પ્રધાનમંત્રીનું કાર્યાલય

હિમાચલ પ્રદેશની સોલંગ ઘાટીમાં આયોજિત જનસભામાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

Posted On: 03 OCT 2020 5:07PM by PIB Ahmedabad

કેન્દ્રિય મંત્રી પરિષદના મારા સહયોગી શ્રીમાન રાજનાથ સિંહજી, હિમાચલ પ્રદેશના લોકપ્રિય મુખ્ય મંત્રી શ્રીભાઈ જયરામ ઠાકુરજી, હિમાચલ પ્રદેશમાંથી જ સાંસદ અને કેન્દ્ર સરકારમાં મારા સાથી હિમાચલનો છોકરો શ્રી અનુરાગ ઠાકુરજી, સ્થાનિક ધારાસભ્ય, સાંસદ સમુદાય અને હિમાચલ પ્રદેશના મંત્રી શ્રી ભાઈ ગોવિંદ ઠાકુરજી, અન્ય મંત્રી સમુદાય, ધારાસભ્યો, બહેનો અને ભાઈઓ

તુસા સેભી રે, અપને પ્યારે અટલ બિહારી બાજપેયી જી રી સૌચ કે બદોલત,

કુલ્લુ, લાહુલ, લેહ-લદાખા રે લોકા રી તૈયી એ સુરંગ રા તૌહફા, તુસા સેભી વે મેલુ.

તુસા સેભી વૈ બહુત બહુત બધાયી હોર મુબારક.

મા હિડમ્બાની, ઋષિ–મુનિઓની તપ સ્થળી, કે જ્યાં 18 કરોડ એટલે કે ગામે ગામમાં દેવતાઓની જીવંત તથા અનોખી પરંપરા છે, તેવી દિવ્ય ધરતીને હું પ્રણામ કરૂ છું. નમન કરૂ છું અને કંચનનાગની આ ભૂમિ, હમણાં જયરામજી, આપણા મુખ્ય મંત્રી મારા પેરાગ્લાઈડીંગના શોખનુ વર્ણન કરી રહ્યા હતા. ઉડવાનુ સારૂ તો લાગે છે પણ, જ્યારે આખી કીટ ઉઠાવીને ઉપર જવુ પડતુ હતુ ત્યારે દમ નીકળી જતો હતો. અને એક વાર કદાચ દુનિયામાં કોઈએ કર્યુ હતું કે નહી તેની મને ખબર નથી. અટલજી મનાલી આવ્યા હતા. હું ત્યારે સંગઠનની વ્યવસ્થા સંભાળતો હતો તેથી થોડોક વહેલો આવ્યો હતો. તે વખતે અમે એક કાર્યક્રમ યોજ્યો હતો. 11 પેરાગ્લાઈડર્સ પાયલોટ એક સાથે મનાલીના આકાશમાં, અને જ્યારે અટલજી આવી પહોંચ્યા ત્યારે સૌએ પુષ્પ વર્ષા કરી હતી. કદાચ દુનિયામાં અગાઉ પેરાગ્લાઈડીંગનો આવો ઉપયોગ કોઈએ કર્યો નહી હોય. પણ હું જ્યારે સાંજે અટલજીને મળવા ગયો તો કહી રહ્યા હતા કે આવુ શા માટે કરો છો. પરંતુ એ દિવસો મારા માટે મનાલીમાં એક મોટો સાચો અવસર બની ગયો હતો કે પેરાગ્લાઈડીંગથી પુષ્પ વર્ષા કરીને વાજપેયીજીનુ સ્વાગત કરવાની કલ્પના મારા માટે ખૂબ જ રોચક હતી.

