ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે લોકસભા અધ્યક્ષ સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર આજે સદનમાં ચર્ચાનો જવાબ આપ્યો
પોસ્ટેડ ઓન:
11 MAR 2026 10:01PM by PIB Ahmedabad
ચર્ચા બાદ સદને અવિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી ફગાવી દીધો
સમય આપવામાં આવ્યો હોવા છતાં ન બોલવું અને પછી બહાર જઈને એવી ફરિયાદ કરવી કે સદનમાં બોલવા દેવામાં આવતા નથી, વિપક્ષના નેતાની આ પ્રવૃત્તિ હવે એક્સપોઝ થઈ ચૂકી છે
સીટોના હિસાબથી જોઈએ તો ઓમ બિરલાજીએ મુખ્ય વિપક્ષી દળને અમારી પાર્ટી કરતા વધુ બોલવાનો સમય આપ્યો છે
લોકસભા અધ્યક્ષ સામે LOP ના નેતૃત્વમાં વિપક્ષ અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યો અને હવે વિપક્ષના નેતા પોતે તેના પર બોલ્યા નથી
2025ના શિયાળુ સત્રમાં જર્મની જવું હોય, 2025ના બજેટ સત્રમાં વિયેતનામ કે 2023ના બજેટ સત્રમાં ઈંગ્લેન્ડ, સદનની મહત્વની કાર્યવાહી દરમિયાન મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતા વિદેશોમાં રહે છે અને બોલવા ન દેવાની ફરિયાદ કરે છે
જ્યારે સદનમાં ચર્ચા ચાલે છે તો વિપક્ષના નેતા વિદેશ પ્રવાસો પર હોય છે, હવે વિદેશોમાંથી તેમને સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માટે અલગથી વીડિયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ન કરી શકાય
કલમ 370ની સમાપ્તિ, ત્રણ તલાક હટાવવા, CAA લાવવા કે વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવા, દરેક મહત્વપૂર્ણ ચર્ચામાંથી મુખ્ય વિપક્ષી દળના નેતા ગેરહાજર રહ્યા
સંસદમાં બોલવાના નિયમો હોય છે, આ કોઈ મેળો નથી જ્યાં ગમે તેમ બોલી લો
મુખ્ય વિપક્ષી દળના નેતાની સંસદમાં હાજરી રાષ્ટ્રીય સરેરાશની સરખામણીમાં ઘણી ઓછી છે
મુખ્ય વિપક્ષી પાર્ટીને 17મી લોકસભામાં લગભગ 158 કલાક, અને 18મી લોકસભામાં અત્યાર સુધી 71 કલાક બોલવાનો સમય આપવામાં આવ્યો છે, જે પ્રો-રેટામાં અમારી પાર્ટી કરતા ઘણો વધારે છે
વિપક્ષ ઈમરજન્સી જેવી વિશેષાધિકારવાળી વિચારસરણીમાં જીવે છે, તેથી જનતા તેમને સતત ઓછી કરતી જઈ રહી છે
વિપક્ષના ભાષણનો 80% હિસ્સો સ્પીકર પર અવિશ્વાસ પ્રસ્તાવ સાથે સંબંધિત નહોતો, સ્પીકરના બહાને માત્ર સરકાર વિરુદ્ધ બોલ્યા
અમે વિપક્ષમાં રહેતા ક્યારેય પણ સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા નથી, અમે સ્પીકરના પદની ગરિમાનું સંરક્ષણ કરવાનું કામ કર્યું છે
મુખ્ય વિપક્ષી પાર્ટીના સભ્યોએ લોકસભા સ્પીકરના ચેમ્બરમાં સુરક્ષા ખતરાની સ્થિતિ પેદા કરી
અમે ક્યારેય વિપક્ષનો અવાજ દબાવવાનું કામ કર્યું નથી, વિપક્ષનો અવાજ દબાવવાનું કામ 1975માં થયું હતું, જ્યારે આખા વિપક્ષને જેલમાં નાખી દેવામાં આવ્યો હતો
આ પહેલા પણ 3 વાર અધ્યક્ષ પર અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા છે, પરંતુ ઓમ બિરલાજી એકમાત્ર એવા સ્પીકર છે જેમણે નૈતિક આધાર પર, જ્યારથી આ પ્રસ્તાવ નામાંકિત થયો, ત્યારથી અધ્યક્ષતા કરી નથી
બે-બે વાર ભૂલોથી ભરેલા અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને પણ બિરલાજીએ સુધારો કરાવીને સ્વીકારી
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનની સ્થિતિ મજબૂત હોવા પાછળ પણ દેશના પ્રથમ પ્રધાનમંત્રીની નીતિઓ જવાબદાર રહી છે
રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન પાસેથી ધન લીધું, જેના કારણે તેનું FCRA રજીસ્ટ્રેશન રદ કરવું પડ્યું, આ તમામ દેશવાસીઓએ જાણવું જોઈએ
