રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ભારતના રાષ્ટ્રપતિએ નેશનલ જીઓ સાયન્સ એવોર્ડ્સ એનાયત કર્યા

Posted On: 26 SEP 2025 12:48PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​(26 સપ્ટેમ્બર, 2025) રાષ્ટ્રપતિ ભવન સાંસ્કૃતિક કેન્દ્ર ખાતે આયોજિત એક સમારોહમાં જીઓ સાયન્સ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રાષ્ટ્રીય જીઓ સાયન્સ એવોર્ડ્સ-2024 એનાયત કર્યા છે.

આ અવસપ પર સમારોહને સંબોધિત કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે માનવ સભ્યતાના વિકાસમાં ખનીજોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પૃથ્વીની સપાટી પર જોવા મળતા ખનીજોએ માનવ જીવનનો આધાર બનાવ્યો છે અને આપણા વેપાર અને ઉદ્યોગને આકાર આપ્યો છે. માનવ સભ્યતાના વિકાસના મુખ્ય તબક્કાઓ - પથ્થર યુગ, કાંસ્ય યુગ અને લોહ યુગ - ખનીજોના નામ પરથી રાખવામાં આવ્યા છે. લોખંડ અને કોલસા જેવા ખનીજો વિના ઔદ્યોગિકીકરણની કલ્પના પણ કરી શકાતી નથી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ખાણકામ આર્થિક વિકાસ માટે સંસાધનો પૂરા પાડે છે અને વ્યાપક રોજગારીની તકો ઉભી કરે છે. જોકે, આ ઉદ્યોગના ઘણા પ્રતિકૂળ પ્રભાવો પણ છે જેમાં રહેવાસીઓનું વિસ્થાપન, વનનાબૂદી અને વાયુ અને જળ પ્રદૂષણનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ પ્રતિકૂળ અસરોને ઘટાડવા માટે, ખાણકામ પ્રક્રિયા દરમિયાન તમામ નિયમોનું કડક પાલન કરવું આવશ્યક છે. ખાણો બંધ કરતી વખતે યોગ્ય પ્રક્રિયાઓનું પણ પાલન કરવું આવશ્યક છે જેથી રહેવાસીઓ અને વન્યજીવનને નુકસાન ન થાય.

રાષ્ટ્રપતિએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણો દેશ ત્રણ બાજુથી મહાસાગરોથી ઘેરાયેલો છે. આ મહાસાગરોમાં ઘણા મૂલ્યવાન ખનીજ ભંડારો છે. રાષ્ટ્રીય વિકાસ માટે આ સંસાધનોનો ઉપયોગ કરવામાં ભૂસ્તરશાસ્ત્રીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે વૈજ્ઞાનિકોને એવી તકનીકો વિકસાવવા વિનંતી કરી કે જે દરિયાઈ જૈવવિવિધતાને થતા નુકસાનને ઘટાડીને રાષ્ટ્રના લાભ માટે સમુદ્રતળ નીચેના સંસાધનોનો ઉપયોગ કરી શકે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે ભૂસ્તરશાસ્ત્રીઓની ભૂમિકા ફક્ત ખાણકામ પૂરતી મર્યાદિત નથી. તેમણે ભૂ-પર્યાવરણીય ટકાઉપણું પર ખાણકામની અસર પર પણ ધ્યાન આપવાની જરૂર છે. ખનીજ ઉત્પાદનોમાં મૂલ્ય ઉમેરવા અને બગાડ ઘટાડવા માટે ટેકનોલોજીનો વિકાસ અને ઉપયોગ જરૂરી છે. ટકાઉ ખનીજ વિકાસ માટે આ મહત્વપૂર્ણ છે. તેમને એ જાણીને આનંદ થયો કે ખાણ મંત્રાલય ટકાઉપણું અને નવીનતા માટે પ્રતિબદ્ધ છે અને ખાણ ઉદ્યોગમાં કૃત્રિમ બુદ્ધિ (AI), મશીન લર્નિંગ અને ડ્રોન-આધારિત સર્વેક્ષણોને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેમણે ખાણના ટેઇલિંગ્સમાંથી મૂલ્યવાન તત્વોને પુનઃપ્રાપ્ત કરવા માટે લેવામાં આવેલા પગલાં માટે મંત્રાલયની પણ પ્રશંસા કરી હતી.

રાષ્ટ્રપતિએ કહ્યું કે રેર અર્થ એલિમેન્ટ્સ (REEs) આધુનિક ટેકનોલોજીનો આધાર છે. તેઓ સ્માર્ટફોન અને ઇલેક્ટ્રિક વાહનોથી લઈને સંરક્ષણ પ્રણાલીઓ અને સ્વચ્છ ઉર્જા ઉકેલો સુધી દરેક વસ્તુને શક્તિ આપે છે. વર્તમાન ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતે તેમના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવું જોઈએ. વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ જરૂરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રેર અર્થ એલિમેન્ટ્સને એટલા માટે દુર્લભ નથી માનવામાં આવતા કેમકે તે દુર્લભ છે, પરંતુ એટલા માટે કેમકે તેને ઉપયોગી સામગ્રીમાં શુદ્ધ કરવાની પ્રક્રિયા અત્યંત જટિલ છે. તેમણે કહ્યું કે આ જટિલ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે સ્વદેશી ટેકનોલોજી વિકસાવવી એ રાષ્ટ્રીય હિતમાં મોટો ફાળો હશે.

રાષ્ટ્રપતિનું ભાષણ જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો-

 

SM/GP/DK/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2171631) Visitor Counter : 25