ણગુરૂ સેવાશ્રમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની છે, જે દેશને વધારે મજબૂત કરશે.

પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે, દેશ પરંપરાગત કારીગરો માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ યોજના શરૂ કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "દેશે હવે પ્રથમ વખત આ પરંપરાગત કારીગરોનાં કૌશલ્યને વધારવાનો સંકલ્પ લીધો છે." પ્રધાનમંત્રીએ કૃષ્ણગુરુ સેવાશ્રમને આ યોજના વિશે જાગૃતિ ફેલાવવા કામ કરવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ સેવાશ્રમને શ્રી અન્ન સાથે 'પ્રસાદ' તૈયાર કરીને તાજેતરમાં શ્રી અન્ન તરીકે ઓળખાતા બરછટ અનાજનો પ્રચાર કરવા જણાવ્યું હતું. તેમણે સેવાશ્રમ પ્રકાશનો મારફતે સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઇતિહાસ યુવા પેઢી સુધી પહોંચાડવા પણ જણાવ્યું હતું. સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે આ અખંડ કીર્તન 12 વર્ષ પછી યોજાશે, ત્યારે આપણે વધુ સશક્ત ભારતના સાક્ષી બનીશું.

 

પશ્ચાદભૂમિકા

પરમગુરુ કૃષ્ણગુરુ ઇશ્વરે 1974માં આસામના બારપેટાના નસત્ર ગામમાં કૃષ્ણગુરુ સેવાશ્રમની સ્થાપના કરી હતી.  તેઓ મહાવૈષ્ણવ મનોહરદેવના નવમા વંશજ છે, જેઓ મહાન વૈષ્ણવ સંત શ્રી શંકરદેવના અનુયાયી હતા. કૃષ્ણગુરુ એકનામ અખંડ કીર્તન ફોર વર્લ્ડ પીસ એક મહિના સુધી ચાલનારું કીર્તન છે, જેનું આયોજન 6 જાન્યુઆરીથી કૃષ્ણગુરુ સેવાશ્રમ ખાતે કરવામાં આવ્યું છે.

YP/GP/JD



(Release ID: 1896172) Visitor Counter : 174