પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી

Posted On: 24 APR 2022 2:56PM by PIB Ahmedabad

સાંબા જિલ્લાની પલ્લી પંચાયતમાંથી દેશભરની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરી 

 

રૂ. 20,000 કરોડથી વધુનાં મૂલ્યની બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
બનિહાલ કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું જે જમ્મુ અને કાશ્મીરના વિસ્તારોને નજીક લાવવામાં મદદ કરશે

 

દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના ત્રણ રોડ પેકેજ અને રતલે અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

 

અમૃત સરોવરનો શુભારંભ કર્યો - દેશના દરેક જિલ્લામાં 75 જળાશયોના વિકાસ અને પુનઃજીવિત કરવાના હેતુથી એક પહેલ

 

"જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી એક મોટાં પરિવર્તનને દર્શાવે છે"


“લોકશાહી હોય કે વિકાસનો સંકલ્પ, આજે જમ્મુ અને કાશ્મીર એક નવું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. છેલ્લાં 2-3 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં વિકાસના નવા આયામો સર્જાયા છે”


“જમ્મુ-કાશ્મીરમાં વર્ષોથી જેમને અનામતનો લાભ નહોતો મળ્યો, તેઓને પણ હવે અનામતનો લાભ મળી રહ્યો છે” 

 

"અંતર, પછી તે ભલે હૃદય, ભાષા, રિવાજો કે સંસાધનોનું હોય, તેને દૂર કરવું એ આજે અમારી મુખ્ય પ્રાથમિકતા છે"


"આઝાદીનો આ 'અમૃત કાળ' ભારતનો સુવર્ણકાળ બનવાનો છે"

 

"ખીણના યુવાનોને તેમનાં માતાપિતા અને દાદા દાદીએ જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તેનો સામનો કરવો પડશે નહીં"

 

"જો આપણાં ગામડાંઓ કુદરતી ખેતી તરફ આગળ વધે તો સમગ્ર માનવ જાતિને લાભ થશે"


"‘સબકા પ્રયાસ’ની મદદથી ગ્રામ પંચાયતો કુપોષણ સામે લડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે"

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી અને દેશભરની તમામ ગ્રામસભાઓને સંબોધિત કરી હતી. તેમણે સાંબા જિલ્લાની પલ્લી પંચાયતની મુલાકાત લીધી હતી. પ્રધાનમંત્રીએ લગભગ રૂ. 20,000 કરોડના મૂલ્યની બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમણે અમૃત સરોવર પહેલ પણ શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીરના લેફટનન્ટ ગવર્નર શ્રી મનોજ સિંહા, કેન્દ્રીય મંત્રીઓ શ્રી ગિરિરાજ સિંહ, ડૉ જીતેન્દ્ર સિંહ અને શ્રી કપિલ મોરેશ્વર પાટીલ સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની વિકાસ યાત્રામાં આજનો દિવસ સીમાચિહ્નરૂપ છે. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોના ઉત્સાહ માટે આભાર માન્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સાથેના તેમનાં લાંબાં જોડાણને કારણે, તેઓ સંકળાયેલા મુદ્દાઓને સમજે છે અને ઉદ્ઘાટન કરાયેલ અને જેના માટે આજે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો એ પરિયોજનાઓમાં કનેક્ટિવિટી પર ધ્યાન કેન્દ્રિત કરવા અંગે ખુશી વ્યક્ત કરી હતી. "કનેક્ટિવિટી અને વીજળી સંબંધિત 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને અહીં શિલાન્યાસ કરવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના વિકાસને નવી ગતિ આપવા માટે, કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. આ પ્રયાસો જમ્મુ અને કાશ્મીરના મોટી સંખ્યામાં યુવાનોને રોજગાર પ્રદાન કરશે”, એમ તેમણે કહ્યું હતું. આજે ઘણા પરિવારોને ગામડાંઓમાં તેમનાં મકાનોના પ્રોપર્ટી કાર્ડ્સ પણ મળી ગયા છે. આ માલિકી કાર્ડ ગામડાંઓમાં નવી સંભાવનાઓને પ્રેરણા આપશે. 100 જન ઔષધિ કેન્દ્રો જમ્મુ અને કાશ્મીરના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને સસ્તી દવાઓ અને સર્જિકલ વસ્તુઓ પૂરી પાડવાનું એક માધ્યમ બનશે, એમ તેમણે કહ્યું. પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરવામાં આવી રહી છે અને લોકો તેનો લાભ લઈ રહ્યા છે. ગામડાંઓમાં લોકો એલપીજી, શૌચાલય, વીજળી, જમીનના અધિકારો અને પાણીનાં જોડાણ માટેની યોજનાઓના સૌથી વધુ લાભાર્થી છે. મંચ પર પહોંચતા પહેલા પ્રધાનમંત્રી UAEના પ્રતિનિધિમંડળોને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું કે વિકાસની નવી ગાથા લખાઈ રહી છે અને ઘણા ખાનગી રોકાણકારો જમ્મુ અને કાશ્મીરમાં રસ ધરાવે છે. આઝાદીના 7 દાયકા સુધી જમ્મુ-કાશ્મીરમાં માત્ર 17 હજાર કરોડ રૂપિયાનું ખાનગી રોકાણ થઈ શક્યું. પરંતુ હવે તે 38,000 કરોડની આસપાસ પહોંચી રહ્યું છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, પર્યટન પણ ફરી એકવાર ખીલી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ત્રણ અઠવાડિયામાં સ્થપાઈ રહેલા 500 KW સોલાર પ્લાન્ટનું ઉદાહરણ આપીને જમ્મુ અને કાશ્મીરમાં કામ કરવાની બદલાયેલી સિસ્ટમને રેખાંકિત કરી હતી, જ્યારે અગાઉ દિલ્હીથી ફાઇલની હેરફેરમાં જ  2-3 અઠવાડિયાનો સમય લાગતો હતો. તેમણે કહ્યું કે પલ્લી પંચાયતનાં તમામ ઘરોને સૌર ઉર્જા મળે છે તે ગ્રામ ઊર્જા સ્વરાજનું ઉત્તમ ઉદાહરણ છે અને કામ કરવાની બદલાયેલી રીત જમ્મુ અને કાશ્મીરને નવી ઊંચાઈઓ પર લઈ જશે. પ્રધાનમંત્રીએ જમ્મુના યુવાનોને ખાતરી આપી હતી. તેમણે કહ્યું, “મિત્રો, મારા શબ્દો પર વિશ્વાસ રાખો, ખીણના યુવાનો મારા શબ્દોને નોંધી લો, તમારાં માતા-પિતા અને દાદા-દાદી દ્વારા જે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, તમે તે સમસ્યાઓનો સામનો કરશો નહીં. આ હું પૂર્ણ કરીશ અને હું તમને તેની ખાતરી આપવા આવ્યો છું."

