પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય
azadi ka amrit mahotsav

પશ્ચિમ એશિયામાં તાજેતરના ઘટનાક્રમો અંગે આંતર-મંત્રાલય બ્રીફિંગ


સરકારે જાહેર જનતાને ગભરાટમાં ખરીદી (panic buying) ન કરવા સલાહ આપી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે

LPG સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજાર અટકાવવા ગ્રાઉન્ડ લેવલ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે

સમગ્ર ભારતમાં પોર્ટ ઓપરેશન્સ સ્થિર છે

બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પર્સિયન ગલ્ફમાં દરિયાઈ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે

ભારત સરકાર પશ્ચિમ એશિયાના દેશો સાથે જોડાણ અને વાતચીત ચાલુ રાખી રહી છે

નાગરિકોને અધિકૃત ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા LPG સિલિન્ડર બુક કરવા વિનંતી કરવામાં આવી છે

પોસ્ટેડ ઓન: 13 MAR 2026 6:40PM by PIB Ahmedabad

ભારત સરકારે આજે પશ્ચિમ એશિયાના ઘટનાક્રમો પર નેશનલ મીડિયા સેન્ટર ખાતે ત્રીજી આંતર-મંત્રાલયીય મીડિયા બ્રીફિંગ યોજી હતી. આ મુદ્દા પર અગાઉની બ્રીફિંગ 11 માર્ચ અને 12 માર્ચ 2026 ના રોજ આયોજિત કરવામાં આવી હતી જેથી વિવિધ મંત્રાલયો દ્વારા લેવામાં આવતા તૈયારીના પગલાં વિશે મીડિયાને માહિતગાર રાખી શકાય. આજની બ્રીફિંગમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, વિદેશ મંત્રાલય, બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ પ્રવર્તમાન પરિસ્થિતિ અને સરકાર દ્વારા લેવામાં આવતા સંકલિત પગલાં વિશે વધુ અપડેટ્સ આપ્યા હતા. બ્રીફિંગમાં ઊર્જા પુરવઠાની તૈયારી, દરિયાઈ સુરક્ષા અને શિપિંગ કામગીરી, પ્રદેશમાં ભારતીય નાગરિકોનું કલ્યાણ અને જાહેર સંચાર તથા આવશ્યક પુરવઠાની દેખરેખને લગતા પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા.

ઊર્જા પુરવઠા અને ઇંધણની ઉપલબ્ધતા

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના અધિકારીએ મીડિયાને વર્તમાન ઊર્જા પુરવઠાની સ્થિતિ અને પ્રવર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ તથા હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે પુરવઠામાં ચિંતા હોવા છતાં પેટ્રોલિયમ ઉત્પાદનો અને LPG ની સતત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાં વિશે માહિતી આપી હતી. મંત્રાલય મુજબ:

ક્રૂડ ઓઇલ

ભારત હાલમાં આશરે 258 MMTPA ની રિફાઇનિંગ ક્ષમતા ધરાવે છે અને વિશ્વમાં 4થું સૌથી મોટું રિફાઇનિંગ હબ છે. દેશ પેટ્રોલ અને ડીઝલના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે અને ઘરેલું માંગને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલની કોઈ આયાતની જરૂર નથી.

તમામ રિફાઇનરીઓ હાલમાં ઉચ્ચ સ્તરે કામ કરી રહી છે, જેમાંની કેટલીક તો 100% ક્ષમતાથી પણ વધુ કામ કરી રહી છે.

તમામ ભારતીય રિફાઇનરીઓ હાલમાં પર્યાપ્ત ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરી જાળવી રહી છે, અને વૈવિધ્યસભર આયાત સ્ત્રોતો અને શિપિંગ રૂટ્સ દ્વારા પુરવઠો સતત પ્રાપ્ત થઈ રહ્યો છે.

કુદરતી ગેસ

સરકારે 9 માર્ચ 2026 ના રોજ આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમ હેઠળ પહેલેથી જ નેચરલ ગેસ કંટ્રોલ ઓર્ડર બહાર પાડ્યો છે, જેમાં પ્રાધાન્યતા ક્ષેત્રો માટે તેમના પુરવઠાને સુરક્ષિત કરવામાં આવ્યા છે, જેમાં PNG અને CNG ને 100% પુરવઠો કોઈ પણ કાપ વિના આપવાનો સમાવેશ થાય છે. તેથી, ગભરાવાની જરૂર નથી. ઔદ્યોગિક અને વ્યાપારી ગ્રાહકોને પુરવઠો 80% પર નિયંત્રિત કરવામાં આવી રહ્યો છે.

