પ્રધાનમંત્રીનું કાર્યાલય
ઉત્તરાખંડના માણા ગામ ખાતે વિવિધ વિકાસકીય કાર્યોના ખાતમૂહૂર્ત પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
પોસ્ટેડ ઓન:
21 OCT 2022 8:31PM by PIB Ahmedabad
જય બદ્રી વિશાલ, જય બદ્રી વિશાલ, જય બદ્રી વિશાલ
જય બાબા કેદાર, જય બાબા કેદાર, જય બાબા કેદાર
ઉત્તરાખંડના રાજ્યપાલ ગુરમિત સિંહ જી, અહીંના લોકપ્રિય મૃદુભાષી, દરેક પળે જેના ચહેરા પર સ્મિત રહે છે એવા આપણા પુષ્કર ધામી જી, સંસદમાં મારા સાથી શ્રી તીરથ સિંહ રાવત જી, ભાઈ ધન સિંહ રાવત જી, મહેન્દ્ર ભાઈ ભટ્ટ જી, અન્ય સાથી મહાનુભાવો તથા મારા પ્રિય ભાઈઓ અને બહેનો.
આજે બાબા કેદાર તથા બદ્રી વિશાલ જીના દર્શન કરીને, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરીને જીવન ધન્ય બની ગયું, મન પ્રસન્ન થઈ ગયું અને આ પળ મારા માટે ચિરંજીવ બની ગઈ. બાબાના સાંનિધ્યમાં બાબાના આદેશથી, બાબાની કૃપાથી છેલ્લે જ્યારે આવ્યો હતો તો મારા મુખમાંથી કેટલાક શબ્દ નીકળ્યા હતા. તે શબ્દ મારા ન હતા, કેવી રીતે આવ્યા ? કેમ આવ્યા ? કોણે આપ્યા તે ખબર નથી. પરંતુ એમ જ મુખમાંથી નીકળી ગયું હતું. આ દાયકો ઉત્તરાખંડનો દાયકો હશે. અને મને પૂરો વિશ્વાસ છે કે આ શબ્દ પર બાબાના, બદ્રી વિશાલના, માતા ગંગાના સતત આશીર્વાદની શક્તિ બનેલી રહેશે. આ મારું અંતર મન કહે છે. આ મારું સૌભાગ્ય છે કે આજ હું આપની વચ્ચે, આ નવી પરિયોજનાઓની સાથે ફરીથી એ જ સંકલ્પનું પુનરાવર્તન કરવા આવ્યો છું. અને મારું સૌભાગ્ય છે કે આજે મને આપ સૌના દર્શન કરવાની તક મળી છે.
માણા ગામ ભારતના અંતિમ ગામ તરીકે ઓળખાય છે. પરંતુ જેમ આપણા મુખ્યમંત્રી જીએ ઇચ્છા પ્રગટ કરી કે હવે તો મારા માટે પણ સરહદ પર વસેલું દરેક ગામ દેશનું પ્રથમ ગામ છે. સરહદ પર વસેલા આપ જેવા મારા સાથીઓ દેશના સશક્ત પ્રહરી છે. અને આજે હું માણા ગામની પુરાણી યાદ તાજી કરવા માગું છું. કેટલાક પુરાણા લોકો હશે જેમને કદાચ યાદ હશે, હું તો મુખ્યમંત્રી બની ગયો, પ્રધાનમંત્રી બની ગયો તેથી સરહદ પરના આ પ્રથમ ગામને યાદ કરી રહ્યો છું એવું નથી. આજથી 25 વર્ષ અગાઉ જ્યારે હું ઉત્તરાખંડમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર તરીકે કામ કરી રહ્યો હતો ત્યારે ના તો કોઈ મને એ રીતે ઓળખતું હતું કે ના તો મારું એવું કોઈ જાહેર જીવન હતું. હું સંગઠનના લોકોની વચ્ચે જ રહીને મારું જીવન પસાર કરતો હતો, કામ કરતો રહેતો હતો અને એ વખતે માણા ખાતે મેં ઉત્તરાખંડ ભાજપની કારોબારીની બેઠક બોલાવી હતી. તો મારા ઉત્તરાખંડના સાથી કાર્યકર્તા મારાથી ઘણા નારાજ હતા અને સવાલ કરતા હતા કે સાહેબ આટલે દૂર કેટલી મહેનતથી જવું પડશે, કેટલો સમય વેડફાશે. ત્યારે મેં કહ્યું હતું કે સાહેબ જે દિવસે ઉત્તરાખંડ ભાજપના દિલમાં માણાનું મહત્વ પાક્કું થઈ જશે ને ઉત્તરાખંડની જનતા માટે ભાજપ માટે મહત્વ બની જશે. અને તેનું જ પરિણામ આ માણા ગામની માટીની તાકાત છે. આ માણા ગામના મારા ભાઈઓ અને બહેનોનો આદેશ છે, આશીર્વાદ છે કે આજે સતત આપના આશીર્વાદ મળતા રહે છે. અને હું તો ઉત્તરાખંડમાં નવી સરકાર બન્યા બાદ જાહેર કાર્યક્રમમાં પહેલી વાર બોલી રહ્યો છું. તો આજે જ્યારે હું અહીં આવ્યો છું, અને માણાની ધરતી પરથી હું ઉત્તરાખંડના તમામ ભાઈઓ અને બહેનોને, આપણને સૌને ફરી એક વાર સેવા કરવાની તક આપી છે તેથી હૃદયપૂર્વક આભાર પ્રગટ કરી રહ્યો છું.
