પ્રધાનમંત્રીનું કાર્યાલય
FAOના એગ્રીકોલા મેડલ માટે પ્રધાનમંત્રીનું સ્વીકૃતિ ભાષણ
પોસ્ટેડ ઓન:
20 MAY 2026 11:00PM by PIB Ahmedabad
FAOના મહાનિર્દેશક,
મહામહિમ,
દેવીઓ અને સજ્જનો,
નમસ્કાર!
અમારા શાનદાર સ્વાગત અને ‘એગ્રી-કોલા મેડલ’ (Agricola Medal)થી સન્માનિત કરવા માટે હું FAOના ડાયરેક્ટર જનરલનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ભારત પ્રત્યે તેમના મિત્રતાભર્યા શબ્દો અને FAO માં તેમના વર્ષોના યોગદાન માટે હું તેમનું અભિનંદન કરું છું.
આ માત્ર મારું સન્માન નથી. આ ભારતના કરોડો ખેડૂતો, પશુપાલકો, મત્સ્ય પાલકો, કૃષિ વૈજ્ઞાનિકો અને આપણા શ્રમિકોનું સન્માન છે. આ ભારતની તે અતૂટ પ્રતિબદ્ધતાનું પણ સન્માન છે, જેના કેન્દ્રમાં માનવ કલ્યાણ, ખાદ્ય સુરક્ષા અને ટકાઉ વિકાસ છે. હું આ મેડલને અત્યંત વિનમ્રતા સાથે સ્વીકારતા ભારતના અન્નદાતાઓને આ મેડલ સમર્પિત કરું છું.
મિત્રો,
ભારતીય સભ્યતામાં કૃષિ માત્ર પાક ઉગાડવાનું જ માધ્યમ નથી. તેને મનુષ્ય અને ધરતી માતા વચ્ચેના એક ઊંડા અને પવિત્ર સંબંધનો દરજ્જો આપવામાં આવ્યો છે.
ભારતમાં કૃષિ જીવનની મૂળ ધારા છે. આપણી સંસ્કૃતિનો અભિન્ન અંગ છે. આપણા જીવન મૂલ્યોનું પ્રતિબિંબ છે. આપણે ત્યાં ધરતીને ‘માં’ કહેવામાં આવે છે, અને ખેડૂતને ‘ધરતી પુત્ર’ની સંજ્ઞા આપવામાં આવે છે. હજારો વર્ષ જૂના આ જ મૂલ્યો આજે પણ આપણા પ્રયાસોની પ્રેરણા છે.
મિત્રો,
હજારો વર્ષોની શીખ અને ભારતની કૃષિ પરંપરાની સાથે, આજે આપણો દેશ કૃષિ ક્ષેત્રમાં સાયન્સ, ટેક્નોલોજી અને નવીનતા પ્રેરિત અભિગમને લઈને આગળ વધી રહ્યો છે.
આપણે માત્ર ઉત્પાદન વધારવા માટે જ નહીં, એક એવું કૃષિ નિવસનતંત્ર બનાવવા માટે પણ કામ કરી રહ્યા છીએ, જે ટકાઉ પણ હોય, આબોહવા-સ્થિતિસ્થાપક પણ હોય અને ભવિષ્ય માટે તૈયાર પણ હોય. અને એટલા માટે જ પૂરા ભારતમાં વૈજ્ઞાનિક કૃષિને મિશન મોડમાં આગળ વધારવામાં આવી રહ્યું છે.
સોઇલ હેલ્થ કાર્ડ્સની મદદથી આપણે ખેડૂતોને માટીનું વૈજ્ઞાનિક પરીક્ષણ અને પોષક તત્વો આધારિત માર્ગદર્શન આપી રહ્યા છીએ.
"પર ડ્રોપ મોર ક્રોપ” જેવા અભિયાન સૂક્ષ્મ સિંચાઈ અને ચોકસાઈપૂર્વકની ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે, જેથી ખેડૂતોને ઓછા પાણીમાં વધારે પાક મળી શકે.