હિમાચલના મારા વહાલા ભાઈઓ અને બહેનો, આપ સૌને અટલ ટનલના લોકાર્પણના આજે ખૂબ-ખૂબ અભિનંદન પાઠવુ છું. અને મેં જે રીતે અહીં આ પહેલાં તમને વાત કરી તે મુજબ આ જગ્યાએ ભલે આજે સભા થઈ રહી હોય, અને હું તો જોઈ રહ્યો છું. સોશિયલ ડિસ્ટન્સીંગનુ એકદમ યોગ્ય પાલન થયુ છે. દૂર દૂર સુધી સૌ યોગ્ય રીતે સોશિયલ ડિસ્ટન્સીંગનુ પાલન કરી અને હાથ ઉંચા કરીને મને આજે આપનુ સન્માન કરવાની તક મળી છે. આ જગ્યા મારે માટે ખૂબ જાણીતી જગ્યા છે. એક રીતે કહીએ તો હુ એક જ જગ્યા ઉપર વધુ રોકાનારો વ્યક્તિ હતો નહી, બહુજ ઝડપથી મુલાકાત લેતો હતો, પણ જ્યારે જ્યારે અટલજી આવતા હતા અને તેઓ જેટલા પણ દિવસ રોકાતા હતા, હું ઓન રોકાય જતો હતો, તે વખતે મને તમારા સૌ સાથે ખૂબ નિકટતાનો અનુભવ થતો હતો. તે સમયે તેમની સાથે મનાલીના અને હિમાચલના વિકાસ બાબતે ખૂબ ચર્ચાઓ થતી હતી.

અટલજી અહીંની માળખાગત સુવિધાઓ, અહીંની કનેક્ટિવીટી અને અહીંના પર્યટન ઉદ્યોગની ખૂબ ચિંતા કરતા હતા.

તેઓ અવારનવાર પોતાની એક જાણીતી કવિતા સંભળાવ્યા કરતા હતા. મનાલીના લોકોએ તો આ કવિતા ઘણી વાર સાંભળી છે, અને વિચાર કરો જેમને આ જગ્યા પોતાના ઘર જેવી લાગતી હોય, જેમને પરિણિ ગામમાં સમય વિતાવવાનુ ખૂબ સારૂ લાગતુ હોય, જે અહીંના લોકોને આટલો બધો પ્રેમ કરતા હોય, એ જ અટલજી પોતાની કવિતામાં કહેતા હતા કે-

મનાલી મત જઈયો,

રાજા કે રાજ મેં,

જઈયો તો જઈયો,

ઉડીકે મત જઈયો,

અધર મેં લટકી હૌ,

વાયુદુત કે જહાજ મેં.

જઈયો તો જઈયો,

સંદેશા મત પઈયો,

ટેલિફોન બિગડે હૈ,

મિર્ધા મહારાજ મેં.

 

સાથીઓ,

મનાલીમાં ઘણો સમય પસાર કરનાર અટલજીની એ અટલ ઈચ્છા હતી કે અહીંની પરિસ્થિતિમાં પરિવર્તન આવે, અહી કનેક્ટિવીટી બહેતર બને, એ વિચારની સાથે જ એમણે રોહતંગમાં ટનલ બનાવવવાનો નિર્ણય કર્યો હતો.

મને એ બાબતનો આનંદ છે કે અટલજીનો સંકલ્પ પૂર્ણ થઈ ગયો છે. આ અટલ ટનલ પોતાની ઉપર ભલે આટલા મોટા પહાડનો ( એટલે કે લગભગ બે કિ.મી. ઉંચા પહાડનો, તે ટનલ ઉપર છે.) બોજ ઉઠાવી રહી છે. ક્યારેક જે બોજ લાહૌલ સ્પીતી અને મનાલીના લોકો પોતાના ખભા ઉપર ઉઠાવી રહ્યા હતા તેટલો મોટો બોજ આજે એ ટનલે ઉઠાવ્યો છે. અને આ ટનલે અહીંના નાગરિકોને એક રીતે કહીએ તો બોજથી મુક્ત કરી દીધા છે. સામાન્ય લોકો માટે એક મોટો બોજો ઓછો થવો તે તથા તેમનુ લાહૌલ સ્પીતી આવવા જવાનુ આસાન થવુ તે સ્વયં એક સંતોષની, ગૌરવની અને આનંદની બાબત છે.

