પ્રધાનમંત્રીનું કાર્યાલય

કેનેડામાં યોજાયેલી ઈનવેસ્ટ ઇન્ડિયા પરિષદમાં પ્રધાનમંત્રીનું મુખ્ય સંબોધન

Posted On: 08 OCT 2020 8:00PM by PIB Ahmedabad

મારા વ્હાલા મિત્રો, નમસ્કાર !

આ મંચની સ્થાપના કરવા બદલ સૌ પ્રથમ તો હું શ્રી પ્રેમ વત્સને અભિનંદન આપુ છું. અહીં કેનેડાના આટલા બધા રોકાણકારો અને વિવિધ બિઝનેસની હાજરી છે તે ઘણી સારી બાબત છે. મને એ વાતનો આનંદ છે કે તમને ભારતમાં બિઝનેસ અને મૂડીરોકાણની અસાધારણ તકો અંગે પરિચય આપવામાં આવી રહ્યો છે.

મિત્રો,

અહીં શ્રોતાઓમાં એક વાત ખૂબ સામાન્યપણે જોવા મળી રહી છે, અહીં મૂડીરોકાણના નિર્ણયો લેનારા લોકો ઉપસ્થિત રહ્યા છે અને એવા નિર્ણયો કે જે જોખમનો અંદાજ બાંધે છે. એવાં મૂડીરોકાણ કે જે નિર્ણય કરતી વખતે વળતર અંગે ધારણાં બાંધી લે છે.

હું તમને એક વાત પૂછવા માંગુ છું કે તમે દેશમાં મૂડીરોકાણ કરતાં પહેલાં કેવા વિચાર કરો છો ? શું એ દેશમાં ધબકતી લોકશાહી છે ? શું એ દેશમાં મૂડીરોકાણ અને બિઝનેસ માટે મૈત્રીપૂર્ણ નીતિ છે ? શું એ દેશ શાસનમાં પારદર્શકતા દાખવે છે ? શું એ દેશમાં કુશળ માનવબળ ઉપલબ્ધ છે ? શું એ દેશ પાસે મોટું બજાર છે ?  તમે આવા અનેક સવાલ પૂછી શકો છો

આ બધા સવાલોનો એક નિર્વિવાદ જવાબ છે અને તે છે ભારત.

અહીં સૌના માટે તકો પડેલી છે. સંસ્થાકિય રોકાણકારો, ઉત્પાદકો, અર્થવ્યવસ્થામાં ઈનોવેશન અને માળખાગત સુવિધાઓની કંપનીઓને ટેકો આપતા દરેક લોકો માટે તક છે. અહીં ખાનગી ક્ષેત્ર સાથે અને સરકાર સાથે ભાગીદારી કરવાની તક છે. અહીં શિખવાની સાથે સાથે કમાણી કરવાની તક છે અને માત્ર એટલું જ નહીં આગેવાની લેવાની પણ તક છે. વૃધ્ધિ હાંસલ કરવાની પણ તક છે.

મિત્રો,

કોવિડ પછીની દુનિયામાં તમે વિવિધ પ્રકારની સમસ્યાઓ અંગે સાંભળ્યું હશે. ઉત્પાદનની સમસ્યાઓ, સપ્લાય ચેઈનની સમસ્યાઓ, પીપીઈની સમસ્યાઓ વગેરે સ્વાભાવિક છે.

આમ છતાં, ભારતે આ સમસ્યાઓને સમસ્યા તરીકે રહેવા દીધી નથી. અમે તેનો સામનો કર્યો છે અને અમે ઉપાયોની ભૂમિ તરીકે ઉભરી આવ્યા છીએ.

અમે 800 મિલિયન લોકોને મફત અનાજ પૂરૂ પાડ્યું છે અને આશરે 80 મિલિયન રાંધણ ગેસ વિના મૂલ્યે આપ્યા છે, અને તે પણ લાંબા સમય માટે. લોજીસ્ટીક્સની વ્યવસ્થા ખોરવાઈ જવા છતાં અમે 400 મિલિયનથી વધુ ખેડૂતો, મહિલાઓ, ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના બેંકના ખાતામાં સીધા નાણાં માત્ર થોડાક જ દિવસમાં જમા કરાવી શક્યા છીએ.