અક્સાઈ ચીનનો 38 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર અને નેફાનો મોટો હિસ્સો 1962માં ચીને કબજે કરી લીધો હતો, અને આ મુખ્ય વિપક્ષી પાર્ટીના શાસનકાળમાં થયું
AI સમિટમાં પણ વિપક્ષી પાર્ટીના વિરોધે દેશને અપમાનિત કરવાની નિષ્ફળ કોશિશ કરી, અમારી પાર્ટીના વિરોધમાં વિપક્ષી પાર્ટી ભારત વિરોધી પાર્ટી બની ચૂકી છે
મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાની જૂઠથી ભરેલી પ્રેસ કોન્ફરન્સ પર સદનમાં ચર્ચાની મંજૂરી ન આપીને ઓમ બિરલાજીએ દાયકાઓ જૂની સંસદીય પરંપરાનું પાલન કર્યું છે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આજે લોક સભામાં લોકસભા અધ્યક્ષ સામે રજૂ કરાયેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપ્યો હતો. ચર્ચા બાદ સદને અવિશ્વાસ પ્રસ્તાવને ધ્વનિ મતથી ફગાવી દીધો હતો. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે આ કોઈ સામાન્ય ઘટના નથી અને લગભગ 4 દાયકા બાદ લોક સભા અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો છે. તેમણે કહ્યું કે સંસદીય રાજનીતિ અને સદન માટે આ એક ખેદજનક ઘટના છે. શ્રી શાહે કહ્યું કે લોક સભા અધ્યક્ષ કોઈ દળના હોતા નથી પરંતુ સદનના હોય છે અને સદનના તમામ સભ્યોના અધિકારોના સંરક્ષક હોય છે. તેમણે કહ્યું કે સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો એ કોઈ સાહસિક ઘટના નથી.
શ્રી અમિત શાહે કહ્યું કે લગભગ 13 કલાક સુધી પક્ષ-વિપક્ષે આના પર ચર્ચા કરી છે અને 42 થી વધુ સાંસદોએ તેમાં ભાગ લીધો છે. તેમણે કહ્યું કે આજે સ્પીકરના નિર્ણયને અંતિમ માનવાની વિપરીત વિપક્ષે સ્પીકરની નિષ્ઠા પર પ્રશ્નાર્થ ચિન્હ ઉભું કર્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ભારતની લોકશાહીની સૌથી મોટી પંચાયત છે અને ન માત્ર ભારત પરંતુ આખી દુનિયામાં આપણા લોકતંત્રની એક શાખ બની છે અને આખી દુનિયા તેને સ્વીકારે છે. જ્યારે આ પંચાયતના વડાની નિષ્ઠા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગે છે ત્યારે માત્ર દેશ જ નહીં પરંતુ આખી દુનિયામાં આપણી લોકતાંત્રિક પ્રક્રિયા પર સવાલો ઉભા થાય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વિપક્ષી સભ્યો લોક સભા સ્પીકરના ચેમ્બરમાં જઈને તેમની સુરક્ષા પ્રત્યે ચિંતાનું વાતાવરણ ઉભું કરે છે. તેમણે કહ્યું કે બંધારણે સ્પીકરના પદને પાર્ટીથી ઉપર મધ્યસ્થની ભૂમિકામાં રાખ્યું છે. તેમણે કહ્યું કે વિપક્ષે મધ્યસ્થતા કરનારાઓ પર જ શંકા ઉઠાવી દીધી. તેમણે કહ્યું કે 75 વર્ષથી આપણા બંને સદનોએ આપણા લોકતંત્રની પાયાને ઊંડી કરી છે અને તે પાયાની શાખ પર વિપક્ષે પ્રશ્નાર્થ ચિન્હ લગાવ્યું છે. શ્રી શાહે કહ્યું કે સદન પરસ્પર વિશ્વાસથી ચાલે છે અને સ્પીકર પક્ષ અને વિપક્ષ માટે સદનના કસ્ટોડિયન હોય છે. સ્પીકરને લોકસભા કેવી રીતે ચલાવવી છે, તેના માટે લોકસભાએ કેટલાક નિયમો બનાવ્યા છે. તેમણે કહ્યું કે સદન કોઈ મેળો નથી. જો સદનના નિયમો મંજૂરી આપતા નથી તો કોઈને નિયમોની વિરુદ્ધ જઈને બોલવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે જ્યારે લોકસભા ચલાવવાના નિયમોને નજરઅંદાજ કરવામાં આવે છે તો સ્પીકરનું પવિત્ર દાયિત્વ છે કે તેઓ તેને રોકે-ટોકે. આ નિયમો દેશના પ્રથમ પ્રધાનમંત્રીના સમયથી ચાલી આવે છે પરંતુ મુખ્ય વિપક્ષી પાર્ટીએ ઘણી વાર આ નિયમોને તોડ્યા છે. તેમણે કહ્યું કે સ્પીકરના નિર્ણય અને નિષ્ઠા પર શંકા કરી શકતા નથી અને શંકા કરવી ખૂબ દુર્ભાગ્યપૂર્ણ અને નિંદનીય છે.