ઘરેલું PNG સેગમેન્ટમાં દરરોજ આશરે 3.73 MMSCM ગેસનો વપરાશ થઈ રહ્યો છે, જેના માટે તમામ ગેસ (ગેસ એજન્સીઓ) માં પર્યાપ્ત ગેસ પુરવઠો ઉપલબ્ધ છે.

ભારતમાં 1.5 કરોડથી વધુ PNG પરિવારોને હાલમાં તેમના ઘરોમાં કુદરતી ગેસ આપવામાં આવી રહ્યો છે અને તેમને કોઈપણ અવરોધ વિના પુરવઠો મળતો રહેશે. પ્રવર્તમાન ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જોતા, ઘરેલું LPG સિલિન્ડરને બચાવવા માટે રહેણાંક ગ્રાહકો માટે ઘરેલું સપ્લાય કરેલ PNG ના ઉપયોગને પ્રોત્સાહન આપવાની સલાહ આપવામાં આવે છે. બચેલા LPG સિલિન્ડરને અન્ય ગ્રાહક વિસ્તારોમાં મોકલી શકાય છે, જ્યાં PNG કનેક્ટિવિટી ઉપલબ્ધ નથી.

ઉપલબ્ધ ડેટા મુજબ, એવું જોવા મળ્યું છે કે દેશભરમાં આશરે 60 લાખ પરિવારો પાસે તેમની નજીકમાં PNG કનેક્ટિવિટીની પહોંચ છે; જોકે, તેઓ હાલમાં PNG પુરવઠાનો લાભ લઈ રહ્યા નથી.

વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને, આવા LPG ગ્રાહકોને તેમની રસોઈની જરૂરિયાતો માટે LPG સિલિન્ડરથી ઘરેલું PNG પર સ્વિચ કરવાની સલાહ આપવામાં આવે છે.

LPG સંબંધિત પુરવઠાની ચિંતાઓને દૂર કરવા માટે, સરકાર દેશના મુખ્ય શહેરી કેન્દ્રો/શહેરોમાં અધિકૃત વિવિધ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) સંસ્થાઓ સાથે વાત કરી રહી છે કે જેથી આ શહેરી કેન્દ્રો/શહેરોમાં અસરગ્રસ્ત વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકોને તાત્કાલિક નવા PNG જોડાણો ઓફર કરી શકાય. સરકારે તમામ સંબંધિત સ્થાનિક સંસ્થાઓ, હાઈવે ઓથોરિટી અને રાજ્ય સરકારોને આવી CGD સંસ્થાઓ પાસેથી પાઈપલાઈન નાખવા માટેની સંબંધિત પરવાનગીની વિનંતીઓ માટે ઝડપી મંજૂરી આપવા વિનંતી કરી છે. આ એક પ્રગતિશીલ પગલું હશે અને વ્યાપક ઉદ્દેશ્યો હાંસલ કરવાની દિશામાં હશે.

વ્યાપારી અને ઔદ્યોગિક ગ્રાહકોએ નવું જોડાણ મેળવવા માટે તેમની સ્થાનિક સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન કંપનીનો સંપર્ક કરવો જોઈએ.

રિટેલ આઉટલેટ્સ

ઓઈલ માર્કેટિંગ કંપનીઓના 1 લાખ રિટેલ આઉટલેટ્સ (ROs) માંથી કોઈપણમાં ઇંધણ ખૂટી ગયાના (fuel dry-outs) કોઈ કિસ્સા નોંધાયા નથી. સરકાર જાહેર જનતાને ગભરાટમાં ખરીદી ન કરવા સલાહ આવામાં આવી છે, કારણ કે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે અને પુરવઠો નિયમિતપણે જાળવવામાં આવી રહ્યો છે.

તાજેતરમાં, તમિલનાડુમાં એક કેસ ઓળખવામાં આવ્યો હતો જ્યાં એક રિટેલ આઉટલેટ (RO) પર ખુલ્લા કન્ટેનરમાં ઇંધણ વેચવામાં આવતું હતું. જાણ થતાં જ, સંબંધિત RO પર વેચાણ તાત્કાલિક સ્થગિત કરી દેવામાં આવ્યું હતું. જાહેર જનતાને સલાહ આપવામાં આવે છે કે તેઓ કન્ટેનરમાં પેટ્રોલ/ડીઝલ માટે આગ્રહ ન રાખે, કારણ કે તે અસુરક્ષિત છે અને નિયમોની વિરુદ્ધ છે.