શ્રી મોદીએ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય અને આબોહવા પરિવર્તન મંચો પર ભારતનાં નેતૃત્વનો ઉલ્લેખ કર્યો હતો અને પલ્લી પંચાયત પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવા તરફ આગળ વધી રહી છે તેના માટે ગર્વ વ્યક્ત કર્યો હતો. “પલ્લી પંચાયત દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બનવા તરફ આગળ વધી રહી છે. આજે મને પલ્લી ગામમાં દેશનાં ગામડાંઓના લોકપ્રતિનિધિઓ સાથે પણ સંવાદ કરવાનો મોકો મળ્યો છે. આ મોટી સિદ્ધિ અને વિકાસ કાર્યો માટે જમ્મુ અને કાશ્મીરને ખૂબ ખૂબ અભિનંદન,” એમ તેમણે કહ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી એક મોટા પરિવર્તનને દર્શાવે છે." શ્રી મોદીએ ઊંડો સંતોષ અને ગર્વ વ્યક્ત કર્યો કે લોકશાહીએ જમ્મુ અને કાશ્મીરમાં પાયાનાં મૂળમાં પ્રવેશ કર્યો છે. "લોકશાહી હોય કે વિકાસનો સંકલ્પ હોય, આજે જમ્મુ અને કાશ્મીર એક નવું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે. છેલ્લાં 2-3 વર્ષોમાં, જમ્મુ અને કાશ્મીરમાં વિકાસના નવા આયામો સર્જાયા છે", પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો. પ્રથમ વખત, જમ્મુ અને કાશ્મીરમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા- ગ્રામ પંચાયત, પંચાયત સમિતિ અને ડીડીસીની ચૂંટણીઓ યોજાઈ છે.

રાષ્ટ્રની વિકાસ યાત્રામાં જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ કરવાની પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે જમ્મુ અને કાશ્મીરમાં 175થી વધુ કેન્દ્રીય કાયદા લાગુ થયા છે. આનો સૌથી વધુ ફાયદો આ વિસ્તારની મહિલાઓ, ગરીબ અને વંચિત વર્ગને થયો છે. તેમણે અનામતની કલમોમાં રહેલી વિસંગતતાઓને દૂર કરવા વિશે પણ વાત કરી હતી. "વાલ્મિકી સમાજને દાયકાઓથી પગમાં મુકાયેલી બેડીઓમાંથી મુક્તિ અપાઈ છે. આજે દરેક સમાજનાં દિકરા-દીકરીઓ તેમનાં સપના પૂરા કરવા સક્ષમ છે. જમ્મુ અને કાશ્મીરમાં વર્ષોથી જેમને અનામતનો લાભ મળ્યો નથી, તેઓને પણ અનામતનો લાભ હવે મળી રહ્યો છે”, એમ તેમણે કહ્યું.

