પ્રધાનમંત્રીનું કાર્યાલય

એક સીમાચિહ્નરૂપ કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી 11 ઓક્ટોબરના રોજ સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ્સનું ભૌતિક રીતે વિતરણ કરશે


આ કવાયતથી ગ્રામીણ ભારત પર પરિવર્તનકારી અસર પડશે અને લાખો લોકો સશક્ત બનશે

6.62 લાખ ગામડાંઓને ચાર વર્ષના સમયગાળામાં તબક્કાવાર રીતે આ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે

આનાથી ગ્રામવાસીઓ દ્વારા આર્થિક અસ્કયામત તરીકે મિલકતના ઉપયોગ કરવા માટેનો માર્ગ મોકળો થશે

Posted On: 09 OCT 2020 1:26PM by PIB Ahmedabad

ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા માટે અને લાખો ભારતીયોને સશક્ત કરવા માટે હાથ ધરવામાં આવેલી ઐતિહાસિક કવાયતના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ્સનું ભૌતિક વિતરણ કરશે.

આ પ્રારંભના કારણે અંદાજે એક લાખ મિલકત ધારકોને તેમના મોબાઇલ નંબર ઉપર SMS દ્વારા મોકલવામાં આવેલી લિંકના માધ્યમથી તેમના પ્રોપર્ટી કાર્ડ્સ ડાઉનલોડ કરી શકશે. ત્યારબાદ સંબંધિત રાજ્ય સરકારો દ્વારા તેમની મિલકતો માટે ભૌતિકરૂપે પણ પ્રોપર્ટી કાર્ડ્સનું વિતરણ કરવામાં આવશે. આ લાભાર્થીઓમાં છ રાજ્યોના 763 ગામડાંના લોકોને સમાવી લેવામાં આવ્યા છે જેમાં ઉત્તરપ્રદેશના 346, હરિયાણાના 221, મહારાષ્ટ્રના 100, મધ્યપ્રદેશના 44, ઉત્તરાખંડના 50 અને કર્ણાટકના બે ગામનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર સિવાય આ તમામ રાજ્યોના લાભાર્થીઓને એક દિવસમાં તેમના પ્રોપર્ટી કાર્ડની ભૌતિક નકલ પ્રાપ્ત થઇ જશે જ્યારે મહારાષ્ટ્રમાં ખૂબ જ નજીવા ખર્ચે પ્રોપર્ટી કાર્ડ મેળવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી તેમાં એક મહિના જેટલો સમય લાગશે.

આ કવાયતથી ગ્રામવાસીઓ તેમના ધિરાણ અથવા અન્ય આર્થિક લાભો મેળવવા માટે આર્થિક અસ્કયામત તરીકે તેમની મિલકતોનો ઉપયોગ કરવા માટે સમર્થ થઇ શકશે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં પ્રથમ વખત જ આટલા મોટાપાયે આવી કવાયત હાથ ધરવામાં આવી છે જેમાં ગ્રામીણ વિસ્તારોમાં વસતા લાખો મિલકત ધારકો સુધી લાભો પહોંચાડવા માટે ટેકનોલોજીના અદ્યતન માધ્યમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

પ્રધાનમંત્રી આ કાર્યક્રમ દરમિયાન કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ પણ કરશે. કેન્દ્રીય પંચાયતીરાજ મંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 11 વાગે શરૂ થશે.

 

સ્વામિત્વ વિશે

સ્વામિત્વ એ પંચાયતીરાજ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જેનો પ્રારંભ 24 એપ્રિલ 2020ના રોજ રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યો હતો. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા મિલકત ધારકોને તેમના 'અધિકારોનો રેકોર્ડ' પૂરા પાડવાનો અને તેમની મિલકતો માટે પ્રોપર્ટી કાર્ડ ઇશ્યુ કરવાનો છે.

આ યોજનાનો અમલ આગામી ચાર વર્ષમાં (2020-2024) દરમિયાન કરવામાં આવશે જેમાં તબક્કાવાર રીતે દેશના તમામ ગામડાંઓને આવરી લેવામાં આવશે અને તેનાથી દેશભરમાં તબક્કાવાર 6.62 લાખ ગામડાંઓને સમાવી લેવામાં આવશે. ઉત્તરપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટક રાજ્યોમાં આવેલા અંદાજે 1 લાખ ગામડાં અને પંજાબ, રાજસ્થાનના સરહદી વિસ્તારમાં આવેલા કેટલાક ગામડાં કે જેઓ પંજાબ અને રાજસ્થાનમાં અવિરત પરિચાલન વ્યવસ્થાતંત્ર (CORS) સ્ટેશનોનું નેટવર્ક ધરાવે છે તેમને પ્રારંભિક તબક્કામાં (2020-21) આવરી લેવામાં આવ્યા છે.

આ તમામ છ રાજ્યોએ ડ્રોનના માધ્યમથી ગ્રામીણ વિસ્તારોનો સર્વે કરવા માટે અને આ યોજનાના અમલીકરણ માટે સર્વે ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ રાજ્યોએ ડિજિટલ પ્રોપર્ટી કાર્ડના અંતિમ પ્રારૂપ તૈયાર કરી દીધા છે અને ડ્રોન આધારિત સર્વે માટે કયા ગામડાંઓને આવરી લેવામાં આવશે તે પણ નક્કી કરી લીધું છે. પંજાબ અને રાજસ્થાન રાજ્યએ CORS નેટવર્ક સ્થાપવા માટે સર્વે ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેથી ભવિષ્યમાં ડ્રોન ઉડાડવાની પ્રવૃત્તિઓમાં મદદ કરી શકાય.

અલગ અલગ રાજ્યોમાં પ્રોપર્ટી કાર્ડના નામકરણ માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે જેમ કે, હરિયાણામાં 'ટાઇટલ ડીડ', કર્ણાટકમાં 'ગ્રામીણ મિલકત માલિકી રેકોર્ડ્સ (RPOR)', મધ્યપ્રદેશમાં 'અધિકાર અભિલેખ', મહારાષ્ટ્રમાં 'સન્નાદ', ઉત્તરાખંડમાં 'સ્વામિત્વ અભિલેખ' અને ઉત્તરપ્રદેશમાં 'ઘરૌની' છે.

 

SD/GP/BT



(Release ID: 1663108) Visitor Counter : 284