હવે એ દિવસો દૂર નથી કે જ્યારે પ્રવાસીઓ કુલ્લુ-મનાલીથી સિડ્ડુ ઘીનો નાસ્તો કરીને નીકળશે અને લાહૌલમાં જઈને ‘દૂ-માર’ અને ‘ચિલડે’ નુ બપોરનુ ભોજન કરી શકશે. આવુ પહેલાં શક્ય ન હતુ, ઠીક છે, કોરોના છે, પણ હવે દેશ પહેલાંની જેમ અનલૉક પણ થઈ રહ્યો છે. મને આશા છે કે હવે દેશનાં અન્ય ક્ષેત્રોની જેમ પ્રવાસન પણ ધીરે-ધીરે ગતિ પકડી લેશે. અને ખૂબ શાનથી કુલ્લુના દશેરાની તૈયારીઓ થતી હતી અને ચાલતી રહેશે.

સાથીઓ,

અટલ ટનલની સાથે-સાથે હિમાચલના લોકોના માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હમીરપુરમાં 66 મેગાવૉટના ધોલાસિધ્ધ હાઈડ્રો પ્રોજેકટને મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેકટથી દેશને વીજળી તો મળી રહેશે પણ સાથે-સાથે હિમાચલના અનેક યુવાનોને રોજગાર પણ મળતો થશે.

સાથીઓ,

આધુનિક માળખાગત સુવિધાઓ ઉભી કરવાની કામગીરી પૂરા દેશમાં ચાલી રહી છે. એમાં ખૂબ મોટી ભાગીદારી હિમાચલ પ્રદેશની પણ છે. હિમાચલમાં ગ્રામીણ સડકો હોય કે પછી ધોરી માર્ગો હોય, પાવર પ્રોજેકટ હોય કે વીજ કનેક્ટિવીટીની વાત હોય, આ માટેની અનેક યોજનાઓ પર ખૂબ ઝડપથી કામ ચાલી રહ્યુ છે.

કિરતપુર – કુલ્લુ –મનાલી રોડ કોરિડોર હોય કે પછી, જીરકપુર- પરવાનુ - સોલન- કૈથલી ઘાટ કોરીડોર હોય, નાંગલ ડેમ- તલવાડા રેલવે રૂટ હોય કે પછી ભાનુપલ્લી –બિલાસપુર બેરી રેલ રૂટ હોય આ બધી યોજનાઓનુ કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યુ છે. અમારો એ પ્રયાસ રહ્યો છે કે યોજનાઓ વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે અને હિમાચલના લોકો માટે સેવા પૂરી પાડવાનુ કામ ચાલુ થઈ જાય.

સાથીયો,

હિમાચલ પ્રદેશના લોકોનુ કામ આસાન બનાવવા માટે, સડક અને વીજળી જેવી મૂળભૂત જરૂરિયાતોની સાથે-સાથે મોબાઈલ અને ઈન્ટરનેટ કનેક્ટિવીટી પણ એટલી જ જરૂરી છે. અને જે પ્રવાસન મથકો હોય છે ત્યાં આજકાલ તે ખૂબ મોટી જરૂરિયાત બની રહી છે. પહાડી પ્રદેશ હોવાને કારણે હિમાચલ પ્રદેશનાં અનેક સ્થળોએ નેટવર્કની સમસ્યા ઉભી થતી રહેતી હોય છે. તેનો કાયમી ઉપાય શોધવા માટે હમણાં જ દેશના 6 લાખ ગામોમાં ઓપ્ટીકલ ફાયબર નાખવાનુ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આવનારા એક હજાર દિવસોમાં આ કામ મિશન મોડથી પૂરૂ કરવાનુ છે. આ યોજના હેઠળ ગામે ગામ વાઈ ફાઈ સ્પોટ પણ લાગશે અને ઘરોને પણ ઈન્ટરનેટનાં જોડાણ મળતાં થઈ જશે. તેનાથી હિમાચલ પ્રદેશના બાળકોના અભ્યાસ, દર્દીઓને દવા તથા પ્રવાસન પ્રવૃત્તિથી કમાણી મળશે. આ રીતે તેનાથી દરેકને લાભ થવાનો છે.

