વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય

કોરોનાવાયરસની સારવારમાં નવતર પ્રકારની બ્લડ પ્લાઝમા થેરાપીના ઉપયોગને મંજૂરી


આ પ્રકારની સારવારનો ઉદ્દેશ સાજી થઈ ગયેલી વ્યક્તિને પ્રાપ્ત થયેલી પ્રતિકાર શક્તિનો ઉપયોગ કરીને બિમાર વ્યક્તિની સારવાર કરવાનો છે

Posted On: 11 APR 2020 12:26PM by PIB Ahmedabad

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળના કાર્યરત રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થા શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટીટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજી (SCTIMST)ને કોરોનાવાયરસનો ભોગ બનેલી વ્યક્તિની નવતર પ્રકારની સારવાર કરવા માટે હિંમતભર્યુ કદમ ઉઠાવીને આગળ ધપવા મંજૂરી મળી ગઈ છે. આ થેરાપીને ટેકનિકલ ભાષામાં “કોનવેલેસન્ટ-પ્લાઝમા થેરાપી” તરીકે ઓળખવામાં આવે છે. આ સારવારનો ઉદ્દેશ સાજી થયેલી વ્યક્તિને પ્રાપ્ત થયેલી પ્રતિકાર શક્તિનો ઉપયોગ બિમાર વ્યક્તિની સારવાર માટે કરવાનો છે. ભારતમાં આ પ્રકારના સંશોધન માટે માન્યતા આપતી ટોચની સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રીસર્ચ (આઈસીએમઆર) તરફથી શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટીટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીને આ નવતર પ્રકારની સારવારનુ સંશોધન હાથ ધરવા માટે મંજૂરી આપવામાં આવી છે.

શ્રી ચિત્રા તિરૂનલ ઈન્સ્ટીટ્યુટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેકનોલોજીના ડિરેકટર, ડૉ. અશોક કિશોર જણાવે છે કે અમે કેટલી ઉંમર સુધીના લોકો પાસેથી રકતદાન લઈને આ સંશોધન હાથ ધરવુ તે અંગે ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા પાસેથી ધોરણો હળવાં કરવા માટે અરજી કરી છે.

કોનવેલેસન્ટ-પ્લાઝમા થેરાપી શું છે?

જ્યારે નોવેલ કોરોનાવાયરસ જેવા રોગ પેદા કરતા (પેથોજન) નો ચેપ લાગે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ એન્ટીબૉડીઝ પેદા કરે છે. આ એન્ટીબૉડીઝ પોલિસના કૂતરાની જેમ શરીરના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચીને હુમલો કરનાર વાયરસની ઓળખ કરીને પકડી પાડે છે, જ્યારે લોહીના શ્વેતકણો હુમલાખોર વાયયરસને નાબૂદ કરીને ચેપ દૂર કરે છે. જે રીતે લોહી ચડાવવામાં બને છે તેમ સાજા થયેલા દર્દીના શરીરમાં ફેલાઈને એન્ટીબૉડીઝ મેળવે છે અને તેને બિમાર વ્યક્તિમાં દાખલ કરવામાં આવે છે. એન્ટીબૉડીની સહાય વડે રોગ પ્રતિકાર પદ્ધતિ વાયરસનો મજબૂત સામનો કરે છે.

એન્ટીબૉડીઝ શું છે ?

એન્ટીબૉડીઝ એ સૂક્ષ્મ જીવાણુ (microbe) મારફતે લાગતા ચેપનો સામનો કરતાં પ્રથમ હરોળનાં રોગ પ્રતિકારકો છે. તે ચોક્કસ પ્રકારનાં પ્રોટીન છે કે જેમાં બી લિમ્ફોસાયટસ નામે ઓળખાતા રોગ પ્રતિકારક કોષો ધરાવે છે. જ્યારે આ કોષો નોવેલ કોરોનાવાયરસ જેવા હુમલાખોરનો સામનો કરે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ રોગ પેદા કરતા દરેક હૂમલાખોર (પેથોજન) નો સામનો કરી શકે તેવા એન્ટીબૉડીઝ તૈયાર કરે છે. એક ચોક્કસ એન્ટીબૉડી અને તેનો પાર્ટનર વાયરસ એક બીજા માટે જ બનેલાં હોય છે.

સારવાર કેવી રીતે આપવામાં આવે છે ?

