સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 6.6 લાખ કરતાં વધારે સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું


28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ પરીક્ષણની સંખ્યા 140 કરતાં વધારે

28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો

Posted On: 04 AUG 2020 7:53PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 6,61,892 જેટલી વિક્રમી સંખ્યામાં સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે દેશમાં આજદિન સુધીમાં કોવિડ માટે થયેલા કુલ પરીક્ષણનો આંકડો 2,08,64,750 સુધી પહોંચી ગયો છે અને પ્રત્યેક દસ લાખની વસ્તીઓ પરીક્ષણ (TPM) 15,119 થઇ ગયા છે.

કોવિડ-19થી ચેપગ્રસ્ત દર્દીઓને વહેલાં શોધી કાઢવા અને તેમને આઇસોલેશનમાં રાખવાના ઉદ્દેશ સાથે કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સંયુક્ત કેન્દ્રિત પ્રયાસોના પરિણામે સમગ્ર દેશમાં પરીક્ષણોની સંખ્યામાં વૃદ્ધિ થઇ છે. ICMRની તૈયાર કરવામાં આવેલી પરીક્ષણની વ્યૂહનીતિ અંતર્ગત ભારતમાં પરીક્ષણના નેટવર્કને વધુ વ્યાપક બનાવવામાં આવ્યું છે.

WHO દ્વારા “કોવિડ-19ના સંદર્ભમાં જાહેર આરોગ્ય અને સામાજિક પગલાંઓના સમયોજન માટે જાહેર આરોગ્ય માપદંડ” પર તેમની માર્ગદર્શન નોંધમાં સલાહ આપવામાં આવી હતી કે, શંકાસ્પદ કેસોનું વ્યાપક પ્રમાણમાં સર્વેલન્સ કરવું જોઇએ. WHO દ્વારા એવી સલાહ આપવામાં આવી હતી કે, કોઇપણ દેશમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ 140 પરીક્ષણ કરવા જોઇએ.

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ પરીક્ષણની સંખ્યા 479 છે, જ્યારે 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ દૈનિક સરેરાશ પરીક્ષણની સંખ્યા WHO દ્વારા સૂચિત કરવામાં આવેલા 140 પરીક્ષણો કરતા વધારે છે.

કોવિડ-19ના પરીક્ષણોમાં પોઝિટીવિટી દર ઓછો કરવાના લક્ષ્ય સાથે અપનાવવામાં આવેલા “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ” અભિગમના આધારે કેન્દ્રિત વ્યૂહનીતિનો અમલ કરવામાં આવ્યો છે. ભારતમાં હાલમાં સરેરાશ પોઝિટીવિટી દર 8.89% છે. 28 રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પોઝિટીવિટી દર 10% કરતાં ઓછો જે પરીક્ષણની વ્યૂહનીતિનો સાચી રીતે અમલ થઇ રહ્યો હોવાનું સૂચિત કરે છે. કેન્દ્ર અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો દ્વારા પોઝિટીવિટી દર સુધારીને 5% સુધી લઇ જવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે.

દૈનિક 10 લાખ પરીક્ષણો કરવાના લક્ષ્ય સાથે, દેશમાં પરીક્ષણની ક્ષમતાના નેટવર્કમાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં દેશમાં પરીક્ષણની લેબોરેટરીના નેટવર્કમાં કુલ 1356 લેબોરેટરી થઇ ગઇ છે જેમાંથી 917 લેબોરેટરી સરકારી ક્ષેત્રની જ્યારે 439 લેબોરેટરી ખાનગી ક્ષેત્રની છે. આ લેબોરેટરીઓની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • રીઅલ- ટાઇમ RT PCR આધારિત પરીક્ષણ લેબોરેટરી: 691 (સરકારી: 420 + ખાનગી: 271)
  • TrueNat આધારિત પરીક્ષણ લેબોરેટરી: 558 (સરકારી: 465 + ખાનગી: 93)
  • CBNAAT આધારિત પરીક્ષણ લેબોરેટરી: 107 (સરકારી: 32 + ખાનગી: 75)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT

 



(Release ID: 1643428) Visitor Counter : 248