મિત્રો, ભારત દુનિયા માટે ફાર્મસીની ભૂમિકા અદા કરી રહ્યુ છે. મહામારીના આ સમય દરમ્યાન અત્યાર સુધીમાં અમે 150થી વધુ દેશોને દવા પૂરી પાડી છે.

આ વર્ષે માર્ચ અને જૂન માસ દરમ્યાન અમારી કૃષિ નિકાસમાં 23 ટકાનો વધારો નોંધાયો છે. આવું એવા સમય દરમ્યાન બન્યુ છે કે જ્યારે સમગ્ર દેશ આકરા લૉકડાઉનનો સામનો કરી રહ્યો હતો.

આજે અમારૂં ઉત્પાદન પૂરજોશમાં ચાલી રહ્યુ છે. મહામારીની શરૂઆત પહેલાં ભારતમાં ભાગ્યે જ પીપીઈ કીટનું ઉત્પાદન થતું હતું અને આજે ભારત કરોડો પીપીઈ કીટનું ઉત્પાદન તો કરે જ છે, સાથે સાથે તેની નિકાસ પણ કરે છે.

અમે ઉત્પાદનમાં વધારો કરવા માટે પણ કટિબધ્ધ છીએ. કોવિડ-19 રસીની વાત કરીએ તો અમે સમગ્ર દુનિયાને મદદ કરવા માંગીએ છીએ.

મિત્રો, ભારતની ગાથા મજબૂત છે અને આવતીકાલે પણ મજબૂત રહેશે. અમે એક મિત્રાચારી ધરાવતી કર વ્યવસ્થા સોવરીન વેલ્થ અને પેન્શન ફંડની વ્યવસ્થા ગોઠવી છે.

અમે એક મજબૂત બોન્ડ માર્કેટની રચના માટે નોંધપાત્ર સુધારા હાથ ધર્યા છે. અમે ચેમ્પિયન ક્ષેત્રો માટે પ્રોત્સાહન યોજના રજૂ કરી છે.

ફાર્મા, મેડિકલ ડિવાઈસીસ અને ઈલેક્ટ્રોનિક મેન્યુફેકચરીંગ જેવાં ક્ષેત્રોમાં પ્રોત્સાહન યોજનાઓ લાગુ થઈ ચૂકી છે. અમે રોકાણકારો માટે ઉચ્ચ સ્તરે ધ્યાન અપાય અને તેમનો હાથ પકડીને આગળ વધવામાં આવે તેની ખાત્રી રાખી છે. આ વ્યવસ્થા માટે અધિકારીઓના એક સમર્પિત જૂથની રચના કરવામાં આવી છે.

અમે એરપોર્ટસ, રેલ્વેઝ, ધોરી માર્ગો, વીજ પરિવહન લાઈનો વિવિધ ક્ષેત્રોમાં સક્રિયપણે એસેટસનું મોનેટાઈઝેશન કરી રહ્યા છીએ. રિયલ એસ્ટેટ ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર ઈનવેસ્ટમેન્ટ ટ્રસ્ટનું ખાનગી અને જાહેર એસેટસનું સંપૂર્ણ મોનેટાઈઝેશન કરવામાં આવ્યુ છે.

મિત્રો, આજે ભારત તેની માનસિકતા અને બજારોમાં ઝડપી પરિવર્તન સાથે આગળ ધપી રહ્યું છે. ભારત હાલમાં કંપનીઓના કાયદા હેઠળ નિયંત્રણ મુક્તિ અને કેટલાક ગૂના નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