કોરોનાવાયરસની બિમારીમાંથી સાજા થયેલી વ્યક્તિનું લોહી મેળવવામાં આવે છે. આ લોહીમાંથી વાયરસને નિષ્ક્રિય કરી દે તેવાં એન્ટીબોડીઝ ધરાવતા પ્રવાહીને અલગ કરીને તેની ચકાસણી કરવામાં આવે છે. ચેપી રોગમાંથી સાજી થયેલી વ્યક્તિના લોહીમાંથી અને ખાસ કરીને (ચેપ પેદા કરતા ) પેથોજનનો સામનો કરી શકે તેવા એન્ટીબૉડીઝ પ્રચૂર માત્રામાં ધરાવતો હોય તેવા દર્દીના લોહીમાંથી અલગ કરીને મેળવવામાં આવેલા આ પ્રવાહી (સીરમ)ને કોનવેલસેન્ટ સિરમ તરીકે ઓળખવામાં આવે છે. બિમાર વ્યક્તિમાં આડકતરી રીતે (પેસીવ) પ્રતિકાર શક્તિ પેદા થાય છે. ઇન્ડિયા સાયન્સ વાયર સાથેની વાતચીતમાં ડૉ. કિશોર જણાવે છે કે બિમાર વ્યક્તિને બ્લડ સિરમ મેળવીને આપવામાં આવે તે પહેલાં સંભવિત રક્તદાતાની તપાસ કરવામાં આવે છે. સૌ પ્રથમ તો સાજી થયેલી વ્યક્તિનો સ્વેબ ટેસ્ટ નેગેટિવ હોવો જોઈએ તથા સંભવિત રકત દાતા સાજો થયેલો જાહેર કરાવો જોઈએ. સાજી થયેલી વ્યક્તિએ તે પછી બે સપ્તાહ સુધી રાહ જોવાની રહે છે અથવા તો 28 દિવસ સુધી સંભવિત દાતામાં રોગનાં કોઈ ચિન્હો દેખાવા જોઈએ નહી આ બંને બાબતો ફરજીયાત છે.

કેવી વ્યક્તિ આ સારવાર લઈ શકે ?

પ્રારંભમાં અમે ખૂબ ઓછી સંખ્યામાં દર્દીઓને આ સારવાર કરીશું. હાલમાં આ થેરાપીને પ્રયોગાત્મક ધોરણે અને મર્યાદિત ઉપયોગ માટે, તેમજ ખૂબ ખરાબ અસર થઈ હોય તેવા દર્દીની સારવાર માટે માન્યતા આપવામાં આવી છે. આવા દર્દીને દાખલ કરતાં પહેલાં અમે માહિતી આપીને તેની સંમતિ મેળવીશું. આ સારવાર ક્લિનિકલ ટ્રાયલ તરીકે હાથ ધરવામાં આવશે ડૉ. કિશોરે જણાવ્યું કે પાંચ મેડિકલ કોલેજોની હૉસ્પિટલનાં કોરોનાવાયરસ ક્લિનીક આ કામગીરીમાં સહયોગ આપી રહ્યાં છે.

આ સારવાર રસીકરણથી કેવી રીતે અલગ પડે છે ?

આ થેરાપી પેસીવ ઈમ્યુનાઈઝેશન જેવી છે. જ્યારે રસી આપવામાં આવે છે ત્યારે રોગ પ્રતિકારક સિસ્ટમ એન્ટીબોડીઝ પેદા કરે છે. આ સ્થિતિમાં જ્યારે રસી અપાયેલ વ્યક્તિને પાછળથી રોગ પેદા કરતા પેથોજનનો ચેપ લાગે છે ત્યારે રોગ પ્રતિકાર સિસ્ટમ એન્ટીબોડીઝ છૂટા પાડે છે અને ચેપને દૂર કરે છે. રસીકરણથી જીવનપર્યંત રોગ પ્રતિકાર શક્તિ પૂરી પાડે છે. પેસીવ એન્ટીબૉડી થેરાપીમાં ઈનેજેક્ટ કરવામાં આવેલા એન્ટીબોડીઝ રકત પ્રવાહમાં રહે ત્યાં સુધી જ તેની અસર રહે છે. આવા કિસ્સામાં પ્રાપ્ત થયેલી સુરક્ષા કામચલાઉ હોય છે જે રીતે બાળકમાં પોતાની પ્રતિકાર શક્તિ પેદા થાય તે પહેલાં માતા બાળકને સ્તનપાન મારફતે બાળકમાં એન્ટીબૉડીઝ તબદીલ કરે છે તેવી આ પ્રક્રિયા છે.

ઈતિહાસ:

છેક 1890માં ઈમિલ વોન બેહરીંગ નામના જર્મન ફિઝિયોલોજીસ્ટે શોધી કાઢ્યું હતું કે ડિપ્થેરીયા (ગળામાં જાળુ બાઝી જતું હોય તેવો એક રોગ)ની અસર થઈ હોય તેવા ઉંદરમાંથી મેળવાયેલુ સિરમ ડિપ્થેરિયાનો ચેપ રોકવામાં સફળ રહ્યુ હતુ. 1901માં બેહરીંગને મેડિસીનનું પ્રથમ નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું હતું. એ સમયે એન્ટીબૉડીઝ જાણીતા નહોતા. કોનવેલેસન્ટ-સિરમ થેરાપી ઓછી અસરકારક હતી અને તેની નોંધપાત્ર પ્રમાણમાં આડઅસરો પણ હતી. એન્ટીબૉડી ગુણધર્મને અલગ કરવામાં ઘણાં વરસ લાગી ગયાં હતાં. હાલમાં પણ કોઈ ચોકકસ ઉદ્દેશ વગરનાં એન્ટીબૉડીઝ અને અશુદ્ધિઓ શરીરમાં આડઅસરો ઉભી કરે છે.

