પ્રધાનમંત્રીનું કાર્યાલય

એઈમ્સ, નવી દિલ્હીના ઝજ્જર કેમ્પસમાં નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટ ખાતે ઈન્ફોસિસ ફાઉન્ડેશન વિશ્રામ સદનના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 21 OCT 2021 1:57PM by PIB Ahmedabad

નમસ્કાર જી,

હરિયાણાના મુખ્યમંત્રી શ્રી મનોહરલાલ ખટ્ટરજી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, શ્રી મનસુખ માંડવિયાજી, કેન્દ્રીય આરોગ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પવારજી, હરિયાણાના આરોગ્ય મંત્રી શ્રી અનિલ વિજજી, ઈન્ફોસિસ ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રીમતી સુધા મૂર્તિજી, સંસદમાં મારા સાથીઓ, ધારાસભ્યો, અન્ય મહાનુભાવો, મારા ભાઈઓ અને બહેનો.

આજે, 21 ઓક્ટોબર, 2021નો આ દિવસ ઇતિહાસમાં નોંધાયો છે. ભારતે થોડા સમય પહેલા 100 કરોડ રસીની માત્રા પાર કરી લીધી છે. 100 વર્ષમાં સૌથી મોટા રોગચાળાનો સામનો કરવા માટે, દેશમાં હવે 100 કરોડ રસી ડોઝનું મજબૂત રક્ષણાત્મક કવચ છે. આ સિદ્ધિ ભારતની છે, ભારતના દરેક નાગરિકની છે. હું દેશની તમામ રસી ઉત્પાદક કંપનીઓ, રસી પરિવહન સાથે સંકળાયેલા કામદારો, રસીકરણ સાથે સંકળાયેલા આરોગ્ય ક્ષેત્રના વ્યાવસાયિકો, સૌનો ખુલ્લા મન અને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. થોડા સમય પહેલા, હું રામ મનોહર લોહિયા હોસ્પિટલના રસી કેન્દ્રમાં જઈને આવ્યો છું. એક ઉત્સાહ છે અને જવાબદારીની ભાવના પણ છે કે આપણે સાથે મળીને કોરોનાને ઝડપથી હરાવીશું. હું દરેક ભારતીયને અભિનંદન આપું છું, હું રસીના 100 કરોડ ડોઝની આ સફળતા દરેક ભારતીયને સમર્પિત કરું છું.

સાથીઓ,

આજે એઈમ્સ ઝજ્જરમાં કેન્સરની સારવાર માટે આવતા દર્દીઓને મોટી સગવડ મળી છે. નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યુટમાં બનેલ આ વિશ્રામ સદન દર્દીઓ અને તેમના સંબંધીઓની ચિંતા ઘટાડશે. કેન્સર જેવા રોગોમાં દર્દી અને તેના સંબંધીઓને સારવાર માટે વારંવાર હોસ્પિટલની મુલાકાત લેવી પડે છે. ક્યારેક ડોક્ટરની સલાહ, ક્યારેક ટેસ્ટ, ક્યારેક રેડિયો-થેરાપી, ક્યારેક કીમોથેરાપી. આવી સ્થિતિમાં તેમને મોટી સમસ્યા છે કે ક્યાં રોકાવું, ક્યાં રહેવું ? હવે નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટમાં આવતા દર્દીઓની આ સમસ્યા ઘણી ઓછી થશે. ખાસ કરીને હરિયાણાના લોકો, દિલ્હી અને તેની આસપાસના લોકો, ઉત્તરાખંડના લોકોને આમાંથી ઘણી મદદ મળશે.