ભારત છેલ્લાં 5 વર્ષમાં ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 81માં ક્રમથી આગળ વધીને 48મા ક્રમે પહોંચ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વ બેંકના બિઝનેસ કરવામાં આસાનીના ઈન્ડેક્સમાં ભારત 142મા નંબરથી 43મા નંબર સુધી પહોંચ્યુ છે. આ સુધારાની અસર દરેકને જોવા મળી શકે છે. સંસ્થાકિય રોકાણકારો પાસેથી ભારતને દોઢ વર્ષમાં એટલે કે જાન્યુઆરી 2019 થી જુલાઈ, 2020 સુધીમાં 70 અબજ ડોલર મળ્યા છે. આ રકમ વર્ષ 2013થી 2017 વચ્ચેનાં ચાર વર્ષ દરમ્યાન પ્રાપ્ત થયેલી રકમ જેટલી જ થાય છે. ભારતમાં વિશ્વના રોકાણકાર સમુદાયનો વધતો જતો વિશ્વાસ એ બાબત દર્શાવે છે કે વર્ષ 2019માં ભારતમાં સીધા મૂડીરોકાણમાં 20 ટકાનો વધારો નોંધાયો છે, અને તે પણ એવા સમયે કે જ્યારે વિશ્વમાં સીધા મૂડીરોકાણનો પ્રવાહ ઘટીને 1 ટકા જેટલો થઈ ગયો હતો અને તે પણ સીધા વિદેશી મૂડીરોકાણનું ગ્લોબલ રેન્કીંગ ઘટીને 1 ટકા જેટલું થઈ ગયું હતું ત્યારે.

ભારતને દુનિયાભરમાંથી આ વર્ષના પ્રથમ 6 માસમાં 20 અબજ યુએસ ડોલર જેટલી રકમ મળી ચૂકી છે અને એ પણ એવા સમયે કે જ્યારે દુનિયાભરમાં કોવિડ-19 મહામારી ટોચ ઉપર હતી.

ગિફટ સીટીમાં આવેલું ધ ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર (આઈએફએસસી) અમારી મહત્વની પહેલમાંની એક છે. રોકાણકારો તેનો ઉપયોગ દુનિયાભરમાં સોદા કરવા માટે પસંદગીના પ્લેટફોર્મ તરીકે કરી શકે છે. અમે થોડા સમય પહેલાં જ તેના માટે એક એમ્પાવર્ડ યુનિફાઈડ રેગ્યુલેટરની નિમણુંક કરી છે.

મિત્રો, કોવિડ-19 મહામારી સામે એક નવતર અભિગમ અપનાવ્યો છે. અમે નબળા અને નાના બિઝનેસ માટે રાહત અને પ્રોત્સાહનનાં પેકેજ આપ્યાં છે. અમે આ તકનો ઉપયોગ માળખાગત સુધારા હાથ ધરવા માટે પણ કર્યો છે. આ સુધારાને કારણે વધુ ઉત્પાદકતા અને વધુ સમૃધ્ધિ પ્રાપ્ત થશે.

ભારતે ત્રણ પ્રકારના સુધારા હાથ ધર્યા છે. આ સુધારા શિક્ષણ, શ્રમ અને કૃષિ ક્ષેત્રમાં હાથ ધરવામાં આવ્યા છે. આ બધા સુધારા સાથે મળીને લગભગ તમામ લોકો માટે અસરકર્તા બની રહેશે.

ભારતે શ્રમ અને કૃષિ ક્ષેત્રમાં જૂના કાયદાઓમાં સુધારા થાય તેની ખાત્રી રાખી છે. તેમાં સરકાર તરફથી સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની સાથે સાથે ખાનગી ક્ષેત્રનો સહયોગ વધે તે માટે પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

આ સુધારા ઉદ્યોગસાહસિકો તથા તેમની સાથે સાથે સખત પરિશ્રમ કરતા અમારા લોકો માટે લાભદાયી નિવડે તે માટેની ખાત્રી રાખવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે જે સુધારા હાથ ધરવામાં આવ્યા છે તેના કારણે આપણાં યુવાનોની પ્રતિભાનો લાભ લઈ શકાશે. આ સુધારા મારફતે વિદેશની વધુ યુનિવર્સિટીઓ ભારતમાં આગમન કરે તે માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે.

શ્રમ ક્ષેત્રમાં જે સુધારા કરવામાં આવ્યા છે તેના કારણે લેબર કોડની સંખ્યામાં મોટો ઘટાડો થશે. આ સુધારા કામદારો અને માલિકો, બંને માટે મૈત્રીપૂર્ણ રહેશે અને તેના કારણે બિઝનેસ કરવામાં આસાનીમાં વધુ વધારો થશે.

કૃષિ ક્ષેત્રે જે સુધારા કરવામાં આવ્યા છે તેની અસરો દૂરગામી બની રહેશે. તેના કારણે ખેડૂતોને વધુ તક તો પ્રાપ્ત થશે, પણ સાથે સાથે નિકાસને પણ વેગ મળશે.

