પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કોટા એરપોર્ટનો શિલાન્યાસ કર્યો; હાડોતી ક્ષેત્રના પરિવર્તન પર આપ્યો ભાર


કોટા, બુંદી, બારા અને ઝાલાવાડ સહિત સમગ્ર હાડોતી ક્ષેત્ર માટે આજનો દિવસ નવી આશા અને નવી સિદ્ધિનો દિવસ છે: PM

આ આધુનિક એરપોર્ટ, જે લગભગ દોઢ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહ્યું છે, તે આગામી સમયમાં સમગ્ર ક્ષેત્રના વિકાસને નવી ગતિ આપશે: PM

જ્યારે આ એરપોર્ટ કાર્યરત થશે, ત્યારે મુસાફરી સરળ બનશે અને કોટા સહિત સમગ્ર વિસ્તારમાં વેપાર ઝડપથી વધશે: PM

કોટા આજે કનેક્ટિવિટીના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે: PM

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, કોટાના બંને મુખ્ય રેલવે સ્ટેશનોને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી રહ્યા છે: PM

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે, જે કોટા અને બુંદીમાંથી પસાર થાય છે, તે સમગ્ર પ્રદેશના વિકાસ માટે એક નવો પ્રવેશદ્વાર ખોલી રહ્યો છે: PM

પોસ્ટેડ ઓન: 07 MAR 2026 3:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વિડિયો સંદેશ દ્વારા કોટા એરપોર્ટના શિલાન્યાસ સમારોહને સંબોધિત કર્યો હતો, જે હાડોતી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "રાજસ્થાન અભૂતપૂર્વ ગતિએ પ્રગતિ કરી રહ્યું છે, અને નવું એરપોર્ટ આર્થિક અને ઔદ્યોગિક વિકાસ માટે ઉદ્દીપક (catalyst) બનવા માટે તૈયાર છે."

સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ તેમની અજમેરની તાજેતરની મુલાકાતની નોંધ લીધી હતી જ્યાં હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને 21,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો સોંપવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે એક અઠવાડિયામાં બેક-ટુ-બેક કાર્યક્રમો રાજ્યના વિકાસના માર્ગ વિશે એક શક્તિશાળી સંદેશ આપે છે, અને નોંધ્યું હતું કે "તેઓ આપણને જણાવે છે કે રાજસ્થાન આજે કેટલી ઝડપે આગળ વધી રહ્યું છે."

પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું હતું કે કોટા, બુંદી, બારા અને ઝાલાવાડ માટે આજનો દિવસ નવી આશાનો દિવસ છે કારણ કે આશરે 1,500 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આધુનિક એરપોર્ટ આકાર લેવાનું શરૂ કરી રહ્યું છે. પ્રદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવતા શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, " આધુનિક એરપોર્ટ આગામી સમયમાં સમગ્ર પ્રદેશના વિકાસને નવી ગતિ આપવા જઈ રહ્યું છે."

નવેમ્બર 2023 માં તેમની મુલાકાતને યાદ કરતા, પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો કે એરપોર્ટ અંગે જનતાને આપેલો વાયદો હવે પૂરો થઈ રહ્યો છે. ફ્લાઇટ્સ માટે જયપુર કે જોધપુર જવાની અગાઉની અસુવિધામાંથી મુક્તિ મળવાનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "જ્યારે એરપોર્ટ શરૂ થશે, ત્યારે મુસાફરી સરળ બનશે અને કોટા સહિત સમગ્ર વિસ્તારમાં વેપાર ઝડપથી વધશે."

પ્રધાનમંત્રીએ કોટાને શિક્ષણ અને ઉર્જા બંનેના અનોખા કેન્દ્ર તરીકે વર્ણવ્યું હતું, જે પરમાણુ, કોલસો, ગેસ અને પાણીના સ્ત્રોતોમાંથી વીજળી ઉત્પન્ન કરે છે. શ્રી મોદીએ કોટા ડોરિયા સાડીઓ, કોટા સ્ટોન અને બુંદીના બાસમતી ચોખા જેવી સ્થાનિક કૃષિ પેદાશોની વૈશ્વિક ઓળખની પ્રશંસા કરી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે "કોટામાં નવું એરપોર્ટ શક્યતાઓને અનેક ગણી વધારવાનું કામ કરશે."

પ્રદેશની પર્યટન ક્ષમતા વિશે ચર્ચા કરતા પ્રધાનમંત્રીએ મુકુંદરા હિલ્સ જેવા વન્યજીવ હબની સાથે શ્રી મથુરાધીશ જી અને ગરાડિયા મહાદેવના આધ્યાત્મિક મહત્વનો ઉલ્લેખ કર્યો હતો. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, "વધેલી હવાઈ કનેક્ટિવિટી પ્રદેશમાં વૈશ્વિક પ્રવાસીઓને લાવશે, અને તેનો સીધો લાભ અહીંના યુવાનો, વેપારીઓ અને સ્થાનિક અર્થતંત્રને મળશે."

પ્રધાનમંત્રીએ કોટામાં વ્યાપક કનેક્ટિવિટી ક્રાંતિને પણ સ્પર્શી હતી, જેમાં અમૃત ભારત યોજના હેઠળ રેલવે સ્ટેશનોનું આધુનિકીકરણ અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની અસરનો સમાવેશ થાય છે. કૃષિ-આધારિત ઉદ્યોગો તરફના પરિવર્તન પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, "રેલ અને રોડ પછી હવાઈ કનેક્ટિવિટીનું નવું પ્રકરણ કોટાના વિકાસને વધુ ઝડપ આપશે."

સ્થાનિક નેતૃત્વના પ્રયાસોને સ્વીકારતા પ્રધાનમંત્રીએ કોટાના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પ્રદેશની પ્રગતિ પ્રત્યેના તેમના સમર્પણ બદલ પ્રશંસા કરી હતી. સંસદમાં શ્રી બિરલાની ભૂમિકા પર ટિપ્પણી કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે "તેઓ એવા શિક્ષક છે જે આખા ક્લાસને સારી રીતે સંભાળે છે, ભલે અમુક મોટા પરિવારોના અવિવેકી વિદ્યાર્થીઓનો સામનો કરવો પડતો હોય."

રાષ્ટ્રીય ઉડ્ડયન લેન્ડસ્કેપ પર પ્રતિબિંબ પાડતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે એરપોર્ટની સંખ્યા 2014 માં 70 થી વધીને આજે 160 થી વધુ થઈ ગઈ છે. વિકેન્દ્રિત વિકાસના ઉદાહરણો તરીકે દિલ્હી નજીકના નવા ટર્મિનલ અને એરપોર્ટ તરફ નિર્દેશ કરતા શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, "મને ખાતરી છે કે કોટાનું નવું એરપોર્ટ પણ વિસ્તારના વિકાસને રીતે નવી ગતિ આપશે."

તેમના સમાપન વક્તવ્યમાં, પ્રધાનમંત્રીએ ઝડપી પ્રગતિ હાંસલ કરવામાં "ડબલ એન્જિન" સરકાર અને સ્પષ્ટ ઈરાદાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે સમૃદ્ધ અને સશક્ત રાજ્યની કલ્પના કરી હતી અને નિષ્કર્ષ આપ્યો હતો કે "વિકસિત રાજસ્થાનનો મજબૂત પાયો વિકસિત ભારતના સંકલ્પને વધુ શક્તિ આપી રહ્યો છે."

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2236378) મુલાકાતી સંખ્યા : 79