સાથીઓ,

આ વખતે મેં લાલ કિલ્લા પર એક વાત કહી હતી,  મેં કહ્યું હતું સૌનો પ્રયાસ, આ જે સૌના પ્રયાસની વાત કરી હતી. કોઈપણ ક્ષેત્ર હોય, જલદી જ તેમાં સામૂહિક શક્તિ ભેગી થાય છે, દરેકના પ્રયત્નો દેખાય છે, પછી પરિવર્તનની ગતિ પણ વધે છે. આ 10 માળનું વિશ્રામ સદન પણ આ કોરોના સમયગાળામાં દરેકના પ્રયત્નોથી પૂર્ણ થયું છે. અને એ પણ ખાસ છે કે આ વિશ્રામ સદનમાં દેશની સરકાર અને કોર્પોરેટ જગત બંનેએ સત્તા વહેંચી છે. ઈન્ફોસિસ ફાઉન્ડેશને વિશ્રામ સદનની ઈમારતનું નિર્માણ કર્યું છે, જ્યારે જમીન અને વીજળી અને પાણીનો ખર્ચ એઈમ્સ ઝજ્જર દ્વારા આપવામાં આવ્યો છે. હું આ સેવા માટે એઈમ્સ મેનેજમેન્ટ અને સુધા મૂર્તિજીની ટીમનો આભાર વ્યક્ત કરું છું. સુધાજીનું વ્યક્તિત્વ જેટલું નમ્ર, સરળ છે, તે ગરીબો પ્રત્યે પણ કરુણાથી ભરપૂર છે. તેમના વિચારો, તેના કાર્યો, દરેકને પ્રેરણા આપે છે જે નર સેવાને નારાયણ સેવા માને છે. હું આ વિશ્રામ સદનમાં તેમના સહકાર માટે તેમની પ્રશંસા કરું છું.

સાથીઓ,

ભારતની કોર્પોરેટ ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર, સામાજિક સંસ્થાઓએ દેશની આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવામાં સતત યોગદાન આપ્યું છે. આયુષ્માન ભારત- PM-JAY પણ આનું ઉત્તમ ઉદાહરણ છે. આ યોજના હેઠળ 1.25 કરોડથી વધુ દર્દીઓની મફત સારવાર કરવામાં આવી છે. અને આ સારવાર સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં કરવામાં આવી છે. આયુષ્માન યોજના સાથે જોડાયેલી હજારો હોસ્પિટલોમાંથી લગભગ 10 હજાર ખાનગી ક્ષેત્રની છે.

સાથીઓ,

જાહેર અને ખાનગી ક્ષેત્રો વચ્ચે સમાન ભાગીદારી તબીબી માળખાકીય સુવિધાઓ અને તબીબી શિક્ષણના અભૂતપૂર્વ વિસ્તરણમાં યોગદાન આપી રહી છે. આજે જ્યારે આપણે દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક મેડિકલ કોલેજ સ્થાપવા પર ભાર મૂકી રહ્યા છીએ, ત્યારે ખાનગી ક્ષેત્રની ભૂમિકા પણ આમાં ખૂબ મહત્વની છે. આ ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે, તબીબી શિક્ષણના શાસનમાં મોટા સુધારા હાથ ધરવામાં આવ્યા છે. નેશનલ મેડિકલ કમિશનની રચના પછી, ભારતમાં ખાનગી મેડિકલ કોલેજો ખોલવાનું સરળ બન્યું છે.સાથીઓ,

આપે ત્યાં કહેવામાં આવ્યું છે- દાન દિએ ધન ના ઘટે, નદી ના ઘટે નીર. એટલે કે, દાન કરવાથી ધન ઘટતું નથી, વધે છે. આથી જેટલી સેવા કરીશું, દાન કરીશું, એટલી જ સંપત્તિ વધશે. એટલે કે એક રીતે, અમે જે દાન આપીએ છીએ, સેવા કરીએ છીએ એ આપણી જ પ્રગતિને વ્યાપક બનાવે છે. મને વિશ્વાસ છે, આજે હરિયાણાના ઝજ્જરમાં વિશ્રામ સદનનું નિર્માણ, એક વિશ્વાસ સદન તરીકે પણ ઉભરી રહ્યું છે. આ વિશ્રામ સદન વિશ્વાસ સદનનું પણ કામ કરે છે. દેશના અન્ય લોકોને પણ એ જ રીતે વધુ વિશ્રામ સદન બનાવવાની પ્રેરણા આપશે. કેન્દ્ર સરકાર પોતાના તરફથી પણ પ્રયાસ કરી રહી છે કે દેશમાં જેટલી પણ એઈમ્સ છે જેટલી નવી એઈમ્સ બની રહી છે, ત્યાં નાઈટ શેલ્ટર્સ જરૂર બને.

