પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ સંમેલન દરમિયાન મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ નીતિનો આરંભ કર્યો


“યુવાનોની શક્તિના કારણે દેશના વિકાસને નવો વેગ મળી રહ્યો છે”

“8 વર્ષના ટૂંકા સમયગાળામાં, દેશની સ્ટાર્ટઅપ ગાથામાં ખૂબ જ મોટું પરિવર્તન આવ્યું છે”

“2014 પછી, સરકારે યુવાનોની આવિષ્કાર કરવાની શક્તિ ફરી સ્થાપિત કરી છે અને અનુકૂળ ઇકોસિસ્ટમનું સર્જન કર્યું છે”

“7 વર્ષ પહેલાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાની શરૂઆત વિચારોને આવિષ્કારમાં પરિવર્તિત કરવા માટે અને તેમને ઉદ્યોગોમાં લઇ જવાની દિશામાં એક મોટું પગલું હતું”

“ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તેમજ ઇઝ ઓફ લિવિંગ પર અભૂતપૂર્વ રીતે ભાર મૂકવામાં આવી રહ્યો છે”

Posted On: 13 MAY 2022 8:39PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજવામાં આવેલા મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ સંમેલન દરમિયાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ નીતિનો આરંભ કર્યો હતો. તેમણે આ કાર્યક્રમ દરમિયાન મધ્યપ્રદેશ સ્ટાર્ટઅપ પોર્ટલ પણ લોન્ચ કર્યું હતું જે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સુવિધા પૂરી પાડશે અને તેને પ્રોત્સાહન આપવામાં પણ મદદરૂપ થશે. તેમણે આ કાર્યક્રમ દરમિયાન સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો સાથે સંવાદ પણ કર્યો હતો.

કરિયાણા સ્ટોર્સને સંગઠિત કરવા માટે ઑનલાઇન સ્ટોર શોપ કિરાનાના સ્થાપક શ્રી તનુ તેજસ સારસ્વત સાથે વાત કરતી વખતે પ્રધનમંત્રીએ તેમની પૃષ્ઠભૂમિ અને કેવી રીતે આ વ્યવસાયમાં તેઓ જોડાયા તે અંગે પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ આ વ્યવસાયમાં રહેલી તકો અને વૃદ્ધિ વિશે પણ પૂછ્યું હતું. તેમણે કેટલા કરિયાણા સ્ટોરને આ સ્ટાર્ટઅપ પર લિંક કરવામાં આવ્યા છે અને શા માટે તેમણે સ્ટાર્ટઅપની શરૂઆત કરવા માટે ઇન્દોર શહેર પસંદ કર્યું તે અંગે પણ પૂછપરછ કરી હતી. પ્રધાનમંત્રીએ એવું પણ પૂછ્યું હતું કે, શું કોઇપણ વ્યક્તિ આવી રીતે સ્વનિધિ યોજનાનો લાભ લેનારા શેરી પરના ફેરિયાઓને પણ લિંક કરી શકે કે નહીં.

ભોપાલના ઉમંગ શ્રીધર ડિઝાઇન્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક સુશ્રી ઉમંગ શ્રીધર સાથે વાત કરતી વખતે પ્રધાનમંત્રીને ખાદીમાં તેમના આવિષ્કાર વિશે અને મોટી કંપનીઓ માટે તેમના દ્વારા જે ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે તેના વિશે માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, સ્ટાર્ટઅપની સફર સરકાર સાથે અસ્પષ્ટ રહી છે કારણ કે તેમણે 2014 માં કંપની શરૂ કરી હતી. તેમણે તેમને મહિલાઓ સાથેના તેમના કામ વિશે પણ માહિતી આપી હતી. પ્રધાનમંત્રીએ તેમના સ્ટાર્ટઅપ દ્વારા મહિલાઓમાં જે સુધારા અને મૂલ્યવૃદ્ધિ લાવી શકાયા છે તેના વિશે પૂછ્યું હતું. તેમણે જણાવ્યું કે, મહિલા કારીગરોની આવકમાં લગભગ 300 ટકાનો વધારો થયો છે. તેમણે મહિલાઓને કારીગરથી લઇને ઉદ્યોગસાહસિક બનવાની તાલીમ આપવાની પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ કાશીમાં તેમના કામ વિશે પૂછપરછ કરી હતી અને નોકરી સર્જક અને પ્રેરક વ્યક્તિ તરીકે તેમની પ્રશંસા કરી હતી.

