પ્રધાનમંત્રીનું કાર્યાલય

લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચનના આભાર પ્રસ્તાવની ચર્ચા ઉપર પ્રધાનમંત્રીનો જવાબ




લોકો ઝડપ, વ્યાપ અને દ્રઢ નિશ્ચય તથા નિર્ણાયકતા ઈચ્છે છેઃ પ્રધાનમંત્રી


ખેતી અંગેના બજેટમાં પાંચ ગણો વધારો કરાયો છે, પ્રધાનમંત્રી


સરકારનું વધુ મૂડી રોકાણ, બહેતર માળખાગત સુવિધાઓ અને મહત્તમ રોજગાર નિર્માણનું વિઝન

Posted On: 06 FEB 2020 5:07PM by PIB Ahmedabad

લોકસભામાં રાષ્ટ્રપતિના પ્રવચન ઉપર આભાર પ્રસ્તાવની ચર્ચામાં જવાબ આપતાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું પ્રવચન આપણામાં આશાની ભાવના જન્માવે છે અને રાષ્ટ્રને આગામી સમયમાં આગળ લઈ જવાનો રોડમેપ રજૂ કરે છે.

 

પ્રધાનમંત્રીનું આ પ્રવચન એવા સમયે આવ્યું છે કે જ્યારે આપણે આ સદીના ત્રીજા દાયકામાં પ્રવેશી રહ્યા છીએ. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિજીનું પ્રવચન આપણામાં આશાની ભાવના જન્માવે છે તથા રાષ્ટ્રને આગામી સમયમાં આગળ ધપાવવા માટેનો રોડમેપ પણ દર્શાવે છે.

 

પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશના લોકો હવે પ્રતિક્ષા કરવા તૈયાર નથી. તેમને ઝડપ અને વ્યાપ તથા દ્રઢ નિશ્ચય અને નિર્ણાયકતા, સંવેદનશીલતા અને ઉપાયોની જરૂર છે. આપણી સરકાર ઝડપી ગતિએ કામ કરી રહી છે અને એનું પરિણામ એ આવ્યું છે કે પાંચ વર્ષના ગાળામાં 37 મિલિયન લોકોને બેંકના ખાતા મળ્યા છે. 11 મિલિયન લોકોને તેમના ઘરમાં ટોયલેટ મળ્યા છે. 13 મિલિયન લોકોનાં ઘરમાં રાંધણ ગેસ છે. આજે બે કરોડ લોકો માટે પોતાનું ઘરનું ઘર હોવાનું સપનું સાકાર થયું છે. પોતાનું ઘર પ્રાપ્ત કરવામાં લાંબી પ્રતિક્ષાના કારણે દિલ્હીના 40 લાખથી વધુ લોકો 1700થી વધુ ગેરકાયદે કોલોનીઓમાં વસતા હતા.

 

 

કૃષિ બજેટમાં પાંચ ગણો વધારો થયો

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે ખેડૂતોની આવક વધારવી તે અમારી અગ્રતા છે. ટેકાના લઘુતમ ભાવ, પાક વીમો અને સિંચાઈ સંબંધી યોજનાઓ દાયકાઓથી પડતર રહી હતી. અમે ટેકાના ભાવમાં દોઢ ગણો વધારો તો કર્યો જ પણ, સંપૂર્ણપણે અટકી ગયેલી સિંચાઈ યોજનાઓ માટે પણ રૂ.1 લાખ કરોડનો ખર્ચ કર્યો છે.

 

તેમણે જણાવ્યું હતું કે સાડા પાંચ કરોડથી વધુ ખેડૂતો પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં જોડાયા હતા. ખેડૂતોએ સાડા તેર કરોડ રૂપિયાનું પ્રિમિયમ ભર્યું છે અને તેમના રૂ.56 હજાર કરોડથી વધુ રકમના દાવાઓની પતાવટ થઈ છે

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારની મુદત દરમ્યાન ખેતી અંગેનું બજેટ પાંચ ગણું વધ્યું છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાથી ઘણાં ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. રૂ.45 હજાર કરોડની રકમ તબદીલ કરવામાં આવી છે અને આ યોજનાના કારણે ઘણાં ખેડૂતોને લાભ થયો છે. આ યોજનામાં કોઈ વચેટિયો નથી કે કોઈ વધારાનું ફાઈલ વર્ક પણ કરવું પડતું નથી. અમારૂં વિઝન બહેતર મૂડી રોકાણ અને મહત્તમ રોજગાર નિર્માણનું છે.

