પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ લોકોને ગભરાઈ ન જવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા વિનંતી કરી


પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, ડૉક્ટરોની સલાહ અને સૂચનો માનો

નાગરિકોને સતત સેવા પ્રદાન કરવા માટે આઇટી વ્યાવસાયિકો અને કર્મચારીઓની પ્રશંસા કરી

Posted On: 21 MAR 2020 7:33PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોકોને ગભરાઈ ન જવા અને બિનજરૂરી અવરજવર કે પ્રવાસ ટાળવા વિનંતી કરી છે. જ્યારે પ્રધાનમંત્રીએ દરેકને ડૉક્ટરો દ્વારા આપવામાં આવતી સલાહને ધ્યાનપૂર્વક સાંભળવાની અપીલ કરી છે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જે લોકોને ઘરમાં ક્વૉરેન્ટાઇનમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે એમણે સૂચનાઓનું પાલન કરવું જોઇએ.

પ્રધાનમંત્રીએ એક પછી એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, “ક્યારેય ભૂલશો નહીં સાવચેતી જાળવવાની છે, ગભરાઈ જવાનું નથી! તમારા ઘરમાં રહેવાની સાથે તમારા શહેર/નગરમાં રહેવું એટલું જરૂરી છે. બિનજરૂરી પ્રવાસ કરવાથી તમને કે અન્ય કોઈને મદદ મળશે નહીં. આ પ્રકારનાં પડકારજનક સમયમાં આપણો દરેક પ્રયાસ મોટી અસર કરશે.

આ સમયે આપણે ડૉક્ટરો અને સત્તામંડળોની સલાહને ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ અને એનો અમલ કરવો જોઈએ. જે લોકોને ઘરમાં ક્વારેન્ટાઇનમાં રહેવાનું જણાવવામાં આવ્યું છે, તેઓ સૂચનાઓનું પાલન કરે એવી મારી વિનંતી છે. એનાથી તમારું અને તમારા પરિવારજનો અને મિત્રોનું રક્ષણ થશે.

નાગરિકોને પોતાની સેવા પ્રદાન કરતા આઇટી વ્યાવસાયિકો અને કર્મચારીઓની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, કોવિડ-19 સામે લડવામાં તેમની ભૂમિકા ઉત્કૃષ્ટ રહી છે અને આગામી વર્ષોમાં યાદ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, “તેઓ ખરાં હીરો છે. તેઓ અભૂતપૂર્વ વ્યક્તિઓ છે, જેમની ઉત્કૃષ્ટ ભૂમિકાને આગામી વર્ષોમાં યાદ રાખવામાં આવશે.

તેમણે ઉમેર્યું હતું કે, "સંપૂર્ણપણે સાચી વાત છે! ભારતને આપણા આઇટી વ્યાવસાયિકો પર અતિ ગર્વ છે, જેઓ નાગરિકોને સતત સેવા પ્રદાન કરવા મહેનત કરી રહ્યાં છે. ઇનોવેટર્સ અને ઔદ્યોગિક વ્યાવસાયિકોનો આ સમુદાય કોવિડ-19 સામે લડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.”  #IndiaFightsCorona

RP



(Release ID: 1607575) Visitor Counter : 203