સાથીઓ,

પોતાની બીમારીથી પરેશાન દર્દી અને દર્દીના સંબંધીઓને થોડી પણ સગવડ મળી જાય તો બીમારી સામે લડવાની તેમની હિંમત પણ વધી જાય છે. આ સગવડ આપવી પણ એક રીતે સેવા જ છે. જ્યારે દર્દીને આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફતમાં ઈલાજ મળે છે, તો એ તેમની સેવા હોય છે. આ સેવાભાવ જ છે કે જેના કારણે અમારી સરકારે કેન્સરની લગભગ 400 દવાઓની કિંમતોને ઓછી કરવા માટે કદમ ઉઠાવ્યા. આ સેવાભાવ જ છે કે જેના કારણે ગરીબોને જનઔષધિ કેન્દ્રો પરથી ખૂબ સસ્તી, ખૂબ મામૂલી કિંમતમાં દવાઓ આપવામાં આવી રહી છે. અને મધ્યમ વર્ગના પરિવાર કે જેમના ઘરમાં ક્યારેય વર્ષભર દવાઓ લેવી પડે છે એવા પરિવારોને તો વર્ષમાં 10, 12-15 હજાર રૂપિયાની બચત થઈ રહી છે. હોસ્પિટલોમાં દરેક પ્રકારની જરૂરી સુવિધાઓ મળે, અપોઈન્ટમેન્ટ સરળ અને સુવિધાજનક હોય, અપોઈન્ટમેન્ટમાં કોઈ તકલીફ ન હોય. આના પર પણ ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મને સંતોષ છે કે આજે ભારતમાં ઈન્ફોસિસ ફાઉન્ડેશન જેવી અનેક સંસ્થાઓ, સેવા પરમો ધર્મના આ જ સેવાભાવથી, ગરીબોની મદદ કરી રહી છે, તેમનું જીવન આસાન બનાવી રહી છે. અને જેમ હાલ સુધાજીએ ખૂબ વિસ્તારથી પત્રમ્-પુષ્પમ્ ની વાત કહી અને હું સમજું છું, તમામ દેશવાસીઓનું એ કર્તવ્ય બને છે કે જીવનમાં જ્યારે પણ જ્યાં કોઈ પુષ્પ સેવાભાવથી સમર્પિત કરવાની તક મળે, આપણે ક્યારેય પણ આ તકને જવા ન દેવી જોઈએ.