આ સુધારાના કારણે અમારા આત્મનિર્ભર ભારતનું એટલે કે સ્વનિર્ભર ભારતનું નિર્માણ કરવાના પ્રયાસોને ટેકો મળશે. આત્મનિર્ભરતા તરફ કામ કરવાની સાથે સાથે અમે વૈશ્વિક સ્તરે સારી સ્થિતિ અને સમૃધ્ધિનું યોગદાન આપવા માંગીએ છીએ.

મિત્રો,

જો તમે શિક્ષણના ક્ષેત્રે સહભાગી બનવા માંગતા હોવ તો તે માટેનું સ્થળ ભારત છે.

મિત્રો, જો તમે મેન્યુફેક્ચરીંગ અથવા તો સર્વિસીસના ક્ષેત્રે મૂડી રોકાણ કરવા માંગતા હો તો તે માટેનું સ્થળ ભારત છે.

જો તમે, કૃષિ ક્ષેત્રે સહયોગ આપવા ઈચ્છતા હોવ તો તે માટેનું સ્થળ પણ ભારત જ છે.

મિત્રો,

ભારત- કેનેડા દ્વિપક્ષી સંબંધો સમાન લોકશાહી મૂલ્યો અને અનેક પ્રકારના સમાન હિતો સાથે આગળ ધપી રહ્યા છે. આપણી વચ્ચેની વેપાર અને મૂડી રોકાણની કડીઓ આપણાં બહુમુખી સંબંધો સાથે સંકળાયેલી છે.

કેનેડા, ભારતનું 20મા નંબરનું સૌથી મોટું વિદેશી રોકાણકાર છે. ભારતમાં 600 થી વધુ કંપનીઓ હાજરી ધરાવે છે. મને કહેવામાં આવ્યું છે કે કેનેડાના પેન્શન ફંડોએ ભારતમાં અત્યાર સુધીમાં 50 અબજ યુએસ ડોલરનું રોકાણ કર્યું છે.

આપણાં સંબંધો કદાચ, આંકડાઓ સૂચવે છે તેના કરતાં વધુ મજબૂત છે, પરંતુ આ બધા સાથે આપણે ઘણું બધુ હાંસલ કરી શકીએ તેમ છીએ.

કેનેડાને સૌથી મોટા અને અત્યંત અનુભવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટરોનું ઘર ગણવામાં આવે છે. કેનેડાના પેન્શન ફંડ ભારતમાં સીધુ મૂડી રોકાણ કરવામાં સૌથી મોખરે હતા. આમાંથી ઘણાં બધાને ધોરીમાર્ગો, એરપોર્ટસ, લોજીસ્ટીક્સ, ટેલિકોમ અને રિયલ એસ્ટેટના ક્ષેત્રે વિવિધ ઉત્તમ તકો પ્રાપ્ત થઈ છે. આ સમુદાય તેમની હાજરી વિસ્તારવા માટે આશાવાદી છે અને મૂડી રોકાણના નવા ક્ષેત્રો શોધી રહ્યો છે. પુખ્ત કેનેડિયન રોકાણકારો કે જે ઘણાં વર્ષોથી ભારતમાં છે તે હવે ભારતના ઉત્તમ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે.

તેમનો પોતાનો અનુભવ, તેમનું વિસ્તરણ અને વિવિધિકરણ કરવાનું આયોજન અહીં હાજર રહેલા તમારા સૌના માટે અત્યંત વિશ્વાસપાત્ર પૂરાવો બની રહે છે. આખરે તો કેનેડામાં દુનિયામાંના સૌથી મોટામાંનો એક ભારતીય સમુદાય વસવાટ કરે છે. તમારા માટે અહીંયા કોઈ અવરોધો નથી. તમને અહીંયા તમારા જ દેશમાં મળે છે તેવો આવકાર પ્રાપ્ત થશે.

આ સમારંભમાં સંબોધન કરવા માટે મને આમંત્રણ આપવા બદલ હું તમારો આભાર માનું છું.

ફરી એક વખત આપનો આભાર.

SD/GP/BT



(Release ID: 1663006) Visitor Counter : 224