પ્રધાનમંત્રીનું કાર્યાલય

આત્મનિર્ભર ભારતનો સંબંધ માપ અને ગુણવત્તા એમ બંને સાથે છેઃ પ્રધાનમંત્રી


મેટ્રોલોજી દુનિયામાં આપણી ક્ષમતાનાં દર્પણ સમાન છેઃ પ્રધાનમંત્રી

Posted On: 04 JAN 2021 5:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આત્મનિર્ભર ભારતનો સંબંધ ઉત્પાદનની સાથે ગુણવત્તાની સાથે જોડાયેલો છે. તેમણે નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ 2021ના પ્રસંગે આ વાત કરી હતી, જેમાં તેમણે વીડિયો કોન્ફરન્સ મારફતે દેશને નેશનલ એટોમિક ટાઇમસ્કેલ અને ભારતીય નિર્દેશક દ્રવ્ય પ્રણાલીને અર્પણ કરી હતી તેમજ નેશનલ એન્વાયર્મેન્ટલ સ્ટાન્ડર્ડ્ઝ લેબોરેટરીનો શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આપણો ઉદ્દેશ ભારતીય ઉત્પાદનો સાથે આંતરરાષ્ટ્રીય બજારોને છલકાવાનો નથી, પણ આપણે ગુણવત્તાયુક્ત ઉત્પાદન સાથે લોકોના હૃદય જીતવાની ઇચ્છા ધરાવીએ છીએ. આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે ઊંચી માગ ધરાવતા અને સ્વીકાર્યતા પામે એવા ભારતીય ઉત્પાદનો બનાવવા ઇચ્છીએ છીએ.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દાયકાઓથી ભારત માપ અને ગુણવત્તા માટે વિદેશી ધારાધોરણો પર નિર્ભર હતો. પણ હવે ભારતતની ઝડપી, પ્રગતિ, વિકાસ, છાપ અને ક્ષમતા આપણા આગવા ધારાધોરણો દ્વારા નક્કી થશે. તેમણે ઉમેર્યું હતું કે, મેટ્રોલોજી માપનું વિજ્ઞાન છે, જે કોઈ પણ વૈજ્ઞાનિક ઉપલબ્ધિ માટે પાયો પણ નાંખશે. મજબૂત માપ વિના કોઈ પણ સંશોધન આગળ વધી ન શકે. આપણી સફળતાઓને પણ કેટલાંક માપદંડો પર માપવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે, દુનિયામાં દેશની વિશ્વસનીયતા એની મેટ્રોલોજીની વિશ્વસનીયતા પર આધારિત હશે. મેટ્રોલોજી એક દર્પણ સમાન છે, જે આપણને દુનિયામાં આપણી ક્ષમતાને પ્રતિબિંબિતત કરે છે. 

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતના લક્ષ્યાંકમાં માપની સાથે ગુણવત્તા પણ સામેલ છે. તેમણે દુનિયાને ભારતીય ઉત્પાદનોથી ભરી દેવાને બદલે ભારતીય ઉત્પાદનોની ખરીદી કરતાં દરેક ગ્રાહકનું હૃદય જીતવા અપીલ કરી હતી. તેમણે એ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો હતો કે, ભારતમાં બનેલા ઉત્પાદનો આંતરરાષ્ટ્રીય માગને પૂર્ણ કરવાની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય પણ બને. શ્રી મોદીએ કહ્યું હતું કે, આપણે ગુણવત્તા અને વિશ્વસનીયતાના આધારસ્તંભો પર બ્રાન્ડ ઇન્ડિયાને મજબૂત કરવી પડશે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય નિર્દેશક દ્રવ્ય આજે દેશને અર્પણ થયું છે, જે ‘સર્ટિફાઇડ રેફરન્સ મટિરિયલ સિસ્ટમ સાથે ભારે ધાતુઓ, જંતુનાશકો, ફાર્મા અને ટેક્સટાઇલ્સ જેવા ક્ષેત્રોમાં ગુણવત્તાયુક્તત ઉત્પાદનો બનાવવા ઉદ્યોગને મદદરૂપ થશે. તેમણે ઉમેર્યું હતું કે, હવે ઉદ્યોગ નિયમન કેન્દ્રિત અભિગમને બદલે ઉપભોક્તાલક્ષી અભિગમ તરફ અગ્રેસર થઈ રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે, આ નવા ધારાધોરણો સાથે દેશભરમાં જિલ્લાઓમાં સ્થાનિક ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા એક અભિયાન શરૂ થયું છે, જે આપણા એમએસએમઈ ક્ષેત્રને વિશેષ લાભદાયક બનશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ધારાધોરણોનું પાલન કરવાથી મોટી વિદેશી ઉત્પાદક કંપનીઓને સ્થાનિક સપ્લાય ચેઇન શોધવા ભારતમાં આવવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, આયાત અને નિકાસ એમ બંનેમાં ગુણવત્તાના નવા ધારાધોરણો સુનિશ્ચિત થશે. એનાથથી ભારતના સાધારણ ઉપભોક્તાને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓ મળશે અને નિકાસકારોની મુશ્કેલીઓમાં ઘટાડો થશે.

 

SD/GP/BT



(Release ID: 1686111) Visitor Counter : 246