'એક ભારત શ્રેષ્ઠ ભારત'નાં તેમનાં વિઝનનો ઉલ્લેખ કરતાં, પ્રધાનમંત્રીએ સમજાવ્યું કે આ વિઝન કનેક્ટિવિટી અને અંતરોને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. "અંતર, ભલે હૃદય, ભાષા, રિવાજો અથવા સંસાધનોનું હોય, તેને દૂર કરવું એ આજે ​​અમારી ખૂબ મોટી પ્રાથમિકતા છે", એમ તેમણે ઉમેર્યું હતું.

પ્રધાનમંત્રીએ દેશના વિકાસમાં પંચાયતોની ભૂમિકા પર વિગતે વાત કરી હતી અને કહ્યું હતું કે "આઝાદીનો આ 'અમૃત કાળ' ભારતનો સુવર્ણકાળ બનવા જઈ રહ્યો છે. આ સંકલ્પ સબકા પ્રયાસ દ્વારા સાકાર થવા જઈ રહ્યો છે. આમાં, લોકશાહીનું સૌથી પાયાનું એકમ એવી ગ્રામ પંચાયતની ભૂમિકા, અને તમે બધા સાથીદારો ખૂબ જ મહત્વપૂર્ણ છે", એમ તેમણે કહ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ છે કે ગામના વિકાસને લગતા દરેક પ્રોજેક્ટનાં આયોજન અને અમલીકરણમાં પંચાયતની ભૂમિકા વધુ ઊંડી બનવી જોઈએ. "આ સાથે, પંચાયત રાષ્ટ્રીય સંકલ્પોની સિદ્ધિમાં એક મહત્વપૂર્ણ કડી તરીકે ઉભરી આવશે", એમ તેમણે ઉમેર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું કે 2023માં 15 ઑગસ્ટ સુધીમાં દરેક જિલ્લામાં 75 સરોવર બનાવવામાં આવશે. તેમણે વિનંતી કરી કે આ સરોવરો ફરતે વૃક્ષોની કતાર લગાવાય અને એ વૃક્ષોને  શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનાં નામ અપાય. શ્રી મોદીએ ગ્રામ પંચાયતોની પારદર્શિતા અને સશક્તીકરણ માટેનાં ભાર અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. ઈ-ગ્રામ સ્વરાજ જેવા પગલાં આયોજનથી લઈને ચૂકવણી સુધીની પ્રક્રિયાઓને જોડે છે. પંચાયતોનું ઓનલાઈન ઓડિટ કરવામાં આવશે અને તમામ ગ્રામસભાઓ માટે સિટિઝન ચાર્ટરની સિસ્ટમ સભાઓને ઘણી ભૂમિકાઓ નિભાવવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમણે આ સંસ્થાઓ અને ગ્રામ શાસન ખાસ કરીને જળ શાસનમાં મહિલાઓની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.

પ્રાકૃતિક ખેતી માટેનાં તેમના ભારને પુનરાવર્તિત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ધરતી માતાને રસાયણોમાંથી મુક્ત કરવી મહત્વપૂર્ણ છે કેમ કે રસાયણો જમીન અને ભૂગર્ભ જળને હાનિ પહોંચાડે છે. તેમણે કહ્યું કે જો આપણાં ગામો કુદરતી ખેતી તરફ આગળ વધે તો સમગ્ર માનવ જાતિને ફાયદો થશે.

તેમણે ગ્રામ પંચાયતોનાં સ્તરે કુદરતી ખેતીને કેવી રીતે પ્રોત્સાહિત કરી શકાય તે શોધવાનું કહ્યું હતું, આ માટે સામૂહિક પ્રયાસોની જરૂર છે. એ જ રીતે, 'સબકા પ્રયાસ'ની મદદથી ગ્રામ પંચાયતો કુપોષણ સામે લડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે. “દેશને કુપોષણ અને એનિમિયાથી બચાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલી પહેલ વિશે જમીન પરના લોકોને જાગૃત કરવા પડશે. હવે સરકારી યોજનાઓ હેઠળ આપવામાં આવતા ચોખાને ફોર્ટિફાઇડ કરવામાં આવી રહ્યા છે,” એમ તેમણે માહિતી આપી.

ઑગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરના સંદર્ભમાં બંધારણીય સુધારાઓની રજૂઆતથી, સરકાર અભૂતપૂર્વ ગતિએ શાસનમાં નોંધપાત્ર સુધારો કરવા અને પ્રદેશના લોકો માટે જીવનની સરળતા વધારવા માટે વ્યાપક શ્રેણીના સુધારાઓ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે પરિયોજનાઓ પાયાની સુવિધાઓની જોગવાઈ, ગતિશીલતાની સરળતા સુનિશ્ચિત કરવા અને આ પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ કરવામાં ઘણી લાંબી મજલ કાપશે.

 પ્રધાનમંત્રીએ 3100 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ બનિહાલ કાઝીગુંડ રોડ ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. 8.45 કિમી લાંબી ટનલ બનિહાલ અને કાઝીગુંડ વચ્ચેનું રોડનું અંતર 16 કિમી ઘટાડશે અને મુસાફરીનો સમય લગભગ દોઢ કલાક ઓછો કરશે. તે એક ટ્વીન ટ્યુબ ટનલ છે - મુસાફરીની દરેક દિશા માટે એક - જાળવણી અને કટોકટીમાં બહાર કાઢવા માટે, દરેક 500 મીટરે ક્રોસ પેસેજ દ્વારા ટ્વીન ટ્યુબ એકમેક સાથે જોડાયેલી છે. આ ટનલ જમ્મુ અને કાશ્મીર વચ્ચે બારમાસી જોડાણ સ્થાપિત કરવામાં અને બંને પ્રદેશોને નજીક લાવવામાં મદદ કરશે.

પ્રધાનમંત્રીએ દિલ્હી-અમૃતસર-કટરા એક્સપ્રેસવેના ત્રણ રોડ પેકેજનો શિલાન્યાસ કર્યો, જેનું નિર્માણ રૂ. 7500 કરોડના ખર્ચે થઈ રહ્યું છે. આ બધાં 4/6 લેન એક્સેસ નિયંત્રિત દિલ્હી-કટરા-અમૃતસર એક્સપ્રેસવેના નિર્માણ માટે છે: NH-44 પર બાલસુઆથી ગુરહાબૈલધરન, હીરાનગર સુધી; ગુરહાબેલદારન, હીરાનગરથી જખ, વિજયપુર; અને જખ, વિજયપુરથી કુંજવાની, જમ્મુ, જમ્મુ એરપોર્ટ સાથે જોડાઈ શકે છે.

પ્રધાનમંત્રીએ રેટલ અને ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો. કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર 850 મેગાવોટની રેટલે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું નિર્માણ લગભગ 5300 કરોડ રૂપિયાના ખર્ચે કરવામાં આવશે. 540 મેગાવોટ ક્વાર હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ પણ કિશ્તવાડ જિલ્લામાં ચેનાબ નદી પર રૂ. 4500 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવશે. બંને પ્રોજેક્ટ આ ક્ષેત્રની વીજ જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરશે.

જમ્મુ અને કાશ્મીરમાં જન ઔષધિ કેન્દ્રોના નેટવર્કને વધુ વિસ્તરણ કરવા અને સારી ગુણવત્તાની જેનરિક દવાઓ સસ્તા ભાવે ઉપલબ્ધ કરાવવા માટે, 100 કેન્દ્રોને કાર્યરત કરવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રી દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા છે. આ કેન્દ્રો કેન્દ્ર શાસિત પ્રદેશના દૂરના ખૂણામાં સ્થિત છે. તેઓ પલ્લી ખાતે 500 કિલોવૉટના સોલાર પાવર પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે, જે તેન કાર્બન ન્યુટ્રલ બનનાર દેશની પ્રથમ પંચાયત બનાવશે.

પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને સ્વામિત્વ કાર્ડ્સ આપ્યા હતા. તેમણે પંચાયતોને એવોર્ડની રકમ પણ ટ્રાન્સફર કરી જે તેમની સિદ્ધિઓ માટે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ પર વિવિધ કૅટેગરીમાં આપવામાં આવતા પુરસ્કારોના વિજેતા છે. પ્રધાનમંત્રીએ INTACH ફોટો ગૅલેરીની પણ મુલાકાત લીધી જે આ પ્રદેશના ગ્રામીણ વારસાને દર્શાવે છે અને ભારતમાં આદર્શ સ્માર્ટ ગામડાઓ બનાવવા માટે રચાયેલ ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા આધારિત મોડેલ નોકિયા સ્માર્ટપુરની પણ મુલાકાત લીધી હતી.

જળાશયોનાં પુનર્જીવનની ખાતરી કરવા માટે, પ્રધાનમંત્રીએ અમૃત સરોવર નામની નવી પહેલ પણ શરૂ કરી હતી. આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે દેશના દરેક જિલ્લામાં 75 જળાશયોનો વિકાસ અને પુનર્જીવિત કરવાનો તેનો ઉદ્દેશ્ય છે.

 

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1819592) Visitor Counter : 165