પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તમિલનાડુમાં રૂપિયા 31,500 કરોડ કરતાં વધારે મૂલ્યની 11 પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી અને શિલાન્યાસ કર્યો


“તમિલનાડુમાં પાછા આવવાનો અનુભવ હંમેશા અદભુત હોય છે. આ ભૂમિ વિશેષ છે. આ રાજ્યના લોકો, સંસ્કૃતિ અને ભાષા ઉત્કૃષ્ટ છે”

“તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ વૈશ્વિક છે”

“આધુનિકીકરણ અને વિકાસનું કામ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે, તે સ્થાનિક કળા અને સંસ્કૃતિ સાથે ભળી જશે”


“ભારત સરકાર ઉચ્ચ ગુણવત્તાવાળી અને ટકાઉક્ષમ માળખાકીય સુવિધાઓનું નિર્માણ કરવા પર સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે”

“સરકાર મુખ્ય યોજનાઓ માટે સંતૃપ્તતાના સ્તર સુધી પહોંચવા પર કામ કરી રહી છે”

“અમારો ઉદ્દેશ ગરીબ કલ્યાણનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે”

“નજીકના મિત્ર અને પડોશી તરીકે ભારત શ્રીલંકાને શક્ય હોય તેવા તમામ પ્રકારે ટેકો આપી રહ્યું છે”

“ભારત સરકાર તમિલ ભાષા અને સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે”

Posted On: 26 MAY 2022 7:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચેન્નઇમાં રૂપિયા 31,500 કરોડના મૂલ્યની 11 પરિયોજનાઓ રાષ્ટ્રને અર્પણ કરી અને શિલાન્યાસ કર્યો હતો. આ પરિયોજનાઓના કારણે માળખાકીય સુવિધાને વેગ મળશે, કનેક્ટિવિટીનું વિસ્તરણ થશે અને આ પ્રદેશમાં ઇઝ ઓફ લિવિંગને વધુ ગતિ પ્રાપ્ત થશે. તમિલનાડુના રાજ્યપાલ શ્રી આર. એન. રવિ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી એમ. કે. સ્ટાલિન, કેન્દ્રીય મંત્રી શ્રી એલ. મુરુગન અને અન્ય મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ખુશીની લાગણી સાથે કહ્યું હતું કે, હું ફરી પાછો તમિલનાડુમાં આવી ગયો છું. પોતાના સંબોધનની શરૂઆતમાં તેમણે કહ્યું હતું કે, તમિલનાડુમાં ફરી પાછા આવવાનો અનુભવ હંમેશા અદભુત હોય છે. આ ભૂમિ વિશેષ છે. આ રાજ્યના લોકો, સંસ્કૃતિ અને ભાષા ઉત્કૃષ્ટ છે. તેમણે કહ્યું હતું કે, તમિલનાડુમાંથી કોઇને કોઇ હંમેશા આગળ પડતા રહે છે. તેણે ડેફલિમ્પિક્સ ટીમની યજમાની કરી તે પ્રસંગને યાદ કર્યો હતો અને આગળ કહ્યું હતું કે, આ વખતે ટુર્નામેન્ટમાં ભારતનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું હતું. આપણે જીતેલા 16 મેડલમાંથી 6 મેડલના વિજયમાં તો તમિલનાડુના યુવાનોની ભૂમિકા હતી.

ભવ્ય તમિલ સંસ્કૃતિ અંગે ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ પોતાની વાત આગળ વધારીને કહ્યું હતું કે, તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ વૈશ્વિક છે. ચેન્નઇથી માંડીને કેનેડા અને મદુરાઇથી માંડીને મલેશિયા, નામાક્કલથી લઇને ન્યૂયોર્ક અને સાલેમથી માંડીને સાઉથ આફ્રિકા સુધી, પોંગલ અને પુથાંડુના પ્રસંગોની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક થાય છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે તાજેતરમાં, કાન્સ ફિલ્મ મહોત્સવમાં, તમિલનાડુની મહાન ધરતીના પુત્ર અને કેન્દ્રીય મંત્રી થીરુ એલ મુરુગન પરંપરાગત તમિલ પોશાકમાં રેડ કાર્પેટ પર ચાલ્યા હતા, જેના કારણે આખી દુનિયાના તમિલ લોકોને ખૂબ જ ગૌરવનો અનુભવ થયો હતો.