તમામ રિટેલ આઉટલેટ ડીલરોને ઇંધણ આપતી વખતે તમામ ફ્યુઅલિંગ માર્ગદર્શિકાનું કડક પાલન કરવા પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. કોઈપણ ઉલ્લંઘન બદલ કડક કાર્યવાહી કરવામાં આવશે.

LPG

દેશમાં 25,000 LPG ડિસ્ટ્રિબ્યુટરશિપમાંથી કોઈપણમાં ઘરેલું LPG પુરવઠા માટે ઇંધણ ખૂટી ગયાના કોઈ અહેવાલ નથી.

ગભરાટમાં ખરીદીને કારણે LPG બુકિંગની સંખ્યામાં વધારો થયો છે.

દૈનિક બુકિંગ સરેરાશ 55.7 લાખથી વધીને ગઈકાલે 76 લાખ થયું છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ લગભગ 50 લાખ LPG સિલિન્ડર પહોંચાડવાનું ચાલુ રાખી રહી છે. તમામ ગ્રાહકોને વિનંતી છે કે તેઓ ગભરાટમાં બુકિંગ ન કરે.

PSU OMCs ના કોલ સેન્ટરોને ફરિયાદો મેળવવા માટે વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. કોલ સેન્ટરમાં સીટોની સંખ્યા વધારીને 400 અને ટેલિફોન લાઈનોની સંખ્યા 650 કરવામાં આવી છે. આ વધેલી સુવિધાઓ સાથે કોલ ફેઈલિયર રેટ શૂન્યની નજીક રહેવાનું ચાલુ રહેશે.

LPG સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજાર અટકાવવા સત્તાવાળાઓ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક કેસ નોંધાયા છે –

સચિવ (MoPNG) અને સચિવ, ગ્રાહક બાબતોના વિભાગે પુરવઠાની સ્થિતિની સમીક્ષા કરવા માટે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ખાદ્ય અને નાગરિક પુરવઠા સચિવો સાથે વિડિયો કોન્ફરન્સ યોજી હતી.

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો અને જિલ્લા વહીવટીતંત્રોને LPG સહિતના પેટ્રોલિયમ ઉત્પાદનોની સંગ્રહખોરી અને કાળાબજાર રોકવા માટે કાર્યવાહી તેજ કરવા વિનંતી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ પણ પરિસ્થિતિની સમીક્ષા કરી છે અને જિલ્લા મેજિસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષકોને સૂચનાઓ આપી છે.

કેટલાક રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ પરિસ્થિતિ પર નજર રાખવા માટે કંટ્રોલ રૂમ ખોલ્યા છે અને મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના કેટલાક રાજ્યો દૈનિક પ્રેસ બ્રીફિંગ કરી રહ્યા છે.

વરિષ્ઠ અધિકારીએ વધુમાં કેટલાક ચોક્કસ કેસોના ઉદાહરણો અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી વિશે શેર કર્યું. રાજ્ય સરકારોએ LPG સિલિન્ડરના ડાયવર્ઝન અને ગેરકાયદેસર ઉપયોગને રોકવા માટે અમલીકરણની કાર્યવાહી કરી છે, જેમાં ઝાંસી (ઉત્તર પ્રદેશ) માં 524 ચોરાયેલા સિલિન્ડરોની રિકવરી, હાપુડ (ઉત્તર પ્રદેશ) માં 32 સિલિન્ડરો જપ્ત કરવા, કર્ણાટકની હોટલોમાંથી 46 સિલિન્ડરો અને છત્તરપુર (મધ્યપ્રદેશ) માં 38 સિલિન્ડરોનો સમાવેશ થાય છે.

PSU ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પણ ડીલરો અને ડિસ્ટ્રિબ્યુટરોનું અચાનક નિરીક્ષણ કરવા માટે અધિકારીઓને સક્રિય કર્યા છે.

સરકાર દ્વારા અન્ય પગલાં -

સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા દેશભરના ઘરોમાં LPG નો પુરવઠો અવિરત રહે તે સુનિશ્ચિત કરવાની છે. તે જ સમયે, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય આવશ્યક સેવાઓ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રો માટે પણ પુરવઠો સુનિશ્ચિત કરવામાં આવી રહ્યો છે.

