પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કર્યું, શિક્ષણ ક્ષેત્ર માટે સંખ્યાબંધ મહત્વપૂર્ણ પહેલોનો પણ પ્રારંભ કર્યો


આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત પ્રારંભ કરવામાં આવેલી નવી પહેલો શૈક્ષણિક ક્રાંતિ લાવશે અને ભારતની શિક્ષણ પ્રણાલીને વૈશ્વિક નક્શા પર લાવશે: પ્રધાનમંત્રી

આપણે પરિવર્તનના સમયગાળાની મધ્યે છીએ, સદભાગ્યે, આપણે આધુનિક અને ભવિષ્યલક્ષી નવી શિક્ષણ નીતિ ધરાવીએ છીએ: પ્રધાનમંત્રી

ફરી એકવાર જાહેર સહભાગીતા ભારતની રાષ્ટ્રીય લાક્ષાણિકતા બની રહી છે: પ્રધાનમંત્રી

દરેક ઓલિમ્પિયન અને પેરાલિમ્પિયન પ્રધાનમંત્રીના અનુરોધ અનુસાર 75 શાળાઓની મુલાકાત લેશે

શિક્ષણ ક્ષેત્રમાં નવા પરિવર્તનો ફક્ત નીતિ આધારિત નથી પરંતુ સહભાગીતા આધારિત પણ છે: પ્રધાનમંત્રી

'વિદ્યાંજલી 2.0' દેશના 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ'ની સાથે 'સબકા પ્રયાસ' સંકલ્પ માટે એક મંચ સમાન છે: પ્રધાનમંત્રી

N-DEAR તમામ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વચ્ચે સુપર કનેક્ટ તરીકે વર્તશે: પ્રધાનમંત્રી

નિષ્ઠા 3.0 શિક્ષણ, કળા એકીકૃતતા અને સર્જનાત્મક તેમજ મહત્વપૂર્ણ વિચારસરણીના આધારે સ્પર્ધાત્મકતાને પ્રોત્સાહન આપશે: પ્રધાનમંત્રી

Posted On: 07 SEP 2021 11:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી શિક્ષક પર્વ સંમેલનના ઉદ્ધાટન પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન ભારતીય સાંકેતિક ભાષા શબ્દકોષ (મુકબધીરો માટે ઑડિયો અને ટેક્સ્ટ સંમિલિત સાંકેતિક ભાષા વીડિયો, જે અભ્યાસની યુનિવર્સિલ ડિઝાઇનને અનુરૂપ છે), ટોકિંગ બુક્સ (પ્રજ્ઞાચક્ષુઓ માટે ઑડિયો પુસ્તકો), CBSEનું શાળા ગુણવત્તા ખાતરી અને મૂલ્યાંકન માળખુ, NIPUN ભારત માટે NISHTHA શિક્ષકોનો તાલીમ કાર્યક્રમ અને વિદ્યાંજલી પોર્ટલ (શાળાના વિકાસ માટે શિક્ષણ સ્વયંસેવકો/ દાતાઓ/ CSR યોગદાન કરનારાઓ માટે સુવિધા)નો પણ પ્રારંભ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિતોને સંબોધિત કરતી વખતે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરનારા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે મુશ્કેલીના સમયમાં દેશમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શિક્ષકોએ આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, શિક્ષક પર્વના પ્રસંગ નિમિત્તે, સંખ્યાબંધ નવી યોજનાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે કારણ કે, દેશ હાલમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. સ્વતંત્રતાના 100 વર્ષ પછી ભારત કેવું હશે તે અંગે નવા સંકલ્પો વિશે પણ ચર્ચા કરતી વખતે પ્રધાનમંત્રીએ મહામારીના પડકાર સામે પણ ઉદયમાન થવા બદલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સમગ્ર શૈક્ષણિક સમુદાયની પ્રશંસા કરી હતી અને મુશ્કેલીના સમયનો સામનો કરવા માટે તેમનામાં વિકસેલી ક્ષમતાઓને આગળ ધપાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, “આપણે જો અત્યારે પરિવર્તનના સમયગાળાની મધ્યે છીએ તો, સદભાગ્યે, આપણી પાસે આધુનિક અને ભવિષ્યલક્ષી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પણ છે.”