સાથીઓ,
21મી સદીના વિકસીત ભારતના નિર્માણના બે પ્રમુખ સ્તંભ છે. પ્રથમ તો પોતાના વારસા પર ગર્વ અને બીજું વિકાસ માટે તમામ શક્ય પ્રયાસ. આજે ઉત્તરાખંડ આ બંને સ્તંભને મજબૂત કરી રહ્યું છે. આજે સવારે મેં બાબા કેદારની અને ત્યાર બાદ બદ્રીનાથ વિશાલના ચરણોમાં જઈને પ્રાર્થના કરી અને સાથે સાથે કેમ કે પરમાત્માએ મને જે કાર્ય સોંપ્યું છે તે મારે પૂર્ણ કરવાનું છે. અને મારા માટે દેશના 130 કરોડની જનતા જ પરમાત્માના રૂપમાં છે. અને તેથી જ મેં વિકાસ કાર્યોની સમીક્ષા કરી અને હવે આપ સૌની વચ્ચે આવીને મને બે રોપવે પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે. તેનાથી કેદારનાથજી અને ગુરુદ્વારા હેમકૂંડ સાહેબના દર્શન કરવા વઘારે આસાન બની જશે. ગુરુગ્રંથ સાહેબની આપણી ઉપર કૃપા બની રહે. તમામ પૂજનીય ગુરુઓની આપણી ઉપર કૃપા રહે કે આવું પવિત્ર કાર્ય કરવાનું ગુરુઓના આશીર્વાદથી આપણને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. બાબા કેદાર નાતના આશીર્વાદ બન્યા રહે. અને તમે કલ્પના કરી શકો છો કે રોપવેના આ થાંભલા, તાર, અંદર બેસવા માટે કાર આટલું જ માત્ર નહીં. આ રોપવે ઝડપી ગતિએ આપને બાબા સુધી લઈ જશે એટલું નહીં તેના બનવાથી આ પ્રોજેક્ટ પર કામ કરનારા લોકોથી આપ કલ્પના નથી કરી શકતા કે મારા દેશના 130 કરોડ દેશવાસીઓના આશીર્વાદ તેમની ઉપર વરસનારા છે. હેમકૂંડ સાહેબ દુનિયાભરમાં ગુરુ ગ્રંથ સાહેબની પવિત્ર પૂજા કરનારા જેટલા પણ મારા ભાઈ અને બહેન છે આજે આપણને આશીર્વાદ આપતા હશે કે આજે હેમકૂંડ સાહેબ સુધીનો રોપવે બની રહ્યો છે. તમે કલ્પના કરી શકો તેમ નથી કે તેની તાકાત શું છે. આપ જોજો આજે યુકે હોય, જર્મની હોય, કેનેડા હોય તમામ સ્થળે ઉત્સવ મનાવવામાં આવશે કેમ કે હવે હેમકૂંડ સાહેબ સુધી પહોંચવાનો રોપવે બની જશે. અને સમય તો બચશે જ સાથે સાથે ભક્તિમાં મન વધારે લાગશે.
વિકાસના આ તમામ પ્રોજેક્ટ માટે ઉત્તરાખંડને તથા દેશ વિદેશના તમામ આસ્થાવાન શ્રદ્ધાળુઓને આજે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને ગુરુઓની કૃપા બની રહે, બાબા કેદારની કૃપા બની રહે, બદ્રી વિશાલની કૃપા બની રહે, અને આપણા તમામ સાથીઓને પણ શક્તિ મળે જેથી તેઓ તમામ તાકાત સાથે સમય અને મર્યાદામાં આ કાર્ય પૂર્ણ કરી શકે. અને આપણે પ્રાર્થના કરીએ કે દર વખતે પ્રાર્થના કરીએ કેમ કે આ અત્યંત કઠીન કાર્ય અને કપરો વિસ્તાર છે. અહીં કામ કરવું મુશ્કેલ છે. પવન ઝડપથી ફૂંકાતો હોય છે અને આટલી ઉંચાઇ પર જઈને કામ કરવાનું હોય છે. પરમાત્માથી પ્રાર્થના કરીએ કે આ સમગ્ર કાર્ય દરમિયાન કોઈ અક્સ્માત થાય નહીં, આપણા કોઈ સાથીને નુકસાન થાય નહીં, આ આપણે પ્રાર્થના કરીએ છીએ અને જે ગામ પાસેથી તેઓ કામ કરતા હોય તેઓ ભગવાનનું કામ કરી રહ્યા છે, આપ તેમને સંભાળજો, તેમને મજૂર માનશો નહીં, તેમને મજૂર માનતા નહીં એમ ના સમજતા કે તેમને પૈસા મળે છે અને તેઓ કામ કરી રહ્યા છે. જી ના, તેઓ પરમાત્માની સેવા કરી રહ્યા છે, તેઓ તમારા ગામના મહેમાન છે. કપરું કાર્ય કરનારા છે તેમની જેટલી સંભાળ રાખશો કામ તેટલું જ ઝડપથી આગળ ધપશે. કરશો ને ? તેમની કાળજી લેશો ને ? પોતાના સંતાનની માફક તેમને સંભાળજો, પોતાના ભાઈ-બહેનની માફક તેમની કાળજી લેજો.
સાથીઓ,
આજે હું બાબા કેદારના ધામમાં ગયો હતો ત્યાં જે શ્રમિક ભાઈઓ અને બહેનો કામ કરતા હતા. તેમની સાથે પણ વાતચીત કરવાની મને તક મળી. જે એન્જિનિયર લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાની તક મળી. મને એટલું સારું લાગ્યું અને તેઓ કહી રહ્યા હતા કે અમે કોઈ રોડ શો કે ઇ-ભારતનું કામ કરી રહ્યા નથી, અમે તો બાબાની પૂજા કરી રહ્યા છીએ અને આ આપણી પૂજા કરવાનો માર્ગ છે.