 

લોકસભામાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારે નાણાંકીય ખાધને નિયંત્રણમાં રાખી છે. ભાવ વધારો પણ નિયંત્રણમાં છે અને મેક્રો ઈકોનોમિક સ્થિર છે.

 

શ્રી મોદીએ જણાવ્યુ હતું કે સરકારે લીધેલા ઘણાં પગલાંઓના કારણે રોકાણકારોના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને દેશનું અર્થતંત્ર મજબૂત થયું છે.

 

તેમણે જણાવ્યુ હતું કે અમે ઘણાં ક્ષેત્રોમાં પહેલ કરી છે, જેમાં ઉદ્યોગ, સિંચાઈ, સામાજીક માળખાગત સુવિધાઓ, ગ્રામ્ય માળખાગત સુવિધાઓ, બંદરો અને જળ માર્ગોનો સમાવેશ થાય છે.

 

સ્ટેન્ડઅપ ઈન્ડિયા અને મુદ્રા જેવી યોજનાઓથી ઘણાં લોકોની સમૃધ્ધિમાં વધારો થયો છે. મુદ્રા યોજનાના લાભાર્થીઓમાં મહિલાઓની સંખ્યા ઘણી મોટી છે. મુદ્રા યોજના હેઠળ રૂ.22 કરોડની રકમ મંજૂર થઈ છે અને તેનાથી કરોડો યુવાનોને ફાયદો થયો છે.

 

પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે અમારી સરકાર શ્રમ સુધારાઓ ઉપર કામ કરી રહી છે અને તે માટે કામદાર સંગઠનો સાથે પરામર્શ કરવામાં આવ્યો છે.

 

પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અમારા માટે માળખાગત સુવિધાઓએ મહેચ્છાઓ અને સિધ્ધિઓનો સમન્વય છે. તેમાં લોકોને તેમનાં સપનાંઓ સાથે જોડવાનો સમાવેશ થાય છે તથા લોકોની ગ્રાહકો તરફની સર્જકતામાં વૃધ્ધિ થાય છે. માળખાગત સુવિધાઓ બાળકોને તેમની શાળા સાથે જોડે છે, ખેડૂતોને તેમના બજાર સાથે જોડે છે અને વેપારીઓને તેમના ગ્રાહકો સાથે જોડે છે. આ લોકોને લોકો સાથે જોડતી બાબત છે.

 

પ્રધાનમંત્રીશ્રીએ આ વિષય પર વધુમાં જણાવ્યુ હતું કે જે બાબતો ભારતને પ્રગતિ તરફ લઈ જશે તેમાં નવા યુગની માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે.

 

તેમણે જણાવ્યું હતું કે પહેલા માળખાગત સુવિધાઓનું સર્જન કેટલાક લોકો માટે આર્થિક તકો ઉભી કરતું હતું . હવે આવી સ્થિતિ રહી નથી. અમે આ ક્ષેત્રને પારદર્શક બનાવ્યું છે અને કનેક્ટીવિટીને વેગ આપવાની દિશામાં કામ કરી રહ્યા છીએ.

 

આગામી દિવસોમાં અમે માળખાગત સુવિધાઓના ક્ષેત્રોમાં રૂ.100 લાખ કરોડનું મૂડી રોકાણ કરવાના છીએ અને તેનાથી અર્થતંત્ર અને રોજગારીમાં વૃધ્ધિ થશે તેમ તેમણે જણાવ્યું હતું.

 

SD/GP/DS



(Release ID: 1602328) Visitor Counter : 260