સાથીઓ,

સરકારનો નિરંતર એ પ્રયાસ છે કે સામાન્ય માનવીની મુશ્કેલીઓ કઈ રીતે હળવી થાય અને તેને પોતાના હકનો પૂરેપૂરો લાભ કઈ રીતે પ્રાપ્ત થાય તેમજ તેની માટે લગભગ લગભગ તમામ સરકારી સેવાઓનું ડિજિટલીકરણ કરી નાખવામાં આવ્યું છે. હવે પગાર, પેન્શન જેવી અનેક સુવિધાઓ માટે વારંવાર કચેરીના આંટા ફેરા નથી મારવા પડતાં.

પહેલા હિમાચલનાં દૂર સુદૂરના વિસ્તારોમાંથી માત્ર દસ્તાવેજને અટેસ્ટ કરાવવા માટે આપણાં યુવા સાથી, નિવૃત્ત લોકો, અધિકારીઓ અને નેતાઓના આંટા મારતા રહેતા હતા. હવે દસ્તાવેજોને અટેસ્ટ કરાવવાની જરૂરિયાતને પણ એક રીતે ખતમ કરી દેવામાં આવી છે.

તમે યાદ કરો, પહેલા વીજળી અને ટેલિફોનના બિલ ભરવા માટે આખો દિવસ લાગી જતો હતો. આજે આ કામ તમે ઘરે બેઠા એક ક્લિક પર આંગળી દબાવીને કરવા સમર્થ બન્યા છો. હવે બેન્ક સાથે જોડાયેલ અનેક સેવાઓ, કે જે બેન્કમાં જઈને જ મળતી હતી, તે પણ હવે ઘરે બેઠા જ મળવા લાગી છે.

સાથીઓ,

એવા અનેક સુધારાઓ દ્વારા સમયની પણ બચત થઈ રહી છે, પૈસા પણ બચી રહ્યા છે અને ભ્રષ્ટાચાર માટેના અવસરો પણ સમાપ્ત થઈ ગયા છે. કોરોના કાળમાં જ હિમાચલ પ્રદેશના 5 લાખથી વધુ પેન્શનર તેમજ લગભગ 6 લાખ બહેનોના જનધન ખાતામાં સેંકડો કરોડ રૂપિયા એક ક્લિક વડે જમા કરવામાં આવ્યા છે. સવા લાખથી વધુ ગરીબ બહેનોને ઉજ્જવલાના મફત સિલિન્ડર મળી શક્યા છે.

સાથીઓ,

દેશમાં આજે જે સુધારાઓ કરવામાં આવી રહ્યા છે તેમણે એવા લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે કે જેમણે હંમેશા માત્ર પોતાના રાજનૈતિક હિતો માટે કામ કર્યું છે. સદી બદલાઈ ગઈ છે પરંતુ તેમની વિચારધારા નથી બદલાઈ. હવે સદી બદલાઈ ગઈ વિચારધારા પણ બદલવાની છે અને નવી સદીની રીતે દેશને પણ બદલીને બનાવવાનો છે. આજે જ્યારે આવા લોકો દ્વારા બનાવવામાં આવેલા વચેટિયાઓ અને દલાલો ઉપર તંત્રનો પ્રહાર થઈ રહ્યો છે તો તેઓ છંછેડાઈ ગયેલા છે. વચેટિયાઓને પ્રોત્સાહન આપનારાઓએ દેશના ખેડૂતોની સ્થિતિ શું કરી દીધી હતી તે હિમાચલનાં લોકો ખૂબ સારી રીતે જાણે જ છે.