સાથીઓ,
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા બદલ મેં લાલ કિલ્લા પરથી એક હાકલ કરી હતી. આ આહવાન છે ગુલામીની માનસિકતામાંથી સંપૂર્ણપણે મુક્તિનું આહવાન. આઝાદીના આટલા વર્ષ બાદ આખરે મારે આ શા માટે કરવું પડ્યું? શું જરૂર હતી આમ કહેવાની ? એટલા માટે કેમ કે આપણા દેશની ગુલામીના માનસિકતાએ એટલો જકડેલો છે પ્રગતિનું દરેક કાર્ય કેટલાક લોકોને અપરાધની માફક લાગી રહ્યું છે. અહીં તો ગુલામીના ત્રાજવાથી પ્રગતિના કાર્યને તોલવામાં આવે છે. તેથી જ લાંબા સમય સુધી આપણે ત્યાં આપણા આસ્થાના સ્થળોના વિકાસને લઈને એક નફરતની લાગણી રહી હતી. વિદેશોમાં ત્યાંની સંસ્કૃતિ સાથે જોડાયેલા સંસ્થાનોની પ્રશંસા કરતાં કરતાં થાકતા નથી પરંતુ ભારતમાં આ પ્રકારના કાર્યને નફરતની દૃષ્ટિએ જોવામાં આવે છે તેનું કારણ એક જ હતું કે પોતાની સંસ્કૃતિને લઇને હિન ભાવના, આપણા આસ્થા સ્થળો પર અવિશ્વાસ, પોતાના વારસા સાથે વિદ્વેશ અને આ આપણા સમાજમાં આજે વધ્યો હોય તેવું નથી. આઝાદી બાદ સોમનાથ મંદીરના નિર્માણનો સમય થયો હતો તે આપણે સૌ જાણીએ છીએ. ત્યાર બાદ રામ મંદીરના નિર્માણના સમયના ઇતિહાસને પણ આપણે સારી રીતે જાણીએ છીએ. ગુલામીના આવી માનસિકતાએ આપણા પૂજનીય પવિત્ર આસ્થા સ્થળોને જર્જર સ્થિતિમાં લાવી મૂક્યા હતા. સેંકડો વર્ષોથી કુદરતનો માર સહન કરતાં આવતા પથ્થર, મંદીર સ્થળ, પૂજા સ્થળ સુધી જવાનો માર્ગ, ત્યાં પાણીની વ્યવસ્થા હોય તો તેની બરબાદી, તમામ ચીજો બરબાદ કરીને રાખી દેવામાં આવી હતી. આપ યાદ કરો સાથીઓ દાયકાઓ સુધી આપણા આધ્યાત્મિક કેન્દ્રોની સ્થિતિ એવી રહી કે ત્યાંની યાત્રા જીવનની સૌથી કપરી યાત્રા બની જતી હતી. જેના પ્રત્યે કોટી કોટી લોકોની શ્રદ્ધા હોય, હજારો વર્ષોથી શ્રદ્ધા હોય, જીવનનું એક સ્વપ્ન હોય કે એ ધામમાં જઈને શિશ નમાવીને આવીશું પરંતુ સરકારો એવી રહી કે પોતાના જ નાગરિકોને ત્યાં સુધી પહોંચવા માટે સુવિધા આપવી તેમને જરૂરી લાગ્યું નહીં. ખબર નહીં કઈ ગુલામીની માનસિકતાએ તેમને જકડીને રાખ્યા હતા. આ અન્યાય હતો કે ન હતો ભાઈઓ? આ અન્યાય હતો કે નહીં ? આ જવાબ આપનો નથી આ જવાબ 130 કરોડ દેશવાસીઓનો છે અને આપના આ સવાલનો જવાબ આપવા માટે ઇશ્વરે મને આ કાર્ય સોંપ્યું છે.
ભાઈઓ અને બહેનો,
આ ઉપેક્ષામાં લાખો કરોડો જનભાવનાઓના અપમાનનો ભાવ છુપાયેલો હતો. તેની પાછળ અગાઉની સરકારોનો નિહિત સ્વાર્થ હતો. પરંતુ ભાઈઓ અને બહેનો, આ લોકો હજારો વર્ષ પુરાણી આપણી સંસ્કૃતિની તાકાતને સમજી શક્યા નહીં. તેઓ એ ભૂલી ગયા કે આસ્થા માટે કેન્દ્ર એક માળખું માત્ર નથી પરંતુ આપણા માટે પ્રાણ શક્તિ છે. પ્રાણવાયુની માફક છે. તે આપણા માટે એવો શક્તિપૂંજ છે જે કપરામાં કપરી પરિસ્થિતિઓમાં પણ આપણને જીવંત બનાવી રાખે છે. તેની ઘોર ઉપેક્ષા છતાં ના તો આપણા આધ્યાત્મિક કેન્દ્રોનું મહત્વ ઘટ્યું કે ના તો તેને લઈને આપણા સમર્પણ ભાવમાં કોઈ ઘટાડો થયો. અને આજે જૂઓ, કાશી, ઉજ્જૈન, અયોધ્યા એવા અગણિત શ્રદ્ધાના કેન્દ્રો પોતાનું ગૌરવ પુનઃ પ્રાપ્ત કરી રહ્યા છે. કેદારનાથ, બદ્રીનાથ, હેમકૂંડ સાહેબને પણ શ્રદ્ધાને ટકાવી રાખીને આધુનિકતાની સાથે સવલતોથી સાંકળી લેવામાં આવશે. અયોધ્યામાં આટલું ભવ્ય રામ મંદીર બની રહ્યું છે. ગુજરાતમાં પાવાગઢમાં માતા કાલિકાના મંદીરથી લઈને દેવી વિધ્યાંચલના કોરિડોર સુધી ભારત પોતાના સાંસ્કૃતિક ઉથ્થાનનું આહવાન કરી રહ્યો છે. આસ્થાના આ કેન્દ્રો સુધી પહોંચવું દરેક શ્રદ્ધાળુ માટે સુગમ અને સરળ બની રહ્યું છે. અને જે વ્યવસ્થાઓ વિકસીત થઈ રહે છે તે આપણા વડીલો માટે સુવિધા છે પરંતુ મને ભરોસો છે કે મારા દેશની નવી પેઢી 12,15, 18, 20, 22 વર્ષના નવ યુવાન દિકરા અને દિકરીઓ તેમના માટે પણ આ શ્રદ્ધા આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તે આપણી નીતિ હોવી જોઇએ. હવે આપણા દિવ્યાંગ સાથીઓ પણ આ સ્થળો પર જઇને દર્શન કરી રહ્યા છે. મને યાદ છે મે જ્યારે ગિરનારમાં રોપવે બનાવ્યો. 80-80 વર્ષના માતા પિતા એવા વયસ્ક લોકો ત્યાં આવ્યા બાદ મને પત્ર લખતા હતા કે ક્યારેય વિચાર્યું ન હતું કે ગિરનાર પર્વત પર જઈને આટલા આટલા ક્ષેત્રોની અમે પૂજા દર્શન કરી શકીશું. આજે તેઓ એટલા આશીર્વાદ આપી રહ્યા છે. એક રોપવે બનાવ્યો.
