રાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના રાષ્ટ્રપતિએ સાયપ્રસના રાષ્ટ્રપતિની યજમાની કરી
ટેકનોલોજી અને ઈનોવેશન ભારત-સાયપ્રસ સંબંધોના સૌથી વધુ પ્રગતિશીલ ક્ષેત્રો તરીકે ઉભરી આવ્યા છે: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
પોસ્ટેડ ઓન:
22 MAY 2026 9:23PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (22 મે, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે સાયપ્રસ પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી નિકોસ ક્રિસ્ટોડોલિડ્સનું સ્વાગત કર્યું હતું. તેમણે તેમના સન્માનમાં સ્ટેટ બેન્ક્વેટ (રાત્રિભોજ) નું પણ આયોજન કર્યું હતું.

રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડ્સ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારત અને સાયપ્રસ વિશ્વાસ અને સદ્ભાવના પર આધારિત ગાઢ સંબંધો ધરાવે છે. આપણા દ્વિપક્ષીય સંબંધો વ્યૂહાત્મક ભાગીદારી (સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ) ના સ્તર સુધી પહોંચ્યા છે, જે ભારત-સાયપ્રસ સંબંધોમાં વધતી જતી પરિપક્વતા, ઊંડાણ અને પરસ્પર વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
રાષ્ટ્રપતિએ એ નોંધતા આનંદ વ્યક્ત કર્યો હતો કે ભારત-સાયપ્રસ સંબંધો સંરક્ષણ અને સુરક્ષા, ટેકનોલોજી, નાણાકીય સેવાઓ, કનેક્ટિવિટી અને દરિયાઈ સહયોગ જેવા અગ્રતાના ક્ષેત્રોમાં વિસ્તરતા સહયોગ સાથે એક નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ભારતમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) ના મુખ્ય સ્ત્રોતોમાં સાયપ્રસ સતત સામેલ રહ્યું છે. સાયપ્રસની કંપનીઓ ભારત સાથે વેપાર અને રોકાણ સંબંધો વિસ્તારવામાં વધુ રસ દાખવી રહી છે. ભારતનું વિશાળ બજાર, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદન (મેન્યુફેક્ચરિંગ) ક્ષમતાઓ સાયપ્રસની કંપનીઓ અને રોકાણકારો માટે અપાર તકો પૂરી પાડે છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ટેકનોલોજી અને ઈનોવેશન ભારત-સાયપ્રસ સંબંધોના સૌથી વધુ પ્રગતિશીલ ક્ષેત્રો તરીકે ઉભરી આવ્યા છે. ભારતની યુવા પ્રતિભા, તકનીકી ક્ષમતાઓ અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ સાયપ્રસની ઇનોવેશન ઇકોસિસ્ટમને પૂરક બની શકે છે. તેમણે રેખાંકિત કર્યું હતું કે સેમિકન્ડક્ટર્સ, રિન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઊર્જા), ગ્રીન એનર્જી, સ્પેસ (અંતરિક્ષ), ટકાઉ વિકાસ (સસ્ટેનેબલ ડેવલપમેન્ટ) અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) જેવા નવા ક્ષેત્રોમાં સહયોગની પ્રચંડ સંભાવનાઓ રહેલી છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે યુરોપિયન યુનિયન કાઉન્સિલના તેના પ્રમુખપદ દરમિયાન, સાયપ્રસ ભારત અને યુરોપ વચ્ચેના આર્થિક સહયોગને વધુ વિસ્તારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે, ખાસ કરીને ભારત-ઇયુ (EU) મુક્ત વેપાર કરાર પૂર્ણ થયા પછી.
રાષ્ટ્રપતિએ સરહદ પારના આતંકવાદ અને બહુપક્ષીય સંસ્થાઓના સુધારા જેવા મહત્વના મુદ્દાઓ પર સાયપ્રસના સમર્થનની પ્રશંસા કરી હતી. તેમણે સાયપ્રસની સાર્વભૌમત્વ, એકતા અને પ્રાદેશિક અખંડિતતા માટે ભારતના અડગ સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.
બંને નેતાઓ સહમત થયા હતા કે ભારત અને સાયપ્રસ વચ્ચેનો ગાઢ સહયોગ આપણા લોકો માટે અપાર લાભ લાવી શકે છે.
રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-
IJ/JY/JD
(રીલીઝ આઈડી: 2264396)
મુલાકાતી સંખ્યા : 14