તે તમને પણ ખબર છે કે હિમાચલ દેશના સૌથી મોટા ફળ ઉત્પાદક રાજયોમાંથી એક છે. અહિયાંના ટામેટાં, મશરૂમ જેવા શાકભાજી પણ અનેક શહેરોની જરૂરિયાતોને પૂરી કરે છે. પરંતુ સ્થિતિ શું રહી છે? કુલ્લૂના, શિમલાના અથવા કિન્નૌરના જે સફરજન ખેડૂતના બગીચામાંથી 40-50 રૂપિયે કિલોના ભાવે નીકળે છે તે દિલ્હીમાં રહેનારા લોકોના ઘરમાં લગભગ લગભગ 100-150 રૂપિયા સુધી પહોંચે છે. વચ્ચેનો જે લગભગ 100 રૂપિયાનો હિસાબ છે તે ના તો ક્યારેય ખેડૂતને મળ્યો છે અને ના તો ગ્રાહકને મળ્યો છે તો પછી તે ગયો ક્યાં? ખેડૂતનું પણ નુકસાન અને શહેરમાં લઈને ખરીદનારા લોકોનું પણ નુકસાન. એટલું જ નહિ, અહિયાના માળી સાથીઓ જાણે છે કે સફરજનની સિઝન જેમ જેમ ટોચ પર આવે છે તેમ તેમ કિંમત એકદમ ઘટી જાય છે. તેમાં સૌથી વધુ માર એવા ખેડૂતો પર પડે છે, જેમની પાસે નાના બગીચા છે.

સાથીઓ,

કૃષિ સુધારા કાયદાનો વિરોધ કરનાર કહેતા હોય છે કે જેમ સ્થિતિ છે તેવી જાળવી રાખો, ગઈ શતાબ્દીમાં જીવવું છે, જીવવા દો પરંતુ દેશ આજે પરિવર્તન માટે પ્રતિબદ્ધ છે. અને એટલા માટે જ કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કાયદાઓમાં ઐતિહાસિક સુધારા કરવામાં આવ્યા છે. અને આ જે સુધારાઓ છે તે તેમણે પણ પહેલા વિચારેલા હતા, તે લોકો પણ જાણતા હતા, વિચારો તો તેમના પણ હતા, અમારા પણ, પરંતુ તેમનામાં હિંમતની તંગી હતી, અમારી અંદર હિંમત છે. તેમની માટે ચૂંટણી સામે હતી, અમારી માટે દેશ સામે છે, અમારી માટે અમારા દેશનો ખેડૂત સામે છે, અમારી માટે અમારા દેશના ખેડૂતનું ઉજ્જવળ ભવિષ્ય સામે છે અને એટલા માટે અમે નિર્ણયો લઈને ખેડૂતને આગળ લઈ જવા માંગીએ છીએ.

હવે જો હિમાચલનાં નાના નાના બગીચાઓ, ખેડૂતો સમૂહ બનાવીને પોતાના સફરજન બીજા રાજ્યોમાં જઈને સીધા વેચવા માંગતા હોય તો તેમને એ આઝાદી મળી ગઈ છે. હા જો તેમને સ્થાનિક બજારોમાં ફાયદો થતો હોય, પહેલાંની વ્યવસ્થા દ્વારા ફાયદો મળતો હોય તો તે વિકલ્પ પણ ઉપલબ્ધ છે જ, તેને કોઈએ ખતમ નથી કર્યો. એટલે કે દરેક રીતે ખેડૂતો માળીઓને લાભ પહોંચાડવા માટે જ આ સુધારા કરવામાં આવ્યા છે.

સાથીઓ,

કેન્દ્ર સરકાર ખેડૂતોની આવક વધારવા, ખેતી સાથે જોડાયેલ તેમની નાની મોટી જરૂરિયાતોને પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. પીએમ કિસાન સમ્માન નિધિ અંતર્ગત દેશના લગભગ સવા 10 કરોડ ખેડૂતો, તે પરિવારોના ખાતામાં અત્યાર સુધી આશરે 1 લાખ કરોડ રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે. તેમાં હિમાચલના સવા 9 લાખ ખેડૂત પરિવારોના બેન્ક ખાતામાં પણ લગભગ 1000 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

કલ્પના કરો કે જો પહેલાની સરકારોના સમયમાં 1000 કરોડ રૂપિયાનું કોઈ પેકેજ હિમાચલ માટે જાહેર કરવામાં આવ્યું હોત તો તે પૈસા ખબર નહીં ક્યાં ક્યાં, કોના કોના ખિસ્સામાં પહોંચી જાત? તેની ઉપર રાજનૈતિક શ્રેય લેવા માટેના કેટલા પ્રયાસો થયા હોત? પરંતુ અહિયાં નાના ખેડૂતોના ખાતામાં આ રૂપિયા જતાં રહ્યા અને કોઈ હો હલ્લા પણ નથી થયો.