તેમણે કહ્યું હતું કે, આજે જે પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અથવા જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તેમાં માર્ગો દ્વારા કનેક્ટિવિટી પર ખાસ મૂકવામાં આવ્યો છે તેવું દેખાઇ આવે છે. આવું કરવાનું મુખ્ય કારણ એ છે કે, તેનો સીધો જ સંબંધ આર્થિક સદ્ધરતા સાથે છે. તેમણે કહ્યું હતું કે, બેંગલુરુ – ચેન્નઇ એક્સપ્રેસ-વે બે મોટા કેન્દ્રોને જોડશે અને 4 માર્ગે ડબલ ડેકર એલિવેડેટ રોડ ચેન્નઇ બંદરથી મદુરાવોયલને જોડી રહ્યો છે જે ચેન્નઇ બંદરને વધારે કાર્યક્ષમ બનાવશે અને શહેરમાં ગીચતા ઓછી થશે. પ્રધાનમંત્રીએ પાંચ રેલવે સ્ટેશનનો ફરી વિકાસ કરવામાં આવી રહ્યો છે તે અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ આધુનિકીકરણ અને વિકાસ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે, તે સ્થાનિક કળા અને સંસ્કૃતિ સાથે ભળી જશે. તેમણે મદુરાઇ - ટેની રેલ્વે ગેજ રૂપાંતરણ પરિયોજના અંગે કહ્યું હતું કે, આનાથી ખેડૂતોને ઘણી મદદ મળી રહેશે કારણ કે તેનાથી તેમને નવા બજારો ઉપલબ્ધ થશે.

પ્રધાનમંત્રીએ PM આવાસ યોજના અંતર્ગત ઐતિહાસિક ચેન્નઇ લાઇટ હાઉસ પરિયોજનાના ભાગરૂપે આવાસ મેળવનારા તમામ લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આ એક ખૂબ જ સંતોષકારક પરિયોજના છે કારણ કે અમે વૈશ્વિક પરિવર્તનની શરૂઆત કરી છે. અને વિક્રમી સમયમાં પ્રથમ પરિયોજનાને સાકાર કરવામાં આવી છે અને મને એવાનો ખૂબ જ આનંદ છે કે તે પરિયોજના ચેન્નઇમાં છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક આપણા દેશની નૂર ઇકોસિસ્ટમમાં એક દૃશ્ટાંતરૂપ પરિવર્તન લાવશે. તેમણે કહ્યું હતું કે, વિવિધ ક્ષેત્રોમાં આ દરેક પરિયોજના રોજગારના સર્જનને વેગ આપશે અને તેના કારણે આત્મનિર્ભર બનવાનો આપણો સંકલ્પ પણ સાકાર થશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ઇતિહાસે આપણને શીખવાડ્યું છે કે, જે દેશો માળખાકીય સુવિધાને સૌથી વધારે મહત્વ આપે છે તેઓ વિકાસશીલ દેશોમાંથી વિકસિત દેશો બન્યા છે. તેમણે ભૌતિક અને દરિયાકાંઠાની માળખાકીય સુવિધાઓ આ બંનેનો સંદર્ભ ટાંકીને કહ્યું હતું કે ભારત સરકાર એવી માળખાકીય સુવિધાઓના નિર્માણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે જે શ્રેષ્ઠ ગુણવત્તાની અને ટકાઉક્ષમ હોય. તેમણે કહ્યું હતુ કે, અમારો ઉદ્દેશ ગરીબ કલ્યાણનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો છે. સામાજિક માળખા પર અમે ભાર મૂકી રહ્યા છીએ જે સર્વ જન હિતાય અને સર્વ જન સુખાયના સિદ્ધાંત પર અમે આગ્રહ રાખી છીએ તેવું સ્પષ્ટ બતાવે છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમની સરકાર મુખ્ય યોજનાઓ માટે સંતૃપ્તતાના સ્તર સુધી પહોંચવા પર કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોઇપણ ક્ષેત્ર લઇ લો, જેમ કે - શૌચાલય, આવાસ, નાણાકીય સમાવેશિતા, કોઇપણ... અમે સંપૂર્ણ કવરેજ તરફ કામ કરી રહ્યા છીએ. જ્યારે આ થઇ જાય, ત્યારે કોઇ વ્યક્તિ બાકાત રાખવાનો કોઇ અવકાશ જ નથી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, સરકાર પરંપરાગત રીતે જેને માળખાકીય સુવિધાઓ તરીકે ઓળખવામાં આવે છે તેનાથી આગળ વધી ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે, થોડા વર્ષો પહેલાં માળખાકીય સુવિધાઓનો ઉલ્લેખ રસ્તાઓ, વીજળી અને પાણી તરીકે કરવામાં આવતો હતો. આજે અમે ભારતના ગેસના પાઇપલાઈન નેટવર્કનું વિસ્તરણ કરવા માટે કામ કરી રહ્યા છીએ. આઇ-વે પર હાલમાં કામ ચાલી રહ્યું છે. દરેક ગામમાં હાઇ સ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવાનું અમારું વિઝન છે.

પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકાર તમિલ ભાષા અને સંસ્કૃતિને વધુ લોકપ્રિય બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. જાન્યુઆરી મહિનામાં, ચેન્નઇમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્લાસિકલ તમિલના નવા પરિસંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નવું પરિસંકુલ માટે સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, તાજેતરમાં જ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસ પર સુબ્રમણ્યભારતી ચેરની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, BHU તેમના મતવિસ્તારમાં આવેલી હોવાથી તેમને આ બાબતે વિશેષ આનંદ થયો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, શ્રીલંકા અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યું છે. મને ખાતરી છ કે, તમે ત્યાંના વિકાસ બાબતે ચિંતિત હશો. નજીકના મિત્ર અને પડોશી તરીકે ભારત શ્રીલંકાને શક્ય હોય તેવા તમામ પ્રકારે ટેકો આપી રહ્યું છે. પ્રધાનમંત્રીએ જુના સ્મરણ યાદ કરતા કહ્યું હતું કે, તેઓ જાફનાની મુલાકાત લેનારા ભારતના પ્રથમ પ્રધાનમંત્રી હતા. ભારત સરકાર શ્રીલંકામાં તમિલ લોકોને મદદ કરવા માટે સંખ્યાબંધ પરિયોજનાઓ હાથ ધરી રહી છે. આ પરિયોજનાઓ આરોગ્ય સંભાળ, પરિવહન, આવાસ અને સંસ્કૃતિને આવરી લે છે.

પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનના સમાપન વખતે આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાંના સાકાર કરવાના દેશના સામૂહિક સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રીએ રૂપિયા 2960 કરોડના મૂલ્યની પાંચ પરિયોજનાઓ આ કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આમાં, 75 કિમી લાંબી મદુરાઇ – ટેની રેલવે લાઇન (રેલવે ગેજ રૂપાંતરણ પરિયોજના)નું નિર્માણ રૂપિયા 500 કરોડના ખર્ચે થયું છે જે આ પ્રદેશમાં પર્યટનને વેગ આપશે અને અહીં સુલભતા વધશે. તાંબરમ - ચેંગલપટ્ટુ વચ્ચે રૂપિયા 590 કરોડ કરતાં વધારે ખર્ચે 30 કિમી લાંબી ત્રીજી રેલવે લાઇનનું નિર્માણ કરવામાં આવ્યું છે જે વધુ ઉપનગરીય સેવાઓને આગળ વધારવામાં મદદ કરશે અને તેનાથી મુસાફરોને સફરમાં આરામ મળશે તેમજ વધુ વિકલ્પો પ્રાપ્ત થશે. ETB PNMT કુદરતી ગેસ પાઇપલાઇનના 115 કિમી લાંબા એન્નોર ચેંગાલપટ્ટુ સેક્શન અને 271 કિમી લાંબા તિરુવલ્લર બેંગુલુરુ સેક્શનનું કામ અનુક્રમે રૂપિયા 850 કરોડ અને રૂપિયા 910 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે જેનાથી તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ગ્રાહકોને તેમજ ઉદ્યોગોને કુદરતી ગેસના પુરવઠાની સુવિધા પૂરી પાડી શકાશે.

આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના- શહેરી હેઠળ રૂ. 116 કરોડના ખર્ચે બાંધવામાં આવેલા લાઇટ હાઉસ પ્રોજેક્ટ - ચેન્નઇના ભાગ રૂપે તૈયાર કરવામાં આવેલા 1152 આવાસોનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ દરમિયાન છ પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યો હતો જેનું નિર્માણ કુલ રૂપિયા 28,540 કરોડના ખર્ચે કરવામાં આવશે. આમાં, રૂપિયા 14870 કરોડ કરતાં વધારે ખર્ચે 262 કિમી લાંબા બેંગલુરુ – ચેન્નઇ એક્સપ્રેસ વેનું નિર્માણ કરવામાં આવશે. તે કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાંથી પસાર થશે જેના કારણે બેંગલુરુ અને ચેન્નઇ વચ્ચે મુસાફરીનો સમય 2-3 કલાક ઘટાડવામાં મદદ મળશે. ચેન્નઇ બંદરથી મદુરાવોયલ (NH-4)ને જોડતો 4 માર્ગી ડબલડેકર એલિવેટેડ માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે જેની લંબાઇ 21 કિમી રહેશે અને તેનો કુલ ખર્ચ રૂપિયા 5850 કરોડ કરતાં વધારે રહેશે. તેનાથી ચેન્નઇ પોર્ટ પર ચોવીસ કલાકના ધોરણે માલસામાનના વાહનોની પહોંચ થઇ શકશે. NH-844ના નેરાલુરુ અને ધરમપુરી સેક્શન વચ્ચેના 94 કિમીના 4 માર્ગી અને HN-227ના 31 કિમી લાંબા 2 માર્ગી માર્ગ કે જેમાં મીસુરુટ્ટીથી ચિદમ્બરમ સુધીના પેવ્ડ શોલ્ડર રહેશે તેનું નિર્માણ અનુક્રમે રૂપિયા 3870 કરોડ અને રૂપિયા 720 કરોડ જેટલા ખર્ચે કરવામાં આવી રહ્યું છે. આનાથી આ પ્રદેશમાં અવિરત કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે.

આ કાર્યક્રમ દરમિયાન પાંચ રેલવે સ્ટેશનો એટલે કે, ચેન્નઇ એગ્મોર, રામેશ્વરમ, મદુરાઇ, કાટપડી અને કન્યાકુમારીનો ફરી વિકાસ કરવા માટે પણ શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પરિયોજનાઓ રૂપિયા 1800 કરોડથી વધુના ખર્ચે પૂર્ણ થશે અને આધુનિક સુવિધાઓની જોગવાઇ દ્વારા મુસાફરોની સવલતો અને આરામ વધારવાના હેતુથી હાથ ધરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ ચેન્નઇ ખાતે લગભગ રૂપિયા 1430 કરોડના ખર્ચે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનું નિર્માણ કરવા માટે પણ શિલાન્યાસ કર્યો હતો. તે અવિરત ઇન્ટરમોડલ નૂર આવનજાવન પ્રદાન કરશે અને બહુવિધ કાર્યક્ષમતા પણ પૂરી પાડશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1828603) Visitor Counter : 236