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડવાના અને તેના અમલીકરણના દરેક તબક્કે શિક્ષણવિદો, નિષ્ણાતો, શિક્ષકો સહિત દરેક વ્યક્તિએ આપેલા યોગદાનની પ્રશંસા કરી હતી. તેમણે દરેક વ્યક્તિને અનુરોધ કર્યો હતો કે, તેઓ આ સહભાગીતાને નવા સ્તરે લઇ જાય અને આમાં સમાજને પણ સામેલ કરે. તેમણે ઉમેર્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રમાં આવી રહેલું આ પરિવર્તન ફક્ત નીતિ આધારિત નથી પરંતુ તે સહભાગીતા આધારિત છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, 'વિદ્યાંજલી 2.0' દેશના 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ' સાથે 'સબકા પ્રયાસ' સંકલ્પ માટે એક મંચ સમાન છે. આ સમાજમાં, આપણા ખાનગી ક્ષેત્રોએ આગળ આવવાનું છે અને સરકારી શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં સુધારો લાવવા માટે તેમણે યોગદાન આપવાનું છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં, જાહેર સહભાગીતા ફરી એકવાર ભારતની રાષ્ટ્રીય લાક્ષાણિકતા બની ગઇ છે. છેલ્લા 6-7 વર્ષમાં, જાહેર સહભાગીતાની તાકાતના કારણે ભારતમાં સંખ્યાબંધ કાર્યો થઇ શક્યા છે. આ એવી સફળતાઓ છે જેની અગાઉ કલ્પના કરવી પણ મુશ્કેલ હતી. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે સમાજ એકજૂથ થઇને કંઇક કરે છે ત્યારે, ઇચ્છિત પરિણામો ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જીવનના કોઇપણ ક્ષેત્રમાં યુવાનોના ભવિષ્યને આકાર આપવા માટે દરેક વ્યક્તિની કોઇને કોઇ ભૂમિકા છે. તેમણે તાજેતરમાં જ સંપન્ન થયેલા પેરાલિમ્પિયન રમતોત્સવમાં આપણા એથલેટ્સના શાનદાર પ્રદર્શનને યાદ કર્યું હતું. તેમણે ખુશી વ્યક્ત કરી હતી કે, આપણા દરેક રમતવીરોએ આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન તેમણે દરેકને 75 શાળાઓની મુલાકાત લેવા માટે કરેલા અનુરોધને સ્વીકાર્યો છે. તેમણે કહ્યું હતું કે, આના કારણે વિદ્યાર્થીઓને ઘણી પ્રેરણા મળશે અને સંખ્યાબંધ પ્રતિભાવાન વિદ્યાર્થીઓને રમતના ક્ષેત્રમાં આગળ આવવા માટે પ્રોત્સાહન મળશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોઇપણ દેશની પ્રગતિ માટે, શિક્ષણ ફક્ત સમાવેશી નહીં પરંતુ એકસમાન પણ હોવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, રાષ્ટ્રીય ડિજિટલ આર્કિટેક્ચર એટલે કે N-DEAR શિક્ષણ ક્ષેત્રમાં રહેલી અસમાનતાઓ દૂર કરવામાં અને તેના આધુનિકીકરણમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવશે. જે પ્રકારે UPI ઇન્ટરફેસના કારણે બેંકિંગ ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે તેવી જ રીતે, N-DEAR વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વચ્ચે 'સુપર કનેક્ટ' તરીકે વર્તશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશ હાલમાં શિક્ષણના ભાગરૂપે ટોકિંગ બુક્સ અને ઑડિયો બુક્સ બનાવી રહ્યો છે.

આજથી કાર્યાન્વિત કરવામાં આવેલું શાળા ગુણવત્તા મૂલ્યાંકન અને ખાતરી માળખું (S.Q.A.A.F), અભ્યાસક્રમ, શિક્ષણશાસ્ત્ર, મૂલ્યાંકન, માળખાકીય સુવિધાઓ, સમાવેશી આચરણો અને સુશાસન પ્રક્રિયા જેવા વિવિધ પરિમાણો માટે સામાન્ય વૈજ્ઞાનિક માળખાની અનુપસ્થિતિની ઉણપનો ઉકેલ લાવશે. SQAAFની મદદથી આ અસમાનતા વચ્ચે સેતૂ નિર્માણનું કામ કરવામાં મદદ મળી રહેશે.

તેમણે ઉમેર્યું હતું કે, આ ઝડપથી બદલાઇ રહેલા યુગમાં, આપણા શિક્ષકોએ પણ નવી પ્રણાલીઓ અને ટેકનિકો વિશે ઝડપથી શીખવાનું છે. તેમણે માહિતી આપી હતી કે, દેશ 'નિષ્ઠા' કાર્યક્રમો દ્વારા પોતાના શિક્ષકોને આ પરિવર્તનો માટે તૈયાર કરી રહ્યો છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતમાં શિક્ષકો ફક્ત કોઇપણ વૈશ્વિક માપદંડોને જ પૂરા કરે છે એવું નથી પરંતુ તેમની પણ વિશેષ મૂડી છે. આ વિશેષ મૂડી, આ  વિશેષ તાકાત તેમનામાં રહેલી ભારતીય સંસ્કૃતિ છે. તેમણે કહ્યું હતું કે, આપણા શિક્ષકો તેમના કાર્યને માત્ર એક વ્યવસાયના રૂપમાં નથી જોતા પરંતુ, તેમના માટે શિક્ષણ એ માનવીય સહાનુભૂતિ, એક પવિત્ર નૈતિક ફરજ તરીકે અંકિત થયેલું કાર્ય છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, આથી જ આપણા શિક્ષકો અને બાળકો વચ્ચે ફક્ત વ્યાવસાયિક સંબંધ નથી પરંતુ, તેમની વચ્ચે એક પારિવારિક સંબંધ પણ છેઅને, આ સંબંધ આજીવન ટકી રહે છે.

 

 

SD/GP/BT



(Release ID: 1752788) Visitor Counter : 960