મિત્રો,
ટેકનોલોજી આજે ભારતીય કૃષિની નવી તાકાત બની રહી છે. એગ્રીસ્ટેક જેવા ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સલાહકાર પ્રણાલી, ડ્રોન્સ, રિમોટ સેન્સિંગ ટેકનોલોજી અને સેન્સર આધારિત મશીનરી ભારતમાં ખેતીને વધુ સ્માર્ટ અને ડેટા આધારિત બનાવી રહ્યા છે. આજે ગામડાનો નાનો ખેડૂત પણ મોબાઈલ ટેકનોલોજીના માધ્યમથી હવામાનની અપડેટ્સ, પાકની સલાહ અને બજારની માહિતી સુધી પહોંચી રહ્યો છે. અને ભારત આબોહવા-સ્થિતિસ્થાપક કૃષિ પર પણ ઝડપથી કામ કરી રહ્યું છે. છેલ્લા 10 વર્ષોમાં દેશમાં આશરે 3,000 આબોહવા-સ્થિતિસ્થાપક પાકની જાતો વિકસિત કરવામાં આવી છે. ત્રણ હજાર. દેશના કરોડો ખેડૂતોને આનાથી લાભ મળી રહ્યો છે.
મિત્રો,
આપણે માનીએ છીએ કે ખેતીનું ભવિષ્ય માત્ર "વધુ ઉત્પાદન કરો”માં નહીં પરંતુ "સારું ઉત્પાદન કરો”માં છે. આ જ વિચાર સાથે જૈવવિવિધતા વધારવા અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઓછી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. ભારતનો અનુભવ દુનિયાને એ બતાવી રહ્યો છે કે વ્યાપ અને ટકાઉપણું સાથે-સાથે ચાલી શકે છે, ટેકનોલોજી અને સમાવેશીતા એકબીજાને મજબૂત કરી શકે છે, અને વિજ્ઞાન આધારિત કૃષિ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા નો મજબૂત આધાર બની શકે છે.
મિત્રો,
આજે ભારતમાં કૃષિનું સ્વરૂપ ઝડપથી બદલાઈ રહ્યું છે. ભારત અનાજ પુરવઠામાં સરપ્લસ ધરાવતો દેશ હોવાની સાથે-સાથે વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. દૂધ અને મસાલાના ઉત્પાદનમાં ભારત સૌથી આગળ છે. ચોખા, ઘઉં, ફળો, શાકભાજી અને કપાસના ઉત્પાદનમાં પણ ભારત અગ્રણી દેશોમાં સામેલ છે. ભારતની કૃષિ નિકાસ 2020માં 35 બિલિયન ડોલરથી વધીને ગત વર્ષે 51 બિલિયન ડોલરનો આંકડો પાર કરી ચૂકી છે.
મિત્રો,
આ ઉપલબ્ધિઓ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ભારત પાસે વિશ્વની માત્ર 2.5% કૃષિ ભૂમિ છે, પરંતુ દુનિયાની 18% વસ્તી ભારતમાં છે. ભારતનો સફળ અનુભવ પૂરા ગ્લોબલ સાઉથ (Global South) ને નવા આત્મવિશ્વાસ સાથે આગળ વધવા માટે પ્રેરિત કરે છે. આપણા માટે ખાદ્ય સુરક્ષા માત્ર નીતિગત બાબત નથી, આ માનવતા પ્રત્યેની આપણી જવાબદારી છે.