સાથીઓ,
આ તાકાતને ઘણા લોકો ઓળખી જ શક્યા નથી. આજે સમગ્ર દેશ પોતાના આધ્યાત્મિક કેન્દ્રોને લઇને ગર્વના ભાવથી ભરાઈ ગયો છે. ઉત્તરાખંડની આ દેવભૂમિ ખુદ આ પરિવર્તનની સાક્ષી રહી છે. ડબલ એન્જિનની સરકાર બન્યા અગાઉ કેદારનાથમાં એક સિઝનમાં વધુમાં વધુ પાંચ લાખ શ્રદ્ધાળુઓ આવતા રહેતા હતા. હવે આ સિઝનમાં સંખ્યા મને કહેવામાં આવી છે 45 લાખ. હવે જૂઓ.
સાથીઓ,
આસ્થા અને આધ્યાત્મના સ્થળોના આ પુનર્નિમાણનું અન્ય એક પાસું પણ છે. જેની એટલી ચર્ચા થતી નથી. આ પાસું છે પહાડી લોકોના ઇ ઓફ લિવિંગનું. પહાડના યુવાનોના રોજગારનું પાસું. જ્યારે પહાડ પર રેલવે, રોડ અને રોપવે પહોંચે છે તો તેઓ પહાડનું જીવન પણ જાનદાર, શાનદાર અને વધુ આસાન બનાવી દે છે. આ સુવિધાઓ પહાડ પર ટુરિઝમને પણ વેગ આપે છે, પરિવહનને પણ આસાન કરી દે છે. હવે તો અમારી સરકાર ડ્રોનને પણ પહાડો પર સામાનને ટ્રાન્સપોર્ટ કરવા માટેનું પ્રમુખ સાધન બનાવવા પર કામ કરી રહી છે. કેમ કે આજકાલ ડ્રોન આવે છે, 20 કિલો, 25 કિલો, 50 કિલો સુધીનો સામાન ઉપાડીને ઝડપી ગતિથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉતારી દે છે. અમે તેને લાવવા માગીએ છીએ. જેથી આપને અહીં જે ફળ, શાકભાજી પેદા થાય છે તે તાજા ને તાજા જ મોટા શહેરમાં પહોંચે જેથી તમને વધારે કમાણી થાય. અને હું આજે હિન્દુસ્તાનની સરહદ પરથી દેશનું રક્ષણ કરી રહેલા ગ્રામવાસીઓની વચ્ચે આવ્યો છું ત્યારે હું અત્યારે જે આપણી માતાઓ, બહેનો સેલ્ફ હેલ્પ ગ્રૂપની બહેનો જે ઉત્પાદન કરે છે. જે મસાલા, તે પહાડી નમક, આ તમામ ચીજો હું જોઈ રહ્યો છું. અને પેકેજિંગ વગેરેમાં ખરેખર મારું મન પ્રસન્ન થઈ ગયું છે. માતાઓ અને બહેનોને પ્રણામ કરું છું. શું શાનદાર કામ કર્યું છે આપે. પરંતુ હું અહીંથી સમગ્ર હિન્દુસ્તાનમાંથી જે પ્રવાસીઓ આવે છે, જે યાત્રીઓ આવે છે, જેઓ સાહસ માટે આવે છે, જે શ્રદ્ધા માટે, કોઈ પણ માધ્યમથી કેમ ન આવતા હોય. જીવનમાં એક રૂપરેખા બનાવો કે આપ યાત્રામાં જેટલો ખર્ચ કરો છો, પ્રવાસનો ખર્ચ કરો છો, ખોરાકનો ખર્ચ કરો છો, મોટી હોટેલમાં રહેવા માટેનો ખર્ચ કરો છો. આપ મનમાં એક રૂપરેખા બનાવો.