રિફાઇનરીઓમાંથી ઘરેલું LPG ઉત્પાદનમાં આ પરિસ્થિતિ પહેલાના ઉત્પાદન કરતા 30% થી વધુનો વધારો કરવામાં આવ્યો છે.

ગ્રાહકો માટે કોમર્શિયલ સિલિન્ડર રાજ્ય સરકારના નિકાલ પર પ્રાથમિકતાના ધોરણે વિતરણ માટે રાખવામાં આવ્યા છે.

તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને નિયમિત ફાળવણી કરતા વધારાની 48000 KL કેરોસીનની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કેરોસીનના વિતરણ માટે જિલ્લાઓમાં સ્થાનો ઓળખવા વિનંતી કરવામાં આવી છે.

LPG પરનું દબાણ ઘટાડવા માટે વૈકલ્પિક ઇંધણના વિકલ્પો સક્રિય કરવામાં આવ્યા છે. કોલસા મંત્રાલયે કોલ ઈન્ડિયા અને સિંગરેની કોલિયરીઝને નાના, મધ્યમ અને અન્ય ગ્રાહકોને કોલસો વિતરણ કરવા માટે રાજ્યોને વધુ જથ્થો ફાળવવા આદેશ આપ્યો છે. MoEFCC એ પહેલેથી જ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને એક મહિના માટે હોસ્પિટાલિટી અને રેસ્ટોરાં માટે વૈકલ્પિક ઉપયોગ તરીકે કેરોસીન અને કોલસાના ઉપયોગ માટે સલાહ આપી છે.

જાહેર સલાહ -

નાગરિકોને ગભરાવવાની જરૂર નથી. સરકાર ઘરો અને આવશ્યક ક્ષેત્રો માટે LPG ની ઉપલબ્ધતા જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

LPG સિલિન્ડર બહુવિધ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સરળતાથી બુક કરી શકાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • IVRS કોલ્સ
  • SMS બુકિંગ
  • WhatsApp બુકિંગ
  • OMCs ની મોબાઈલ એપ્લિકેશન

તેથી ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ઘરના આરામથી સિલિન્ડર બુક કરે, જેમ તેઓ સામાન્ય રીતે કરે છે, અને બિનજરૂરી રીતે એજન્સીઓની મુલાકાત લેવાનું ટાળે, જેનાથી ટાળી શકાય તેવી ભીડ થઈ શકે છે.

અમે ગ્રાહકોને વિનંતી કરીએ છીએ કે તેઓ માત્ર તેમની સામાન્ય ઘરગથ્થુ જરૂરિયાત મુજબ જ LPG સિલિન્ડર બુક કરે અને ગભરાટમાં બુકિંગ કરવાનું ટાળે. સિસ્ટમમાં પૂરતો LPG પુરવઠો ઉપલબ્ધ છે, અને OMCs બોટલિંગ પ્લાન્ટ અને ડેપોમાં પર્યાપ્ત સ્ટોક જાળવી રાખે છે.

અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ સાચી માહિતી ફેલાવવામાં મદદ કરે અને સત્તાવાર સ્ત્રોતો પર આધાર રાખે, જેથી બિનજરૂરી ગભરાટ ટાળી શકાય.

દરિયાઈ સુરક્ષા અને શિપિંગ કામગીરી

બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે પર્સિયન ગલ્ફ પ્રદેશમાં દરિયાઈ પરિસ્થિતિ અને ભારતીય નાવિકો તથા જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાં અંગે અપડેટ આપ્યું હતું. મંત્રાલય મુજબ:

  • 24 ભારતીય-ધ્વજવાળા જહાજો 668 ભારતીય નાવિકો સાથે હાલમાં પર્સિયન ગલ્ફમાં કામ કરી રહ્યા છે. 76 ભારતીય નાવિકો હોર્મુઝ સ્ટ્રેટની પૂર્વમાં ત્રણ જહાજો પર છે.
  • આશરે 23,000 ભારતીય નાવિકો વિશાળ ગલ્ફ પ્રદેશમાં મર્ચન્ટ, હાર્બર અને ઓફશોર જહાજો પર કામ કરી રહ્યા છે. DG શિપિંગ જહાજના માલિકો, RPSL એજન્સીઓ અને ભારતીય મિશન સાથે સંકલન કરવાનું ચાલુ રાખે છે, અને તમામ ભારતીય જહાજો અને ક્રૂ પર સક્રિયપણે દેખરેખ રાખવામાં આવી રહી છે.
  • 24-કલાકના કંટ્રોલ રૂમના સક્રિયકરણ પછી, DG શિપિંગે 2,425 થી વધુ કોલ્સ અને 4,441 ઇમેઇલ્સ સંભાળ્યા છે અને 223 થી વધુ ફસાયેલા ભારતીય નાવિકોને સુરક્ષિત રીતે પરત લાવવાની સુવિધા આપી છે.
  • DG શિપિંગ નિયમિતપણે એડવાઈઝરી બહાર પાડી રહ્યું છે.
  • ભારતીય નાવિકો અને જહાજોને DG શિપિંગની 24×7 હેલ્પલાઇનનો ઉપયોગ કરવા, સત્તાવાળાઓ અને ભારતીય મિશન દ્વારા જારી કરાયેલ સુરક્ષા સલાહનું પાલન કરવા, ઘટનાઓની તાત્કાલિક જાણ કરવા અને ઉન્નત જહાજ-તટ સુરક્ષા કવાયત હાથ ધરવા સલાહ આપવામાં આવી છે.
  • સમગ્ર ભારતમાં પોર્ટ ઓપરેશન્સ સ્થિર છે. મુખ્ય બંદરો અને રાજ્ય દરિયાઈ બોર્ડ માટે SOPs જારી કરવામાં આવી છે, નોડલ અધિકારીઓની સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે અને LPG જહાજો માટે પ્રાથમિકતાના ધોરણે બર્થિંગ આપવામાં આવી રહી છે.
  • સુવિધાના પગલાંઓમાં વધારાનો કાર્ગો સ્ટોરેજ, એડ-હોક બર્થિંગ, નાશવંત કાર્ગોની પ્રાથમિકતા હેન્ડલિંગ, કસ્ટમ્સ સાથે ઝડપી “બેક ટુ ટાઉન” મૂવમેન્ટ અને ઉન્નત બન્કરિંગ સપોર્ટનો સમાવેશ થાય છે.
  • ચાલુ કટોકટી દરમિયાન, ત્રણ ભારતીય નાવિકોના મોત થયાના અહેવાલ છે અને એક નાવિક ગુમ છે. ચાર ઘાયલ નાવિકોની સારવાર કરવામાં આવી છે અને તેમને રજા આપવામાં આવી છે, અને મૃતદેહોને પરત લાવવા માટે સંકલન ચાલુ છે.
  • બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય પર્સિયન ગલ્ફમાં દરિયાઈ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાનું ચાલુ રાખે છે.

પ્રદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા

વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં ભારતીય નાગરિકોની સ્થિતિ અને ભારતીય સમુદાય સાથે સતત સંપર્કમાં રહેવા માટે પ્રદેશમાં ભારતીય મિશન દ્વારા ચાલી રહેલા પ્રયાસો પર નવીનતમ અપડેટ શેર કર્યું છે. તેમાં જણાવ્યું છે:

  • ભારતે પશ્ચિમ એશિયાના દેશો સાથે તેનું જોડાણ અને વાતચીત ચાલુ રાખી છે.
  • ગઈકાલે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મહામહિમ ડૉ. મસૂદ પેઝેશ્કિયન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
  • વાતચીત દરમિયાન, પ્રધાનમંત્રીએ ઈરાન સહિત પ્રદેશમાં ભારતીય નાગરિકોની સુરક્ષા અને સુખાકારી અંગે ભારતની પ્રાથમિકતા પર પ્રકાશ પાડ્યો હતો અને ઊર્જા તથા માલસામાનની અવરજવરમાં કોઈ અવરોધ ન આવે તેવા મહત્વ પર ભાર મૂક્યો હતો.
  • પ્રધાનમંત્રીએ પ્રદેશની વિકસતી સુરક્ષા પરિસ્થિતિ અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતની સુસંગત સ્થિતિનો પુનરોચ્ચાર કર્યો હતો કે તમામ મુદ્દાઓ સંવાદ અને રાજદ્વારી દ્વારા ઉકેલાવા જોઈએ.
  • વિદેશ મંત્રીએ પણ ગઈકાલે ઈરાનના વિદેશ મંત્રી મહામહિમ સૈયદ અબ્બાસ અરાગચી સાથે વાત કરી હતી, જે દરમિયાન દ્વિપક્ષીય અને BRICS સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
  • MEA કંટ્રોલ રૂમ 4 માર્ચના રોજ સ્થાપિત કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં 900 થી વધુ કોલ્સ અને 200 ઇમેઇલ્સ પ્રાપ્ત થયા છે. દૈનિક કોલ્સની સંખ્યા ક્રમશઃ ઘટી રહી છે.
  • કંટ્રોલ રૂમમાં પ્રાપ્ત થયેલી ક્વેરીઝને ઉકેલ માટે સંબંધિત મિશનને ફ્લેગ કરવામાં આવી રહી છે. તાત્કાલિક કિસ્સાઓમાં, કંટ્રોલ રૂમ મિશન સાથે રીઅલ ટાઈમમાં સંકલન કરે છે અને જ્યાં સુધી મિશન સંબંધિત વ્યક્તિ સાથે સંપર્ક સ્થાપિત ન કરે ત્યાં સુધી કોલર સાથે સંપર્કમાં રહે છે.
  • વિદેશ મંત્રાલય પશ્ચિમ એશિયામાં વિકસતી પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાનું ચાલુ રાખે છે. પ્રદેશમાં મિશન અને પોસ્ટ્સ 24×7 હેલ્પલાઇન અને યજમાન સરકારો સાથે સંકલન દ્વારા ભારતીય સમુદાયને મદદ કરી રહી છે.
  • UAE, કતાર, ઓમાન અને સાઉદી અરેબિયાથી ફ્લાઈટ્સ કાર્યરત છે. જ્યારે બહેરીન, કુવૈત અને ઈરાકથી ભારતીયોની મુસાફરી હવાઈ ક્ષેત્રના પ્રતિબંધોને કારણે સાઉદી અરેબિયા દ્વારા સુવિધા આપવામાં આવી રહી છે.
  • ઓમાનના સોહાર શહેરમાં આજે વહેલી સવારે થયેલા હુમલામાં બે ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો છે. 11 ઘાયલોમાંથી 10 ભારતીયો છે; પાંચને રજા આપવામાં આવી છે અને પાંચ સારવાર હેઠળ છે, જેમાં કોઈ ગંભીર ઈજા નોંધાઈ નથી.
  • અત્યાર સુધી, સંઘર્ષમાં 5 ભારતીય નાગરિકોએ જીવ ગુમાવ્યો છે અને એક નાગરિક ગુમ છે.
  • 11 માર્ચની રાત્રે ઈરાકી જળસીમામાં જહાજ સેફસી વિષ્ણુ પર થયેલા હુમલા બાદ, 15 ભારતીય ક્રૂ સભ્યોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેઓ હાલમાં બસરામાં છે. તેમને પરત લાવવા અને મૃત ભારતીય નાગરિકના મૃતદેહને પરિવહન કરવાના પ્રયાસો ચાલુ છે.

જાહેર સંચાર

બ્રીફિંગ દરમિયાન, માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા નીચેના મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો:

  • મીડિયા અહેવાલો મુજબ, રાજ્ય સરકારોએ સંગ્રહખોરી અને કાળાબજારમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.
  • જાહેર જનતાને અધિકૃત ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા LPG સિલિન્ડર બુક કરવા અપીલ કરી હતી.
  • ગ્રાહકોએ ડિજિટલ કૌભાંડોથી સાવધ રહેવું જોઈએ અને સિલિન્ડર બુક કરવા માટે માત્ર સત્તાવાર વેબસાઈટ અથવા અધિકૃત એપ્સનો ઉપયોગ કરવો જોઈએ.
  • મીડિયા કોન્ફરન્સ દરમિયાન માહિતી આપવામાં આવી હતી તેમ, ભારત સરકાર પશ્ચિમ એશિયામાં ઘટનાક્રમો પર નજીકથી નજર રાખવાનું અને સંબંધિત મંત્રાલયો તથા એજન્સીઓ વચ્ચે સંકલન જાળવી રાખવાનું ચાલુ રાખે છે. ઊર્જા પુરવઠાનું રક્ષણ કરવા, ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા, દરિયાઈ કામગીરી જાળવી રાખવા અને આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

SM/JY/JD


(રીલીઝ આઈડી: 2239845) મુલાકાતી સંખ્યા : 12