શું આ થેરાપી અસરકારક છે ?

બેકટેરીયાથી લાગતા ચેપનો સામનો કરવા માટે આપણી પાસે અસરકારક એન્ટીબાયોટિક્સ છે. આમ છતાં આપણી પાસે અસરકારક એન્ટીવાયરલ્સ નથી. જ્યારે પણ કોઈ નવો વાયરલ આવી પડે છે ત્યારે તેની સારવાર થઈ શકે તેવું કોઈ ઔષધ આપણી પાસે હોતું નથી. આ અગાઉ પણ ભૂતકાળમાં વાયરસ પ્રસરતાં કોનવેલેસન્ટ- સિરમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વર્ષ 2009-2010ના H1N1 ઈન્ફ્લુએન્ઝા વાયરસથી રોગચાળો ફાટી નિકળ્યો ત્યારે પણ ઘનિષ્ઠ સારવાર માગી લેતાં ચેપી પેસીવ દર્દીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પેસીવ એન્ટીબૉડી સારવારથી ક્લિનિકલ સુધારો થયેલો જોવા મળ્યો હતો. વાયરલનો બોજો ઓછો થયો હતો અને મૃત્યુ દર પણ ઘટ્યો હતો. આ સારવાર પ્રક્રિયા વર્ષ 2018માં ઈબોલા ફાટી નિકળ્યો ત્યારે પણ ઉપયોગી બની હતી.

શું તે સલામત છે ?

વર્તમાન સમયની બ્લડ બેંકીંગ ટેકનિક વડે લોહીમાં પેદા થયેલા પેથોજનનું સબળ સ્ક્રીનીંગ થઈ શકે છે. રક્ત આપનાર અને રક્ત સ્વિકારનારનું રક્ત મેચ કરવાનું પણ હવે મુશ્કેલ નથી. આ કારણે જાણીતા ચેપી એજન્ટસ અથવા તો લોહી આપવાના કારણે પેદા થતા રિએક્શનનું પ્રમાણ ઘટ્યું છે. જે રીતે આપણે રક્તદાનમાં કરીએ છીએ તેમ વ્યક્તિનું બ્લડ ગ્રુપ અને Rh કોમ્પીટિબીલિટી પણ ચકાસવાની રહે છે. જે લોકોનું બ્લડ ગ્રુપ મેચ થતું હોય તે જ લોકો રક્ત આપી શકે છે કે સ્વિકારી શકે છે. વ્યક્તિઓ રક્તદાન કરે તે પહેલાં તેમની આકરી ચકાસણી અને ટેસ્ટ કરીને કેટલાક ફરજીયાત પરિબળો ચકાસવાના રહેશે. તેમણે હિપેટાઈટીસ, એચઆઈવી, મેલેરિયા અને અન્ય કેટલાક ટેસ્ટ આપવા પડશે અને તેમનું લોહી અન્ય પેથોજન ધરાવતું નથી તેની ખાતરી થયા પછી જ રક્તનો ઉપયોગ કરવામાં આવશે તેમ એસસીટીઆઈએમએસટીના ડૉ. અશોક કિશોરે જણાવ્યું હતું.

એન્ટીબોડીઝ સ્વિકારનારના શરીરમાં કેટલો સમય રહેશે ?

એન્ટીબોડી સિરમ આપવામાં આવે તે પછી સ્વિકારનારના શરીરમાં તે ઓછામાં ઓછા ત્રણ થી ચાર દિવસ રહેશે. આ ગાળા દરમિયાન બિમાર વ્યક્તિ સારી થવા લાગશે. અમેરિકા અને ચીનમાં થયેલા સંશોધન અહેવાલમાં જાણવા મળ્યું છે કે ટ્રાન્સફ્યુઝન પ્લાઝમાના લાભદાયી અસર પ્રથમ ત્રણ કે ચાર દિવસમાં થતી હોય છે, તે પછી નહીં.

પડકારોઃ

આ થેરાપીનો ઉપયોગ કરવો સરળ નથી. મુખ્ય બાબત એ છે કે સાજા થયેલા દર્દીનું નોંધપાત્ર પ્રમાણમાં પ્લાઝમા મેળવવાનું હોય છે. કોરોનાવાયરસ જેવા રોગ કે જેમાં મોટાભાગના દર્દીઓ વૃદ્ધ હોય છે અને હાયપર ટેન્શન, ડાયાબિટીસ તથા અન્ય તબીબી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હોવાથી સાજા થયેલા તમામ દર્દીઓ સ્વેચ્છાએ રક્તદાન કરી શકતા નથી.

GP/RP

*****



(Release ID: 1613498) Visitor Counter : 808