ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ચોક્કસ ડેટા અસરકારક સુશાસન અને યોગ્ય લાભાર્થીઓ સુધી લાભો પહોંચાડવા માટે અતિ આવશ્યક: ઉપરાષ્ટ્રપતિ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વથી ડિજિટલ વ્યવહારોને ગતિ મળી અને સમાંતર અર્થતંત્ર ઘટાડવામાં મદદ મળી: ઉપરાષ્ટ્રપતિ
જમીની વાસ્તવિકતાઓને સમજવા માટે સ્ટેટિસ્ટિશિયન્સ (આંકડાશાસ્ત્રીઓ) માટે ક્ષેત્રીય અનુભવ અત્યંત મહત્વપૂર્ણ: ઉપરાષ્ટ્રપતિ
ડેટા-સંચાલિત સુશાસન પ્રણાલીના નિર્માણમાં ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ (ISS) ના અધિકારીઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે: આઈએસએસ (ISS) ઓફિસર ટ્રેઇનીઓને સંબોધતા ઉપરાષ્ટ્રપતિ
प्रविष्टि तिथि:
18 AUG 2026 7:27PM by PIB Ahmedabad
ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસ (ISS) ની 2026 બેચના ઓફિસર ટ્રેઇનીઓએ આજે ઉપરાષ્ટ્રપતિ ભવન ખાતે ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન સાથે મુલાકાત કરી હતી. 16 મહિલાઓ સહિત 34 યુવા અધિકારીઓ સાથે વાર્તાલાપ કરતા ઉપરાષ્ટ્રપતિએ આ પ્રતિષ્ઠિત સેવામાં જોડાવા બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે મહિલાઓના વધતા પ્રતિનિધિત્વથી ભારતની 'મહિલા સશક્તિકરણથી મહિલા નેતૃત્વ હેઠળના વિકાસ' તરફની યાત્રા પ્રતિબિંબિત થાય છે.
સચોટ અને વિશ્વસનીય ડેટાની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂકતા શ્રી સી. પી. રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે, "જો ડેટા યોગ્ય નહીં હોય, તો કોઈ નિર્ણય યોગ્ય હોઈ શકે નહીં." તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વિશ્વસનીય ડેટા વિના, અસરકારક આયોજન, સંસાધનોની ફાળવણી અને સરકારી યોજનાઓનું અમલીકરણ શક્ય બનશે નહીં. જો ઈચ્છિત લાભાર્થીઓની યોગ્ય ઓળખ ન થાય તો દુર્લભ સંસાધનો પણ વેડફાઈ શકે છે. તેમણે ચેતવણી આપતા કહ્યું, "ડેટા ચોક્કસ રીતે એકત્રિત થવો જોઈએ અને યોગ્ય સમયે ઉપલબ્ધ કરાવવો જોઈએ," જો પાયાનો ડેટા ખોટો હશે, તો રાષ્ટ્રીય પડકારોના યોગ્ય ઉકેલોની ઓળખ કરવી મુશ્કેલ બની જશે.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે અધિકૃત આંકડા એ માત્ર સંખ્યાઓ નથી પરંતુ સુશાસનના સાધનો છે જે રાજ્યને સમજવામાં મદદ કરે છે કે દેશ, તેના લોકો અને સમાજના વિવિધ વર્ગો ક્યાં ઊભા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારી કાર્યક્રમોના અસરકારક અમલીકરણ માટે ક્ષેત્રીય અનુભવ, સચોટ ડેટા સંગ્રહ, યોગ્ય જાળવણી અને ડેટાની સમયસર પ્રસ્તુતિ આવશ્યક છે. તેમણે કહ્યું, "યોજનાની સફળતા કે નિષ્ફળતા નોંધપાત્ર રીતે ડેટાની ગુણવત્તા પર આધારિત છે," તેમણે એ સુનિશ્ચિત કરવામાં આંકડાશાસ્ત્રીઓની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો કે સરકારી કાર્યક્રમોના ઇચ્છિત લાભો પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચે.
શ્રી સી. પી. રાધાકૃષ્ણને ડિજિટલ ડેટાબેઝ, જીએસટી ડેટા અને હાઇ-ફ્રીક્વન્સી ઇકોનોમિક માહિતી સહિત ભારતની આંકડાકીય અને વહીવટી ડેટા ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. ડિજિટલ વ્યવહારોમાં થયેલા પરિવર્તનનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વથી તેમના વિસ્તરણમાં નોંધપાત્ર યોગદાન મળ્યું છે અને સમાંતર અર્થતંત્રને ઘટાડવામાં મદદ મળી છે. તેમણે આર્થિક ગણતરીઓ માટે યોગ્ય બેઝ યર અને દેશની વાસ્તવિક વૃદ્ધિના સચોટ માપનનું મહત્વ પણ રેખાંકિત કર્યું હતું. સાથે જ, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે માત્ર આર્થિક સૂચકાંકો માનવ કલ્યાણનું પૂરું ચિત્ર રજૂ કરી શકતા નથી, જેમાં આનંદ અને જીવનની ગુણવત્તા જેવા પરિમાણો પણ મહત્વપૂર્ણ છે.
"આંકડા તેનું મૂલ્ય વિશ્વાસમાંથી મેળવે છે" તેના પર ભાર મૂકતા ઉપરાષ્ટ્રપતિએ યુવા અધિકારીઓને વ્યાવસાયિક અને નૈતિક અખંડિતતા, રાજકીય તટસ્થતા, ગોપનીયતા અને નિષ્પક્ષતા જાળવવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે માત્ર ઔપચારિક ચેષ્ટાઓ કરવાને બદલે જવાબદારીઓનું કાર્યક્ષમતા અને નિષ્ઠાપૂર્વક પાલન એ જ સાચું સન્માન છે જે અધિકારીઓ તેમના વરિષ્ઠોને આપી શકે છે. તેમણે ઓફિસર ટ્રેઇનીઓને સતત શીખવાની ટેવ કેળવવા, ક્ષેત્રીય અનુભવથી શીખવા અને વરિષ્ઠો, સહકર્મીઓ તથા તાબાના કર્મચારીઓ પાસેથી શીખવા માટે ખુલ્લા રહેવા આહ્વાન કર્યું હતું.
શ્રી સી. પી. રાધાકૃષ્ણને યુવા અધિકારીઓને જિજ્ઞાસુ, મજબૂત અને નવીનતા માટે તૈયાર રહેવા સાથે વ્યાવસાયિક સ્વતંત્રતા પર ક્યારેય નમતુ ન જોખવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે 'વિકસિત ભારત@2047' માટે એક મજબૂત આંકડાકીય પ્રણાલીના નિર્માણમાં "વિકાસ માટે ડેટા" અને ડેટા-સંચાલિત નિર્ણય લેવાની પ્રક્રિયા મહત્વપૂર્ણ રહેશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે 2026 ની બેચ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસની શ્રેષ્ઠ પરંપરાઓને જાળવી રાખશે અને ડેટા-સંચાલિત સિસ્ટમમાં અર્થપૂર્ણ યોગદાન આપશે જે લોકો સુધી મૂર્ત લાભો પહોંચાડે છે.
આ પ્રસંગે સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના સચિવ ડૉ. સૌરભ ગર્ગ; ડાયરેક્ટર જનરલ (ડેટા ગવર્નન્સ) શ્રી પી. આર. મેશ્રામ; મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ અને ઓફિસર ટ્રેઇનીઓ ઉપસ્થિત રહ્યા હતા.
SM/NP/JD
(रिलीज़ आईडी: 2300991)
आगंतुक पटल : 9