ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે કોવિડ-19 સામે લડવા લૉકડાઉનનાં તમામ પગલાનાં કડક પાલનની સુનિશ્ચિત કરવા અને કોઈ પણ સામાજિક/ધાર્મિક કાર્યક્રમ/સમારંભ ન યોજાય એ સુનિશ્ચિત કરવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી

Posted On: 10 APR 2020 3:58PM by PIB Ahmedabad

એપ્રિલ, 2020ના મહિનામાં આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોને કોવિડ-19 મહામારી સામેના સંઘર્ષમાં લૉકડાઉનનાં તમામ પગલાંઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા અને કોઈ પણ પ્રકારનાં સામાજિક/ધાર્મિંક મિલન/સમારંભને મંજૂરી ન આપવાની સૂચના આપી હતી.

લૉકડાઉન સાથે સંબંધિત પગલાં પર સંપૂર્ણ માર્ગદર્શિકામાં ઉલ્લેખ કર્યા મુજબ ચોક્કસ પ્રતિબંધો પર જિલ્લા વહીવટીતંત્રો અને ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓને જાણકારી આપવામાં આવી હતી. તેમને જણાવવામાં આવ્યું છે કે જિલ્લા વહીવટીતંત્રો અને ફિલ્ડ સંસ્થાઓએ કાયદો અને વ્યવસ્થા જાળવવા, શાંતિ અને જાહેર શાંતિ જાળવવા સાવચેતી/તકેદારીનાં તમામ પગલાં લેવા જોઈએ. કોઈ પણ પ્રકારની વાંધાજનક વિગતોનો પ્રસાર અટકાવવા સોશિયલ મીડિયા પર ઉચિત નજર રાખવી પડશે એવું આ પત્રમાં ઉમેરવામાં આવ્યું છે.

આ પત્રમાં વધુમાં વિનંતી કરવામાં આવી છે કે, જાહેર વહીવટીતંત્ર, સામાજિક/ધાર્મિક સંસ્થાઓ અને નાગરિકોનાં ધ્યાનમાં આવે એ માટે માર્ગદર્શિકાની સંબંધિત જોગવાઈઓનો બહોળો પ્રચાર કરવો જોઈએ. એમાં ઉમેરવામાં આવ્યું છે કે, લૉકડાઉનનાં પગલાનું કોઈ પણ પ્રકારનું ઉલ્લંઘન આપત્તિ વ્યવસ્થાપન ધારા, 2005ની પ્રસ્તુત દંડાત્મક જોગવાઈને આધિન છે અને કાયદાનો અમલ કરનાર સંસ્થાઓ દ્વારા આઇપીસી હેઠળ પણ કાર્યવાહી થવી જોઈએ.

દેશમાં કોવિડ-19 મહામારીના નિયંત્રણ માટે ભારત સરકાર, રાજ્ય સરકારો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો તથા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટીતંત્રો દ્વારા હાથ ધરવામાં આવેલા લૉકડાઉનનાં પગલાં સંપૂર્ણ માર્ગદર્શિકાની અધિસૂચના ગૃહ મંત્રાલયે 24.03.2020નાં રોજ આપી હતી તથા 25.03.2020, 27.03.2020, 02.04.2020 અને 03.04.2020ના રોજ એમાં વધુ સુધારા-વધારા કરવામાં આવ્યાં હતાં. સંપૂર્ણ માર્ગદર્શિકાની જોગવાઈ 9 અને 10માં જણાવવામાં આવ્યું છે કે, કોઈ પણ પ્રકારની અપવાદરૂપ સ્થિતિ વિના કોઈ પણ ધાર્મિક સંમેલનને મંજૂરી આપવામાં નહીં આવે તથા તમામ સામાજિક/સાંસ્કૃતિક/ધાર્મિક કાર્યક્રમો/સમારંભો પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
 



(Release ID: 1612982) Visitor Counter : 173