હું તમામ 130 કરોડ દેશવાસીઓને હિન્દુસ્તાનનું એ ગામ દર્શાવી રહ્યો છું જે ચીનની સરહદ પર ભારતની સરહદની રખેવાળી કરી રહેલા આ ગામની વચ્ચેથી બોલી રહ્યો છું. હું તેમના વતી બોલી રહ્યો છું. આપ પ્રવાસ કરવા માટે જ્યાં પણ જાઓ. આ કપરા ક્ષેત્રમાં આવો કે પૂરી જાઓ કે કન્યાકુમારી જાઓ અથવા તો સોમનાથ ક્યાંય પણ જાઓ એક સંકલ્પ કરો. જેમ હું વોકલ ફોર લોકલની વાત કરી રહ્યો છું. આજે હું વધુ એક સંકલ્પ માટે પ્રાર્થના કરી રહ્યો છું અને દેશવાસીઓને પ્રાર્થના કરવી તે તો મારો હક્ક બને છે ને ભાઈ. હું આદેશ આપી શકતો નથી પણ પ્રાર્થના તો કરી શકું છું ને. હું પ્રાર્થના કરું છું કે આપ જેટલો ખર્ચ કરો છો નક્કી કરો કે કુલ પાંચ ટકા આપની યાત્રા માટે થતાં કુલ ખર્ચના પાંચ ટકા જો આપ 100 રૂપિયા ખર્ચ કરતા હો તો તેમાંથી માત્ર પાંચ રૂપિયા જે તે વિસ્તારમાં જે કાંઈ સ્થાનિક ઉત્પાદન છે, સ્થાનિક લોકો જે બનાવે છે આપ તે ચીજ ચોક્કસ ખરીદો. આપના ઘરમાં છે તો બીજા માટે લઈ જાઓ. કોઇને ભેટ આપી દો પરંતુ ત્યાંથી ચોક્કસ ખરીદીને જજો, આપને હું ભરોસો અપાવું છું ભાઈઓ અને બહેનો, આ તમ્મ ક્ષેત્રમાં એટલી રોજી રોટી મળી જશે. હમણા જ મને માતાઓ અને બહેનો કહી રહી હતી કે આ વખતે પ્રવાસીઓ ઘણા આવ્યા. મેં કહ્યું કેટલું વેચાણ થયું તો પહેલા તો શરમાઈ ગઈ પરંતુ મેં કહ્યું કે નહીં નહીં કહો કહો ત્યારે તેમણે કહ્યું કે આ વખતે અઢી લાખ રૂપિયાનો માલ વેચાયો છે. તેમને એટલો સંતોષ હતો.જો તમામ યાત્રી, તમામ પ્રવાસી જ્યાં જાય ત્યાં સ્થાનિક જે ગરીબ લોકો પેદા કરે છે તેવી સ્થાનિક બનેલી ચીજો માટે પાંચ ટકા બજેટ એક તરફ રાખી દો. આપ જોજો આપને જીવનમાં સંતોષ થશે અને ઘરમાં રાખશો, બાળકોને દેખાડશો કે જૂઓ અમે એ વર્ષે જ્યારે ઉત્તરાખંડ ગયા હતા ને તે તસવીર તો તને સારી લાગે છે. એ તસવીરની પાછળ અમે 20 રૂપિયા ખર્ચ કર્યા છે પરંતુ આ એક નાનકડી ચીજ દેખાય છે ને તે ત્યાંની એક ઘરડી માતા બનાવી રહી હતી. હું તેમની પાસેથી લઈને આવ્યો છું. આપને આનંદ થશે, આપને સંતોષ થશે તેથી જ હું આજે અહીંથી સમગ્ર દેશને પ્રાર્થના કરી રહ્યો છું.
મારા પ્યારા ભાઇઓ અને બહેનો,
પહાડી લોકોની પ્રથમ ઓળખ એ હોય છે કે તેઓ ખૂબ મહેનતું હોય છે. તેમને તેમના સાહસ અને તેમની જોખમી પ્રવૃત્તિ માટે ઓળખવામાં આવે છે. તેઓ કુદરત પ્રત્યે ફરિયાદ કરતા નથી. સંકટની વચ્ચે જીવન જીવતા શીખી લે છે. પરંતુ સાહેબ અગાઉની સરકારોના સમયે પહાડના લોકોની તાકાતનો તેમની જ વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. દાયકાઓ સુધી સરકારો એમ વિચારીને પહાડી લોકોની ઉપેક્ષા કરતી રહી કે તેઓ મહેનતુ લોકો છે, પહાડ જેવો તેમનો જુસ્સો છે અને તેમની પાસે તો એટલી બધી તાકાત છે કે તેમને તો કોઈ જરૂર જ નથી ચાલી જશે. આ તેમની તાકાત સાથે અન્યાય હતો, તેમની પાસે તાકાત છે તેનો અર્થ એ તો નથી કે તેમને આમ જ રહેવા દેવાય. તેમને પણ સવલત જોઇએ, કપરા સંજોગોમાં પહાડના લોકોને મદદ મળવી જોઇએ. જ્યારે સુવિધા પહોંચાડવાની વાત હોય, જ્યારે સરકારી યોજનાઓને પહોંચાડવાની વાત હોય તો પહાડના લોકોનો ક્રમ સૌથી છેલ્લો આવે છે. આ જ વિચારની સાથે દેશ કેવી રીતે આગળ વધી શકે ? પહાડના લોકો સાથે થઈ રહેલા અન્યાયને મારે સમાપ્ત કરવાનો જ હતો. તેથી જ અગાઉ જે પ્રાંતોને દેશની સરહદનો અંત માનીને નજરઅંદાજ કરવામાં આવતા હતા અમે ત્યાંથી જ સમૃદ્ધિનો આરંભ માનીને કાર્ય શરૂ કર્યા. અગાઉ દેશનું અંતિમ ગામ છે તેમ માનીને જેની ઉપેક્ષા કરવામાં આવતી હતી અને ત્યાંના લોકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને ત્યાંના કામ કરવાનું શરૂ કરી દીધું છે.