શ્રી અમિત શાહે કહ્યું કે અમે પણ વિપક્ષમાં રહ્યા છીએ અને તે દરમિયાન ત્રણ વાર સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો, પરંતુ અમારી પાર્ટી અને ગઠબંધને ક્યારેય સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો નથી. તેમણે કહ્યું કે અમે રચનાત્મક વિપક્ષ તરીકે કામ કર્યું છે, સ્પીકરની ગરિમાનું સંરક્ષણ કરવાનું કામ કર્યું છે અને સ્પીકર પાસેથી અમારા કાનૂની અધિકારોના સંરક્ષણની માંગ પણ કરી છે. શ્રી શાહે કહ્યું કે અમે ક્યારેય સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 1954માં જી વી માવલંકર સામે સોશિયાલિસ્ટ પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી, 1966માં તત્કાલીન લોક સભા સ્પીકર સરદાર હુકમ સિંહજી સામે સંયુક્ત સોશિયાલિસ્ટ પાર્ટી અવિશ્વાસ પ્રસ્તાવ લાવી અને 1987માં શ્રી બલરામ જાખડ સામે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા અવિશ્વાસ પ્રસ્તાવ લાવી હતી. તેમણે કહ્યું કે આ બધી પાર્ટીઓ મોટે ભાગે આજે વિપક્ષી ગઠબંધનની સભ્ય છે. તેમણે કહ્યું કે અમારી પાર્ટીનો આ ખૂબ મજબૂત મત છે ક્યારેય પણ સ્પીકરની નિષ્ઠા પર આશંકા કરવી જોઈએ નહીં.
શ્રી અમિત શાહે કહ્યું કે આપણે સૌ સ્પીકરના મહત્વને જાણીએ છીએ અને લોકસભાના અધ્યક્ષ વિધાયી ન્યાયશાસ્ત્રના સર્વોચ્ચ ન્યાયાધીશ હોય છે. તેમણે કહ્યું કે લોકસભા કાર્યવાહી દરમિયાન લેવાયેલા નિર્ણયમાં સર્વોચ્ચ અદાલત પણ દખલ કરી શકતી નથી કારણ કે બંધારણે તેમને આ પ્રોટેક્શન આપ્યું છે. આ પ્રોટેક્શન એટલા માટે આપવામાં આવ્યું છે કે સ્પીકર નિર્ભયતાથી પોતાનું કામ કરી શકે. શ્રી શાહે કહ્યું કે સ્પીકરનું પ્રથમ કર્તવ્ય વ્યવસ્થા અને શિષ્ટાચારને જાળવી રાખવાનું અને બીજું કર્તવ્ય સૌને તક આપવાનું અને ન્યાયપૂર્ણ વ્યવહાર કરવાનું છે. તેમણે કહ્યું કે શિષ્ટાચાર છે કે લોકસભા સદન ચલાવવાના નિયમો અનુસાર ચાલે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે લોકસભાના નિયમ 374માં અવ્યવસ્થા, શિસ્તહિનતાની સ્થિતિમાં સ્પીકરને ચેતવણી આપવા, નામાંકિત કરવા, નિષ્કાશિત કરવા અને નિલંબનનો અધિકાર છે. તેમણે કહ્યું કે આંદોલન અને એક્ટિવિસ્ટને સદનમાં સદનના નિયમો અનુસાર જ ચાલવું પડશે. શ્રી શાહે કહ્યું કે નિયમ 375 હેઠળ ગંભીર અવ્યવસ્થાની સ્થિતિમાં સદનને સ્થગિત કરવું પડે છે. તેમણે કહ્યું કે નિયમ 380 હેઠળ સ્પીકરને અસંસદીય શબ્દો અને ટિપ્પણીઓને કાર્યવાહીમાંથી હટાવવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે લયમાં કરવામાં આવેલી અસંસદીય ટિપ્પણીઓ સંસદના ઇતિહાસમાં રાખવી જોઈએ નહીં કારણ કે આવું કરવાથી આવનારા સાંસદ પણ આ સંસ્કાર લઈને જશે. શ્રી શાહે કહ્યું કે અસંસદીય શબ્દોની સૂચિ સદન અસ્તિત્વમાં આવવાથી લઈને આજ સુધી આ પદ પર બેઠેલા અનેક મહાનુભાવોએ બનાવી છે અને તે બધા પર બાધ્યકારી છે. તેમણે કહ્યું કે વિપક્ષને બંધારણે અધિકાર આપ્યો છે પરંતુ કોઈ વિશેષાધિકાર આપ્યો નથી. અધિકારનું સંરક્ષણ કરી શકે છે પરંતુ વિશેષાધિકારના મુગાલતામાં જીવનારાઓને તેમની પાર્ટી અને જનતા પણ સંરક્ષણ આપતી નથી.