ઇન્દોરના શ્રી તૌસીફ ખાન સાથે વાત કરતી વખતે પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, તેમની સંસ્થા ખેડૂતોની આવક બમણી કરવા માટે કામ કરી રહી છે. તેમણે એવા ટેકનોલોજીકલ ઉકેલો તૈયાર કર્યા છે જે ડિજિટલ અને ભૌતિક માધ્યમોથી ખેડૂતોને પૂરા પાડવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ પૂછ્યું હતું કે, શું કોઇ વ્યક્તિ તેમના સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા ખેડૂતો માટે જમીનના પરીક્ષણની સુવિધાઓને એકીકૃત કરી શકે કે નહીં. પ્રધાનમંત્રીને જમીનનું પરીક્ષણ કરવાની રીતો અને ખેડૂતો સાથે ડિજિટલ રીતે રિપોર્ટ શેર કરવાની રીતો વિશે માહિતી આપવામાં આવી હતી. તેઓ ઓર્ગેનિક અને માઇક્રોબાયલ ખાતરને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. ખેડૂતોમાં કુદરતી ખેતી અપનાવવા વિશે પણ પ્રધાનમંત્રીએ પ્રશ્નો કર્યા હતા. પ્રધાનમંત્રીએ એવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી કે, સ્વચ્છ સર્વેક્ષણમાં ઇન્દોરની જેમ જ ઇન્દોર જિલ્લાના ખેડૂતોએ પણ રસાયણ મુક્ત ખેતી માટે દૃશ્ટાંત પૂરું પાડવું જોઇએ.

ઉપસ્થિત લોકોને સંબંધોન કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, દેશમાં યુવાનોની શક્તિના કારણે વિકાસને નવો વેગ મળી રહ્યો છે. સક્રિય સ્ટાર્ટઅપ નીતિ હોવાથી લાગણી છે, દેશમાં સમાન પ્રમાણમાં સ્ટાર્ટઅપનું ખંતીલું નેતૃત્વ પણ છે. પ્રધાનમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, 8 વર્ષના ટૂંકા ગાળામાં દેશની સ્ટાર્ટઅપની ગાથામાં ખૂબ મોટાપાયે પરિવર્તન આવ્યું છે. તેમણે યાદ કર્યું હતું કે, 2014માં જ્યારે તેમની સરકાર સત્તારૂઢ થઇ ત્યારે દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યા લગભગ 300-400 જેટલી માંડ હતી. આજે લગભગ 70000 માન્ય સ્ટાર્ટઅપ્સ છે. તેમણે કહ્યું હતું કે, આ દેશમાં દર 7-8 દિવસે એક નવો યુનિકોર્ન બને છે.

પ્રધાનમંત્રીએ સ્ટાર્ટ-અપ્સની વિવિધતા અંગે પણ નોંધ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં લગભગ 50% જેટલા સ્ટાર્ટઅપ્સ ટીઅર II અને ટીઅર III શહેરોના છે અને તેઓ ઘણા રાજ્યો અને શહેરોને આવરી લે છે. આવા સ્ટાર્ટઅપ્સ 50 કરતાં પણ વધારે ઉદ્યોગો સાથે સંકળાયેલા છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્ટાર્ટઅપ્સના કારણે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓના ઉકેલ મળે છે. આજના સ્ટાર્ટઅપ્સ આવતીકાલના MNC બની જાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, 8 વર્ષ પહેલાં સ્ટાર્ટઅપની પરિકલ્પના વિશે માત્ર અમુક લોકોમાં જ ચર્ચા થતી હતી અને હવે તે સામાન્ય લોકોમાં પણ ચર્ચાનો એક હિસ્સો બની ગઇ છે. તેમણે કહ્યું હતું કે, આ પરિવર્તન માત્ર નસીબજોગે થયેલું નથી પરંતુ સારી રીતે વિચારેલી વ્યૂહરચનાનું પરિણામ છે.