અગાઉ દેશના વિકાસમાં જેમના યોગદાનને મહત્વ આપવામાં આવ્યું ન હતું, અમે તેમને જ સાથે રાખીને પ્રગતિના મહાન લક્ષ્યાંકો તરફ આગળ ધપવાનો સંકલ્પ કર્યો છે. અમે પહાડના એ પડકારોનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો જેનો સામનો કરવામાં ત્યાંના લોકી સૌથી વધુ ઉર્જા વ્યર્થ થઈ જાય તે અમને મંજૂર નથી. અને દરેક ગામ સુધી વિજળી પહોંચાડવાનું અભિયાન હાથ ધર્યું, જેનો ઘણો મોટો લાભ મારા પહાડના ભાઈઓ અને બહેનોને મળ્યો. હું અહીં ગામની એક સરપંચ બહેનને મળ્યો, હું પૂછી રહ્યો હતો કે શૌચાલય બની ગયા છે તો કહે અરે સાહેબ બની ગયા છે. મેં પૂછ્યું પાણી પહોંચી રહ્યું છે તો કહે પાઇપ લાગી ગઈ છે. ચહેરા પર એટલી ખુશી હતી પોતાના ગામના કામ થવા બદલ તેમના ચહેરા પર જે આનંદ હતો, સરપંચ મહિલા હતી. અત્યંત ગર્વ સાથે મને કહી રહી હતી. અમમે હ ઘર જળ અભિયાન ચલાવ્યું જેને કારણે આજે ઉત્તરાખંડમાં 65 ટકા ઘરોમાં પાઇપ મારફતે પાણી પહોંચી રહ્યું છે. અમે દરેક પંચાયતને ઓપ્ટિકલ ફાઇબરથી જોડવાનું અભિયાન ચલાવ્યું જેને કારણે ઉત્તરાખંડમાં આજે ખૂણે ખૂણે ડિજિટલ કનેક્ટિવિટી પહોંચી રહી છે. હું આજે જોઈ રહ્યો હતો કે આ લોકો પણ ઓનલાઇન પૈસા લઈ રહ્યા હતા ડિજિટલ,ફિનટૈક. હું જરા અમારી સંસદમાં જે બુદ્ધિશાળી લોકો બેસે છે તેમને કહેવા માગું છું કે માણા આવો માણા. આ મારા માણામાં જૂઓ, આઠમું ધોરણ ભણેલી આ મારી ઘરડી માતા, બહેનો ડિજિટલ પેમેન્ટ લઈ રહી છે. પેટીએમ એવું લખેલું છે QR કોડ લગાવેલો છે પોતાના માલ સામાનની સામે. આ તાકાત છે મારા દેશની આ માણા ગામના આ લોકોની પાસે જોઇને મને ગર્વ થઈ રહ્યો છે.
અમે ગામડાઓમાં હેલ્થ અને વેલ્ત સેન્ટર ખોલવાનું અભિયાન ચલાવ્યું જેને કારણે આજે ગામડાઓ પાસે ચિકિત્સાની સુવિધાઓ પહોંચી રહી છે. આ અભિયાનોનો મોટો લાભ આપણી માતાઓ, બહેનો અને દિકરીઓને થયો છે. એક સંવેદનશીલ સરકાર, ગરીબોના દુઃખ દર્દ સમજનારી સરકાર કેવી રીતે કામ કરે છે. તે આજે દેશના દરેક ખૂણામાં લોકો અનુભવી રહ્યા છે. કોરોનાના આ કાળમાં જ્યારે વેક્સિન લગાવવાનો વારો આવ્યો જો અગાઉની સરકાર હોત તો કદાચ હજી સુધી વેક્સિન અહીં પહોંચી ના હોત પરંતુ આ મોદી છે. મેં કહ્યું કે કોરોના જાય તેના કરતાં વધારે ઝડપથી તેની વેક્સિન મારે પહાડોના ગામડા સુધી લઈ જવી છે અને હું સરકારને અભિનંદન આપું છું કે મારા ઉત્તરાખંડ અને મારા હિમાચલ એમ બે પ્રદેશોએ સૌ પ્રથમ વેક્સિનેશનનું કામ પૂર્ણ કરી દીધું ભાઈઓ. વૈશ્વિક મહામારીમાં લોકોને ભૂખમરાનો શિકાર થવું પડે નહીં, બાળકોને કૂપોષણનો શિકાર બનવું પડે નહીં તેના માટે અમે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના શરૂ કરી. આ યોજના અંતર્ગત ઉત્તરાખંડના પણ લાખો લોકોને વિના મૂલ્યે અનાજ મળ્યું અને અમે ખાતરી કરી કે કોઈ પણ ગરીબના ઘરમાં કોઈ દિવસ એવો રહેવો જોઇએ નહીં જ્યારે ઘરમાં ચૂલો સળગ્યો ન હોય, રોટી બની ના હોય, કોઈ પણ બાળખ ભૂખ્યું સૂઈ જાય તે દિવસ હું જોવા માગતો ન હતો અને તે અમે સફળતાપૂર્વક હાંસલ કર્યું ભાઈઓ અને બહેનો.
થોડા સમય અગાઉ જ અમારી સરકારે આ સમયમર્યાદામાં વધુ ત્રણ મહિના ઉમેરી દીધા છે. જેથી આ તહેવારોના દિવસોમાં આપણા ગરીબ પરિવારોને તકલીફ પડે નહીં. ડબલ એન્જિન સરકારના પ્રયાસોથી હવે આ ઉત્તરાખંડમાં વિકાસ કાર્યોમાં ફરીથી વેગ આવી ગયો છે. જે લોકો ઘરથી પલાયન કરીને ચાલ્યા જતા હતા તેઓ હવે પોતાના જૂના મકાનમાં પરત ફરી રહ્યા છે. હોમ સ્ટે, ગેસ્ટ હાઉસ, ઢાબા, નાની નાની દુકાનોમાં હવે રોનક વધવા લાગી છે. આ સુવિધાઓને કારણે ઉત્તરાખંડમાં પર્યટનનો થઈ રહેલો આ વિસ્તાર અહીંના વિકાસને પણગતિ આપનારો છે. મને આનંદ છે કે ડબલ એન્જિન સરકાર અહીંના યુવાનોને હોમ સ્ટેની સુવિધા વધારવા માટે, યુવાનોના સ્કીલ ડેવલપમેન્ટ માટે સતત આર્થિક મદદ કરી રહી છે. સરહદી ક્ષેત્રોના યુવાનોને એનસીસી સાથે જોડવાનું અભિયાન પણ અહીંના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યું છે. સમગ્ર દેશમાં સરહદી ક્ષેત્રમાં જે સારી શાળાઓ હશે, હવે અમે ત્યાં એનસીસી ચલાવીશું. અમદાવાદ, મુંબઈ, ચેન્નાઈ ત્યાં એનસીસી 75 વર્ષ ચાલી. હવે એનસીસી ચાલશે આ ગામડાઓમાં, મારા ગામડાના બાળકોને તેનો લાભ મળશે.
