સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

નિયમન મજબૂત કરવા અને દુરુપયોગ રોકવા માટે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રેગાબાલિન (Pregabalin) ને શિડ્યુલ H1 હેઠળ લાવ્યું


સરળ પહોંચ પર અંકુશ મેળવવા, પ્રિસ્ક્રિપ્શન મોનિટરિંગ વધારવા, સપ્લાય ચેઇન જવાબદારી મજબૂત કરવા અને જાહેર આરોગ્યની સુરક્ષા માટેના પગલાં

પોસ્ટેડ ઓન: 22 MAY 2026 10:30AM by PIB Ahmedabad

 

કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગેઝેટ નોટિફિકેશન G.S.R. 377(E) તારીખ 13 મે 2026, જે 20 મે 2026ના રોજ ભારતના અસાધારણ ગેઝેટ (ગેઝેટ ઓફ ઇન્ડિયા એક્સ્ટ્રાઓર્ડિનરી) માં પ્રકાશિત થયું છે તેના દ્વારા ડ્રગ્સ રૂલ્સ, 1945ના શિડ્યુલ H1 હેઠળ "પ્રેગાબાલિન" દવાનો સમાવેશ કરવાની સૂચના આપી છે.

કેટલાક રાજ્યોમાંથી પ્રેગાબાલિનના દુરુપયોગ અને ખાસ કરીને યુવાનોમાં તેના વ્યસન અંગે મળેલા અહેવાલોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દવા, જે ક્રોનિક પેઇન (લાંબા ગાળાના દુખાવા), ન્યુરોપેથી, ફાઇબ્રોમીઆલ્ગીઆ અને અમુક ન્યુરોલોજીકલ પરિસ્થિતિઓની સારવાર માટે સૂચવવામાં આવે છે, તેનો કથિત રીતે તેની શામક (સિડેટિવ), આનંદદાયક (યુફોરિક) અને વિયોજનાત્મક (ડિસોસિએટિવ) અસરો માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. દેશના કેટલાક ભાગોમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહિત અને બિનઅધિકૃત રીતે વેચાતી પ્રેગાબાલિન જપ્ત કરવાના તાજેતરના અહેવાલો પણ મળ્યા છે.

આ નોટિફિકેશન સાથે, પ્રેગાબાલિન હવે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ રૂલ્સ, 1945 હેઠળ હાલના શિડ્યુલ Hના બદલે શિડ્યુલ H1ની વધુ કડક જોગવાઈઓ હેઠળ નિયંત્રિત થશે.

શિડ્યુલ H1 પ્રિસ્ક્રિપ્શન ડ્રગ-ચેતવણી (CAUTION):

-તબીબી સલાહ વિના આ દવા લેવી જોખમી છે.

-રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનરના પ્રિસ્ક્રિપ્શન વિના છૂટક વેચાણ કરવું નહીં.

સુધારેલ વર્ગીકરણ આદેશ આપે છે કે:

· પ્રેગાબાલિન માત્ર રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (RMP) દ્વારા જારી કરાયેલ માન્ય પ્રિસ્ક્રિપ્શનના આધારે જ વેચી શકાશે;

· છૂટક વિક્રેતાઓએ (રિટેલર્સ) પ્રિસ્ક્રિપ્શન અને વેચાણની વિગતોની નોંધ રાખવા માટે એક અલગ રજિસ્ટર જાળવવું આવશ્યક છે;

· ઉત્પાદકો ઉત્પાદનના પેકેજિંગ પર નિયત કરેલ શિડ્યુલ H1 ડ્રગ વોર્નિંગ લેબલ મુખ્યત્વે પ્રદર્શિત કરશે;

· ઉલ્લંઘન અને અસંમતિના કિસ્સામાં ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ, 1940 અને તે હેઠળના નિયમો અનુસાર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

આ પગલાનો ઉદ્દેશ્ય સપ્લાય ચેઇનમાં જવાબદારી મજબૂત કરવાનો, બિનઅધિકૃત પહોંચને રોકવાનો, પ્રિસ્ક્રિપ્શન મોનિટરિંગ વધારવાનો, ગેરકાયદેસર હેરફેર પર અંકુશ મેળવવાનો અને દવાની ખોટી ઉપયોગિતા તેમજ દુરુપયોગથી જાહેર આરોગ્યની રક્ષા કરવાનો છે.

ઉત્પાદકો, વિતરકો, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વિક્રેતાઓ અને ફાર્માસિસ્ટ સહિતના તમામ હિતધારકોને આ નોટિફિકેશનની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવે છે.

ઈ-ગેઝેટ નીચેની લિંક દ્વારા મેળવી શકાય છે –

https://egazette.gov.in/(S(rqa3ekkjb0kpe5pwg0vwdyg4))/ViewPDF.aspx

IJ/GP

 


(રીલીઝ આઈડી: 2263976) મુલાકાતી સંખ્યા : 30