સાથીઓ,

હમણાં તાજેતરમાં જ એક મોટો સુધારો દેશમાં આપણી શ્રમ શક્તિને ખાસ કરીને બહેનો અને દીકરીઓને અધિકાર આપવા માટે લેવામાં આવ્યો છે. હિમાચલની બહેનો અને દીકરીઓ તો આમ પણ દરેક ક્ષેત્રમાં, મુશ્કેલમાં મુશ્કેલ કામ કરવામાં આગળ પડતી રહે છે. પરંતુ અત્યાર સુધીની સ્થિતિ એવી હતી કે દેશમાં અનેક ક્ષેત્રો એવા હતા જેની અંદર બહેનોને કામ કરવાની પરવાનગી નહોતી. હમણાં તાજેતરમાં જ જે શ્રમ કાયદાઓમાં સુધારો કરવામાં આવ્યો છે, તેના વડે હવે મહિલાઓને પણ વેતનથી લઈને કામ સુધીના તે તમામ અધિકારો આપવામાં આવ્યા છે, કે જે પુરુષોની પાસે પહેલાથી જ હતા.

સાથીઓ,

દેશના દરેક ક્ષેત્ર, દરેક નાગરિકના આત્મ વિશ્વાસને જાગૃત કરવા માટે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે સુધારાઓની પરંપરા સતત ચાલુ રહેશે. ગઈ સદીના નિયમ કાયદાઓ વડે આગામી શતાબ્દીમાં નથી પહોંચી શકતા. સમાજ અને વ્યવસ્થાઓમાં સાર્થક પરિવર્તનના વિરોધી ગમે તેટલી પોતાના સ્વાર્થની રાજનીતિ પણ કરી લે પરંતુ આ દેશ રોકાવાનો નથી.

હિમાચલ, અહીંયાના આપણાં નવયુવાનો, દેશના દરેકે દરેક યુવાનોના સપના અને આકાંક્ષાઓ, અમારી માટે સર્વોપરી છે. અને તે જ સંભાવનાઓને લઈને અમે દેશની પ્રગતિને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે લાગેલા રહીશું.

સાથીઓ,

હું આજે ફરી એકવાર અટલ ટનલ માટે અને તમે કલ્પના કરી શકો છો તેનાથી કેટલું મોટું પરિવર્તન આવવાનું છે. કેટલી સંભાવનાઓના દરવાજા ખૂલી ગયા છે. તેનો જેટલો ફાયદો આપણે ઉઠાવી શકીએ.

મારા આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન છે. ખૂબ ખૂબ શુભકામનાઓ છે.

કોરોનાનો કાળ છે, હિમાચલે સ્થિતિઓને ખૂબ સારી રીતે સંભાળી લીધી છે. પરંતુ તેમ છતાં પણ આ ચેપથી પોતાની જાતને સુરક્ષિત રાખજો.

દેવધરાને પ્રણામ કરીને, કંચનનાગજીની આ ધરાને પ્રણામ કરીને, આપ સૌને ફરી એકવાર મળવાનો, દર્શન કરવાનો અવસર મળ્યો. સારું થાત કે કોરોના કાળ ના હોત તો ખૂબ પ્રેમ વડે આપ સૌને મળી શકત, ઘણા બધા ચહેરા પરિચિતો મારી સામે છે. પરંતુ આજે એવી સ્થિતિ છે કે નથી મળી શકું તેમ પરંતુ તમારા દર્શનનો મને અવસર મળી ગયો તે પણ મારી માટે ખુશીની વાત છે. મારે અહીથી તરત જ નીકળવાનું છે, એટલા માટે આપ સૌની આજ્ઞા લઈને, તમને અભિનંદન આપીને,

ખૂબ ખૂબ આભાર!

 

SD/GP/BT

 

 



(Release ID: 1661511) Visitor Counter : 206