સાથીઓ,
અમારા પહાડના લોકોનો સૌથી મોટો પડકાર રહે છે કનેક્ટિવિટી. કનેક્ટિવિટી ના હોય તો પહાડ પર જીવન ખરેખર પહાડ સમાન બની જાય છે. અમારી ડબલ એન્જિન સરકાર આ પડકારનો પણ ઉકેલ લાવી રહી છે. આજે ઉત્તરાખંડમાં મલ્ટિ મોડેલ કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે તમામ સાધન પર કામ કરવામાં આવી રહ્યું છે. હિમાચલમાં હરિયાળી પહાડીઓ પર રેલવે ગાડીનો અવાજ ઉત્તરાખંડના વિકાસની એક નવી ગાથા લખશે. દહેરાદૂન એરપોર્ટ પણ હવે એક નવા અવતારમાં સેવા આપી રહ્યું છે. તાજેતરમાં હું હિમાચલ પ્રદેશમાં ગયો હતો ત્યાં મેં વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો અને મને ઘણા લોકોએ માહિતી આપી કે અહીં બે બે પેઢી અગાઉની ઉંમરના જે લોકો છે. આવા ગામડાઓમાં દરેક ગામના લોકો છે, જેમણે હજી સુધી રેલવે જોઈ નથી અને આપ અમારા હિમાચલ પ્રદેશમાં વંદે ભારત ટ્રેન લઈ આવ્યા. વંદે ભારત ટ્રેન હજી તો એક સ્ટેશન પહોંચી છે પરંતુ સમગ્ર હિમાચલ અને પહાડના લોકો માટે ઘણી મોટી ભેટ છે. એ દિવસ હું ઉત્તરાખંડમાં પણ જોવા માગું છું ભાઈઓ. આજે ભલે હિમાચલથી ઉત્તરાખંડ આવવા જવાનું હોય, અથવા તો પછી દિલ્હી અને ઉત્તર પ્રદેશથી ઉત્તરાખંડ આવવા જવાનું હોય...ફોર લેન હાઇવે અને એક્સપ્રેસ હાઇવે ટૂંક સમયમાં જ તમારું સ્વાગત કરનારા છે. ચાર ધામ ઓલ વેધર રોડ ઉત્તરાખંડના લોકોની સાથે સાથે પર્યટકો અને શ્રદ્ધાળુઓને એક નવો અનુભવ કરાવી રહ્યા છે. હવે દરેક પર્યટક જે અન્ય રાજ્યમાંથી ઉત્તરાખંડ આવી રહ્યો છે તો અહીંથી પ્રવાસનો અદભૂત અનુભવ સાથે લઈને જાય છે. દિલ્હી-દહેરાદૂન ઇકોનોમીક કોરિડોરથી દિલ્હી-દહેરાદૂનનું અંતર ઘટી જશે જ સાથે સાથે તેનાથી ઉત્તરાખંડના ઉદ્યોગોને પણ વેગ મળશે.
ભાઈઓ અને બહેનો,
આધુનિક કનેક્ટિવિટી રાષ્ટ્રકક્ષાની પણ ગેરન્ટી હોય છે. તેથી છેલ્લા આઠ વર્ષમાં અમે આ દિશમાં એક પછી એક ડગલું ભરી રહ્યા છીએ. થોડા વર્ષ અગાઉ અમે કનેક્ટિવિટીની બે મોટી યોજનાઓનો પ્રારંભ કર્યો હતો. એક ભારતમાલા અને બીજી સાગરમાલા. ભારતમાલા હેઠળ દેશના સરહદી ક્ષેત્રોને શાનદાર અને પહોળા હાઇવે સાથે જોડવામાં આવી રહ્યા છે. સાગરમાલા દ્વારા આપણા સાગર કિનારાઓની કનેકટિવિટીને મજબૂત કરવામાં આવી રહી છે. છેલ્લા આઠ વર્ષમાં જમ્મુ-કાશ્મીરથી લઈને અરૂણાચલ પ્રદેશ સુધીની સરહદી કનેક્ટિવિટીનો પણ અમે અદભૂત વિસ્તાર કર્યો છે. 2014 બાદથી બોર્ડર રોડ ઓર્ગેનાઇઝશે લગભગ સાત હજાર કિલમીટર જેટલા નવા માર્ગોનું નિર્માણ કર્યું છે, સેંકડો નવા પુલો બાંધવામાં આવ્યા છે. ઘણી બધી મહત્વપૂર્ણ ટનલ્સનું પણ કામ પૂર્ણ કર્યું છે. એક સમય હતો જ્યારે સરહદ કિનારે માર્ગ બનાવવા માટે પણ દિલ્હીથી મંજૂરી લેવી પડતી હતી. અમે માત્ર આ બાધ્યતાને જ સમાપ્ત કરી નથી પરંતુ સાથે સાથે સરહદ પર સારા માર્ગો બનાવવા પર, ઝડપથી માર્ગો બનાવવા પર પણ ભાર આપ્યો હતો. હવે પહાડી રાજ્યોની કનેક્ટિવિટીને વઘારે બહેતર બનાવવા માટે અમે ખાસ કરીને જેવી રીતે સાગરમાલા છે, જેવી રીતે ભારતમાલા છે, તેવી જ રીતે હવે આ પર્વતમાલાનું કાર્ય આગળ વધનારું છે. તેના અંતર્ગત ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં રોપવેનું એક ઘણું મોટું નેટવર્ક બનવાનો પ્રારંભ થઈ ગયો છે. આપણે ત્યાં જ્યારે આપણે સરહદની વાત સાંભળીએ છીએ તો મનમાં એમ જ આવે છે કે આર્માના સાથી હશે, બાકી બધું જ વેરાન હશે, પરંતુ આ માન્યતાને પણ આપણે બદલવાની છે અને ધરાતલ પર પણ આપણે તેને બદલવાની છે. આપણા સરહદના ગામડાઓમાં ચહલ પહલ વધવી જોઇએ, અહીં વિકાસ જીવનનો ઉત્સવ બનવો જોઇએ, અમે આ પ્રયાસ કરી રહ્યા છીએ. અને અમે તો કહીએ છીએ કે જે ક્યારેક ગામ છોડીને ગયા છે, તેમને પોતાના ગામમાં પરત ફરવાનું મન થઈ જાય એવા જીવંત ગામડા મારે ઉભા કરવા છે. અને હું કહી રહ્યો છું, એવું નથી કે હું કરીને આવ્યો છું. ગુજરાતમાં પાકિસ્તાનની સરહદે અંતિમ ગામ છે કચ્છના રણમાં ઘોરડો. આજે ઘોરડો ઘણુ મોટું પ્રવાસન ક્ષેત્ર બની ગયું છે. દર વર્ષે લાખો લોકો આવે છે, ત્યાંના લોકો માટે કરોડોનો વેપાર થાય છે, અંતિમ ગામને જીવંત કરી દીધું તેને કારણે સમગ્ર પ્રાંત જીવંત થઈ ઉઠ્યો.