સાથીઓ,

આઝાદીના આ અમૃતકાળમાં, એક સશક્ત હેલ્થકેર સિસ્ટમ વિકસિત કરવાની દિશામાં ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે. ગામે ગામ સુધી ફેલાયેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, ઈ-સંજીવની દ્વારા ટેલી-મેડિસીનની સુવિધા, હેલ્થ સેક્ટરમાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, નવા મેડિકલ સંસ્થાઓનું નિર્માણ, દેશના ખૂણે ખૂણે તેની સાથે સંકળાયેલ કામ ચાલી રહ્યું છે. આ સંકલ્પ નિશ્ચિત રીતે ખૂબ મોટું છે. પરંતુ જો સમાજ અને સરકારની સમગ્ર તાકાત લાગશે તો આપણે લક્ષ્યને ખૂબ ઝડપથી હાંસલ કરી શકીશું. તમને ખ્યાલ હશે, થોડા સમય અગાઉ એક ઈનોવેટિવ પહેલ થઈ હતી, સેલ્ફ-ફોર-સોસાયટી તેની સાથે જોડાઈને હજારો સંસ્થાઓ અને લાખો લોકો, સમાજના હિતમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ભવિષ્યમાં આપણે આપણા પ્રયાસોને વધુ સંગઠિત રીતે આગળ વધારવાના છે, વધુમાં વધુ લોકોને જોડવા છે, જાગૃતિ વધારવી છે. આઝાદીના અમૃતકાળમાં એક હેલ્ધી અને વેલ્ધી ફ્યુચર માટે આપણે સૌએ મળીને કામ કરતા રહેવું પડશે. અને આ તમામના પ્રયાસથી જ થશે, સમાજની સામૂહિક શક્તિથી જ થશે. હું ફરી એકવાર સુધાજી, ઈન્ફોસિસ ફાઉન્ડેશનનો આભાર માનીને હું આજે જ્યારે હરિયાણાની ધરતીના લોકો સાથે વાત કરી રહ્યો છું તો હું જરૂર તેમને કંઈક વધુ પણ જણાવવા માગું છું. મારૂં સૌભાગ્ય રહ્યું છે કે હરિયાણા પાસેથી મને ઘણું બધુ શીખવા મળ્યું છે જીવનનો એક મોટો કાળખંડ દરમિયાન મને હરિયાણામાં કામ કરવાનો મોકો મળ્યો છે, મેં ત્યાં અનેક સરકારોને નજીકથી જોઈ છે, અનેક દાયકાઓ પછી હરિયાણાને મનોહરલાલ ખટ્ટરજીના નેતૃત્વમાં શુદ્ધ રીતે ઈમાનદારીથી કામ કરનારી સરકાર મળી છે, એક એવી સરકાર મળી છે જે દિવસ-રાત હરિયાણાના ઉજ્જવળ ભવિષ્ય માટે વિચારે છે, હું જાણું છું અત્યારે મીડિયાનું ધ્યાન આવી રચનાત્મક અને સકારાત્મક વાતો પર ઓછું ગયું છે પરંતુ ક્યારેકને ક્યારેક જ્યારે હરિયાણાનું મૂલ્યાંકન થશે, તો છેલ્લા 5 દાયકામાં સૌથી ઉત્તમ કામ કરનારી, ઈનોવેટિવ કામ કરનારી, દૂરની વિચારસરણીથી કામ કરનારી આ હરિયાણા સરકાર છે અને મનોહરલાલજીને હું વર્ષોથી જાણું છું પણ હું જોઈ રહ્યો છું કે મુખ્યમંત્રી તરીકે તેમની પ્રતિભા જે પ્રકારે નિખરીને સામે આવી છે અનેકવિધ કાર્યક્રમોને જે પ્રકારે મનોયોગથી તેઓ કરતા રહ્યા છે જે પ્રકારે તેઓ ઈનોવેટિવ કાર્યક્રમ કરે છે, ક્યારેક-ક્યારેક તો ભારત સરકારને પણ લાગે છે કે હરિયાણાનો એક પ્રયોગ સમગ્ર દેશમાં લાગુ કરવો જોઈએ અને એવા કેટલાક પ્રયોગ અમે કર્યા પણ છે અને તેથી આજે જ્યારે હું હરિયાણાની ધરતી પાસે ઊભો છું, તેમની સાથે હું વાત કરી રહ્યો છું તો હું જરૂર કહીશ કે મનોહરલાલજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની આ ટીમે જે પ્રકારે હરિયાણાની સેવા કરી છે અને જે લાંબી વિચારસરણી સાથે જે પાયો નાખ્યો છે તે હરિયાણાના ઉજ્જવળ ભવિષ્યની ખૂબ મોટી તાકાત બનશે. હું આજે ફરી મનોહરલાલજીને જાહેરમાં ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. તેમની સમગ્ર ટીમને ખૂબ-ખૂબ અભિનંદન આપું છું. અને આપ સૌને પણ હૃદયપૂર્વક ખૂબ-ખૂબ ધન્યવાદ કરૂં છું.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1765443) Visitor Counter : 234