તેમણે ભારતમાં આવિષ્કારી ઉકેલોની ગાથાનો ઉલ્લેખ કર્યો હતો અને IT ક્ષેત્રમાં ક્રાંતિને વેગ આપવા માટે પ્રોત્સાહનના અભાવ તેમજ તકોને યોગ્ય રીતે સાંકળવામાં રહેલી નિષ્ફળતા અંગે અફસોસ વ્યક્ત કર્યો હતો. અગાઉની સરકારોના સમયના કૌભાંડો અને અંધાધૂંધીમાં આખો દાયકો વેડફાઇ ગયો હોવાનો પણ તેમણે વસવસો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, 2014 પછી, સરકારે યુવાનોમાં રહેલી આવિષ્કાર કરવાની શક્તિનો ભરોસો ફરીથી સ્થાપિત કર્યો છે અને એક અનુકૂળ ઇકોસિસ્ટમનું પણ સર્જન કર્યું છે. તેમણે માહિતી આપી હતી કે, આઇડિયાથી આવિષ્કાર અને ત્યાંથી ઉદ્યોગ સુધીના રોડમેપ બનાવીને આ ક્ષેત્રને આગળ વધારવા માટે ત્રણ પાયાના અભિગમ છે. તેમણે કહ્યું હતુ કે, આ વ્યૂહરચનાનો પ્રથમ ભાગ આઇડિયા, આવિષ્કાર, ઇન્ક્યુબેટ અને ઉદ્યોગની કલ્પના હતી. આ પ્રક્રિયાઓને લગતી સંસ્થાઓનું સર્જન કરવામાં આવ્યું હતું અને તેમને મજબૂત બનાવવામાં આવી હતી. બીજું અભિગમ અંગે તેમણે કહ્યું હતું કે, સરકારી નિયમોમાં સરળતા લાવવામાં આવી છે. ત્રીજો અભિગમ, નવી ઇકોસિસ્ટમ તૈયાર કરીને આવિષ્કાર માટેની માનસિકતામાં પરિવર્તન લાવવાનો છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને હેકાથોન જેવા પગલાં લેવામાં આવ્યા હતા. આ હેકાથોન ચળવળમાં 15 લાખ જેટલા પ્રતિભાશાળી યુવાનો સામેલ થયા છે જે સ્ટાર્ટઅપ્સ માટે એક ઇકોસિસ્ટમનું સર્જન કરે છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 7 વર્ષ પહેલાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાનો પ્રારંભ એ વિચારોને આવિષ્કારમાં ફેરવવા અને તેને ઉદ્યોગો સુધી લઇ જવાની દિશામાં એક મોટું પગલું હતું. એક વર્ષ પછી, શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબોરેટીઓ શરૂ કરીને તેમજ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ઇન્ક્યુબેશન સેન્ટરો ઉભા કરીને અટલ ઇનોવેશન મિશનની શરૂઆત કરવામાં આવી હતી. 10 હજાર કરતાં વધારે શાળાઓમાં ટિંકરિંગ લેબોરેટરીઓ શરૂ કરવામાં આવી છે અને 75 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઇનોવેશનના માહોલથી પરિચિત થઇ રહ્યા છે. એવી જ રીતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ આવિષ્કાર પ્રોત્સાહન આપે છે. આવિષ્કારના ક્ષેત્રમાં ખાનગી રોકાણમાં પણ વધારો થઇ રહ્યો છે.