શ્રી અમિત શાહે કહ્યું કે લોકસભા સ્પીકરનું મહત્વ સદન, દેશ અને આંતરરાષ્ટ્રીય સ્તરે છે. તેમણે કહ્યું કે સ્પીકર માત્ર પીઠાસીન અધિકારી નથી પરંતુ આપણી વિધાયી ચેતના અને લોકતંત્રની ગરિમાના પ્રતીક છે. તેમણે કહ્યું કે જ્યારે તમે તેમની નિષ્ઠા પર સવાલ ઉઠાવો છો ત્યારે તમે તેમની વિધાયી ચેતના અને લોકતંત્રની ગરિમા પર પણ સવાલ ઉઠાવો છો. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીજીને હટાવવાનો પ્રસ્તાવ સદનમાં આવી શકે છે, પણ લોકસભાના કસ્ટોડિયનને હટાવવાના પ્રસ્તાવને સાહસિક ઘટના માનવી જોઈએ નહીં. તેમણે કહ્યું કે બંધારણે કોઈ પણ એક્સટ્રીમ પરિસ્થિતિની કલ્પના કરીને જોગવાઈઓ બનાવી છે. તેમણે કહ્યું કે આ અસાધારણ પરિસ્થિતિઓમાં સ્પીકરને હટાવવા માટે કરવામાં આવેલી જોગવાઈ છે ન કે રોજિંદી વસ્તુ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે કલમ 96 હેઠળ અધ્યક્ષને હટાવવાનો પ્રસ્તાવ જ્યારે વિચારાધીન હોય, ત્યારે સંબંધિત પીઠાસીન અધિકારી સદનની અધ્યક્ષતા કરશે નહીં. તેમણે કહ્યું કે જ્યારે મુખ્ય વિપક્ષી પાર્ટી સત્તામાં હતી ત્યારે ત્રણ વાર અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યા અને ત્રણેય વાર એ પરંપરા રહી કે જ્યારે સ્પીકર પર અવિશ્વાસના પ્રસ્તાવની ચર્ચા થશે, ત્યારે લોક સભા અધ્યક્ષ પોતાનું આસન ગ્રહણ કરશે નહીં, પરંતુ ત્રણેય વાર 14 દિવસ સુધી સૌએ અધ્યક્ષતા કરી. તેમણે કહ્યું કે શ્રી ઓમ બિરલા એકમાત્ર સ્પીકર છે જેમણે નૈતિક આધાર પર અધ્યક્ષતા કરી નથી. તેમણે કહ્યું કે નિયમ 94-સી હેઠળ લોક સભા અધ્યક્ષને માત્ર અસાધારણ અને ગંભીર પરિસ્થિતિઓમાં જ હટાવી શકાય છે. શ્રી શાહે કહ્યું કે પ્રધાનમંત્રીજીને હટાવવા છે તો સામાન્ય બહુમતી જોઈએ, પરંતુ સ્પીકરને હટાવવા માટે ઇફેક્ટિવ મેજોરિટીની જરૂર હોય છે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે કહ્યું કે સદન કોઈ પાર્ટી વિશેષના નિયમથી નહીં પરંતુ લોકસભાના નિયમોથી જ ચાલશે. તેમણે કહ્યું કે વિપક્ષ હાઈ મોરલ ગ્રાઉન્ડની વાત કરે છે, પરંતુ હાઈ મોરલ ગ્રાઉન્ડ એ છે કે બે વાર અવિશ્વાસ પ્રસ્તાવ નિયમ અનુસાર ન હોવા છતાં લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીએ વિપક્ષને તક આપીને નોટિસમાં સુધારાની તક આપી. તેમણે કહ્યું કે વિપક્ષ નિયમને માનતું નથી અને પછી કહે છે કે તેમને બોલવા દેવામાં આવતું નથી. શ્રી શાહે કહ્યું કે નિયમોનું પાલન કરતા અને કાર્ય મંત્રણા સમિતિની સહમતિથી જે પ્રસ્તાવ લાવવામાં આવ્યો, વિપક્ષે તેના પર ચર્ચા કરવાને બદલે સદનમાં હંગામો કરવાનું કામ કર્યું, આનાથી વધારે શરમજનક ઘટના કોઈ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે ચર્ચા દરમિયાન વિપક્ષના નેતાઓના 80% થી વધારે ભાષણ સ્પીકરના અવિશ્વાસ પ્રસ્તાવ પર નહોતા.
શ્રી અમિત શાહે કહ્યું કે વિપક્ષનું કહેવું છે કે લોક સભામાં ઉપાધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા નથી. તેમણે કહ્યું કે 1966 અને ત્યારબાદ લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન બલરામ જાખડ લોકસભા અધ્યક્ષ હતા. બંને પ્રસ્તાવના સમયે લોકસભામાં ઉપાધ્યક્ષ હતા, પદ ખાલી નહોતું, પણ તત્કાલીન સત્તાધારી પાર્ટીએ પોતાના જ નેતાને ડેપ્યુટી સ્પીકર બનાવી રાખ્યા હતા. તેથી વિપક્ષી પાર્ટીને ડેપ્યુટી સ્પીકરનું પદ ખાલી હોવા પર કંઈપણ બોલવાનો અધિકાર નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે 16મી લોકસભામાં 331 બેઠકો થઈ, 17મી લોકસભામાં 274 અને વર્તમાન લોકસભામાં 2025 સુધી 103 બેઠકો થઈ. વર્ષ 2025નું બજેટ સત્ર 118% ઉત્પાદકતા વાળું રહ્યું. તેમણે કહ્યું કે 16મી લોકસભાની ઉત્પાદકતા 91%, 17મીની ઉત્પાદકતા 91% અને 18મીની ઉત્પાદકતા 91% રહી અને આમાં મહત્તમ ઉત્પાદકતા વર્તમાન સ્પીકર શ્રી ઓમ બિરલાજીના કાર્યકાળમાં જ થઈ છે. અધ્યક્ષજીએ શૂન્ય કાલની અવધિને 5 કલાક સુધી પહોંચાડી છે. શ્રી શાહે કહ્યું કે ધારાસભ્ય અને સાંસદ રહેતા તેમને 30 વર્ષ થઈ ચૂક્યા છે, પરંતુ તેમણે ક્યારેય જોયું નથી કે સ્પીકરે સભ્યોને રાત્રે 12:00 વાગ્યા સુધી શૂન્ય કાલના મુદ્દા ઉઠાવવાની તક આપી હોય. તેમણે 202 સાંસદોને પ્રશ્ન ઉઠાવવાની તક આપી અને વિપક્ષ કહે છે કે તેમને મુદ્દા ઉઠાવવાની તક મળતી નથી.
શ્રી અમિત શાહે કહ્યું કે નવી અવાજોને પ્રોત્સાહિત કરવાનું પણ લોકસભા સ્પીકરનું નૈતિક દાયિત્વ હોય છે. તેમણે કહ્યું કે 2019માં રેકોર્ડ 78 મહિલાઓ સંસદમાં ચૂંટાઈ આવી અને 41 મહિલાઓ પહેલી વાર સાંસદ બની. સ્પીકરે પહેલી વાર સાંસદ બનેલી તમામ મહિલા સાંસદોને વિશેષ બોલવાની તક આપી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીના પ્રયાસથી સદનમાં પ્રાદેશિક ભાષાઓનો ઉપયોગ પણ વધ્યો છે, જે ખૂબ મોટી વાત છે. તેમણે કહ્યું કે પહેલી વાર સદનમાં અનુવાદકોની પેનલ પૂરી થઈ છે. ડિજિટલ સંસદ 2.0 પર લગભગ 8000 કલાકની ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડિંગને ડિજિટલ કરવામાં આવી છે. આજે જો યુવાનોએ સંસદ સભ્યોના ભાષણ અને સદનની ચર્ચાઓ સાંભળવી હોય, તો તે ડિજિટલી ઉપલબ્ધ છે. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશન દ્વારા આપણે આખી લોકસભાને પેપરલેસ બનાવવાની દિશામાં આગળ વધી ચૂક્યા છીએ.