મિત્રો,
ભારતનો એફએઓ (FAO)ની સાથે સહયોગ દાયકાઓ જૂનો છે. આપણને ગર્વ છે કે ડોક્ટર સ્વામીનાથન અને ડોક્ટર બીનોય રંજન સેન જેવા મહાન વૈજ્ઞાનિકોએ એફએઓ (FAO) સાથે જોડાઈને વૈશ્વિક ખાદ્ય સુરક્ષામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. ભારતનું હંમેશાંથી માનવું રહ્યું છે કે વિજ્ઞાન, નીતિ અને માનવીય મૂલ્યો જ્યારે સાથે આવે છે, ત્યારે ઇતિહાસ બદલાય છે. સ્થાપક સભ્યના રૂપમાં ભારતે FAO સાથે મળીને વૈશ્વિક ખાદ્ય સુરક્ષા, ટકાઉ કૃષિ અને ભૂખમરા મુક્ત વિશ્વના લક્ષ્યને આગળ વધારવામાં સક્રિય ભૂમિકા ભજવી છે. આપણી ભાગીદારીનું સૌથી સારું ઉદાહરણ આપણને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ દરમિયાન જોવા મળ્યું. એફએઓ (FAO)ના સહયોગથી દુનિયાએ મિલેટ્સની શક્તિને નવા સ્વરૂપે ઓળખી. આપણે આગળ પણ ખભેથી ખભો મિલાવીને કામ કરતા રહીશું. અને મેં જોયું છે કે જ્યારે પણ હું મિલેટ્સ વિશે ચર્ચા કરું છું, ત્યારે દરેક વ્યક્તિનું ધ્યાન આ વાત પર જાય છે, પોષણ પર પરંતુ મિલેટ્સ એક પ્રકારે પર્યાવરણને અનુકૂળ પાક છે. ઓછામાં ઓછા પાણીની જરૂર પડે છે અને રાસાયણિક ખાતરો વિના તે ઉગે છે. અને ભારત એક એવો દેશ છે જ્યાં 85% ખેડૂત, એક પ્રકારે ખૂબ ઓછી ખેતી કરવાવાળા, ખૂબ ઓછી જમીનવાળા ખેડૂતો છે. જ્યાં આગળ સિંચાઈની સુવિધા નથી, જ્યાં માત્ર વરસાદ પર નિર્ભર રહેવું પડે છે, ત્યાંના ખેડૂતો મિલેટ્સની ખેતીના માધ્યમથી પોષણની ચિંતા તો કરે જ કરે છે, પરંતુ સાથે સાથે પર્યાવરણની સૌથી મોટી સેવા કરે છે.
મિત્રો,
ભારતમાં આપણે કહીએ છીએ: ‘જય જવાન, જય કિસાન’ જ્યારે ખેડૂત એક બીજ વાવે છે, ત્યારે તે માત્ર પાક નથી ઉગાડતો, તે આવનારી પેઢીઓ માટે વિશ્વાસ વાવે છે. આજે જ્યારે વિશ્વ અનિશ્ચિતતા અને અસ્થિરતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોનું યોગદાન હજુ પણ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. આજે જે સન્માન આપવામાં આવ્યું છે, તે ભારતના દરેક ખેડૂતનો સંકલ્પ વધુ મજબૂત કરશે. અને આગળ પણ ભૂખમરો, ગરીબીઅને કુપોષણના વિરુદ્ધ વૈશ્વિક પ્રયાસોમાં ભારત પૂરી પ્રતિબદ્ધતાથી પોતાનું યોગદાન આપતું રહેશે. અને જેવું જણાવવામાં આવ્યું કે કાલે તમે ચા નો દિવસ ઉજવવાના છો, તો ચા નો દિવસ ઉજવવા માટે ચાવાળો એક દિવસ પહેલાં જ તમારી વચ્ચે આવી ગયો છે. અને ભારતની ચા ની વિવિધતા પણ બહુ છે અને ચા ની તાકાત પણ બહુ છે.
એક વાર ફરી એફએઓ (FAO)ના મહાનિર્દેશકનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
IJ/GP/JT
(રીલીઝ આઈડી: 2264716)
મુલાકાતી સંખ્યા : 9