તેમણે કહ્યું હતું કે, અવકાશ ક્ષેત્ર, મેપિંગ, ડ્રોન વગેરેમાં કરવામાં આવેલા સુધારાઓ સ્ટાર્ટઅપ માટે તકોના નવા દ્વાર ખોલી રહ્યા છે. સ્ટાર્ટઅપના ઉત્પાદનોને બજારમાં લાવવા માટે સરળતામાં વધારો કરવા માટે GeM પોર્ટલની પણ સ્થાપના કરવામાં આવી છે. 13000 કરતાં વધારે સ્ટાર્ટઅપની GeM પોર્ટલ પર નોંધણી કરવામાં આવી છે અને તેમણે આ પોર્ટલના માધ્યમથી રૂપિયા 6500 કરોડ કરતાં વધારેનો વેપાર પણ કર્યો છે. ડિજિટલ ઇન્ડિયાએ દેશમાં સ્ટાર્ટઅપ્સના વિકાસ અને નવા બજારો ખોલવા માટે એક મોટો પ્રવેગ પૂરો પાડ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રવાસન ક્ષેત્રના વિકાસમાં સ્ટાર્ટઅપ્સની ભૂમિકા મુખ્ય રહી છે. સ્ટાર્ટઅપ્સ લોકલ માટે વોકલને પ્રોત્સાહન આપવામાં પણ મદદરૂપ થશે. આદિવાસીઓને તેમની હસ્તકળા અને ઉત્પાદનો બજારમાં લાવવા માટે પણ સ્ટાર્ટઅપ મદદ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, સરકાર ગેમિંગ ઉદ્યોગ અને રમકડાં ઉદ્યોગ પર ખૂબ જ વેગ આપી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, સ્ટાર્ટઅપ માટે અગ્રહરોળની ટેકનોલોજીઓમાં પણ સંભાવનાઓ રહેલી છે. તેમણે એવી પણ માહિતી આપી હતી કે, ભારતના 800 કરતાં વધારે સ્ટાર્ટઅપ્સ રમતગમત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતની સરળતાને આપણે નવી ગતિ અને અને નવી ઊંચાઇ આપવાની છે. આજે ભારત G-20 અર્થતંત્રોમાં સૌથી વધુ ઝડપથી વધી રહેલું અર્થતંત્ર છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, ભારત સમગ્ર દુનિયામાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર છે. સ્માર્ટફોન, ડેટા વપરાશની બાબતમાં ભારત પ્રથમ ક્રમે આવે છે અને ઇન્ટરનેટ વપરાશકારોની સંખ્યાની દૃષ્ટિએ બીજા ક્રમે આવે છે. વૈશ્વિક રિટેલ સૂચકાંકમાં ભારતનું બીજું સ્થાન છે, તેમજ ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા દેશ છે અને દુનિયાનું ત્રીજું સૌથી મોટું ગ્રાહક બજાર પણ ભારતમાં જ છે. આ વર્ષે ભારતે 470 બિલિયન ડૉલરની વ્યાપારિક નિકાસ કરીને નવો વિક્રમ સ્થાપિત કર્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ ભારતમાં અભૂતપૂર્વ રોકાણ આવ્યું છે. ભારતમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તેમજ ઇઝ ઓફ લિવિંગ પર અભૂતપૂર્વ પ્રમાણમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ બધા જ તથ્યો દરેક ભારતીયને ગૌરવ અપાવે છે અને તેમનામાં એવો વિશ્વાસ ઉભો કરે છે કે આ દાયકામાં ભારતની વિકાસગાથા નવી ઊર્જા સાથે આગળ વધશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અમૃતકાળ દરમિયાન આપણા પ્રયાસો દેશની દિશા નક્કી કરશે અને આપણે આપણા સામૂહિક પ્રયાસોથી દેશની આકાંક્ષાઓને પૂરી કરીશું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1825248) Visitor Counter : 251