ગૃહ મંત્રીએ કહ્યું કે રાષ્ટ્રમંડળ દેશોના પીઠાસીન અધિકારીઓના 28માં સંમેલનમાં લોકસભા અધ્યક્ષ શ્રી ઓમ બિરલાજીના સંબોધનની રાષ્ટ્રમંડળ દેશોની તમામ સંસદોના સ્પીકર્સને ખૂબ-ખૂબ પ્રશંસા કરી, જેનાથી આપણી સંસદની ગરિમા વધી. શ્રી ઓમ બિરલાજીએ જ સાંસદોને બિલ પર પ્રી-સેશન બ્રીફિંગ કરવાની તક આપી. તેમણે કહ્યું કે બિરલાજીના કાર્યકાળમાં સૌથી મોટી વાત એ થઈ કે આપણે અંગ્રેજોના જમાનામાં બનેલી સંસદમાંથી નીકળીને આઝાદ ભારતમાં બનેલી સંસદમાં આવ્યા. બિરલાજીએ આ બધા કાર્યો સર્વસંમતિથી કર્યા છે.
શ્રી અમિત શાહે કહ્યું કે આખા દેશમાં આપણી પાર્ટીની છબી ખંડિત કરવાનો દુષ્પ્રચાર ચાલી રહ્યો છે. આવો પ્રયાસ કરનારાઓને તેઓ કહેવા માંગે છે કે આનાથી આપણી પાર્ટીની છબી ખંડિત થશે નહીં. તેમણે કહ્યું કે કોણ સદનમાં શું બોલશે, કેટલું બોલશે, ક્યારે બોલશે, કેમ બોલશે, સત્તાધારી પાર્ટી આ નિર્ણય કરી શકતી નથી. શ્રી શાહે કહ્યું કે અમે ક્યારેય વિપક્ષની અવાજ દબાવવાનું કામ કર્યું નથી, પરંતુ મારી અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વિપક્ષની અવાજ દબાવવાનું કામ 1975માં થયું હતું, જ્યારે આખો વિપક્ષ જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે નિયમો અનુસાર સદન ચલાવવાનું દાયિત્વ સ્પીકરનું છે. લોકસભાના નિયમ 349થી નક્કી થાય છે કે સદનમાં સભ્યનું સમગ્ર આચરણ કેવું હોય. ગૃહ મંત્રીએ કહ્યું કે 17મી લોકસભામાં વિપક્ષી પાર્ટીને 157 કલાક અને 55 મિનિટનો સમય આપવામાં આવ્યો, જ્યારે તેમના 52 સભ્યો હતા. આની સરખામણીમાં આપણી પાર્ટીને 349 કલાક અને 8 મિનિટ આપવામાં આવ્યા, જ્યારે આપણી સભ્ય સંખ્યા તેમના કરતા ઘણી વધારે 303 હતી. શ્રી શાહે કહ્યું કે જો ડેટા જોઈએ તો લોકસભા સ્પીકરે વિપક્ષી પાર્ટીને સત્તાધારી પાર્ટી કરતા વધુ સમય આપવાનું કામ કર્યું છે.
શ્રી અમિત શાહે કહ્યું કે 18મી લોકસભામાં મુખ્ય વિપક્ષી પાર્ટી દ્વારા કાલે સુધી 71 કલાક બોલવામાં આવ્યું, જ્યારે તેમની પાસે 99 સભ્યો છે અને સત્તાધારી પાર્ટીને 122 કલાક મળ્યા છે જ્યારે આપણા 239 સભ્યો છે. એક પ્રકારથી 18મી લોકસભામાં પણ વિપક્ષી પાર્ટીને સત્તાધારી પાર્ટી કરતા બે ગણો સમય મળ્યો છે. પરંતુ તેમ છતાં વિપક્ષના નેતાને ફરિયાદ છે કે તેમને બોલવા દેવામાં આવતા નથી અને તેમની અવાજ દબાવી દેવામાં આવે છે. શ્રી શાહે કહ્યું કે જ્યારે વિપક્ષના નેતાના બોલવાનો મોકો આવે છે, ત્યારે તેઓ વિદેશ પ્રવાસે હોય છે.
શ્રી અમિત શાહે કહ્યું કે જ્યારે વિપક્ષના નેતાના બોલવાનો સમય આવે છે તો તેઓ ક્યારેક જર્મની, વિયેતનામ, ઈંગ્લેન્ડ, મલેશિયા અને ક્યારેક સિંગાપોરમાં હોય છે અને પછી ફરિયાદ કરે છે. તેમણે કહ્યું કે તેઓ વિપક્ષના નેતાને પૂછવા માંગે છે કે જ્યારે તેમના બોલવાની વારી આવી તો તેઓ કેમ ન બોલ્યા, શું સ્પીકરે તેમને રોક્યા હતા? શ્રી શાહે કહ્યું કે લોકસભાને બદનામ કરવા માટે કુપ્રચાર કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે 18મી લોકસભામાં વિપક્ષને બોલવા માટે 71 કલાકનો સમય આપવામાં આવ્યો, પરંતુ તેમાં વિપક્ષના નેતા કેટલી વાર બોલ્યા? શ્રી શાહે કહ્યું કે લોકસભા સ્પીકર સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ વિપક્ષના નેતાએ કંઈ ન બોલ્યા, તો પછી તેઓ પ્રસ્તાવ લાવ્યા જ કેમ? તેમણે કહ્યું કે આ વાત સાચી નથી કે વિપક્ષના નેતાને બોલવા દેવામાં આવતા નથી, પરંતુ સત્ય એ છે કે તેઓ બોલવા જ માંગતા નથી. જો બોલવા માંગે છે, તો તેમને નિયમ અનુસાર બોલતા આવડતું નથી. શ્રી શાહે કહ્યું કે આ કોઈ જનસભા નથી, દરેક સભ્યને લોકસભાના નિયમો અનુસાર બોલવાનું હોય છે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે વિપક્ષ દ્વારા કહેવામાં આવ્યું કે વિપક્ષના નેતાને લગભગ 40 વાર બોલતા રોકવામાં આવ્યા. તેમણે કહ્યું કે જ્યારે લોકસભા સ્પીકર દ્વારા રોકવામાં આવ્યા હોવા છતાં વિપક્ષના નેતા એ જ વિષય દોહરાવે છે, તો સ્પીકર પાસે બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. તેમણે કહ્યું કે સંરક્ષણ મંત્રી જીએ સ્પષ્ટ કરી દીધું હતું કે કોઈ સભ્ય કોઈ અપ્રકાશિત પુસ્તક કે કોઈ મેગેઝીનને સદનમાં કોટ કરી શકતું નથી. પરંતુ જ્યારે કોઈ તે જ વિષય પર બોલતા રહેશે તો તેને જો તમે તે જ વિષય પર બોલતા રહેશો, તો તમારે ટોકવું પડશે. SIR પર ચર્ચા દરમિયાન પણ વિપક્ષના નેતાએ વક્તાઓના ક્રમને તોડ્યો. તેમણે કહ્યું કે મુખ્ય વિપક્ષી પાર્ટીના નેતાની જૂઠથી ભરેલી પ્રેસ કોન્ફરન્સ પર સદનમાં ચર્ચાની મંજૂરી ન આપીને ઓમ બિરલાજીએ દાયકાઓ જૂની સંસદીય પરંપરાનું પાલન કર્યું છે.
શ્રી અમિત શાહે કહ્યું કે 17મી લોકસભામાં વિપક્ષને 40% સમય આપવામાં આવ્યો, જ્યારે પ્રો રેટાથી તેમનો હિસ્સો 3% હતો. મોશન ઓફ થેંક્સમાં વિપક્ષને 34% સમય આપ્યો અને 18મી લોકસભામાં 55% સમય આપવામાં આવ્યો. તેમ છતાં કોઈ કેવી રીતે આ કહી શકે કે તેમને બોલવા દેતા નથી. શ્રી શાહે કહ્યું કે બોલવાનો અધિકાર દળના નેતાનો છે, જ્યારે નેતા સ્વયં બોલવા માંગતા નથી, તો કોઈ શું કરી શકે? તેમણે કહ્યું કે અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં પણ બોલી શકતા હતા, પરંતુ બોલવું નિયમ મુજબ જ પડતું. કોઈને નિયમ તોડીને બોલવાની મંજૂરી નથી.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ કહ્યું કે 17મી લોકસભામાં વિપક્ષના નેતાની હાજરી 51% રહી, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 79% હતી. 16મી લોકસભામાં 52%, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 80% હતી. 15મી લોકસભામાં 43%, જ્યારે રાષ્ટ્રીય સરેરાશ 76% હતી. તેમણે કહ્યું કે આ બધું ઓન રેકોર્ડ છે. શ્રી શાહે કહ્યું કે 16મી લોકસભામાં વિપક્ષના નેતાએ રાષ્ટ્રપતિના અભિભાષણના આભાર પ્રસ્તાવ પર એક વાર પણ ભાગ લીધો નહીં. બજેટ ચર્ચામાં એક પણ વાર ભાગ લીધો નહીં. સરકારી વિધેયકો પર ચર્ચામાં પણ ભાગ લીધો નહીં. 2018, 2019, 2020 અને 2021માં રાષ્ટ્રપતિ અભિભાષણ પર ભાગ લીધો નહીં. એક બિલ છોડીને વિદેશ નીતિ ચર્ચામાં પણ ભાગ લીધો નહીં. ઘણી મહત્વપૂર્ણ વિધેયકો જેમ કે-ભૂમિ અધિગ્રહણ, 122મું બંધારણ સંશોધન, આધાર વિધેયક, ત્રણ તલાક વિધેયક, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન, કલમ 370, નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA), ભારતીય ન્યાય સંહિતા, ટેક્સ સુધારા, નાણાં વિધેયક 2024, વકફ સંશોધન બિલ, વંદે માતરમના 150 વર્ષ, કેપ્ટન શુભાંશુ શુક્લાના અભિનંદન પ્રસ્તાવ —આમાંના કોઈમાં વિપક્ષના નેતાએ ભાગ લીધો નથી.
શ્રી અમિત શાહે કહ્યું કે વિપક્ષના નેતા પોતાની પાર્ટીના મોટા નેતા છે, હોઈ શકે કે પાર્ટી પ્રચાર માટે તેમને ક્યાંક જવાનું રહ્યું હોય અને જાહેર જીવનમાં આ સ્વાભાવિક છે. ઘણી વાર લોકસભા ચાલતી હોય છે અને પાર્ટીના મોટા કાર્યક્રમો હોય છે. ચૂંટણીઓ હોય છે, તો વરિષ્ઠ નેતાઓને પ્રચાર માટે જવું પડે છે. આમાં શું ખોટું છે? પરંતુ સવાલ એ છે કે જ્યારે સદનમાં નહોતા, તો ક્યાં હતા? શિયાળુ સત્ર 2017માં જર્મની યાત્રા પર, બજેટ સત્ર 2025માં વિયેતનામ પ્રવાસ પર અને બજેટ સત્ર 2023ના સમયે ઈંગ્લેન્ડમાં હતા. બજેટ સત્ર 2018 દરમિયાન સિંગાપોર અને મલેશિયામાં, ચોમાસુ સત્ર 2020માં વિદેશ યાત્રા પર હતા. બજેટ સત્ર 2015માં કુલ મળીને 60 દિવસ વિદેશ યાત્રામાં રહ્યા. તેમણે કહ્યું કે આ એક ભયંકર સંયોગ છે કે જ્યારે-જ્યારે બજેટ સત્ર કે મહત્વપૂર્ણ સત્ર આવે છે, તેમની વિદેશ યાત્રા થઈ જાય છે. પછી વિપક્ષના નેતા કહે છે કે તેમને બોલવા દેતા નથી. શ્રી શાહે કહ્યું કે કોઈ વિદેશમાં રહીને સદનમાં કેવી રીતે બોલી શકે? સદનમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધનનો જોગવાઈ નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહ્યું કે જ્યારે વિપક્ષ લોકસભા સ્પીકરના કંડક્ટ પર સવાલ ઉઠાવી રહ્યો છે, તો કંડક્ટ માત્ર સ્પીકરનો જોવાતો નથી. સદનમાં પક્ષ, પ્રતિપક્ષ, સ્પીકર અને રાષ્ટ્રપતિ મહોદય, સૌ મળીને સદન ચલાવે છે. વિપક્ષ પોતાના કંડક્ટ પર પણ તો ક્યારેક વાત કરે. તેમણે કહ્યું કે ટ્રેઝરી બેન્ચમાં પ્રધાનમંત્રી બેસે છે, દોડીને તેમના ગળે લાગી જવું—આવું ક્યારેય થયું નથી. ફ્લાઈંગ કિસ કરવી, આંખ મટકાવવી—આવું સદનમાં ક્યારેય થયું નથી.
શ્રી અમિત શાહે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનની સ્થિતિ મજબૂત હોવા પાછળ પણ દેશના પ્રથમ પ્રધાનમંત્રીની નીતિઓ જવાબદાર રહી છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશને ચીન પાસેથી ધન લીધું, જેના કારણે તેનું FCRA રજીસ્ટ્રેશન રદ કરવું પડ્યું, આ તમામ દેશવાસીઓએ જાણવું જોઈએ. અક્સાઈ ચીનનો 38 હજાર ચોરસ કિલોમીટર વિસ્તાર અને નેફાનો મોટો હિસ્સો 1962માં ચીને કબજે કરી લીધો હતો, અને આ મુખ્ય વિપક્ષી પાર્ટીના શાસનકાળમાં થયું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે આસન પાસે આગ્રહ કર્યો કે લોકસભા અધ્યક્ષ સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને બહુમતી સાથે ફગાવી દેવામાં આવે અને સ્પીકર પદની ગરિમાને બરકરાર રાખવામાં આવે.
SM/IJ/JD
(રીલીઝ આઈડી: 2238671)
મુલાકાતી સંખ્યા : 10