પાકિસ્તાનની સરહદ પર ગુજરાતમાં એક બીજું સ્થાન છે. રણમાં એક તીર્થ સ્થાન હતું એક માતાનું સ્થાન હતું. હમણા મેં ત્યાં એક મોટું સ્થાન બનાવી દીધું. અને હમણા ઉત્તરાખંડના અધિકારીઓને મેં મોકલ્યા હતા, જરા જોઈ આવો કે શું માણાની આસપાસ આપણે આવું કાંઈ કરી શકીએ છીએ ? હું વિચારી રહ્યો છું કે સરહદના ગામોમાં કાંઇકને કાંઇક થવું જોઇએ, તેમાં જ દિમાગ લગાવીને બેઠો છું અને તેથી જ આજે હું અહીં આવ્યો છું. કેમ કે તેને જરા વધારે બારીકાઈથી સમજવા માગું છું. અને અહીં માણાથી માણા પાસ સુધીનો જે માર્ગ બનશે તેનાથી મને પાક્કો વિશ્વાસ છે કે પ્રવાસીઓના આવન જાવનનો એક નવો મોટો યુગ શરૂ થઈ જશે. લોકો હવે બદ્રી વિશાલથી પાછા નહીં ફરી જાય. જ્યાં સુધી માણા પાથ નહીં જાય ત્યાં સુધી પરત નહીં ફરે. તે સ્થિતિ ઉભી કરીને રહીશ ભાઈઓ. આ પ્રકારે જ જોશીમઠથી મલારીના માર્ગના પહોળીકરણથી સામાન્ય લોકોની સાથે સાથે આપણા લશ્કરી જવાનો માટે પણ સરહદ પર પહોંચવામાં ઘણી સરળતા રહેશે.
ભાઈઓ અને બહેનો,
આપણા પહાડી રાજ્યોના પડકારો પણ લગભગ એક સમાન જેવા છે. વિકાસની આકાંક્ષાઓ પણ ઘણી પ્રબળ છે. ખાસ કરીને ઉત્તરાખંડ અને હિમાચલ તો ભૂગોળ અને પરંપરાની રીતે પણ એકબીજા સાથે ઘણી બધી રીતે જોડાયેલા છે. આ ગઢવાલ છે અને ઉત્તર કાશીના, દહેરાદૂનની પેલી તરફ તમારા શીમલા અને સિરમૌર આવી ગયા. જોનસાક અને સિરમૌરના ગિરિપારમાં તો તફાવત કરવો પણ ઘણો મુશ્કેલ છે. હું તો તાજેતરમાં જ હિમાચલના અનેક ક્ષેત્રમાં જઈને આવ્યો છું. ત્યાં ઉત્તરાખંડની ઘણી ચર્ચા થઈ રહી છે. હિમાચલ પ્રદેશ વાળા કહી રહ્યા છે કે જે રીતે ઉત્તરાખંડમાં ઝડપી વિકાસ માટે, ધરોહરો, આસ્થાના સ્થાનોના વિકાસ કમાટે, સરહદ અને પહાડી ક્ષેત્રોની સુવિધાઓ વઘારવા માટે, ડબલ એન્જિનની સરકારને બીજી વાર લઈ આવ્યા છે તે જ મંત્ર હિમાચલને પણ પ્રેરણા આપી રહ્યો છે. હું ઉત્તરાખંડને ફરીથી વિશ્વાસ અપાવું છું કે આપની આશાઓ અને આકાંક્ષાઓને પૂરી કરવા માટે અમારી મહેનતમાં જરાય ઘટાડો થશે નહીં. હું બાબા કેદાર તથા બદ્રી વિશાલ પાસેથી આ જનવિશ્વાસ પર ખરા ઉતરવા માટે આશીર્વાદ માગવા માટે પણ અહીં આવ્યો છું. ફરી એક વાર વિકાસ માટે, વિકાસની પરિયોજના માટે હું આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા આવ્યા, માતાઓ અને બહેનો આવી. કદાચ આજે કોઈ ઘરમાં નહીં હોય. નાનકડું માણા આજે અહીં છે માહોલ બદલી નાખ્યો છે. હું કેટલો નસીબદાર છું જ્યારે આ માતાઓ અને બહેનો મને આશીર્વાદ આપે. આજે ખરેખર મારું જીવન ધન્ય થઈ ગયું છે. હું આપ સૌને દિવાળીની અગ્રીમ શુભકામના પાઠવું છું. અને હું આપના ઉત્તમ આરોગ્ય માટે, આપના બાળકોની ઉત્તમ પ્રગતિ માટે બદ્રી વિશાલના ચરણોમાં પ્રાર્થના કરતા મારી વાણીને અહીં વિરામ આપું છું.
મારી સાથે સંપૂર્ણ તાકાતથી બોલો – ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય
જય બદ્રી વિશાલ, જય બદ્રી વિશાલ, જય બદ્રી વિશાલ.
જય બાબ કેદાર, જય બાબા કેદાર, જય બાબા કેદાર.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1870204)
મુલાકાતી સંખ્યા : 314
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam